કદાચ આ તમે એકલાખમી વાર વાંચતા હશો ને હજારટકાના વિશ્વાસ સાથે મનોમન માનતા હશો છતાં ફરી કહેવું છે કે માતૃભાષા એટલે એ ભાષા, જે ભાષા ગર્ભમાંથી જ સાંભળતાં સાંભળતાં બાળક વિકાસ પામે છે. મહાભારતમાં શ્રી કૃષ્ણે અભિમન્યુને ગર્ભમાં જ યુદ્ધના કોઠાઓ શીખવ્યા હતા એ જાણીતી વાત છે. શ્રી શુકદેવજીનો પણ એવો જ દાખલો છે. માના ગર્ભમાંનું બાળક માત્ર સાંભળી જ નહિ, સમજી પણ શકે છે, એ વાતની પુષ્ટિ આજના મનોવિજ્ઞાનીઓએ-વૈજ્ઞાનિકોએ પણ કરી છે. આ રીતે, બાળકને માતૃભાષામાં કહેલી, શીખવેલી કે સમજાવેલી વાત એના મગજમાં સરળતાથી ઉતરી જાય છે. માતૃભાષા એવી ભાષા છે જે બાળક ખૂબ જ સાહજિક રીતે અને રમત રમતમાં પોતાના ઘરમાંથી કે મિત્રવર્તુળમાંથી લગભગ ઓછા કે ન જેવા પ્રયત્ને, અભાનપણે જ પ્રાપ્ત કરી લે છે. આ માતૃભાષામાં શિક્ષણ પ્રાપ્ત કરવું, એ બાળક માટે ખૂબ જ અગત્યનું છે; કારણકે વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ, જ્ઞાન, અભિવ્યક્તિ ક્ષમતા, સર્જનાત્મક કે ફળદાયક ક્ષમતા- આ બધાની કૂંપળો માતૃભાષામાંથી જ ફૂટે છે. આથી માતૃભાષાને શાળાના અભ્યાસક્રમમાં મહત્વનું આગવું સ્થાન આપવું અને મળવું જોઈએ.
એ માટે આપણે કેટલાંક મહત્વનાં કારણો સમજીએ.
માતૃભાષા એ સંદેશાવ્યવહાર કે પોતાનાવિચારો અને લાગણીઓ વ્યક્ત કરવાનું ઉત્તમ અને સમર્થ માધ્યમ છે. માણસની, ખાસ કરીને માતૃભાષા બોલવાવાળાની, પોતાના સામાજિક વર્તુળ કે સંગઠનની રચના સહજ રીતે થઈ જાય છે. વળી,જે તે વિષયમાં તેની પૂરેપૂરી નિપુણતા, પારંગતતા કે તજજ્ઞતા પણ માતૃભાષા દ્વારા જ પ્રાપ્ત થઈ શકે.
જ્ઞાનપ્રાપ્તિ માટે વિચારતંત્ર અત્યંત જરૂરી છે. વિચાર કરવા માટે ભાષા પણ એટલી જ આવશ્યક છે. પી. બી. બેલાર્ડે કહ્યું છે કે ‘માતૃભાષામાં કેળવણી એટલે એ ભાષામાં કેળવણી જે ભાષામાં બાળક વિચારે છે અને સ્વપ્નાં પણ સેવે છે. છીછરાપણામાંથી સુંદરતમ માનવ સંસ્કૃતિ પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન એટલે માતૃભાષા.’
ભાષા વગર બુદ્ધિનો શ્રેષ્ઠતમ વિકાસ પણ અશક્ય છે. વાંચન, અભિવ્યક્તિ, જ્ઞાન સંપાદન કરવું, બૌદ્ધિક દલીલો કરવી, એ બધા બુદ્ધિવિકાસના માધ્યમો છે. આ બધું ભાષાથી જ, ખાસ કરીને માતૃભાષા દ્વારા જ ઉત્તમ રીતે શક્ય બને છે. આથી, આપણા વિદ્યાર્થીઓની વિદ્યાપ્રાપ્તિનો પાયો મજબૂત, મક્કમ અને અડગ કરવા માતૃભાષામાં શિક્ષણ અત્યંત આવશ્યક છે.
વળી, આમ તો આપણે સંદેશાવ્યવહાર કે માહિતીની આપ-લે તો કોઈ પણ ભાષામાં કરી શકીએ છીએ; છતાં પણ સર્જનાત્મક અભિવ્યક્તિ તો માતૃભાષામાં જ શ્રેષ્ઠ રીતે શક્ય બને છે. આથી જ જગતના મહાવિદ્વાન લેખકોએ ઉત્કૃષ્ટ અને અદ્ભુત સાહિત્યનું સર્જન પોતાની સ્વભાષામાં જ કર્યું છે, જેનું અનુમોદન આપણે પછીથી કરીશું.
