[બાળજગત] કેકડાભાઈનો ટાપુ

ઘણે દૂરદૂર એક ટાપુ પર નાનકડી ટેકરી હતી. એકદમ દરિયાની લગોલગ ! સોનેરી સરસ મજા રેતીથી બનેલી એ ટેકરી પર રહે એક લાલચટક કેકડાભાઈ. નાનાનાના ધારદાર ચાકુ જેવા આઠ-આઠ પગ, બે મોટી વીંટી જેવી આંખો અને થોડું ઘૂઘરા જેવું લંબગોળ ને થોડું સમોસા જેવું ત્રિકોણઆકાર એમનું શરીર. કેકડાભાઈને તો જમીનમાં પૂરાઈ રહેવાનું કામ. કીડામકોડા ખાવાના ને મજાથી રહેવાનું. એમને એમ કે એમની આ ટેકરી જ આખો ટાપુ છે, જેના એ પોતે માલિક છે. ટેકરી પરથી અવાજ કરીને પવન પણ ફૂંકાય કે જરીક ચહલપહલ થાય કે કેકડાભાઈ ટપટપ કરતા આડા પગે દોડી આવે દરની બહાર... આસપાસ નજર નાખે, પણ બધું શાંત-સ્વચ્છ જુએ એટલે ગાયઃ
કેકડાભાઈનો પ્યારો...
આ ટાપુ આખો મારો...
સાફસુથરો સારો !

ઘણીવાર કેકડાભાઈ પોતાના દરમાંથી બહાર આવી જુએ કે પાનપાંદડા કે શંખલા-છીપલા તણાઈ એમના દર પાસે આવી પડ્યા છે, એમની ટેકરીને ખરાબ કરે છે, એટલે કેકડાભાઈને એ ન ગમે. ટેકરીને ચોખ્ખીચણાક રાખવાની એમની હઠ. એ તણાઈ આવતા જાતજાતના ‘કચરા’ને ધકેલીધકેલી ટેકરી પરથી નીચે ગબડાવે ને દરિયામાં વહાવી દે. પછી ‘હાશ.’ અનુભવે ને મજાથી ગાયઃ
કેકડાભાઈનો પ્યારો...
આ ટાપુ આખો મારો...
સાફસુથરો સારો !
-પણ એક દિવસે તો જબ્બર થયું. બન્યું એમ કે કેકડાભાઈના દર પાસે એક નારિયેળીનું ઝાડ ઊગ્યું હતું. નારિયેળી જેમજેમ મોટી થતી ગઈ એમ હવે એના પર નારિયેળ પાકવા લાગ્યા હતા. એક દિવસ કેકડાભાઈના દરની બરાબર પાસે જ એક નારિયેળ પાકીને પડ્યું નીચે... ભડડમમમ ! ટેકરી ધ્રુજી ગઈ. કેકડાભાઈ તો હાંફળાફાંફળા થઈને બહાર આવ્યા ને જુએ છે કોઈ રાક્ષસી સામાન એમની ટેકરી પર આવી પડ્યો છે. આ છે શું? પહેલાં તો એ જબ્બર મુંઝાયા. આવું પહેલાં કદી બન્યું ન હતું. આવડોમોટો આ કચરો હતો શાનો? આકાશમાંથી પડ્યો કે જમીનમાંથી ફૂટી નીકળ્યો? એ કોઈ રાક્ષસ કે જનાવર તો નથીને? મને મારી ખાવા આવ્યો હશે તો?
કેકડાભાઈ તો કેટલાય વિચારોમાં ગુંચવાયા, પણ એમનો નિયમ તે નિયમ. ટેકરી સાફસુથરી રાખવી. એમના દરની આસપાસ કંઈ ન ખપે. હિંમત કરીને એ તો આડા પગે હળવે-હળવે ગયા નારિયેળ પાસે. પહેલા એને એક પગની અણીથી અડ્યા. કંઈ ન થયું. જોયું કે આ ચીજ છે તો બહુ કડક ને મજબુત. નારિયેળની આસપાસ ફર્યા ને બધે ઠેકાણે અડી જોયું. થોડું ખસેડ્યું તો નારિયેળ ડાળી પરથી જે સ્થાને તૂટ્યું હતું એ સ્થાને થોડાં નિશાન હતાં. એ નિશાન બે આંખ ને એક નાક જેવાં લાગતાં હતાં. તે જોઈને તો કેકડાભાઈને થયું, ‘નક્કી આ તો કોઈ રાક્ષસ જ છે ને આકાશથી નીચે પડીને બેહોશ થઈ ગયો લાગે છે.’ એ હોશમાં આવે એ પહેલાં જલદીજલદી એને દરિયે ધકેલી દેવો પડશે. ભયમાં અને ઉતાવળમાં કેકડાભાઈ તો ફટાફટ પગ હલાવવા માંડ્યા ને નારિયેળને ધકેલવા મથ્યા. ઢાળને લીધે થોડું ધકેલાઈ નારિયેળ એકવાર એમના તરફ પાછું સરકી આવ્યું, ત્યારે તો કેકડાભાઈને થયું, પત્યું, હવે તો મર્યા, પણ નારિયેળ એમનું એમ પડ્યું રહ્યું. કેકડાભાઈ ફરી હિંમત ભેગી કરી ઊભા થયા ને નારિયેળરૂપી રાક્ષસને ટેકરીની ટોચથી દરિયે ફંગોળવામાં લાગ્યા. ધીમેધીમે કરી નારિયેળ ગબડ્યું દરિયાની વાટે... સરરરર... બુડૂક !
દરિયાના પાણીમાં પડતાં જ નારિયેળ પાણીની સપાટી પર તરતું તરતું પ્રવાહ સાથે આગળ વધવા લાગ્યું. કેકડાભાઈ એમના ધારદાર પગને આંખ પર માંડી ગભરામણ અને ઉત્સુકતાભરી આંખે દૂર સુધી નારિયેળને વહી જતું જોઈ રહ્યા. નારિયેળરૂપી રાક્ષસ ન જાગ્યો. કેકડાભાઈના જીવમાં જીવ આવ્યો. બે ક્ષણ શાંતિ છવાઈ એટલે એમણે ફરી રાજી થઈને ગાયુઃ
કેકડાભાઈનો પ્યારો...
આ ટાપુ આખો મારો...
સાફસુથરો સારો !
હજી કેકડાભાઈ એમનું ગીત પૂરું કરે ન કરે ત્યાં તો ધરતી ફરી ધૂણી ઊઠી... ભડડમમમ ! કેકડાભાઈના આપણી મુઠ્ઠી જેવડા નાના પેટમાં મોટી ફાળ પડી કે ફરી શું થયું? એમણે પાછળ ફરીને જોયું ને ડોળા પહોળા થઈ ગયા. બીજો એક એવો જ મોટો ‘રાક્ષસ’ કેકડાભાઈની ટેકરી પર, એમના દર પાસે જ પટકાઈ પડ્યો હતો.
એમણે તો ચીસ પાડીઃ અરે! આ પાછો આકાશથી પડ્યો કે ધરતીમાંથી ફૂટી નીકળ્યો? કોઈ કહેશે મને આ શું થઈ રહ્યું છે?
આપણને એવું મન થાય કે કેકડાભાઈને કહીએઃ અરે ઓ અમારા સહુના વહાલા કેકડાઓમાં શ્રેષ્ઠ કેકડાભાઈ, સ્વચ્છતાના આગ્રહી, પોતાના ઘરના નીડર રક્ષક, તમે તમારું ઘર નારિયેળના ઝાડ નીચે કર્યું છે તો આ નારિયેળો તો પાક્યાં કરશે અને પડ્યાં જ કરશેને?
-પણ એ નારિયેળ છે રાક્ષસ નથી એવું એમને કોણ સમજાવશે? છે કોઈ ઉપાય?
***
(આ કથા જે વિડિયો પરથી તૈયાર કરીને સાહિત્યાર્થીઓ સાથે ઉજવાઈ એ વિડિયો માટે ફંગોળાવો અહીં - https://www.youtube.com/watch?v=am5lKJMibr0)


[બાળજગત] મહાબંદર

જંગલ એક સુંદર, વિશાળ, લીલેરું, એમાં રહેતાં પ્રાણીઓ અનેક રે અનેક રે અનેક રે
સૌથી સુંદર જોકે કોણ હોય બીજું? સાવ ટબુકડા કપિરાજ એક રે એક રે એક રે
બેઠા રહે તૂટેલી ડાળી ઉપર એ, ફાંક્યાં કરે ચોંટેલાં જંતુને જંતુને જંતુને
નાખ્યા કરે આસપાસ, દૂરસુદૂર નજર, જોયા કરે એકએક વસ્તુને વસ્તુને વસ્તુને
એવામાં ધબાંગ કરી થયો ધડાકો ! પડ્યો ત્યાં અંતરિક્ષનો પથ્થર ભૈ પથ્થર ભૈ પથ્થર ભૈ
અડ્યા તો દાઝ્યા! કપિશ્રી તો વીફર્યા ! પધરાવ્યો પેટની અંદર ભૈ અંદર ભૈ અંદર ભૈ
ધબ્બને ધડાકા થયા પેટની અંદર, આંખો તો એમની ચમકતી, ચમકતી, ચમકતી
ચારેતરફ ઊડ્યો પ્રકાશ લીલોછમ ! કપિરાજને મળી નવી શક્તિ નવી શક્તિ નવી શક્તિ
કપિશ્રી તો ઊડ્યા ને પછડાયા ને ઊડ્યા એવા ફરરરરરરરરરરરરરરર
વહેતા પવનની પાંખો પર થયા સવાર જાણે સરરરરરરરરરરરરરરરર

ગમતી કપિરાણીને અડી દઝાડી ને ચરતી બકરી પડી ગબડી ને ગબડી ને ગબડી ને
મહાકાય ગોરિલાની પીઠ ચીરાઈ વળી ઊડતું વિમાન ગયું ઊલળીને ઊલળીને ઊલળીને
પહોંચ્યા ક્યાં? પૂછો તો અંતરિક્ષને છેડે! જ્યાંથી આવ્યો એ પથ્થર હા પથ્થર હા પથ્થર હા
કપિરાજને થયું, આ બધું જ ગળી જાઉં તો? થઈ જાઉં હું શક્તિશાળી મહાબંદર હા બંદર હા બંદર હા?
કૂદ્યા કપિરાજ એ લીલેરા ગોટલામાં ને ફૂટે ફટાકડાં એમ બધું ફૂટ્યું લે ફૂટ્યું લે ફૂટ્યું લે
નવો લીલો ટુકડો ફરી વનમાં પડ્યો, પણ શું હજી સપનું નથી તૂટ્યું કે તૂટ્યું કે તૂટ્યું કે?

***
( આ કાવ્યકથા જે વિડિયો પરથી તૈયાર કરીને સાહિત્યાર્થીઓ સાથે ઉજવાઈ, એ વિડિયો માટે પહોંચો- https://www.youtube.com/watch?v=3rsGPNChtVU )


[બાળજગત] ટીંગરટોપી / સમીરા પત્રાવાલા

(આ કાવ્યકથાનું વસ્તુ ‘કેટ ઈન ધ હેટ’ પરથી લેવાયું છે.)
*

હું ને રંજન બારી પાસે બેસી વાતો કરતાં’તાં,
‘ગરમી આવી, ગરમી આવી’ એવી આહો ભરતાં’તાં
કેમ કરીને જાવું રમવા, ઉનાળાના તાપમાં?
ઈસ્ત્રી જેવો લાગે તડકો, ઘરમાં રહેવું બાફમાં.
મમ્મી ગ્યાં છે નાના ઘરે, પપ્પા ગ્યા છે ઓફિસ,
ચાલને ભાઈ કાંઈ ગમ્મત કરીએ, ક્યાં સુધી આમ બેસીશ?
ભાઈને ગમતું ક્રિકેટ રમવું, મને તો સાયકલ વ્હાલી,
તાપ નામના સાપે જોને, રમ્મત પાછી ઠાલી.
પેટ ભરીને ખાધું પછી, ટીવી જોઈનેય થાક્યાં,
રમતાં-ભમતાં-હસતાં-બોલતાં બધું કરીને પાક્યાં.
રવિવારનો દિવસ શું કરવું, એમ વિચારે બેઠાં,
દરવાજે કોઈ ઠકઠક કરતું, કાન થયા સરવા.
ધણધણ કરતી ધરતી બોલી, એવા ટકોરા વાગ્યા,
ચુલબુલ તો પાણીમાં ધ્રુજે, હું ને રંજન ભાગ્યાં.
ભરી બપોરે કોણ આવશે કાકા-મુન્ની-ચુન્નુ?
ચુલબુલ બોલી સાવધ રે’જે, મમ્મી વિણ ઘર સૂનું.
*
હું અને રંજન તો ડરી ગયા. હવે કરવું શું? મચ્છીઘરમાં ચુલબુલ (માછલી) પણ ધ્રુજે છે. આ બહાર જે કોઈ પણ છે એ એટલા જોરથી દરવાજો ખખડાવે છે કે આખું ઘર ધ્રુજે છે. મેં તો કહી દીધું કે દરવાજો જ નથી ખોલવો. રખે ને કોઈ ચોરલૂંટારું હોય, પણ રંજન કહે ચોરલૂંટારું એમ કઈ દરવાજો ખખડાવી થોડા આવે? અને જે રીતે આ કોઈ દરવાજો ખખડાવે છે એ જોતા તો લાગે છે કે કદાચ પપ્પા જ હોય. તને ખબર છે ને પપ્પાને કોઈ મોડો દરવાજો ખોલે તો ગુસ્સો આવે છે? મમ્મી પણ હોઈ શકે કદાચ, વહેલાં આવી ગયાં હોય. રંજને તો દરવાજો ખોલ્યો. અને જેવો દરવાજો ખોલ્યો તો જોયું કે...
*
સામે એક બિલાડી છે...
જે ઊંચી-લાંબી-કાળી છે....

*
બાપ રે ! આ ભરબપોરે કોણ આવ્યું? મને તો ડર લાગવા માંડ્યો અને આ બિલાડી તો દેખાવે પણ સાવ અલગ જ હતી.
*
લાલ ટોપી પહેરી એણે, ગળે બાંધી ટાઈ,
ચુલબુલ ત્યાંથી ડરતી પૂછે, કોણ આવ્યું છે ભાઈ?
(કોણ આવ્યું છે ભાઈ? બોલો કોણ આવ્યું છે ભાઈ?)
ટોપી ઊંચી કરતા બિલ્લી બોલી હેલ્લો હાય-વાય,
મારું નામ છે ટીંગર ટોપી, સ્વાગત કરો ભાઈ-ભાઈ.
*
બિલ્લી તો ઘરમાં આવી ગઈ. દરવાજા જેવી ઊંચી અને માથે પહેરેલી હેટથી તો એનો ઠાઠ જ અલગ લાગતો હતો. હું ને રંજન તો એને જોતાં જ રહી ગયાં. અને ચુલબુલ એના મચ્છીઘરમાં ડુબુક-ડુબુક કરતાં-કરતાં બૂમાબૂમ કરવા લાગી કે આને ઘરમાં ન આવવા દો. મમ્મી ઘરે નથી અને આમ કેમ કોઈ ઘરમાં આવી શકે? આને બહાર કાઢો. મારી વાત માનો બંને. આમ થોડું ચાલે? મમ્મીની ગેરહાજરીમાં કોઈ ઘરે આવે એને ઘરમાં થોડું ઘુસવા દેવાય? (સવાલ:મમ્મીની ગેરહાજરીમાં કોઈને ઘરમાં ઘુસવા દેવાય?) ત્યાં તો બિલ્લીએ જવાબ આપ્યો...
*
મને ખબર છે, મને ખબર છે, મને ખબર છે રંજન-ટીના,
ઘરમાં બેઠી થાક્યાં બન્ને, ચાલો રમીએ રંજન-ટીના.
ઘરની બહાર જઈશું નહિ પણ ઘરમાં ગમ્મત કરીશું રે,
ટીંગરટોપી ઘરમાં આવ્યો, પેટ પકડીને હસીશું રે,
ચુલબુલની વાતો ન માનો, એ તો બીક્કણ બચ્ચી રે,
હું તો તમારો દોસ્ત છું પ્યારો, દોસ્તી બડી અચ્છી રે.
*
ચુલબુલને તો ગુસ્સો આવી ગયો. આ બિલ્લી એને જરાય નહોતી ગમતી. એને થયું કે મને બીક્ક્ણ કહે છે આની હિમ્મત તો જો. ટીંગરટોપીએ તો ઘરમાં અહિયાં-તહિયા, આજુબાજુ બધે જ તપાસ કરીને અમુક વસ્તુઓ ભેગી કરવા લાગી. હું અને રંજન કંઈ બોલીએ એ પહેલાં જ એ તો જાણે સરકસનો જોકર હોય એમ ખેલ દેખાડવાની તૈયારી કરવા લાગ્યો. અમે પણ રાહ જોવા લાગ્યા કે આ હવે શું કરશે?
*
મોટા મોટા દડા ઉપર, જો મારો છે જમણો પગ,
(મોટા મોટા દડા ઉપર, જો મારો છે જમણો પગ,)
ડાબા હાથે છત્રી ઝાલી, જમણા હાથે ચાનો કપ.
(ડાબા હાથે છત્રી ઝાલી, જમણા હાથે ચાનો કપ.)
હજુયે મારી કરતબ જો તું, કપ ઉપર બે ચોપડી
(હજુયે મારી કરતબ જો તું, કપ ઉપર બે ચોપડી)
ડાબા પગે મુકું રમકડું, માથે ચુલબુલની ઝૂંપડી.
(ડાબા પગે મુકું રમકડું, માથે ચુલબુલની ઝૂંપડી.)
*
કરતબ કરવામાં ટીંગરે પોતાનેય સામેલ કરી છે એ જોઇને ચુલબુલ તો ધુંવાપુવા થઈ ગઈ. એમાં પાછું પોતાની મચ્છીઘરને ટિંગરે ઝૂંપડી કહ્યું એટલે એનો ગુસ્સો તો સાતમે આસમાને જતો રહ્યો. પણ ખૂબ ચડ્યો. એની બૂમાબૂમ ચાલુ થઈ, એલા કોઈ તો આ મૂરખને બોલો કે મને નીચે તો ઉતારે. એલા હું પડી જઈશ, મને વાગી જશે, હું મરી જઈશ...
*
તું બિલ્લી છે કે બંદર, તું બિલ્લી છે કે બંદર?
નથી જોઈતી ગમ્મત તારી, કેમ આવ્યો છે અંદર?
(કેમ આવ્યો છે અંદર? કેમ આવ્યો છે અંદર?)
નીચે ઉતારી દે તું પહેલાં, પછી હું તને જોઉં છું.
છલ્લક છલ્લક પાણી થતું, જોતો નથી હું રોઉં છું?
*
હું ને રંજન તો ગભરાઈ ગયાં. ચુલબુલ રડે છે અને ટીંગર તો એની મસ્તીમાં જ છે. અમે બંને એને કહી છીએ કે...
*
નીચે ઉતારો, નીચે ઉતારો, નીચે ઉતારો ચુલબુલને...
નીચે ઉતારો, નીચે ઉતારો, નીચે ઉતારો ચુલબુલને...
નીચે ઉતારો, નીચે ઉતારો, નીચે ઉતારો ચુલબુલને...
નીચે ઉતારો, નીચે ઉતારો, નીચે ઉતારો ચુલબુલને...
*
પણ ટીંગર તો એની મસ્તીમાં જ હતો. એણે તો વાત જ ન માની. ચુલબુલને ગુસ્સો આવ્યો અને એણે એક ઊંચી છલાંગ મારી અને સીધા ટેંકમાંથી લોંગ જંપ (ઊંચો કુદકો) કરીને ટીંગરટોપીનું નાક ખેંચતી પાછી પોતાની મચ્છીઘરમાં જ ડૂબકી મારી... ટીંગરનું તો નાક ખેંચાયું અને પછી...
*
ટીંગરને આવી છીંક, ટીંગરને આવી છીંક,
ટીંગરને આવી છીંક, ટીંગરને આવી છીંક,
ચૂલબુલને લાગી બીક, ચુલબુલને લાગી બીક...
ચૂલબુલને લાગી બીક, ચુલબુલને લાગી બીક...
*
ટીંગરને એકાએક છીંક આવી એટલે ગડબડ થઈ ગઈ.
*
હાથેથી કપ છૂટયો, ચોપડી પડી,
રંજને ટેંક ઝીલ્યું, બોલ ગયો દડી,
બેલેન્સ ટળ્યું ને બધાં પડ્યાં ધડામ,
ટીંગરે ભોય તળે કર્યા પ્રણામ.
છત્રી આવી મારા માથે ધસી,
ડરી ગઈ હું, થોડી આઘી ખસી,
આઘુ ખસવામાં પગે નીચે બોલ આવ્યો દડી,
-ને પગ તો લપસ્યો... હું ગઈ બારીએ ચડી.
*
હાશ... બચી ગયાં. ચુલબુલના તો જીવમાં જીવ આવ્યો. મારું તો બારી સાથે માથું ભટકાતા રહી ગયું. પણ આ શું? બારી બહાર જોયું તો મમ્મી આવતાં દેખાય છે. આ બિલ્લી ખતરનાક છે મારે કઈક કરવું જ પડશે હવે. મમ્મી પણ આવી રહ્યાં છે અને એમાં પણ આ ઘરમાં વેરવિખેર જોશે તો અમારું તો આવી જ બનશે. મેં તો જઈને સીધો ટીંગરને ભોયતળેથી ઉઠાવ્યો અને કહ્યું...
*
નીકળો હવે, નીકળો હવે, ગમ્મત હવે પૂરી થઈ,
મમ્મી ઘરમાં આવે છે, રમ્મત હવે પૂરી થઈ.
રંજન ચાલ શરૂ કર, બધી વસ્તુઓ સમેટીશું રે,
મમ્મી બધું જોઈ જશે તો મેથીપાક જમીશું રે.
*
મમ્મીનું નામ સાંભળી રંજન પણ સાવધ થયો. ટીંગરને હાથ ખેંચીને બહાર કાઢ્યો અને પછી અમે ઘરમાં બધું ઠીક કરવાં લાગ્યાં, પણ આ બધું એટલું વેરવિખેર થયેલું કે અમને સૂઝ નહોતી પડતી. એવામાં ડોરબેલ વાગી અમારા તો મોતિયા મરી ગયા અને થયું નક્કી મમ્મી આવ્યાં. હવે કોઈ રસ્તો નથી. જે બન્યું એ કહી દઈશું શું કરીએ? અમે ડરતાં-ડરતાં દરવાજો ખોલ્યો અને નીચું જોઈ ગયા. ત્યાં તો...
*
જીપ આવી, જીપ આવી, લાલમ લાલ જીપ આવી
જીપ આવી, જીપ આવી, લાલમ લાલ જીપ આવી
જીપને ત્રણ હાથ છે અને બત્તી એની આંખ છે,
જીપને ત્રણ હાથ છે અને બત્તી એની આંખ છે,
ચાલક એનો ટીંગર છે ને જુઓ કેવો ઠાઠ છે?
ચાલક એનો ટીંગર છે ને જુઓ કેવો ઠાઠ છે?
પૈડા એના નાના છે પણ ઉડવા માટે પાંખ છે.
પૈડા એના નાના છે પણ ઉડવા માટે પાંખ છે.
*
અમને નવાઈ લાગી આમ કેમ થયું. વળી પાછો કેમ આવ્યો? અમે કંઈ પૂછીએ એ પહેલા જ ટીંગરે એક બટન દબાવ્યું અને જીપના ત્રણેય હાથ કામે લાગી ગયા અને આખું ઘર એક મિનિટમાં જ ઠીક કરી નાખ્યું. અમે તો ખુશ થઈ ગયાં. ટીંગરે ગાડી પાછી વાળતા કહ્યું...
*
આવજે રંજન, આવજે ટીના, આવજે ચુલબુલ પ્યારી રે,
ગમ્મત કરશું ફરી કયારેક, પાક્કી આપણી યારી રે.
મમ્મી ઘરમાં હોય નહિ તો કોઈને ઘરમાં લાવશો ના,
ટીંગરની વાત અલગ છે યારો, સાવધ રહી સાચવશો હા...
*
હું, રંજન અને ટીના તો ખુશ થઈ ગયાં. ટીંગર તો જતાં-જતાં બધું જ ઠીક કરી ગયો અને આમ પણ અમારો સમય પસાર થઈ ગયો હતો. ડર લાગ્યો પણ મજા પણ કરી ને?
થોડીવારમાં મમ્મી આવી ગયાં અને ઘરની સાફસફાઈ જોઈને અમને શાબાશી આપવા લાગ્યા. પછી પૂછ્યું શું કર્યું આખો દિવસ રમ્યાં કે કંટાળ્યાં? હું ને રંજન એક્બીજા સામે જોતાં હતાં અને ચુલબુલ પ્યારી તો... મચ્છીઘરમાં હસતી હતી!

***


આર્ષના પત્રવિશેષાંક માટે પત્ર - સંદીપ ભાટિયા

પ્રિય સુનીલ,

‘આર્ષ’ના પત્ર વિશેષાંક માટે કશુંક મોકલવા તેં કહ્યું, તે ક્ષણે જ વરસોનાં પડળ ખસી ગયાં અને સ્મૃતિની સંદૂકમાં મૂકાઇ ગયેલું અને પત્રવ્યવહારના ભાગ રૂપે લખાયેલું એક ગીત યાદ આવ્યું. આ ગીત મારા અંગત ખજાના શંખલાં, છીપલાં, લખોટી, ચાકના ટુકડાનો એક હિસ્સો છે. જાહેર મંચ પરથી આ ક્યારેય રજૂ કર્યું નથી, પણ તને અને ‘આર્ષ’મિત્રોને વંચાવવું મને ગમશે. એ નિમિત્તે ગીત જે સ્થળ સમય-સંજોગોમાં લખાયું ત્યાં ફરી એકવાર આંટો મારી આવવાની તક પણ ઝડપી શકાશે.
નવોનવો બેંકમાં જોડાયો એ અરસામાં દક્ષિણ મહારાષ્ટ્રના સાતારામાં બદલી મળી. એ વખતે સાતારા ચારેબાજુ સહ્યાદ્રિના ડુંગરાઓની વચ્ચે વસેલું એક નાનકડું ખોબલા જેવડું ગામ હતું. ઑર્ડર હાથમાં આવ્યો ત્યારે પંચગિની અને મહાબળેશ્વરને અઢેલીને આવેલા હિલસ્ટેશન જેવા ગામમાં જવા મળશે એ વિચારે જે આનંદ થયેલો એ ડ્યુટી પર હાજર થતાં જ વરાળ થઇ ગયો. શરુઆતના બેત્રણ દિવસમાં જ ખ્યાલ આવ્યો કે અહીં આસપાસ ગુજરાતી બોલી કે સમજી શકે એવું કોઇ નથી. હિન્દી કે સરખું અંગ્રેજીય બોલી શકે એવું એકાદ જણ મળે તો એને ભેટી પડવાનું મન થાય એવો સીન હતો. ખાતેદારો તો સ્થાનિક અને બેંકનો સ્ટાફ પણ મહદ અંશે સ્થાનિક જ. રોજિંદા જીવનથી લઇને બેંકના કામકાજ સુધી બધે જ મરાઠી ભાષાનું ચલણ. સાતારાની બોલીનો લહેકો ત્યાંની પથરીલી જમીનમાંથી ફૂટતા હાર્ડ વૉટરના ઝરણા જેવો જ ખડકાળ, તો મારા કાન મુંબઇ પુણેની મુલાયમ મરાઠી ક્યારેક ક્યારેક સાંભળવા ટેવાયેલા. ટૂંકમાં બંદાએ ત્યાં જઇને થોડા મહિના ‘કોશિષ’ના સંજીવકુમારની ભૂમિકા ભજવી હતી.
યાદ રહે, બેંકોમાં કમ્પ્યુટર આવ્યા નહોતા અને ઇંટરનેટ એટલે શું અને મોબાઇલ ફોન એટલે શું એ જાણનારા જૂજ લોકો જ દેશમાં હતા એ દિવસોની આ વાત છે. અત્યારે એ બધું યાદ કરું છું તો મને જ રમૂજ થાય છે. પણ દિવસો સુધી પોતાની ભાષાથી દૂર રહેવાની સ્થિતિ કેટલી પીડાદાયક હોઇ શકે એ હું સમજાવી શકતો નથી. નવી જગ્યામાં ગોઠવાવામાં આવતી નાનીમોટી અગવડો પણ એને લીધે વિરાટ દેખાવા લાગતી હોય છે. બે વરસ પછી જ અહીંથી બદલી થઇ શકશે એ ખબર હતી એટલે ઊંઘમાંથી જગાડીને પણ કોઇ પૂછે તોય બે વરસના સાતસોને ત્રીસ દિવસમાંથી હવે કેટલા દિવસ અને કલાક બાકી રહ્યા એ મને યાદ રહેતું. લાંબી સજાના કેદીની કોટડીમાં પણ ચાંદીની થાળી જેવી એક બારી, વાતાયન હોય છે અને એમાં આકાશનો ચોરસ મજાનો ટુકડો પીરસાયેલો હોય છે. એ આકાશના રંગો સતત બદલાતા રહેતા હોય અને એમાં પણ આકાશના આ ખૂણાથી છેક પેલા ખૂણા સુધી એકાદ પંખી ક્યારેક ટહુકો કરતુંક ઊડી જતું દેખાઇ જતું હોય છે.
સુનીલ, હું નસીબદાર છું. એ કપરા સમયમાં પણ રાહતરૂપ કેટલાક મિત્રો મારી સાથે હતા. સાતારામાં વર્ષોપુરાણા કાળા રામમંદિરના પૂજારી શરદભાઇ જાની અને તેમનો પરિવાર મારે માટે ખારા રણમાં વીરડી સમા હતા. ગુજરાતથી આવી પાંચ પેઢીથી મહારાષ્ટ્રના સાતારામાં સ્થાયી થયેલા આ જાનીપરિવારે ઉત્તર ગુજરાતની બોલીને આજ દિન લગી યથાતથ જાળવી રાખી છે. દૂધભાષા ગુજરાતી અને લૂણભાષા મરાઠી એમ બેય તરફનો શરદભાઇનો પ્રેમ વર્ણવવા આ પત્રનું ફલક નાનું પડે. એ વિશે આપણે રૂબરૂ મળીશું ત્યારે નિરાંતે વાત કરીશું.
આ સાથેનું ગીત જેને પત્રમાં લખીને મોકલ્યું હતું એ મારું બીજું રણદ્વીપ. બા, મારા એક ઘનિષ્ઠ મિત્રનાં મમ્મી. મારી શરૂઆતની કવિતાઓના પ્રથમ શ્રોતા, સમીક્ષક. નોકરીના ભાગરૂપ બદલીને કારણે આવેલા ભાષાઝૂરાપા અને ઘરઝૂરાપાને સહ્ય બનાવવા બા દર અઠવાડિયે પત્ર લખતાં. અથાણાની બરણી ખુલ્લી રહી ન જાય એનું ધ્યાન રાખવાની ભલામણથી લઇને હમણાં જ વાંચેલી ટૂંકી વાર્તા વિષે લંબાણપૂર્વક લખતાં. વર્ષો સુધી એમણે અઢળક વાંચ્યું હતું. વિષયોની વિવિધતા અને વિચારોની ગહનતા એમના પત્રોમાં દેખાતી. નવું પુસ્તક વાચવાનું સૂચવતાં. સ્થાનિક લાયબ્રેરીમાંથી મેળવીને વાંચી જવા મરાઠી પુસ્તકોના નામ પણ લખી જણાવતા. શરૂઆતના દિવસોમાં તો ઘરઝૂરાપો એટલો તીવ્ર હતો કે શનિવારે રાતે સાતારાથી એસટી બસ પકડી રવિવારે સવારે મુંબઇ આવતો અને રાતે વળતી એસટીથી પાછો નીકળી સોમવારે સવારે કામે જતો. આઠ કલાક મુંબઇની હવામાં શ્વાસ લેવા એસટીની ખડખડપાંચમ બસનો સોળ કલાકનો પ્રવાસ ત્યારે અગવડભર્યો નહોતો લાગતો એ વાતનું આજે મને જ આશ્ચર્ય થાય છે. ઘણીવારતો લખેલો પત્ર પહોંચે એ પહેલાં જ રૂબરૂ મળવાનું થતું, પણ તોય મળેલા પત્રનો ઉત્તર તો આપવાનો જ એવો વણકહ્યો શિરસ્તો હતો. પત્ર લખીને ટપાલપેટીમાં નાખવો અને પછી મનથી એ પત્રની સાથેસાથે જ એના ગંતવ્ય સુધી જવું, પ્રિયતમાને પત્ર લખ્યો હોય તો ટપાલીની ઇર્ષા કરવી અને પત્રનો જવાબ આવે ત્યાં સુધી કલ્પનાના કિલ્લા બાંધવા, તોડવા, ફરી બાંધવા એનો આનંદ શું હોય એ હાથમાં સ્માર્ટફોન લઇને જન્મેલી પેઢીને નહીં સમજાય. પ્રતીક્ષાનું દુ:ખ એ કેટલું મોટું સુખ હોઇ શકે એનો વ્હૉટ્સઍપ ડુડ્સને ખ્યાલ નહીં આવે.
અવસાદના ભાર તળે દિવસો સુધી કશું જ નહોતું લખાતું ત્યારે બા કહેતાં, આ અવસાદને જ લખ. એ સમયની મન:સ્થિતિનું પ્રતિબિંબ ઝીલતી થોડીક કવિતાઓ લખાઇ એમાંનું એક આ ગીત છે. ગમ્યું કે નહીં એ જણાવજે. (વ્હૉટ્સઍપથી ચાલશે. લોલ)
***

પથ્થરના દરિયામાં આવી ડૂબ્યો છું, રેતશીશીની વરણાગી મહેરથી

રોજ સૂરજની કાંચળી ઊતરે ને મારી છાતીમાં મ્હોરે છે હાશ
સાતસોને ત્રીસ દિ’નો પર્વત ચઢવામાં દોસ્ત તૂટી ન જાય મારા શ્વાસ

ઊંંબર પર મૂકીને આંખો જીવું છું, આવે શબ્દોની પીળચટ્ટી લહેરખી
પથ્થરના દરિયામાં આવી ડૂબ્યો છું, રેતશીશીની વરણાગી મહેરથી

સુંવાળી જાળમાં અટકી ને તડપે છે જિજીવિષાની કૂણી માછલી
પળપળના પૈડામાં ખોસી દીધી છે મારાં સપનાંની સોનેરી આંગળી

ટેરવાંની શેરીમાં સોપો ભલેને તોયે આવતી હશે જ તને હેડકી
પથ્થરના દરિયામાં આવી ડૂબ્યો છું, રેતશીશીની વરણાગી મહેરથી

સપ્રેમ

સંદીપ
25 ડિસેમ્બર, 2017 (મુંબઇ)


આપણો મધ્યકાળ - સુનીલ મેવાડા

-અને શરૂઆત !

ગુજરાતીને નજીકથી મળતી આવે એવી ભાષા સૌથી પહેલા ‘સિદ્ધહૈમ’ ગ્રંથમાં જોવા મળી છે, પ્રાકૃત વ્યાકરણનો આ ગ્રંથ સર્જનારા હેમચંદ્રાચાર્ય (ઈ.સ. 1089થી 1173) ગુજરાતીના સૌથી પહેલા (નોંધાયેલા) ‘લખનારા’ કહેવાયા છે. ભાષાકૂળ પ્રમાણે વૈદિક-શિષ્ટ સંસ્કૃતમાંથી શૌરસેની પ્રાકૃત, પ્રાકૃતમાંથી ગૌર્જર અપભ્રંશ અને અપભ્રંશમાંથી જૂની ગુજરાતીનો જન્મ થયો છે એ હકીકત પ્રચલિત તેમ જ સ્વીકૃત છે. જૂની ગુજરાતીની સૌથી પહેલી કાવ્યરચના(શાલિભદ્રસૂરિકૃત ભરતેસરબાહુબલિ) ઈસવી સનની 12મી સદીમાં અને સૌથી પહેલું ગદ્ય (સંગ્રામસિંહકૃત બાલશિક્ષા) 13મી સદીમાં મળે છે. પછી 14મી સદીમાં ભવાઈઓનો પ્રણેતા અસાઈત ને 15મી સદીની શરૂઆતમાં નરસિંહ આવે છે. જોકે શાલિભદ્રસૂરિ, વિનયસુંદર, જિનપદ્મસૂરિ જેવા અનેક જૈનકવિઓ દ્વારા ધર્મોપદેશની કૃતિઓ તેમ જ રાસો ને ફાગુકાવ્યો આ કાળખંડ(12મીથી 15મી સદી)નો સૌથી મુખ્ય સાહિત્યફાલ છે. આ પહેલાં, 14મી સદીમાં ‘તર-ગાળા’ પરંપરાના પિતા અસાઈત ઠાકરે વેશો લખી-ભજવીને નવો ચીલો ચાતર્યો એ ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું છે.


15મી સદીના આરંભમાં નરસિંહ મહેતાના આગમન સાથે આપણા સાહિત્યના ઉદયની હકીકત સર્વસ્વીકૃત છે. ગુજરાતીના આદ્યકવિ તરીકે સમ્માનિત નરિસંહની કૃતિઓ આજ દિન સુધી (પુસ્તકોનાં પૃષ્ઠે તો ઠીક પણ) લોકજીભે પણ જીવંત છે એ કોઈ પણ ભાષાના સાહિત્યિક ઈતિહાસ માટે અદ્વિતીય ઘટના ગણાય. મધ્યકાળના અન્ય કવિઓની જેમ નરસિંહના જન્મમૃત્યુનો સમય નિશ્ચિત કરવો મૂશ્કેલ છે, પણ વિવિધ ઐતિહાસિક આધારો પર ઉમાશંકરે આંકેલી ઈ. સ. 1414થી 1480ની નરસિંહની જીવનઅવધિ સૌથી વધારે શ્રદ્ધેય ગણાઈ છે. નરસિંહે હજાર જેટલાં પદો રચ્યાંનું કહેવાય છે, તેમાંથી અડધા કરતાં પણ ઓછો ફાલ ગ્રંથિત છે. કવિ તરીકે નરસિંહ કોણ છે એની ચિંતા કર્યા વગર સદીઓથી ગુર્જરભૂમિના લોકોએ કૃષ્ણભક્ત નરસિંહને એમની છાતીમાં જીવતો રાખ્યો છે એ વાત વધારે મહત્વની છે.
ભાવનગરના તળાજામાં જન્મેલા નરસિંહે જ્યારે જૂનાગઢની આસપાસ ભજનો આરંભ્યા ત્યારે પાટણ નજીક ભાલણ ‘ગુજર ભાખા’ને એના પદો-આખ્યાનો દ્વારા પોંખી રહ્યો હશે, તો ઝાલોરમાં રાજા અખેરાજ ચૌહાણનો રાજકવિ પદ્મનાભ કૃષ્ણદેવ પ્રબંધ(1456) રચી રહ્યો હશે.
એ પછી 15મી સદીના અંતે, નરસિંહના ઉતરાર્ધમાં, મીરાંનો આવિર્ભાવ મહત્વનો છે.
કંઠોપકંઠ પરંપરાના સાહિત્યક યુગમાં છૂટક ગદ્યો સિવાય, અગિયારમીથી ઓગણીસમી સદીના મધ્ય સુધી સાહિત્યનું મુખ્ય માધ્યમ, સ્વાભાવિક રીતે જ, પદ્ય રહ્યું. પ્રિન્ટિંગ પ્રેસનું આગમન ને છપાયેલા શબ્દો દ્વારા લોકો સુધી પહોંચવાનો દૌર પણ 19મી સદીના મધ્યથી, મશીનરી આવ્યા પછી શરૂ થયો. આ સમય આવ્યો એ પહેલાં, નરસિંહએ શરૂ કરી આપેલી કાવ્ય-પદ-પરંપરાને મીરાંની કૃષ્ણપ્રીતિનો સ્પર્શ મળ્યો. 16મી સદીથી આખા ઉપખંડમાં ભક્તિ આંદોલને જોર પકડ્યું, જેના પરિણામે મધ્ય-પૂર્વ ભારતમાં, દક્ષિણ ભારતમાં, સંતકવિઓનો દૌર ચાલ્યો. ગુજરાત પણ તેમાંથી બાકાત નથી રહ્યું. એ દરમિયાન નાકર, માંડણ, વિષ્ણુદાસ જેવા કવિઓએ લોકોમાં સાહિત્ય જીવંત રાખ્યું, 16મી સદીના અંતમાં ગુર્જરભૂમિ પર બીજો મોટો વિસ્ફોટ અક્ષયદાસ-અખાના નામે થયો. અખાના છપ્પાઓ મધ્યકાળના પદ્યદરિયામાંથી સોનામહોરની જેમ ગુજરાતી સાહિત્યમાં તરી આવ્યા છે. 17મી સદીમાં પ્રેમાનંદ અને 18મી સદીમાં શામળની સર્જનશક્તિ સાથે ગુજરાતી સાહિત્ય પણ નવી ટોચ પર પહોંચ્યું. પ્રેમાનંદે આખ્યાનો દ્વારા ને શામળે પદ્યવાર્તાઓ દ્વારા હજારો ગુર્જરવાસીઓને દાયકાઓ સુધી રંજન પૂરું પાડ્યું એમાં કોઈ બેમત નથી. એ કૃત્તિઓની સાહિત્યિક ઊંચાઈ ને વિશિષ્ટતાઓ પણ આજ સુધી ચર્ચાતી-અભ્યાસમાં લેવાતી આવે એવી અજોડ રહી છે. દરમિયાન અનેક નાનામોટા કવિઓએ પણ દેખા દીધી. એ પછી દયારામની ગરબીઓમાં ભાષા, ભાવ, અભિવ્યક્તિનો નવો ને તાજો જ ઉન્માદ મળ્યો. પ્રીતમ, રત્નો, ધીરો ભગત જેવા કવિઓએ 18મી સદીમાં ગુજરાતી સાહિત્યને જીવંત રાખ્યું ને દયારામના અંત(1852) સાથે ગુજરાતી મધ્યકાળનો અંત પણ સર્વસ્વીકૃત રીતે ગણાયો છે.
આમ 14મી સદીમાં અસાઈતથી ઈ.સ. 1852માં દયારામના મૃત્યુ સુધી ગૂર્જરભૂમિ પર આશરે 200 જેટલા નાનામોટા કવિઓ-સર્જકો થઈ ગયા છે. જૈનધર્મની ઉપદેશગાથાઓ લખનારા કવિઓની યાદી તો લાંબી છે, ઉપરાંત સ્ત્રીકવિઓ, પારસી કવિઓ, સત્સંગી કવિઓ, ઈસ્લામી કૃષ્ણભક્ત કવિઓ અને ધર્મપ્રચારાર્થે ગુજરાતીમાં કાવ્યો લખનારા ખ્રિસ્તી ફાધર-કવિઓ પણ નોંધપાત્ર છે. આજે પણ અભ્યાસેચ્છુ સાહિત્યાર્થીઓ માટે મધ્યકાળનો વિશાળ હસ્તપ્રત-સંગ્રહ ગુજરાતનાં અનેક ભંડારો-પુસ્તકાલયોમાં સચવાયેલો છે. જે તરફ સંશોધકોની યુવા પેઢી આકર્ષાય તો કદાચ ગુજરાતીને પ્રેમાનંદ, અખા કે શામળના નવીન અવતારો પણ મળી આવવાની શક્યતા છે !

♠♠♠


ઉમાંશકર જોશી – વિનોદ ભટ્ટ

શેક્સપિયરે ભલે કહ્યું કે ‘વ્હૉટ ઈઝ ધેર ઈન એ નેઈમ?’ પણ નામમાં ઘણું બધું છે અને ઉમાશંકરેય આ વાત ઘણી વહેલી જાણેલી. તેમનું મૂળ નામ તો ઉમિયાશંકર. ખુદ એમને જ લાગ્યું કે ઉમિયાશંકર નામ સાથે લખાયેલાં કાવ્યો નહિ જામે, એટલે ઉમાશંકર રાખ્યું. નામ જેવી તકલીફ તેમના ઉપનામમાં પણ પડી છે. તેમણે ઘણા લેખો ‘વાસુકિ” ઉપનામથી લખ્યા છે. ફૂંફાડાભર્યા તેમના સ્વભાવના સંદર્ભમાં જ તેમણે આ ઉપનામ રાખ્યું હોવું જોઈએ. ક્રોધના તે જ્વાળામુખી હોઈ ‘દુર્વાસા’ ઉપનામ પણ તેઓ રાખી શક્યા હોત. ગુજરાતી લેખકોમાં તેમના ગુસ્સાઓનો ભોગ બનેલાઓ કરતાં નહિ બનેલાઓનાં નામોની યાદી આસાનીથી બનાવી શકાય. કવિ જબરા ‘શોર્ટ ટેમ્પર્ડ’ છે. કઈ વાત પર ગુસ્સે થઈ શકે એ કલ્પવું અઘરું છે. ને એક વાર ગુસ્સે થઈ જાય પછી સામી વ્યક્તિને પાણીથીય પાતળી કરી નાખે. તેમનું ત્રીજું નેત્ર ખુલે ત્યારે લાગે કે ગુસ્સાનો ભોગ બનનારને હવે ભસ્મ થઈ ગયે જ છૂટકો. કહેવાય છે કે એક વાર પોતાના કોઈ સગા પર ‘વિશ્વશાંતી’ના એ કવિ એટલા બધા ગુસ્સે થઈ ગયેલા કે તેને મારવા ઈંટ ઉપાડેલી, પણ જ્યારે ખબર પડી કે આ ઈંટ છે ત્યારે દાઝી ગયા હોય તેમ તરત જ છોડી દીધેલી. ઈંટ તો શું, પણ ફૂલ પણ તે કોઈની પર ફેંકી શકે તેમ નથી. હા, કાંટાળા શબ્દોના મારથી કોઈને ગૂંગળાવી શકે ખરા. એક વખતે કવિ હસમુખ પાઠકને તેમના આ પ્રકારના ગુસ્સાનો લાભ મળેલો. વાત એવી બનેલી કે હસમુખની કોઈ કવિતા ‘સંસ્કૃતિ’માં પ્રગટ થયેલી. જેમાં એક-બે ઠેકાણે મુદ્રણદોષ રહી ગયેલા. હસમુખે કવિ પર નારાજ થઈને, થોડા આક્રોશથી પત્ર લખ્યો. કવિએ એ કાવ્ય ભૂલો સુધારીને ‘સંસ્કૃતિ’માં પુનઃ પ્રગટ કર્યું. તો પણ હસમુખના મનનું સમાધાન થઈ શક્યું નહિ. વાડીલાલ ડગલીના લગ્નમાં બન્ને કવિ ભેગા થઈ ગયેલા. પેલી કવિતાની વાતના અનુસંધાને ચાર કલાક સુધી કવિએ હસમુખ પર ગાજવીજ કરી. તેમની ગાજવીજને પરિણામે આકાશમાં વાદળ ઘેરાઈ આવ્યાં ને પરિણામે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. ભોજન પતાવીને બધા પોતપોતાને ઘેર જવા માંડ્યા. હસમુખ પાસે જઈને કવિ ચિંતાથી બોલ્યા: ‘આવા વરસાદમાં ઘેર કેવી રીતે જશો? તમે તો છેક મણીનગર રહો છો...’ પછી સલાહ આપીઃ ‘ કોઈ વાહનમાં જ ઘેર જજો, હોં! પૂરતા પૈસા તૌ છે ને?’
કવિ એક વાર ગુસ્સો કરી નાંખે પછી ચંદનલેપ પણ લગાડી આપે. તેમનો ગુસ્સો મા જેવો હોય છે. મા બાળકને ગુસ્સાના આવેશમાં આવી જઈને કથોલું મારી બેસે ને પછી મનમાં ડુમાતી પાટાપિંડી કરે એવું જ આપણા કવિનુંય છે. તેમનો ગુસ્સો ઘણી વાર પ્રેમથી જન્મે છે. સામેની વ્યક્તિને તે પોતાની બુદ્ધિકક્ષાની કલ્પી લે છે; ને તેમની વાત સમજતાં વાર લાગે તો તેમનો પુણ્યપ્રકોપ ભભૂકી ઊઠે છે. એક વાર આ રીતે ગુસ્સામાં તેમણે સ્નેહરશ્મિને કહી દીધેલું: ‘તમે ઈન્ટેલેક્ચ્યુઅલ છો કે કેમ એની મને તો શંકા છે.’ તેમના જ હાથ નીચે એમ. એ. થયેલા એક (હવે તો સદગત) લેખકને તે કોઈ વાર કહી દેતા: ‘તમે એમ. એ. થયા છો એવો અનુભવ ક્યારેક તો કરાવો!’
તેમના કેટલાક આગ્રહોને કારણેય ગુસ્સો આવી જાય છે. એક જ પ્રતીક અંગેની મોરારજીભાઈ સાથેની તેમની ટપાટપી તો અખબારોને પાનેય ચમકી ગયેલી. સામેનો માણસ હોદ્દામાં જેટલો ઊંચો એટલી એમની ગુસ્સાની માત્રા પણ ઊંચી. આ પળોમાં કોઈકને કદાચ લાગે કે ઉમાભાઈ (સૉરી ઉમાશંકર, કેમ કે એક વાર પ્રિયકાન્ત મણિયારે તેમને ઉમાભાઈનું સંબોધન કર્યું ત્યારે મોઢું બગાડીને કવિએ કહી નાખેલું:‘મારું નામ ઉમાભઈ નહીં, ઉમાશંકર છે.’) ગુસ્સાની ક્ષણમાં અનબૅલેન્સ્ડ થઈ જાય છે, પણ તરતની ક્ષણમાં તે પાછા નૉર્મલ થઈ જાય છે. તેમનું ત્રીજું નેત્ર ખૂલે છે ત્યારે પેલાં બે બંધ થઈ જાય છે, પણ ત્રીજું બંધ થાય ત્યારે પેલાં બે આપોઆપ ખૂલી જાય છે ને એમાં ક્યારેક પ્રાયશ્ચિત પણ ડોકાય છે. કવિના નામના ઉત્તરાર્ધમાં ‘શંકર’ ન હોત તો કદાચ આવો ગુસ્સો પણ તેમનામાં ન હોત એવું આ લખનાર માને છે.
પણ આ કવિને ગુસ્સો કરતાં આવડે છે એથીય અદકી રીતે પ્રેમ કરતાં આવડે છે. ‘પ્રેમ’ નામના ચલણી સિક્કા પર જ તેમનો વ્યવહાર નભતો હોય છે. પોતાના કોઈ સ્વજનને ત્યાં જશે ત્યારે તે સ્વજનની પત્ની ઉપરાંત તમામ બાળકોનાં નામ પોપટની જેમ બોલી જઈ બધાંની ખબર પૂછી લેશે. જો બાળકો પોણો ડઝન હશે તો પોણોય પોણો ડઝનનાં નામ તેમને મોઢે હશે. તેમની તીવ્ર યાદશક્તિ આદર ઉપજાવે એવી છે. જેને તે પોતીકાં ગણે છે તેની પાસે ખુલ્લાશથી પહોંચી જાય છે. રઘુવીરને નોકરી ન મળે ત્યાં સુધી ચા નહિ પીવાની બાધા શ્રીમતી ચૌધરીએ લીધાનું કવિએ જાણેલું. પછી રઘુવીરને યુનિવર્સિટીમાં નોકરી મળી ત્યારે શ્રીમતી ચૌધરીને બાધા છોડાવવા તે રઘુવીરના ઘેર આવેલા તે વખતે લખનાર ત્યાં હાજર હતા.
પણ આવી કે તેવી બાધા છોડવવામાં પોતે બીજી રીતે ભાગ નહિ ભજવે. મિત્રો-સ્નેહીઓ માટે બધું કરવાને સમર્થ હોવા છતાં તે મિત્રો માટે કશું જ નથી કરતા એવા આક્ષેપ પણ તેમના પર મૂકાય છે. રઘુવીરની ભાષામાં કહીએ તો ‘પ્રેમ પક્ષપાત બની ન જાય અને અસ્વીકાર પૂર્વગ્રહમાં ન પરિણમે એ અંગે ઉમાશંકર સતત કાળજી રાખતા લાગે. સ્નેહની તીવ્ર લાગણી અનુભવનાર સંબંધ પરત્વે તટસ્થ રહે? ઉમાશંકર રહે છે.’ તેમના આ પ્રકારના વલણથી તેમની નિકટના લોકોને કોઈક વાર એવું પણ લાગે છે કે તેમને અન્યાય થયો છે. (સ્નેહરશ્મિના મનમાં ઊંડેઊંડે એવો ખટકો થયેલો ખરો કે ઉમાશંકર મિત્ર હોવાને કારણે ઉપકુલપતિ થવામાં મને નડ્યા). ગાંધીજીના હાથે સરદારને થયેલો, એવો અન્યાય કવિના મિત્રોને થવાનો સંભવ ખરો. કદાચ અન્યાય ન પણ થાય, પણ ફાયદોય ન થાય. તેનાથી ઊલટું તેમની તરફ કોઈ દુશ્મનાવટભર્યું વર્તન કરનાર જો સમર્થ હોય તો માત્ર વેરભાવને લીધે તેને અન્યાય ન થાય. સુરેશ જોષીએ તેમની વિરુદ્ધ જાહેરમાં સારી પેઠે લખેલું છતા ‘રીડર’ની જગ્યા માટે સુરેશ તથા ‘અનામી’ બંને ઉમેદવાર હતા, ત્યારે નિર્ણાયક સમિતિના કુલ ચારમાંના બે સભ્યોએ ‘અનામી’ને પહેલો ક્રમ આપેલો, ને સુરેશને બીજો. ત્રીજા સભ્યે સુરેશને પહેલો અને ‘અનામી’ને બીજો ક્રમ આપેલો. જ્યારે આ કવિએ માત્ર સુરેશને જ પહેલો ક્રમ આપેલો. બંને ઉમેદવાર વચ્ચે ખાસ્સું લાં...બું અંતર છે એમ ગણીને. દ્વેષમુક્ત રહેવા તે હંમેશાં પ્રયત્ન કરે છે.
પણ પોતાના હોદ્દાનો ગેરલાભ ઉમાશંકર લે કે લેવા દે એ વાતમાં માલ નહીં. તે જ્યારે ઉપકુલપતિ બન્યા ત્યારે સાથેસાથે અધ્યાપનકાર્ય પણ કરતા. પ્રોફેસરોનો પગાર લગભગ રૂપિયા પંદર સો ને ઉપકુલપતિનો લગભગ પાંચસો હતો. કામ તે પ્રોફેસરનું કરવા છતાં પગાર તો તે ઉપકુલપતિના હોદ્દોનો એટલે કે રૂપિયા પાંચસો જ લેતા. કવિમાં સૂક્ષ્મ વિવેક પણ ઘણો. કહે છે કે ઉપકુલપતિના હોદ્દા પર હતા ત્યારે તેમણે એવો આગ્રહ રાખેલો કે પોતે આ હોદ્દા પર હોય ત્યાં સુધી તેમની કોઈ કૃત્તિ પાઠ્યપુસ્તક તરીકે ન ચાલવી જોઈએ.
‘હર્બર્ટ એ. ડિસોઝા વ્યાખ્યાનમાળા’ માટે તેમને પ્રવચન આપવાનું આમંત્રણ સેન્ટ ઝેવયર્સિ કૉલેજ તરફથી મળેલું. આ પ્રવચનનો પુરસ્કાર પણ લગભગ પાંચસો રૂપિયા જેટલો અપાતો. ઉમાશંકર ઉપકુલપતિ હતા અને ઉપકુલપતિ સંલગ્ન કૉલેજોમાંથી પુરસ્કાર ન લઈ શકાય એવો નિયમ; ને આ લોકો પુરસ્કાર આપ્યા વગર છોડે પણ નહિ. એટલે ‘ફરી ક્યારેક’ એમ કહી પ્રવચન આપવાનું તેમણે ટાળેલું. ગયે વર્ષે ફરી આમંત્રણ આપી તેમને બોલાવ્યા. તેમણે પ્રવચન આપ્યું, પણ પેલો પુરસ્કાર ન લીધો. આ કવિ હાઈટમાં નીચા હોવા છતાં સ્ત્રી ને પૈસાની બાબતમાં ઘણા ઊંચા છે. નામે શંકર છતાં વર્તને વિષ્ણુ છે.
ઉમાશંકરમાં બીજા એક ઉમાશંકર બેઠા છે. એ બીજા ઉમાશંકરની એક આરસની પ્રતિમા આ ઉમાશંકરે ઘડી છે. એ પ્રતિમા ખંડિત થાય એવી કોઈ પણ ચેષ્ટા કવિ સહી શકતા નથી. પોતાના સફેદ સાળુ પર કાળો ડાઘ પડવા ન દે એવી વિધવા બ્રાહ્મણી સાથે કોઈએ તેમને સરખાવ્યા છે. ‘શ્લીલ-અશ્લીલ’ પુસ્તકનું સંપાદન મેં કરેલું. તેમાં તેમની ‘રાહી’ વાર્તા લેવાનું નક્કી કરી તેમને મળ્યો. બે-ત્રણ વખત મને આંટા ખવડાવ્યા; પછી સંમતિ આપી, પણ સાથે ટકોર કરવાનું ન ચૂક્યા: ‘ભાઈ વિનોદ, જે કંઈ કરો તે જાળવીને કરજો. પછી એવું ન બને કે આપણે બધાએ સંતાતા ફરવું પડે.’
કવિ કાજળ કોટડીમાંથી ઊજળા બહાર નીકળનાર કીમિયાગર હતા. નિષ્કલંક જીવન જીવાય એ માટે તે સદાય જાગ્રત રહે છે અને એટલે કવિ સસ્તા બનીને કશું કરતા નથી. બાકી પૈસાની જરૂર કોને નથી હોતી? જેમની પાસે વધારે હોય છે તેમને વધારે હોય છે. કવિનેય હશે! પણ પેલી ઈમેજ! અરીસાને બીજે છેડે ઊભેલા ઉમાશંકર આ ઉમાશંકરને ઠપકો આપે એવું કશું જ તે નહિ કરે. આ ઉમાશંકર પેલા ઉમાશંકરનો ભારે આદર કરે છે. જ્ઞાનપીઠનું રૂપિયા પચાસ હજારનું ઈનામ પોતે ન રાખતાં ટ્રસ્ટ કરી દીધું. કવિ માટે પાંચ આંકડાની આ રકમ નાની ન કહેવાય. વળી, પૈસાનું મૂલ્ય કવિ નથી સમજતા એવુંય નથી. એક વાર મુંબઈના પરાના સ્ટેશને બુકિંગ ઑફિસવાળા સાથે બે પૈસા માટે તે લડી પડેલા. રિક્ષાવાળા સાથે પણ ચાર-આઠ આના માટે નાના-મોટા ઝઘડા તેમણે કર્યા છે. એક વખત તો તેમને ત્યાંથી ચીજ-વસ્તુઓ ચોરી જનાર નોકરનું પગરું શોધતા તે નોકર પાસે પહોંચી ગયેલા ને તેને ફોસલાવીને પોતાનો માલસામાન પરત મેળવેલો.
કંજૂસ લાગે એટલી બધી કરકસરથી તે જીવ્યા છે. ઓગણત્રીસ-ઓગણત્રીસ વર્ષથી ‘સંસ્કૃતિ’ પરના ઘડાનો બ્લૉક પડી ગયેલો હોવા છતાં તેમણે તે બદલ્યો નથી. નિરંજન ભગતે પહેરેલી ચંપલ ગમી જવાથી એ પ્રકારની જોડ ચંપલ લાવી આપવા તેમણે નિરંજનને કહ્યું. નિરંજન ચંપલ લઈ આવ્યા. કિંમત પૂછી. અઠ્ઠાવીસ રૂપિયા.. ‘અઠ્ઠાવીસ રૂપિયા?! આટલી મોંઘી ચંપલ પહેરાતી હશે?’ ને કવિ પોતાની જાત પર ગુસ્સે થઈ ગયા. ગુસ્સામાં ને ગુસ્સામાં નિરંજનને પૈસા આપવાનુંય તે ભૂલી ગયા... તે છ મહિને આપ્યા.
આમ તો તે વૅલ્યૂઝના માણસ છે. કદાચ એટલે જ ભદ્દાપણાની તેમને ચીડ છે. કદાચ આથી જ, પોતાની ષષ્ટિપૂર્તિ તેમણે ઊજવવા દીધી નથી. આ પ્રકારનું હાસ્યાસ્પદ કામ તેમણે નથી થવા દીધું. ‘માણસ જન્મે ને જીવે તો સાઠનો થાય. એની વળી ઉજવણી શી?’
તેમને સાઠ વર્ષ પૂરાં થતાં’તાં તેની નિરંજન, શિવ પંડ્યા, હસમુખ વગેરે મિત્રોને ખબર એટલે આગલા દિવસે નિંરજને કવિને ફોન કર્યો, ‘તમારું થોડું કામ છે; આવતી કાલે આવું?’ ‘આવો.’ પછી બાર પંદર મિત્રો ઉમાશંકરને ત્યાં ત્રાટક્યા. ઉમાશંકર પરનું કાવ્ય નિરંજને વાંચ્યું. ચા-પાણી વગેરે પત્યા. બધા ઊઠ્યા. ઝાંપા સુધી મિત્રોને વળાવવા જતાં ઉમાશંકરે નિરંજનને પૂછ્યું: ‘તમે આવ્યા ત્યારે સામે લટકમટક ચાલવાળી, નટખટ, જાજરમાન સુંદર સ્ત્રી મળી?’
નિરંજન તો આ વાતથી હેબતાઈ ગયા. (સ્ત્રીની વાત આવે છે ત્યારે નિરંજન હેબતાઈ જાય છે.) આ કવિ સાઠ વર્ષ પૂરાં કર્યા પછી યુવાનીમાં પ્રવેશે છે કે શું?! પ્રકટપણે કોઈ સુંદરીની વાત કરતા હોય એવો આ પહેલો પ્રસંગ હતો. કવિએ આ શું પૂછ્યું?
‘ના. નથી જોઈ...’ નિરંજન ઉવાચ.
‘ખરેખર?’
‘એટલે?’
‘અરે, હમણાં જ મારા ઘરમાંથી તે વિદાય થયાં. તેમનું નામ ‘બુદ્ધિદેવી’ હતું...’ કવિએ ખુલસો કર્યો.
ઉમાશંકરમાં Keen Sense of humour છે. તેમની સાથેની નાની વાતમાંથી પણ તેમની હાસ્યવૃત્તિ પ્રકટ થયા કરે છે. ટીખળ ‘કરી’ શકે તેમ ‘માણી’ પણ શકે છે. મારો અંગત અનુભવ છે. વાત ઈડરમાં ભરાયેલા જ્ઞાનસત્રની છે. ઈડર પાસેના બામણા ગામના વતની હોઈ કવિ યજમાન હતા ને અમે મહેમાન. પહેલે દિવસે પૂરી-શાક પીરસાયાં. પૂરી ઘણી જ ચવડ ને શાક પણ ધોરણસરનું નહિ. પીરસાયા પછી કવિ પંગતમાં ફરવા નીકળ્યા – બધાને બરાબર પીરસાયું છે કે નહિ તે જોવા. અમારી પંગતમાંથી તે પાછળની પંગતમાં ગયા. મારી બાજુમાં બેઠેલા વિનોદ અધ્વર્યુનાં પત્ની સુરંગીબહેને મને પૂછ્યુઃ ‘હેં વિનોદભાઈ! કહેવત તો એવી છે કે રસોઈ તો ઈડરની! તો પછી આમ કેમ?’
‘બહેન, ઈડરના રસોઈયા સાક્ષર થઈ ગયા છે.’ હું જરા મોટેથી બોલ્યો; એટલે દૂર રહ્યે રહ્યે ઉમાશંકર મને કહ્યું: ‘નૉટી બોય, હું સાંભળી ગયો છું.’(જોકે ઉમાશંકર કવિતા જેટલી જ સારી રસોઈ બનાવી શકે છે.)
ઉમાશંકર ઝીણા બહુ. ભારે ચીવટવાળા. ‘ગુજરાતની હાસ્યધારા’ નામના મારા સંપાદન-સંગ્રહમાં તેમની રચના માટે તેમની અનુમતિ માગતો પત્ર મેં લખ્યો, પણ સ્વભાવ અધીરિયો એટલે ચાર દિવસ પછી ફોન પર તેમની સંમતિ મેળવી લીધી, પણ પછી તે અવઢવમાં પડી ગયા – મને સંમતિ આપી છે કે નહિ એ બાબતે અને તેમણે પત્રોનો જવાબ નહિ આપવાની તેમની આબરૂના ભોગેય મને પત્ર દ્વારા અનુમતિ મોકલી આપી. જોકે પત્રનો જવાબ આપવાની કુટેવ તેમણે પહેલેથી જ નથી પાડી. ‘સંસ્કૃતિ’માં તેમને મોકલવામાં આવેલી કૃતિ મળ્યાની પહોંચ, સ્વીકાર/અસ્વીકાર વગેરે બાબતનો પત્ર લખવાની ઝંઝટમાં તે નથી પડતા. એક લેખિકાએ તેમને કૃતિ સાથે જવાબી પત્ર બીડેલો. જેમાં સ્વીકાર/અસ્વીકાર બધું જ લખેલું. માત્ર ‘ટીક’ કરીને જ પત્ર પરત કરવાનો હતો, પણ આ અઘરું કામ તે કરી શકેલા નહિ.
આપણા આ કવિ જીવનમાં જેટલા વ્યવસ્થિત છે એટલા જ અવ્યવસ્થિત પણ છે. તેમના ટેબલ પર ‘સંસ્કૃતિ’ અંગેનું કોઈ મૅટર મૂકાયું હોય તો તે શોધતાં કમસે કમ પિસ્તાળીસ મિનિટ તો લાગે જ. ને પાછા મજાકમાં કહે પણ કે અહીં કશું ખોવાતું નથી તેમ જલદી જડતું પણ નથી. કેટલીક વાર તો તે ખુદ પોતાનું પુસ્તક પણ ઘરમાંથી શોધી શકતા નથી. એટલે નજીકમાં રહેતા નગીનદાસ પારેખ પાસેથી તે મેળવવું પ઼ડે છે. તેમની પ્રસ્તાવના મેળવવાની ઈચ્છાવાળા ઘણા લેખકોનાં પુસ્તકો વર્ષો સુધી છપાઈને પડી રહ્યાના અનેક દાખલા છે; એટલું જ નહિ, ખુદ તેમનું પોતાનું એક પુસ્તક જ પ્રસ્તાવનાની રાહ જોતું લગભગ આઠેક વર્ષ સુધી છપાઈને પડ્યું રહેલું. આવી કેટલીક ક્ષણોમાં જ તે સાચૂકલા કવિ લાગે. બાકીની ક્ષણોમાં વ્યવહારપટું.
તેમની વાણીમાં ગુસ્સે થવાનું તત્વ છે એટલું પ્રસન્ન કરવાનુંય છે. એક વાર ‘સંસ્કૃતિ’ના પ્રૂફ્સ પ્રેસમાંથી થોડાં મોડાં આવ્યાં. પ્રૂફ લઈને આવનાર માણસ પર ગુરુ ગુસ્સે થઈ ગયા અને પ્રૂફનો જમીન પર ઘા કર્યો. ગુરુના ગુસ્સાથી અજાણ હોઈ એ માણસ જમીન પરથી પ્રૂફ ઉઠાવી તેનો વીંટો કરી ચાલ્યો ગયો. ગુરુએ માન્યું કે એ માણસ હમણાં જ પાછો આવશે, પણ તે પાછો આવ્યો નહિ. એટલે ફોન કરીને તેને બોલાવ્યો. બીજી વાર આવ્યો ત્યારે ગુરુએ પ્રેમથી બેસાડીને ચા પિવડાવી. પછી કહ્યું: ‘તું પ્રેસનો મૅનેજર બનવાને લાયક છે.’
એક વાર કવિ પ્રિયકાંત અને પત્ની રંજનબહને ઉમાશંકરને મળવા ગયાં. વાતમાંથી વાત કાઢીને ઉમાશંકરે રંજનબહેનને કહ્યું ‘પ્રિયકાન્ત તો તમારા વર-કવિ છે, પણ અમારા તો કવિવર છે.’ યોસેફ મૅકવાન સપત્ની કવિ પાસે ગયો તો તેની પત્નીને પણ કહ્યુઃ ‘યોસેફ તમારે મને વર-કવિ હશે, પણ અમારા તો કવિવર છે, હોં!’
પિનાકિન ઠાકોર તાજેતરમાં આકાશવાણી પરથી નિવૃત્ત થયા. (આ વાંચીને કોઈએ મને અભિનંદન આપવાં નહિ.) પત્ની સાથે તે નાટક જોવા ગયેલા ત્યાં ઉમાશંકર મળ્યા. તેમણે શ્રીમતી ઠાકોરને કહ્યુઃ ‘સુનીતાબહેન પિનાકિન હવે તમને આખેઆખા આપ્યા.’
તેમના આ પ્રકારના સ્વભાવની વાત કરતા એક કવિએ મને કહેલું: ‘અમે નાના હતા ને શાળામાં ભણતા ત્યારે શાળાએ જતી વેળાએ એક ઘરડા કાકા અમને બૂમ પાડીને પાસે બોલાવતા ને ખાટી-મીઠી પીપરમિન્ટ આપતા. કોઈને વળી ચૉકલેટ આપતા. ઉમાશંકરને જોઉં છું ત્યારે શાળા સમયના એ કાકા યાદ આવી જાય છે.’
ઉમાશંકરને જોઈને ઘણુંબધું યાદ આવી જાય છે. ખાસ તો એ કે આપણી પાસે એક જ ઉમાશંકર છે. એક અને માત્ર એક જ.
(ઓગસ્ટ, 1978)

(‘વિનોદની નજરે’ પુસ્તકમાંથી)


ઉમાશંકરઃ ગીત ગોતનાર, ગોતી આપનાર કવિ... - સુનીલ મેવાડા

ચૂંટે તો...

ચૂંટે તો, બ્હેન, મને મૂકજે અંબોડલે.
એક મારું વેણ તને, મૂકજે અંબોડલે.

હું તો નાનું ફૂલડું,
ખીલ્યું અણમૂલડું,
હીંચું હીંચું ને હસું ડોલતે રે ડોડલે.
ચૂંટે તો, બ્હેન, મને મૂકજે અંબોડલે.

વાયુરાજ પૂછતો,
આંખ મારી લૂછતો,
મુજને ફાવે ન એને વીજફાળ ઘોડલે.
એક મને ભાવે આ હીંચવું રે ડોડલે.

આજ તારી આંખમાં,
ફૂલ દીઠાં લાખ શાં!
હોડે હૈયું તે ચડ્યું હેત કેરે હોડલે.
હું ય ઝૂલું આંખ શું તારે દેહડોડલે.

માળમાં વીંધીશ મા,
કાંડે ચીંધીશ મા,
મૂકજે આંખોથી કોઈ ઊંચેરે ટોડલે.
ચૂંટે તો, બ્હેન, મને મૂકજે અંબોડલે.

ચૂંટજે ને ચૂમજે,
ગૂંથીને ઘૂમજે,
હૈયાની આંખ બની બેસું અંબોડલે.
ચૂંટે તો, બ્હેન, મને મૂકજે અંબોડલે.

-ઉમાશંકર જોશી

અલી ઓ બહેન, ખીલવાની આ સુંદર મૌસમ જોઈ વગડે આંટો મારવી નીકળી છે કેમ, ફૂલો-કળીઓ ચૂંટવાનું મન થતું જ હશે ખરુંને? જો એમાં તું, મને ચૂંટવાની હો તો મારી એક જ વિનંતી છે કે...!
જો, હું તો છું અહીં ડાળીએ ઝોલા ખાઈ હસ્યા કરતું એક ફૂલ, ના ના, પૂર્ણ ફૂલ પણ નહીં, મૂળવગર ખીલેલું એક નાનકડું ફૂલડું માત્ર, એટલે, મને ચૂંટે તો તારે અંબોડે, દેહના સર્વોચ્ચ સ્થાને જ મૂકજે હોં વહાલી ! એ જ મારી વિનવણી.
તું તો હમણાં આવી ને કદાચ ચાલી જઈશ, પણ આ અહીં જ પડ્યોપાથરો રહેતો વાયુ હરતા-ફરતા, મારી આંખો લૂછ્યા કરી, એની સાથે હિલ્લોળવા મને પૂછતો રહે છે, પણ એના એવા ફાંસમફાંસ ઘોડિયે મુજ બાળજીવને કેમનું ફાવે? મને તો આ નાનકા ડોડલે જ હીંચવું ગમે. અહીં જ હીંચતાંહીંચતાં મેં આજ તારી આંખમાં મજેદાર ફૂલ જોયાં બેની, હા ખરે જ ! જાણે તારી આંખો જ સોનેરી ફૂલ બની ગઈ ! જો હું પણ પૂર્ણ ફૂલ બનીશ, તો એવું જ અનુપમ-આકર્ષક બનીશ ખરું? એ વિચારીને મારું હૈયું તો, હેતની હોડીમાં બેસી હોડમાં-સ્પર્ધામાં ઊતર્યું કે હાય, હવે ક્યારે આ નાના છોડના જડ-ડોડલામાંથી છૂટું પડી તારા દેહના ચેતન-ડોડલે હું ઝૂંલું-મલકું-ફૂલું, જેમ હાલ તારી આંખો મલકી રહી છે.
-પણ સાથે એક ખુલાસો કરી લઉં હાં, જો ચૂંટ્યા પછી મને વીંધી-ચીંધી આડે હાથે ફગાવી દેવાની હો તો રહેવા દેજે. તારી માળામાં રોપાવાનાં કે કાંડે પરોવાઈ બેસવાનાં ઓરતાં મને નથી, મને કંઈ ખપે તો બસ તારી આ નમણેરી-અનેરી-મને ઘેલી કરનારી આંખો કરતાંય વેંતઊંચું થાનક. એ તો તારે અંબોડલે જ ને? મને ચૂંટે તો ત્યાં જ મૂકજે હો સખી, ચૂંટીને પહેલાં તો મને ચૂમજે, માથે ગૂંથીને ગામભરમાં ગૂમજે, હરખાઈને આંટા મારજે, સૌ છો જોઈને બળતાં, બધાં તને ને તારી આંખોને જોયાં જ કરે છેને, પણ કોઈ તારું હૈયું જોવે છે? તારા હૈયામાં ફૂટતા-ત્રાટકતા ઉમંગોનું નામ કોઈએ પૂછ્યું? ત્યારે, તારા દેહની પ્રતિનિધિ બની જેમ તારી આંખો મલકી-મહોરી-ફૂલી-ઝૂલી રહી છે, એમ હું તારા હૈયાની આંખો બનીને અંબોડલે બેસીશ, ત્યાંથી દેહે ન દેખાતી તારી ભાવનાઓ-ઉમંગો-લાગણીઓનું પ્રતિનિધિત્વ કરીશ, બસ ! પણ સાંભળ બ્હેની, ચૂંટે તો... મને મૂકીશ તો અંબોડલે જ, ને?
આવું ભાવભીનું-મજામજાનું ગીત લખનાર ઉમાશંકરનો પરિચય માત્ર બે અક્ષરનો જ છે, કવિ.
કોઈકના સ્મરણલેખમાં વાંચેલું કે ઉમાશંકર સંસ્કૃતિ સામયિકના પ્રૂફ તૈયાર થઈને ઘરે આવતા ત્યારે ઘણીવાર કહેતા, “પહેલું સુખ તે આવ્યા પ્રૂફ, બીજું સુખ તે ઘરની સાફસૂફ...” ઉમાશંકરને આપણો ઈતિહાસ પણ મોટાભાગે ‘કવિ’ કહીને જ સંબોધે છે એટલે એમના નામને બદલે કવિ સંબોધનથી જ એમની વાત કરવાની ઈચ્છા થાય, આપણા આ કવિ વિશે માનવામાં ન આવે એવી દંતકથાઓ પણ પ્રચલિત છે અને એ બધીય પાછી સાચી છે. એમના સાહિત્યપ્રદાનનો પટ એટલો વિશાળ છે કે એને માપવા-આપવાને બદલે થોડી વધુ સામગ્રી ભેગી કરી સમગ્ર ગુજરાતી સાહિત્યનો પટ આપી દેવો સહેલો છે, કારણ કે એમાંથી ઉમાશંકરના પ્રદાનની વિગતો પણ યથોચિત રીતે ઉલ્લેખી શકાય છે. એમને ન ગમાડનારાઓએ પણ એટલું તો માનવું જ પડે કે આપણે ત્યાં આ ‘કવિ’ એક જ થયા છે ને એક જ રહેશે. કોઈએ કહ્યું હતું એમ એક સદીમાં કવિ તો એક કે બે જ થાય છે, બાકી બધા તો કવિડાઓ...
કવિ, 1911માં બામણામાં જન્મે છે, ભણે છે. પ્રાથમિક શિક્ષણ પત્યા પછી ગામની શાળાને વચન આપે છે કે, ‘શાળા, એક દિવસ તારું નામ ઉજ્જવળ કરીશ’ અને ગામ છોડે છે. ‘શબ્દ’ લઈને અમદાવાદ આવે છે, રબારણોની મોટી બંગડીઓ જેવા બે કાચના ચશ્મામાં રીબાતી એમની બે નબળી આંખો બળ્યા કરે છે, છતાં એ ભણતા રહે છે, લખતા રહે છે, અમદાવાદમાં સ્થાયી થાય છે, આંખો બળ્યા કરે છે, એ લખતા રહે છે, વિદ્યાપીઠમાં જાય છે, આંખો બળ્યા કરે છે, એ લખતા રહે છે, ક્રાન્તિમાં જોડાય છે, આંખો બળ્યા કરે છે, એ લખતા રહે છે, જેલ ભોગવે છે, આંખો બળ્યા કરે છે, એ લખતા રહે છે... શાંતિનિકેતનમાં પહોંચે છે, આઝાદ દેશ માટે સાહિત્ય અકાદમીની સ્થાપનામાં જોડાય છે, રાજ્યસભામાં જાય છે, હોદ્દાઓની જવાબદારી નીભાવે છે, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે નરસિંહના શબ્દબ્રહ્મને પોંખે છે.... ને છેક, 1988માં 77 વર્ષે આંખો મીંચાય છે ત્યાં સુધી એ આંખો પોતાની બળતરા નથી મૂકતી, પણ સામે કવિની જીદ પણ ‘શબ્દ’ નથી છોડતી. કવિએ આત્મકથા સિવાય બધું જ આપ્યું અને બીજું ઘણુંબધું લખવાની તમન્નાઓ અધૂરી લઈને ગયા, પણ જે આપી ગયા એ અણમોલ...
આવા આપણા બાળઉમાશંકર જ્યારે ગીતની શોધમાં (ગામેથી શબ્દ લઈને) નીકળે છે, ત્યારે એ ક્યાં-ક્યાં ફરે છે?
(પૂછાપૂછવાળું બાળપણ) અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
(કુતૂહલભરી કિશોરાવસ્થા) અમે વનવનનાં પારણાંની દોરે, શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
(જોશીલી યુવાની) અમે ગોત્યું વસંતની પાંખે, ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
(સ્વપનીલ વયસ્કતા) અમે શોધ્યું સાગરની છોળે, વાદળને હિંડોળે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
(લગ્ન-પ્રણય) અમે ગોત્યું કંઇ સેંથીની વાટે, લોચનને ઘાટે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
(સંતાન-સંસાર) અમે ખોળ્યું શૈશવને ગાલે, કે નેહ-નમી ચાલે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
(વડીલાવસ્થામાં આધ્યાત્મિકતા-અભ્યાસનો નીચોડ) અમે જોઇ વળ્યાં દિશદિશની બારી, વિરાટની અટારી,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું...

(પણ, અને....) ઉરે આંસુ પછવાડે હીંચંતું, ને સપનાં સીંચંતું,
કે ગીત અમે…

એટલે કે જીવનભર ગીત(કવિતા) ગોતીગોતીને થાકેલા કવિજીવને અંતે ગીત ક્યાં મળે છે?
“…ઉરે આંસુ પછવાડે હીંચંતું
ને સપનાં સીંચંતું...”
આ જ ને? ગીત માત્રનું (અરે કવિતા માત્રનું) ઠેકાણું અને હોવાપણું... સૂક્કી આંખો રાખીને આંસુ સારતા હૃદયમાં સંતાઈ રહેવું (કવિતાનું ઠેકાણું) અને છતાં, સજીવતામાં શ્રદ્ધા ટકાવી રાખતાં સ્વપ્નો સીંચતાં રહેવું (કવિતાનું હોવાપણું) ! આ મથામણનો ભાવાર્થ એટલો કે અંતે ધમપછાડા મારી, હાથપગમાથું કૂટતાંકૂટતાં ગમે તેટલું શોધીને પણ ગીત(કવિતા) મળતું તો નથી જ, પણ હકીકતે એની શોધમાં નીકળવું એ જ એક મહાન ગીત (કવિતા) છે !


હા, ચૂંથીચવાયેલી માતૃભાષામાં શિક્ષણની વાત જ ફરી કરવી છે.

કદાચ આ તમે એકલાખમી વાર વાંચતા હશો ને હજારટકાના વિશ્વાસ સાથે મનોમન માનતા હશો છતાં ફરી કહેવું છે કે માતૃભાષા એટલે એ ભાષા, જે ભાષા ગર્ભમાંથી જ સાંભળતાં સાંભળતાં બાળક વિકાસ પામે છે. મહાભારતમાં શ્રી કૃષ્ણે અભિમન્યુને ગર્ભમાં જ યુદ્ધના કોઠાઓ શીખવ્યા હતા એ જાણીતી વાત છે. શ્રી શુકદેવજીનો પણ એવો જ દાખલો છે. માના ગર્ભમાંનું બાળક માત્ર સાંભળી જ નહિ, સમજી પણ શકે છે, એ વાતની પુષ્ટિ આજના મનોવિજ્ઞાનીઓએ-વૈજ્ઞાનિકોએ પણ કરી છે. આ રીતે, બાળકને માતૃભાષામાં કહેલી, શીખવેલી કે સમજાવેલી વાત એના મગજમાં સરળતાથી ઉતરી જાય છે. માતૃભાષા એવી ભાષા છે જે બાળક ખૂબ જ સાહજિક રીતે અને રમત રમતમાં પોતાના ઘરમાંથી કે મિત્રવર્તુળમાંથી લગભગ ઓછા કે ન જેવા પ્રયત્ને, અભાનપણે જ પ્રાપ્ત કરી લે છે. આ માતૃભાષામાં શિક્ષણ પ્રાપ્ત કરવું, એ બાળક માટે ખૂબ જ અગત્યનું છે; કારણકે વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ, જ્ઞાન, અભિવ્યક્તિ ક્ષમતા, સર્જનાત્મક કે ફળદાયક ક્ષમતા- આ બધાની કૂંપળો માતૃભાષામાંથી જ ફૂટે છે. આથી માતૃભાષાને શાળાના અભ્યાસક્રમમાં મહત્વનું આગવું સ્થાન આપવું અને મળવું જોઈએ.
એ માટે આપણે કેટલાંક મહત્વનાં કારણો સમજીએ.
માતૃભાષા એ સંદેશાવ્યવહાર કે પોતાનાવિચારો અને લાગણીઓ વ્યક્ત કરવાનું ઉત્તમ અને સમર્થ માધ્યમ છે. માણસની, ખાસ કરીને માતૃભાષા બોલવાવાળાની, પોતાના સામાજિક વર્તુળ કે સંગઠનની રચના સહજ રીતે થઈ જાય છે. વળી,જે તે વિષયમાં તેની પૂરેપૂરી નિપુણતા, પારંગતતા કે તજજ્ઞતા પણ માતૃભાષા દ્વારા જ પ્રાપ્ત થઈ શકે.
જ્ઞાનપ્રાપ્તિ માટે વિચારતંત્ર અત્યંત જરૂરી છે. વિચાર કરવા માટે ભાષા પણ એટલી જ આવશ્યક છે. પી. બી. બેલાર્ડે કહ્યું છે કે ‘માતૃભાષામાં કેળવણી એટલે એ ભાષામાં કેળવણી જે ભાષામાં બાળક વિચારે છે અને સ્વપ્નાં પણ સેવે છે. છીછરાપણામાંથી સુંદરતમ માનવ સંસ્કૃતિ પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન એટલે માતૃભાષા.’
ભાષા વગર બુદ્ધિનો શ્રેષ્ઠતમ વિકાસ પણ અશક્ય છે. વાંચન, અભિવ્યક્તિ, જ્ઞાન સંપાદન કરવું, બૌદ્ધિક દલીલો કરવી, એ બધા બુદ્ધિવિકાસના માધ્યમો છે. આ બધું ભાષાથી જ, ખાસ કરીને માતૃભાષા દ્વારા જ ઉત્તમ રીતે શક્ય બને છે. આથી, આપણા વિદ્યાર્થીઓની વિદ્યાપ્રાપ્તિનો પાયો મજબૂત, મક્કમ અને અડગ કરવા માતૃભાષામાં શિક્ષણ અત્યંત આવશ્યક છે.
વળી, આમ તો આપણે સંદેશાવ્યવહાર કે માહિતીની આપ-લે તો કોઈ પણ ભાષામાં કરી શકીએ છીએ; છતાં પણ સર્જનાત્મક અભિવ્યક્તિ તો માતૃભાષામાં જ શ્રેષ્ઠ રીતે શક્ય બને છે. આથી જ જગતના મહાવિદ્વાન લેખકોએ ઉત્કૃષ્ટ અને અદ્ભુત સાહિત્યનું સર્જન પોતાની સ્વભાષામાં જ કર્યું છે, જેનું અનુમોદન આપણે પછીથી કરીશું.
આ વાત પછી આપણને એ વિચાર આવે કે શું અંગ્રેજી કે ઈતર ભાષામાં કંઈ ન શીખી કે સમજી શકાય? જરૂરથી શીખી, સમજી શકાય. પણ, એને માટે નાજુક મગજ પરિપક્વ થવું જોઈએ. બાળકની સમજણ, સ્મરણ, ગ્રહણ અને યાદશક્તિ ઘણી જ કુશાગ્ર હોય છે. એનો સંપૂર્ણ ઉપયોગ કરવા, બાળકનું મગજ પરિપકવ થાય ત્યાં સુધી માતૃભાષામાં જ શિક્ષણ આપવું આવશ્યક છે. બાળક ૧૦-૧૨ વર્ષનું થાય ત્યારે લગભગ આ બધી શક્તિઓ પરિપક્વ થાય છે. આ ઉંમરે એ ઘણુંખરું ચોથા થી સાતમા ધોરણ સુધી પહોંચી જાય છે. આના પછી એને અંગ્રેજી કે અન્ય ભાષામાં વિગતે વ્યાકરણ સહિત શિક્ષણ આપવું યોગ્ય ગણાશે. બહુભાષી શિક્ષણમાં ખાસ ઉલ્લેખનીય એ છે કે ‘પહેલી ભાષામાં પહેલું શિક્ષણ’ એટલે, શરૂઆત માતૃભાષાથી કરવી ને પછી બીજી ભાષાઓ શીખવી. બહુભાષી શિક્ષણના બહોળા સ્વીકાર માટે ‘યુનેસ્કો’એ ચાર તબક્કા સૂચવ્યા છે. ૧. બાળકને શિક્ષણ સંપૂર્ણપણે એની સ્વભાષામાં આપવું. ૨. માતૃભાષા પર અસ્ખલિત કાબૂ આવે પછી બીજી ભાષાનો પરિચય કરાવી, બોલવાની તથા વાતચીતની શરૂઆત કરાવવી. ૩. બીજીભાષા પર પણ પહેલા જણાવ્યા મુજબ સંપૂર્ણપણે કાબૂ આવે પછી સાહિત્યનો પરિચય તથા અભ્યાસ કરાવવો. ૪. આ પછી જિંદગીભર તમે એનો અભ્યાસ તથા ઉપયોગ કરો. આવી રીતે જેટલી ભાષાઓ શીખવી હોય તેટલી શીખાય.
આ કોઈ નવી પ્રથા નથી. અગાઉ આ પ્રથા પ્રચલિત હતી. એ પ્રથાથી એ જમાનામાં પણ આપણે ત્યાં ઘણાં રાષ્ટ્ર તથા આંતરરાષ્ટ્રિય સ્તરે ઉચ્ચ કોટિના વિદ્વાનો થઈ ગયા છે. ભારતમાં જુદા જુદા વિસ્તારના લોકોની માતૃભાષા અલગ અલગ હોય છે. આમાં કેટલાક લોકોને પોતાની માતૃભાષા પ્રત્યે ઉત્કટ ભાવના અને ગૌરવ હોય છે, તો કેટલાકને ઓછી અથવા નહીંવત્ હોય છે. આપણે ત્યાં ઘણો મોટો વર્ગ એવો છે જે દેખાદેખીથી પોતાનું બાળક પાછળ ન રહી જાય અથવા એ આધુનિક કહેવાય માટે માતૃભાષાને બદલે અંગ્રેજીમાં શીખવવાનો આગ્રહ રાખે છે. ઉપર જણાવ્યા પ્રમાણે, તેની કુદરતી શક્તિનો લાભ આપણે ઝૂંટવી લઈએ છીએ. આમ કરવાથી, આપણી સંસ્કૃતિ જેના પર આપણે ઉન્નત મસ્તક રાખી ગૌરવ કરવું જોઈએ, તેનાથી તેને વંચિત રાખીએ છીએ. જે મનુષ્ય પોતાની સંસ્કૃતિને, ગૌરવને સન્માન નથી આપી શકતો, તેનું પોતાનું, કે પોતાના કુટુંબ અને સમાજનું આગવું વ્યક્તિત્ત્વ શું રહે?
જો આપણે દુનિયાના ઈતિહાસમાં નજર નાખીશું તો ખ્યાલ આવશે કે દુનિયામાં જેટલા મહાન સાહિત્યકારો, લેખકો, કવિઓ, વક્તાઓ, કથાકારો વગેરે છે ને થઈ ગયા છે, તેઓએ તેમની મહાન રચનાઓ પોતાની માતૃભાષામાં જ આપી છે. ગાંધીજીએ પણ કહ્યું છે કે “રવીન્દ્રનાથ ટાગોરનું ચમત્કારી બંગાળી તેમના અંગ્રેજીને આભારી નથી. તેમની ચમત્કૃતિ તેમના સ્વભાષાભિમાનમાં છે.” ગીતાંજલી પ્રથમ બંગભાષામાં લખાઈ હતી. મહાત્મા મુનશીરામજી જ્યારે હિન્દીમાં પોતાનું વ્યાખ્યાન આપે છે, ત્યારે તે સૌ ખુશીથી સાંભળે છે ને સમજે છે. શ્રીયુત મદનમોહન માલવીયાનું અંગ્રેજી ચાંદી જેવું ઝળકી ઊઠે છે એમ કહેવાય છે, પણ તેમનું હિન્દી ગંગાના પ્રવાહ જેવું છે અને તેમના હિન્દી વ્યાખ્યાનનો પ્રવાહ શુદ્ધ કાંચન સમો ચળકે છે. બળબળતા મધ્યકાળમાં આપણે ત્યાં નરસિંહ, કબીર, દયારામ, તુકારામ, તુલસીદાસ, રામદાસ, પ્રેમાનંદ, શામળ ને દલપતરામ જેવા કવિઓ પોતિકી ભાષાના સાહિત્ય દ્વારા જે સામાજિક ચેતના પ્રકટાવી છે એનો વિકલ્પ શોધવા કઈ ભાષા પાસે જશું? આ ઉપરથી જણાય છે કે માતૃભાષાના વિકાસ માટે અંગ્રેજી ભાષાના જ્ઞાન કરતાં માતૃભાષા પરના પ્રેમની – આપણી ભાષાસંસ્કૃતિ પર આપણે શ્રદ્ધા રાખવાની જરૂર છે, પણ એ આપણે રાખી નથી શકતા, બરાબર?
- મુંબઈ ગુજરાતી સંગઠન


પ્રકાશના ધોધ અમોઘ ઝીલતી ધપે ધરા... - ઉમાશંકર જોશી

'પ્રકાશના ધોધ અમોઘ ઝીલતી ધપે ધરા...'- વીસેક વરસની વયે આ ચિત્રે સંવિદનો કબજો લીધો.
ત્યાં સુધીની મથામણોનો ખ્યાલ કરું છું ત્યારે થાય છે કે ઓછા વિદ્યાપોષણ ઉપર હું ઊછર્યો હતો. સાહિત્યનાં પુસ્તકો મારે રસ્તે આવ્યાં નહીં. ઈડરની અંગ્રેજી શાળામાં આગળ ભણવા ગયો. ત્યાં હેડમાસ્તરના ટેબલ પર પડેલું એન. એમ. ત્રિપાઠી કં.નું પુસ્તકોનું સૂચિપત્ર, એમાં કવિતાનાં અને અન્ય પુસ્તકોનાં તથા તેના કર્તાઓનાં રોમાંચિત કરે એવાં નામો હતાં. મારા મનને ભરી દેતાં. અભ્યાસવિષયોના શિક્ષકો ઘણા સારા મળ્યા, અભ્યાસમાં આગળ વધવું શક્ય બન્યું. પણ કવિતાશિક્ષક, ખાસ સાહિત્યરુચિ પોતે ધરાવતા હોય અને બીજામાં જગાડે-ખીલવે એવા શિક્ષક કે મુરબ્બી કે મિત્ર આખા શાળાજીવન દરમિયાન ન મળ્યા.
પણ મુખ્ય કામ કદાચ થતું આવતું હતું. ચિત્તને શબ્દો ગટકગટક પીવાની ટેવ. આંખ મૂળથી જ કાચી. તેમાં વળી કશીક ધૂનમાં ખોવાઈ ગયો હોઉં. આંખ બિચારી ઘણું જોવાનું ચૂકી જાય. ગમે તેવી ધૂનમાં પણ કાન સરવા. સંભવ છે ધૂન પણ કાનને કંઈક પહોંચ્યું તેના કારણે હોય. શબ્દે-શબ્દે આસપાસનો લોક ઊઘડતો આવે. ડુંગરો વહેળા નદી તળાવ ખેતર કૂવા પશુપંખી જીવજંતુ ઝાડીજંગલ ચંદ્ર સૂર્ય તારા વાદળ વીજળી ગડગડાટ વંટોળિયા કોરણ હિમ લૂ ધૂળ કાદવ શેરીઓ ઘરો ઝૂંપડાં મંદિરો ખળાં સ્મશાન વગડો ઉત્સવો મેળા પંચ ઝઘડા મારામારી બધાની વચ્ચે ઢોરઢાંખરથી અભિન્ન ભાવે જીવતાં સ્ત્રીપુરુષો બાળકો- એ આખો આશ્ચર્યલોક કાન દ્વારા-ભલે આંખ દ્વારા ઘણો બધો મળ્યો હોય તોપણ પૂરો સંદર્ભ રચીને તો કાન દ્વારા અંદર ગોઠવાતો - દિવસે-દિવસે જાણે કે ફેર-ગોઠવતો આવતો હતો.
માતાને ગીતો કથાઓનો રસ. સોમનાથ લંગડાનું વર્ણ કરતાં 'વડવાઈઓ જેવા એના હાથ' એમ એ કહી બેસે. પિતાજી(નિરક્ષર ખેડૂત પિતાના પુત્ર)ના અક્ષરોનો મરોડ (પ્રો. ઠાકોરમાં જ ફરી એવો જોયો છે), કલમ-હથોટી (પેનમૅનશિપ) અને ખાસ તો કથનની તાદૃશતા પ્રભાવિત કરે એવાં. મારા ગામના (કદાચ બધાં ગામો વિશે આવું હશે) વડેરાઓ- ભલે ને અભણ, મહાજન-વાણિયા, ઠાકોર-સૌ જેમ-તેમ બોલી નાખે જ નહીં, શબ્દનો સતત રસ લેતા રહે છે એવું મને લાગતું. એક દિવાળી ઉપર ગામ ગયો ત્યારે ઠાકોરસાહેબે એ વર્ષે ખૂબ ભારે વરસાદ થયેલો તેની વાત કરીઃ ભાઈ, શું કહું? ડુંગરા વહેલાઈ (વિશ્લથ-સાંધેસાંધે ઢીલા થઈ) ગયા, ધરતી તરવા લાગી! અમસ્તી બે પડોશણોની ગામગજવતી વઢવાડ(જેનાથી ક્યારેક તો જાગવાનું થાય)માં પણ હું તો એમની શબ્દોની સરસાઈમાં ગાયબ થઈ ગયો હોઉં. પંચમાં બેઠેલા ઘરડેરાને કે કોઈ માંદાની ખબર પૂછવા આવેલી વૃદ્ધાને સામાના હૃદયને શારી નાખવા માટે એક ટૂંકું વાક્ય તો ઘણું.
ગામ છોડવાનું આવ્યું ત્યારે 'આવજે!' 'આવજે!' - એ આપણી ભાષાના પ્યારામાં પ્યારા શબ્દની તરવરતી ફરફરતી પ્રેમપતાકાની જ પ્રધાનતા ચેતનામાં રહી. વળી આશ્ચર્યલોકની ક્ષિતિજો હળુહળુ આગળ હડસેલાતી જતી હતી. તેમાં મુખ્યતા આ પ્રેમભાવની જ વસી, પણ સાથેસાથે જે ક્લેશો - અકારણ ક્લેશો, વિદ્વેષો, વેરઝેર, ખાર, લોહીશેકણાં, જડ યાતનાઓ એ બધાને પાસ પણ એને લાગેલો હતો. આ બધું ઝીલાયું હતું શબ્દોમાં, બલકે મુખ્યત્વે શબ્દના નાદ અંશમાં- કાકુઓમાં, લહેકાઓમાં, ગીતોની ગતમાં, ટૂંકામાં કહેવું હોય તો લયમાં. 'આવજે' શબ્દ પાછળ ધબકતું વહાલ તો સ્પર્શી જાય જ પણ ચિત્તમાં રમી રહે તે તો રસ્તે દૂર નીકળી ગયા પછી પણ પાછળથી કાનને-હૃદયને પહોંચવા કરતો 'એએએ આવજેએએએ...!'નો આછો થતો જતો થરથરાટ.
ઈડર આવ્યા પછી આ શબ્દલયના ઉત્કૃષ્ટ નમૂનાઓ કવચિત્ - પણ કવચિત્ જ પાઠ્યપુસ્તકોમાં અને કોઈ હાથ લાગ્યું તે પુસ્તકમાં મળવા લાગ્યા. 'ફડફડ ફફડાવે ધૂળમાં ચલ્લી પાંખ,' 'તિથિપૂનમે શોભતા સાંજ ટણે.' 'પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું,' 'દૂરથી ધૂમસે પ્હાડ સરખો, નદી વચ્ચે ઊભો....દીસ્યો હાર્યો જોદ્ધો હરિતણું હૃદે ધ્યાન ધરતો,' 'શાંતિ! શાંતિ! ઝરમર ઝરી ગૈ ગળી વાદળી આ,' 'પિતા, કાલના સર્વ સંતાપ શામે,' - પણ ઘણા ઓછા નમૂના માર્ગમાં આવ્યા. મોટાભાઈએ સદભાગ્યે લૅમ્બ ભાઈબહેનની શેક્સપિયરની નાટ્યકથાઓ મોકલેલી તેમાંથી એ વખતે રાજાનો કેર વરતાતો એટલે '(રાજાનું નામ) has murdered sleep' એમ એમને કાગળમાં લખી મોકલ્યું. મનમાં-મનમાં શબ્દલયને કાગળ પર અવતારવાની ગડમથલ લગાતાર ચાલવા લાગી..
એક પ્રસંગ યાદ છે. અત્યારે તો ઈડરના ધૂળેટા દરવાજા બહાર સ્ટેશન સુધી મકાનો થઈ ગયાં છે ને વસ્તી અને આવનજાવન પ્રવૃત્તિ હિલોળા લેતી હોય છે. પણ ત્યાં એ વખતે કબ્રસ્તાનની પેલી તરફ આંબાવાડિયું હતું. ગઢની હિમાઈ ટોક પરથી નીચે જોતાં સહેજે હજારેક આંબા દેખાય. નાનકડી ડેભોલ નદી આંબાવાડિયાને વીંધી રાજાના વિશાળ બગીચામાં દાખલ થઈ આગળ વધતી. ચોમાસાની સાંજ હતી. આસપાસ ઝળૂંબતા ઘેઘૂર આંબા કે શ્વેત રેતીપટમાં સરકતી ડેભોલ કે ઘાસ વચ્ચે જગ્યા કરતો - જેની ઉપર હું ઊભો હતો તે - વ્યક્તિત્વથી ઝગમગતો ધૂળિયો રસ્તો, - કશામાં ધ્યાન ન ગયું. દૃષ્ટિ ઊંચે આકાશમાં જઈ ચઢી. રંગો, રંગો, વાદળ-રંગો! જાણે પહેલી વાર રંગો જોતો હોઉં એમ હું ઊભો રહી ગયો. મારું વતનનું ઘર ડુંગરની તળેટીએ છે, ત્યાંથી સૂરજ ઊગતી વખતના સામેના દૂર-દૂરના ડુંગર ઉપરના રંગો નહીં જોયેલા એવું ન હતું. પણ આ સાંજની વાત જુદી હતી. જાણે કશાક રંગમયની ઉપસ્થિતિ અનુભવી. એને માટે 'રંગ' શબ્દ વાપરવાથી શું વળવાનું હતું? કોઈક એવી આભા હતી જે જાણે શબ્દથી અણબોટાયેલી રહેવા નિર્માઈ ન હોય!
ભીતર વદ્વિંગત થતો વિસ્મયાનંદ, બહાર શબ્દોની અને એ વખતે હાથવગા થતા આવતા સરળ છંદોની મદદથી મન જેટલો ઘાટ ઘડે તે બધા પેલા વિસ્મયથી- આનંદની હજારો ગાઉ દૂર, ફીકા, અણઘડ, શામળાજી પાસેના મેશ્વોતટ ઉપરની જાંબુની કુંજોનાં પાણીમાં પડતાં પ્રતિબિંબને શબ્દસ્થ કરવાની ઊંડી અમૂંઝણ - અકળામણ અત્યારે પણ એ વખતના જેટલી જ સ્મરણમાં તાજી છે.
શબ્દલય ઉપરાંત ગીત ચિત્ર અજમાવવાની પણ વૃત્તિ ડોકિયું કરી ગઈ. છાત્રાલયના ગૃહપતિના ટેબલ પાસેના પટારા પર અમે ત્રણ વિદ્યાર્થી બેઠા હતા. ગૃહપતિના કહેવાથી પહેલાએ ગાયું. પછી એણે હવે મારે ગાવું એમ પ્રસ્તાવ મૂક્યો. હું એ જ ક્ષણે સંકોડાઈ પાછળની ભીંતને અઢેલતો બેઠો. ગૃહપતિએ નોંધ્યું : એ શું ગાશે? જોયું નહીં, પાછો હઠ્યો! સંગીત હું ચૂકી ગયો. એક પંચાલ વિદ્યાર્થી અજબ કાબેલિયતથી સરોવરજળના કમળમાં ઊભેલી લક્ષ્મીની મૂર્તિનું મોટું ચિત્ર કરતો. મેં એ અજમાવ્યું. નેપોલિયન બોનાપાર્ટની છબી, એના દર્પમય લલાટ પર આગવી છટાથી ફરકતી લટ સાથે, પેન્સિલથી મેં આલેખી. કંઈક આત્મવિશ્વાસ આવ્યો. પણ ચિત્રની-સંગીતની (એ વખતે એની તાલીમના વર્ગો તો નહોતા) મુશ્કેલી એ છે કે ચિત્રો કરતાં તમને બધા ટોળે વળીને જુએ, ગાતાં તમને બીજાઓ સાંભળી જાય. શબ્દલયની રમત એવી કે મનમાં-મનમાં જ ચાલ્યા કરે. (જેમ કિશનસિંહે ત્યાં સાંજે દીવા નીચે હું પ્રૂફ સુધારતો હતો ને એમના નોકરે કૌતુકપ્રશ્નમાં સૂચવેલું : 'આ બધું તમે મગજમાંથી જૉઈન્ટ કરો છો?') ઘડીએ ભાંગી ઘડીએ એ બધી ઘડ-ભાંજ ભાંજ-ઘડ અંદર આવ જા ચાલે. એ અને આપણે. શું હું શરમાળ હતો, ગોપનશીલ સ્વભાવનો (સિક્રીટિવ) હતો? કોઈને લખેલું બતાવતો નહીં. એક વાર એક મિત્રને હોંસે હોંસે દેખાડવા ગયો. જો, તારું નામ લીટીઓના પહેલાપહેલા અક્ષરોમાં છે. એકબે પંક્તિઓ સાંભળીને કોણ જાણે કેમ એણે જોસથી મારી નાનકડી નોટબૂક આંચકી લેવા પ્રયત્ન કર્યો. હું નાઠો. એ હતો પણ કદાવર. પછીથી એ મિત્રે એકરાર કરેલો કે હું જમવા ગયો ત્યારે એ પાછળ રહ્યો હતો અને મારી પેટીમાંથી નોટબુક કાઢી કવિતા પોતે વાંચી લીધી હતી અને વાંચીને એને એવો તો ગુસ્સો ચઢ્યો કે રાતે ખુલ્લા ચપ્પુ સાથે એ મને મારી નાખવા આવેલો પણ પછી એણે વિચાર ફેરવ્યો- મને જતો કર્યો! છંદોવ્યાયામનો અંજામ આવો આવવા છતાં એ ચાલુ જ રહ્યો. પાઠ્યપુસ્તકમાંની રાજા આલ્ફ્રેડ છૂપા વેશે ભરવાડને ત્યાં નોકર તરીકે રહે છે ને યુદ્ધ-વિચારે ચઢી જતાં દૂધ ઊભરાય છે તેનો એને ખ્યાલ રહેતો નથી. અને ઠપકો પામે છે એ કથા વનરાજ અંગે કવિતામાં લખી 'નવચેતન'ને મોકલી, પણ છપાઈ નહીં.
છાત્રાલયમાં આવ્યો ત્યારે ગુજરાતી નિશાળમાં ભણવા જનાર એક માત્ર વિદ્યાર્થી પન્નાલાલ પટેલ તે મારા રાહબર હતા. અંગ્રેજી નિશાળમાં ચાર વરસ સાથે ભણ્યા અને પછી એ ઈડર છોડી ગયા. એક વાર્તાની ચોપડી (જેનો નાયક 'શૂરસિંહ' હતો) બારીમાં ગૂંચળું વળીને ગોઠવાઈ તેઓ રસપૂર્વક વાંચતા તે મને પણ એમણે વાંચવા આપેલી. કદાચ બીજી પણ બેત્રણ એવી નવલકથાઓ મેં વાંચી હોય. મેં પણ એક નવલકથા લખવી શરૂ કરી. રોજ રાતે, બધા સૂઈ જાય તે પછી (કોઈ જૂએ તે તો મને પાલવે નહીં) એક પ્રકરણ લખું, છ રાત સુધી નિયમિત એ રીતે લખ્યું. પછી તકલીફ ઊભી થઈ. રાજકુમારી વિજન ડુંગરના ભોંયરામાં કેદ હતી. એને કેમ છોડાવવી? વાર્તાનાયક નારસિંહ એક મોટા મકાનના પહેલે માળે આવેલા વિશાળ ખંડમાં બંને હાથથી તબિયત વાળી લાંબા ડગલા ભરતો એને છોડાવવાના ઈલાજ વિચારતો આંટા મારી રહ્યો હતો. બહાર ચાંદનીમાં વૃક્ષોના ઓળા ભૂતાવળા જેવા ભાસતા હતા. શરમની વાત છે કે નારસિંહને કોઈ ઈલાજ ન સૂઝ્યો તે ન જ સૂઝ્યો. એ હજી આંટા મારતો હશે અને રાજકુમારી હજી ડુંગરના ભોંયરામાં હિજરાતી હશે!
મૅટ્રિકના વરસમાં અમદાવાદ ભણવા આવ્યો. તબિયત સાચવવી અને બરોબર ભણવું એ બે એવડાં મોટાં કામ હતાં કે માંડ એકાદ રચના અજમાવી હોય. ન્યૂ હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓએ એ વરસે મૅટ્રિકના અભ્યાસ માટે પ્રો. લાગુએ કરેલા અત્યંત સુંદર અંગ્રેજી પદ્ય સંચયની કવિતાઓનો ગુજરાતી કાવ્ય-અનુવાદ બહાર પાડ્યો હતો. 'લીડ કાઈન્ડલી લાઈટ'ના, નરસિંહરાવ તેમ જ 'કાન્ત'ના, બંને અનુવાદ અમારા આચાર્ય બલવંતરાય પરમોદરાય ઠાકોરે વર્ગમાં ચર્ચ્યા. ભણવાનું તો પતાવેલું, એટલે નાતાલની રજાઓમાં શાળાના પુસ્તકાલયમાંથી સંસ્કૃત 'ઉત્તરરામચરિત' લઈ આવ્યો અને મણિલાલ નભુભાઈના સુંદર અનુવાદ સાથે આસ્વાદ લીધો.
કોલેજમાં જતાંની સાથે સાહિત્યનાં પુસ્તકો ઉપર ભૂખ્યાની જેમ તૂટી પડ્યો. દિવાળીની રજાઓમાં અમે ત્રણ મિત્રો આબુ ગયા. આબુરોડથી ચાલતા ચઢ્યા. આબુ એ આનંદરાશિ ન હોય! ખીણમાં ગાજતો નિર્ઝર એ આનંદદ્રવ ન હોય! છેલ્લાં ત્રણેક વરસમાં ક્ષણક્ષણની કણકણની પૂંજી ભીતર સંચિત થયાં કરતી હતી, શબ્દલય-ભાષાલય, બાળકને થતું હશે તેવી જ કોઈ રીતે, ફૂટુંફૂટું થવા કરતો હતો, 'નખી સરોવર પર શરતપૂર્ણિમા' સૉનેટનો 'સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે' એ કાવ્યદીક્ષામંત્ર પામીને તે જંપ્યો. જાહેર સમક્ષ ઊભા રહેવા ન રહેવાનો હવે સવાલ ન હતો. ગુજરાત કૉલેજ મૅગેઝિનમાં કૃતિ છપાઈ. ('સૌંદર્યો પી'ની જગ્યાએ 'સૌંદર્યોથી' એવી છાપભૂલ સાથે)
બીજા વરસમાં ત્રણચાર સંસ્કૃત રચનાઓ થઈ, આજે પણ જાળવું એવી. ખાસ તો કીટ્સના 'લા બેદ દામ સાઁ મેર્સી'ની બે કડીના અક્ષરશઃ કરેલા અનુવાદ (लम्बासकां लघुगतिं ललितां स्थलीषु व.)ના બે શ્લોક. બીજા શ્લોકમાં એ વખતે बद्धभावा સમાસ પણ કેવી રીતે સૂઝ્યો એનું કૌતુક રહ્યું છે. 'શાકુંતલ'-(અંક 3)માં એ સમાસ યોજાયો છે, પણ એ વખતે એ નાટક આખું વાંચેલું? (પછીથી 1934માં મુંબઈ કૉલેજમાં હતો ને અંગ્રેજીમાં રચનાઓ કરી. 'ધિ એલ્ફિન્સ્ટોનિયન'માં છપાઈ. એવામાં કવિ શ્રી હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય સાથે ગાઢ સંપર્ક થયો હતો. કહે કે અંગ્રેજી 'એશિયા' સામાયિકમાં છપાવું. મેં ના કહી, મને ગુજરાતીમાં જ લખવા દો.)
કૉલેજના બીજા વરસને અંત 1930માં સત્યાગ્રહની લડતમાં ઝંપલાવતા નવાવતાર જેવો અનુભવ થયો હતો. લડત દરમિયાન ક્યારેક-ક્યારેક લખાતું. કાચી જેલમાંથી મોકલેલી કૃત્તિઓ 'કુમાર', 'કૌમુદી'માં પ્રગટ થઈ. સાબરમતી અને યરોડા જેલમાં વાચનયજ્ઞ ચાલ્યો. મરાઠી, ઉર્દૂ, બંગાળી શીખવાનું શરૂ કર્યું. લખવાનું થયું નહીં. લેખનસામગ્રીની મનાઈ હતી. પણ મારા લેખકજીવનની, સમગ્ર જીવનની પાયાની અનુભૂતિ સાબરમતી જેલમાં થઈ. કોઈ કારણે સાથીઓથી છૂટા પડી બીજી બૅરૅકમાં અને વળી ત્રીજીમાં જવાનું થયું. ચાર વાગ્યે અંદર પૂરી દે. સો જણ માટેની મોટી બૅરૅકને ઓતરાદે છેડે બારી પાસે ઊભો રહીને વાંચું. અને પછી રાત્રિ-આકાશમાં સપ્તર્ષિને જોઈ રહું. મનમાં હસું કે બહાર હતો ત્યારે તો કદી તારાઓ ઉપર આટલું વહાલ ઊભરાઈ આવતું ન હતું. ખગોળ ઉપરનું 'જ્યોતિર્વિલાસ' વાંચ્યું. તારકપ્રિય કાકાસાહેબને મળવાની હજી વાર હતી. સો વચ્ચે, સૌ વચ્ચે હું એકલા જેવો હતો. આટઆટલામાં નહીં, દૂર-દૂરનાં નક્ષત્રો સાથે સંપર્ક વિકસ્યો. ભાવાનાત્મક વાચન પણ ચાલતું. ભાવાવેશનો પાર ન હતો. રાષ્ટ્રપ્રેમના વિરાટ રંગ ઉપર તો અમે સૌ ઊંચકાયેલા હતા જ. તેવામાં રોજ સવારે વહેલા ઊઠી દીવાલથી જરીક દૂર- ઊંઘી ન જવાય તે માટે અઢેલ્યા સિવાય- ટટ્ટાર બેસવાની ટેવ કેળવવાનું સૂઝ્યું. એક પ્રાતઃકાળે માથા પર જાણે કોઈ અગોચર સ્પર્શ થયો અને એના વજનવેગ નીચે દબાઈને આખું અસ્તિત્વ જાણે પૃથ્વીની સપાટી સાથે સમરેખ થઈ ગયું, પૂર્ણ આત્મવિલોપનનો- પ્રકાશભર્યા આત્મવિલોપનનો ભાવ ઊભરાઈ રહ્યો. શૂન્યતાનો નહીં, સભરતાનો અનુભવ હતો. આ તરંગ હશે? ભ્રમ હશે? જાગ્રત સ્વપ્ન હશે? આ ક્ષણે પણ પૃથ્વીસપાટી સાથે સમરેખતાનો અને સાથેસાથ સભરતાનો ભાવ સુરેખ ચતેનામાં તાજો છે. આ અનુભવવા પ્રભાવ નીચે મને એક નાટક સૂઝ્યું. નક્ષત્રો-ધ્રૂવ, અરુધન્તી અને સ્વયં કાલ એમાં પાત્રો છે. પ્રથમ દૃશ્યમાં કાલ કહે છે કે સૌન્દર્યની તો સ્થાપના સફળતાપૂર્વક થઈઃ
તેજને પૂર્યું તારલિયે,
દીધ પરિમલને ફૂલવેશ.
હવે વિશ્વમાં પ્રેમતત્વની પ્રતિષ્ઠા થયેલી પોતે જુએ એટલે બસ.
બીજું દૃશ્ય ગ્રહમાલાનું છે. સૌ પૃથ્વીને ટપારે છે કે એને લીધે સૂર્યગ્રહમાલા વગોવાય છે. ત્રીજું દૃશ્ય છે ધરતી અને મહાપ્રજાઓનું. બીજા અંકમાં પહેલું દૃશ્ય મહાભારતને અંતે યુધિષ્ઠિરને થતા યુદ્ધવિષાદનું છે. બીજાના વિષ્કમ્ભકમાં ઈશુ શિષ્યોને વિદાયવચન કહે છેઃ વરુઓનાં ટોળાંમાં તમારે અજશિશુ તરીકે જવાનું છે. મૂળ દૃશ્ય પહેલા વિશ્વયુદ્ધને અંતે વરસાઈ કરાર પર સહીઓ થઈ રહી છે તે જ સમયે પૅરિસના એક કાફેમાં જુદાજુદા દેશોની કેટલીક વ્યક્તિઓના ઉગ્ર પ્રતિભાવો અને તીવ્ર આશંકાઓ અંગે છે. ત્રીજું દૃશ્ય યુદ્ધના વિકલ્પ તરીકે સમૂહસત્યાગ્રહના નિર્દેશનું- ધારાસણા સત્યાગ્રહનું છે. ત્રીજો અંક પૃથ્વીની મહાપ્રજાઓ વચ્ચે સંવાદનો ઉદય- સૂર્યગ્રહમાલામાં ઊજળે મુખે ફરતી પૃથ્વી- પ્રેમની પ્રતિષ્ઠા થઈ રહી છે એવા કાલને મુખે થતા ધન્યતા ઉદગાર- એ ક્રમે નાટકની પરિણતિ સાધે છે.
આ નાટકને મારે માટે એક આખો અભ્યાસક્રમ નિશ્ચિત કરી દીધો. જેલ બહાર આવ્યા પછી ગુજરાત કૉલેજમાં પાછો ન જતાં ગુજરાત વિદ્યાપીઠમાં હું ગયો. ત્યાં સમૃદ્ધ પુસ્તકાલય અને જંગમ વિદ્યાપીઠ જેવા કાકાસાહેબ. ત્યાં પહેલા અંકની રૂપરેખા આલેખી. 'યુધિષ્ઠિરના યુદ્ધવિષાદ' લખાયું. ત્યારથી ગંભીરતાથી મહાભારતના સ્વાધ્યાયમાં સ્થિર થયો. પ્રજાઓના ઈતિહાસ અને પહેલા વિશ્વયુદ્ધ અંગેનું સાહિત્ય ઉથલાવતો રહ્યો. 1932માં વિસાપુર જેલમાં 'સાપના ભારા' આદિ વાસ્તવદર્શી એકાંકીઓ લખ્યાં તે પછી વરસાઈના કરાર અને ધારાસણાસંગ્રામનાં દૃશ્યો પણ લખ્યાં. જેલની એ નોટબુક ક્યારેક-ક્યારેક હાથમાં લઉં છું, પણ કદી એ બે દૃશ્ય ફરી વાંચ્યાં નથી, નથી હજી પાકી નકલ સુધ્ધાં કરી.
1931માં વિદ્યાપીઠ રહ્યો તે સમયમાં નાટકની તૈયારી કરતાં કરતાં 'વિશ્વશાંતિ' સૂઝ્યું અને તે પાંચેક દિવસમાં લખાઈ ગયું. 'વિશ્વશાંતિ'નું કેન્દ્રભૂત દ્રશ્ય છેઃ
પ્રકાશના ધોધ અમોઘ ઝીલતી
ધપે ધરા નિત્યપ્રવાસપંથે.
પેલા નાટકનું કેન્દ્રભૂત દૃશ્ય પણ એ જ છે. પ્રકાશ તે પ્રેમનો સંવાદિતાનો શાંતિનો હોય એ બંને કૃતિઓમાં અપેક્ષિત છે. મારી સંવિદ ઓગણીસ-વીસ વરસની ઉંમરથી આ (સતત-ચલ એવી) ખીંટીએ પકડાઈ છે, વળીવળીને એ તે-તે ક્ષણે પૃથ્વી એની યાત્રામાં જે બિંદુએ હોય ત્યાં એને ચિંતવી રહે છે.
માણસ તો પૃથ્વી પર હમણાં આવ્યો. અબજો વરસ સુધી જે 'પ્રકાશનો ધોધ' એ ઝીલતી હતી તે પ્રેમનો પ્રકાશ હતો? ગમે તેમ, પણ માણસ આવ્યા પછી પૃથ્વી પર એ જે ડખો કરી બેઠો તેમાંથી ઊગારવા પ્રેમના પ્રકાશ સિવાય ભાગ્યે જ કોઈ વારણ હોય.
ઉપરની બે પંક્તિઓ પછી તરત નીચેની બે પંક્તિઓ આવે છેઃ

ઝૂમી રહી પાછળ અંધકારની
તૂટી પડી ભેખડ અર્ધ અંગે
પૃથ્વીને અન્વયે પ્રકાશવિરોધી અંધકારની ભેખડો, માનવને અન્વયે પ્રેમવિરોધી તત્વો- દ્વેષ વૈર ગૃધિષ્ણુતા અસહિષ્ણુતા - ની, એક શબ્દમાં દુરિતની.
પ્રકાશના ધોધ ઝીલતી, વેગથી ધપતી ધરાના ચિત્રે મારી સંવિદનો કબજો લીધો ને મારે માટે પાર વગરની મુશ્કેલીઓનો આરંભ થયો. અલબત્ત, આંતર ઘડતરનો એક માર્ગ ખૂલ્યો. નમ્રપણે ધીરપણે યથાશક્તિ એ અપનાવવો રહ્યો, જો એમાં ક્યારેકય સંવિદમાંથી કવિસંવિદ નીપજે.
1932માં પ્રથમ એકાંકી ઈશુ વિશે ('શહીદનું સ્વપ્ન') રચાયું. પણ થોડા દિવસોમાં જ મારા ગામની ભાષા એક પછી એક એકાંકીમાં બોલવા લાગી. એ વગર એનો છૂટકો ન હતો. પણ મુખ્ય વાત તો નાટ્યપ્રકાર પર હથોટી કેળવાય એ હતી. પેલું નાટક લખવાનું હોય (કવિમિત્ર રામપ્રસાદ શુક્લે એ સમયમાં નવરંગપુરા આગળ નદીના બેટમાં અમે વાતો કરતા હતા ને કહેલું કે હું હોઉં તો બાર વરસ આના ઉપર કામ કરું), તો પણ આપણી ભાષામાં નાટ્યપદ્ય નિપજાવવું જોઈએ. 'પ્રાચીના' અને 'મહાપ્રસ્થાન'માં એ દિશામાં કંઈક ગતિ કરી. દુરિતની 'ભેખડો'નો જાતપરિચય- કંઈ નહિ તો મોઢાની ઓળખ- અનિવાર્ય. 'સાપના ભાર'માં જ એવી ઓળખનાં એંધાણ છે. નિવેદનમાં થોડોક ખંચકાટ પણ પ્રગટ થયો છે: "આ નાટકોની સૃષ્ટિ જોઈને લખનારાને કોઈ દોષદેખો, અનિષ્ટચિતંક (cynic) ન ગણે એમ વિનંતી કરું છું. કોઈ વાર ફૂલો જોઉં છું ત્યારે સહજ મનમાં થાય છે, 'ફૂલો પણ છે!' તેવામાં જ 'આત્માનાં ખંડેર' સૉનેટમાલામાં અસ્તિત્વવાદી આંતરયાતનાના અને અસારતાવાદના, કાંઈક આગોતરા, ઓછાયા છે અને સાથે જ યથાર્થ સ્વીકારની ઘોષણા છે. એ જ વલણ 'સમયરંગ' અને 'નિરીક્ષક'ના અગ્રલેખો લખાવે છે અને રાજ્યસભામાં વખત આવ્યે પ્રવચનો કરાવે છે, નવી પર્યાપ્ત લયઈબારતની ખોજપૂર્વક 'છિન્નભિન્ન છું', 'સ્વપ્નોને સળગવું હોય તો', 'મૃત્યુરક્ષણ' રચનાઓ કરવા પ્રેરે છે. પૃથ્વીની યાત્રાની શક્યતાઓ અંગેની એક ક્ષણ ઝાંખી 'ધારાવસ્ત્ર'માં છે તો બીજીની 'માઈલોના માઈલો'માં. તો એ યાત્રા પ્રકાશાભિમુખ હોવાનો - ભલે પછી અનંતકાળમાં ક્યારેક પૃથ્વી પોતે પણ નહીં હોય- આ ક્ષણે અનુભવાતો સમુલ્લાસ 'પંખીલોક'ની એક પ્રકારની સિમ્ફની(રાગિણી)રૂપે પ્રગટવા કરે છે.
પંદકસત્તર રચનાઓ 'વિશ્વશાંતિ' પછી વાર્તા એકાંકી આદિની થઈ હતી ત્યારે એની એક નાના કાગળ ઉપર યાદી કરેલી તે હજી પડી છે. ઉપર બ્રાઉનિંગની પંક્તિ લખી હતી: 'The petty done, the undone vast' ('બન્યું લગરીક, અણબન્યું અપાર). પહેલા 'લેખકમિલન' આગળ હું બોલી ગયો હતો : બે ભમ્મરો વચ્ચે કંઈ-કંઈ પાત્રો ઊછળે છે. 'ઉગમણે બારણે' નવલકથાની 1938ની રૂપરેખા સચવાઈ છે. વરસ પછી આપણા વિદ્વાન રસિકલાલભાઈ પરીખને લોકલમાં ચર્ચગેટ સ્ટેશનથી અંધેરી આનંદશંકરભાઈને મળવા જતાં અને પાછા ગ્રાન્ટરોડ આવતાં સુધી એ કથા કહેલી. તેઓ કહે, એમાંનો ભાગવત સોશયલિસ્ટ તે પોતે જ છે. અમદાવાદ વિદ્યાસભામાં હું જોડાયો તે પછી મને વઢે, લેખ શું લખ્યા કરે છે, પેલી કથા લખને, એક કોરી નોટબુક આપી જાઉં? એ કથાની પૂર્વકથા 'ઉંબર બહાર' કુમારના 200મા અંકમાં શરૂ કરી, ચાર પ્રકરણે બંધ થઈ. નિયમિત હપતા આપવાની મારી ગુંજાશ નહીં. એ કથાનો ત્રીજો-ચોથો-પાંચમો ભાગ અનુક્રમે 'સાત લાખ સેવાગ્રામ', 'કુટુમ્બિની', 'પરિવાજક' કલ્પેલા છે. એ અત્યારે લખાય તો અવનવા ઢંગે જ આવે. ક્યારેક-ક્યારેક વિદ્વાનોએ સૂચવ્યું છે અને હું પણ (સારાસારા મિત્રોને ચીમકી લાગે છતાં) બોલ્યો છું કે ગાંધીજી વિશે કંઈક લખવું. પણ કહું? વળી અહીં વાહનનો પ્રશ્ન ઉકેલવાનો રહ્યો. પ્રેમાનંદને ભાષાએ આપેલું વરદાન બીજો કોઈને એ આપે?
પેલું નાટક એ ગાંધીનાટક જ છે. ગાંધી, જેમજેમ આજની યંત્રોદ્યોગ-સંસ્કૃતિ આગળ વધે છે તેમતેમ, વધુ ને વધુ સંગત (રેલેવન્ટ) બનતા જાય છે. ચારેક વરસ પહેલાં નોબેલ પારિતોષિક વિજેતાