સાહિત્ય ! બીજા અનેક શુભ-પરિણામો ઉપરાંત સાહિત્ય આપણને માણસની પણ ઓળખ કરવામાં મદદ કરે છે. ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે અમુક સારા માણસને ખરાબ માની લેતા હોઈએ છીએ, કે વિપરીત પરિસ્થિતિમાં આપણે ખરાબ માણસને સારા માની લેતા હોઈએ છીએ. સતત સંસર્ગને કારણે માણસોની નાનામાં નાની વાતો અને તેનાં લક્ષણો નોંધવાની આવડત મારામાં વિકસી એ સાહિત્યસેવનને આભારી. સાહિત્યની મદદથી ભલે સાચા મિત્રો મળે કે ન મળે, પણ સાચા મિત્રો કેવા હોય તે ઓળખવાની ક્ષમતા સાહિત્ય જરૂર વિકસાવી આપે છે.
આપણ એ તો હંમેશાં જ જોયું છે કે સાહિત્ય સમાજને સાચી દિશા બતાવી શકે છે અને એટલું જ નહીં તે ક્રાંતિ પણ સર્જી શકે છે. આ વાતના ઘણા પુરાવા ઈતિહાસમાં પણ જોવા મળે છે. આપણે એ પણ જોયું છે કે સાહિત્ય જો કોઈ મોભી અથવા તો સમજદાર વ્યક્તિના હાથમાં જાય તો ત્યારે મુશ્કેલ લાગતા ઘણા પ્રશ્નો અત્યંત સરળ રીતે આપણે જનમાનસ સુધી પહોંચાડી શકીએ છીએ. વિશ્વના કોઈપણ મહાન વ્યક્તિઓને એક સવાલ પૂછી જોઈએ કે, ‘તમને સાહિત્ય ક્યારે મદદરૂપ થાય છે?’ ત્યારે તેમના તરફથી એક જવાબ અચૂક મળશે કે, ‘સાહિત્ય મુશ્કેલીના સમયે આધાર આપે છે અને ખોટા રસ્તે જતા અટકાવે છે.’
અંગત વાત કહું તો વ્યવસાય ઈતિહાસસંબંધિત એટલે મારા માટે સાહિત્યનું મહત્વ પણ એટલું જ, જેટલા ઈતિહાસ અને વિજ્ઞાન મહત્વના ! મારા વ્યવસાયમાં વાંચન પાયો છે. સંશોધનો માટે બહોળું વાંચન અનિવાર્ય છે. એ વાંચનમાં ઘણાં બધા પ્રકારના પુસ્તકો વાંચવામાં પડે, જેમાંથી કેટલીક વાર સાહિત્ય પણ હોય. સાહિત્યમાં પણ ઘણાં પૌરાણિક દસ્તાવેજો મળી આવે છે, જેના કારણે પણ સાહિત્યના સંપર્કમાં રહેવું પડે છે. ઘણો ઈતિહાસ સાહિત્ય સ્વરૂપે પણ સચવાયેલો છે એટલે સાહિત્યના સંસર્ગમાં આવવું એ મારા માટે સહજ છે. આ સાહિત્ય વ્યવસાયેત્તર પ્રવૃત્તિઓ અથવા તો મારા અંગત જીવનમાં પણ ઘણી રીતે ફાયદાકાર થયું છે તે મેં નોંધ્યું છે.
સાહિત્ય મારા જીવન માટે સીડી-સોપાન બન્યું છે. જેના પર પગલાં માંડી માત્ર માનસિક જ નહીં પણ બૌદ્ધિક સ્તર પણ ઘણું ઊંચું આવ્યું છે. મારામાં ઘણા ગુણોનું સિંચન કરવામાં અને આજે સમાજમાં નોખું સ્થાન મેળવવામાં સાહિત્યએ જ મને મદદ કરી છે. સાહિત્યએ મને નમ્રતા આપી છે. માણસ જોડે નમ્ર રહેવું એ ક્યારેય સરળ ન હતું, પણ સાહિત્યના સતત સંસર્ગે આ ગુણને કેળવવામાં અને તે કેળવણીને દરેકે દરેક પળે અમલમાં મૂકવામાં પણ એટલી જ મદદ કરી છે. સાહિત્યએ મારામાં પારદર્શકતા પણ વિકવાસવી છે.
મારો અને વાંચનનો સંબંધ કંઈક વધારે પડતો ઊંડો છે. 1996ના વર્ષની આસપાસ હું ઓફિસના કામથી હૈદરાબાદ વારંવાર આવજા કરતો હતો. ત્યારે એક વાર મારા કાકાના દીકરા માટે વૈદિક ગણિતનું પુસ્તક લઈને આવ્યો હતો, પરંતુ હું પુસ્તક લઈને સુરત પહોંચું તે પહેલાં જ મારા કાકાના દીકરાને અમેરિકા જવાનું થયું. તેથી આ પુસ્તક મારા પાસે જ રહી ગયું. જ્યારે મેં આ પુસ્તકના પાનાં ફેરવ્યા ત્યારે મને ગણિતની કેટલીક અદભુત પદ્ધતિઓ જાણવા મળી અને ધીરેધીરે આ પદ્ધતિઓ મેં બાળકને અને અન્ય લોકોને શીખવવાનું શરૂ કર્યું. આ વાંચવાનો શોખ એટલો વ્યાપ્યો કે મે અન્ય ભાષાઓમાં મળેલી મેન્યુસ્ક્રીપ્ટ્સ-હસ્તપ્રતો પણ વાંચવાની અને સમજાવવાની શરૂ કરી, પછી તો પ્રાચીન ભાષાઓમાં રસ વધ્યો એટલે એ શીખવાની શરૂઆત કરી, અને એ જ શોખે મને ISRO અને NASA જેવી સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દાઓ પર કામ કરવાની તક આપી. તેમ જ માનદપદવીઓ પણ અપાવી.
આમ કોઈ વ્યક્તિ એક નાનું પુસ્તક વાંચવાનું શરૂ કરે, ખૂબ રસ પડે અને એ રસ જ નવી ઓળખ ઊભી કરી અનેરા શિખરો સુધી લઈ જવામાં મદદ કરે એ વાત કોઈ ફિલ્મની પટકથા જેવી વાત લાગે, પણ આ ફિલ્મની નહીં મારા પોતાના જીવનની ખરેખરી વાર્તા છે. સાહિત્ય કે પુસ્તકમાં ખરેખર પરિવર્તન ક્ષમતા છે, તે વાત મને મારા પોતાના જ જીવન પરથી જાણવા મળી છે.

(મિતુલ ત્રિવેદી સુરતસ્થિત ઈતિહાસવિદ્ ને સંશોધક છે. ચર્ચાઃ નીરજ કંસારા)