આ વાત પછી આપણને એ વિચાર આવે કે શું અંગ્રેજી કે ઈતર ભાષામાં કંઈ ન શીખી કે સમજી શકાય? જરૂરથી શીખી, સમજી શકાય. પણ, એને માટે નાજુક મગજ પરિપક્વ થવું જોઈએ. બાળકની સમજણ, સ્મરણ, ગ્રહણ અને યાદશક્તિ ઘણી જ કુશાગ્ર હોય છે. એનો સંપૂર્ણ ઉપયોગ કરવા, બાળકનું મગજ પરિપકવ થાય ત્યાં સુધી માતૃભાષામાં જ શિક્ષણ આપવું આવશ્યક છે. બાળક ૧૦-૧૨ વર્ષનું થાય ત્યારે લગભગ આ બધી શક્તિઓ પરિપક્વ થાય છે. આ ઉંમરે એ ઘણુંખરું ચોથા થી સાતમા ધોરણ સુધી પહોંચી જાય છે. આના પછી એને અંગ્રેજી કે અન્ય ભાષામાં વિગતે વ્યાકરણ સહિત શિક્ષણ આપવું યોગ્ય ગણાશે. બહુભાષી શિક્ષણમાં ખાસ ઉલ્લેખનીય એ છે કે ‘પહેલી ભાષામાં પહેલું શિક્ષણ’ એટલે, શરૂઆત માતૃભાષાથી કરવી ને પછી બીજી ભાષાઓ શીખવી. બહુભાષી શિક્ષણના બહોળા સ્વીકાર માટે ‘યુનેસ્કો’એ ચાર તબક્કા સૂચવ્યા છે. ૧. બાળકને શિક્ષણ સંપૂર્ણપણે એની સ્વભાષામાં આપવું. ૨. માતૃભાષા પર અસ્ખલિત કાબૂ આવે પછી બીજી ભાષાનો પરિચય કરાવી, બોલવાની તથા વાતચીતની શરૂઆત કરાવવી. ૩. બીજીભાષા પર પણ પહેલા જણાવ્યા મુજબ સંપૂર્ણપણે કાબૂ આવે પછી સાહિત્યનો પરિચય તથા અભ્યાસ કરાવવો. ૪. આ પછી જિંદગીભર તમે એનો અભ્યાસ તથા ઉપયોગ કરો. આવી રીતે જેટલી ભાષાઓ શીખવી હોય તેટલી શીખાય.
આ કોઈ નવી પ્રથા નથી. અગાઉ આ પ્રથા પ્રચલિત હતી. એ પ્રથાથી એ જમાનામાં પણ આપણે ત્યાં ઘણાં રાષ્ટ્ર તથા આંતરરાષ્ટ્રિય સ્તરે ઉચ્ચ કોટિના વિદ્વાનો થઈ ગયા છે. ભારતમાં જુદા જુદા વિસ્તારના લોકોની માતૃભાષા અલગ અલગ હોય છે. આમાં કેટલાક લોકોને પોતાની માતૃભાષા પ્રત્યે ઉત્કટ ભાવના અને ગૌરવ હોય છે, તો કેટલાકને ઓછી અથવા નહીંવત્ હોય છે. આપણે ત્યાં ઘણો મોટો વર્ગ એવો છે જે દેખાદેખીથી પોતાનું બાળક પાછળ ન રહી જાય અથવા એ આધુનિક કહેવાય માટે માતૃભાષાને બદલે અંગ્રેજીમાં શીખવવાનો આગ્રહ રાખે છે. ઉપર જણાવ્યા પ્રમાણે, તેની કુદરતી શક્તિનો લાભ આપણે ઝૂંટવી લઈએ છીએ. આમ કરવાથી, આપણી સંસ્કૃતિ જેના પર આપણે ઉન્નત મસ્તક રાખી ગૌરવ કરવું જોઈએ, તેનાથી તેને વંચિત રાખીએ છીએ. જે મનુષ્ય પોતાની સંસ્કૃતિને, ગૌરવને સન્માન નથી આપી શકતો, તેનું પોતાનું, કે પોતાના કુટુંબ અને સમાજનું આગવું વ્યક્તિત્ત્વ શું રહે?
જો આપણે દુનિયાના ઈતિહાસમાં નજર નાખીશું તો ખ્યાલ આવશે કે દુનિયામાં જેટલા મહાન સાહિત્યકારો, લેખકો, કવિઓ, વક્તાઓ, કથાકારો વગેરે છે ને થઈ ગયા છે, તેઓએ તેમની મહાન રચનાઓ પોતાની માતૃભાષામાં જ આપી છે. ગાંધીજીએ પણ કહ્યું છે કે “રવીન્દ્રનાથ ટાગોરનું ચમત્કારી બંગાળી તેમના અંગ્રેજીને આભારી નથી. તેમની ચમત્કૃતિ તેમના સ્વભાષાભિમાનમાં છે.” ગીતાંજલી પ્રથમ બંગભાષામાં લખાઈ હતી. મહાત્મા મુનશીરામજી જ્યારે હિન્દીમાં પોતાનું વ્યાખ્યાન આપે છે, ત્યારે તે સૌ ખુશીથી સાંભળે છે ને સમજે છે. શ્રીયુત મદનમોહન માલવીયાનું અંગ્રેજી ચાંદી જેવું ઝળકી ઊઠે છે એમ કહેવાય છે, પણ તેમનું હિન્દી ગંગાના પ્રવાહ જેવું છે અને તેમના હિન્દી વ્યાખ્યાનનો પ્રવાહ શુદ્ધ કાંચન સમો ચળકે છે. બળબળતા મધ્યકાળમાં આપણે ત્યાં નરસિંહ, કબીર, દયારામ, તુકારામ, તુલસીદાસ, રામદાસ, પ્રેમાનંદ, શામળ ને દલપતરામ જેવા કવિઓ પોતિકી ભાષાના સાહિત્ય દ્વારા જે સામાજિક ચેતના પ્રકટાવી છે એનો વિકલ્પ શોધવા કઈ ભાષા પાસે જશું? આ ઉપરથી જણાય છે કે માતૃભાષાના વિકાસ માટે અંગ્રેજી ભાષાના જ્ઞાન કરતાં માતૃભાષા પરના પ્રેમની – આપણી ભાષાસંસ્કૃતિ પર આપણે શ્રદ્ધા રાખવાની જરૂર છે, પણ એ આપણે રાખી નથી શકતા, બરાબર?
– મુંબઈ ગુજરાતી સંગઠન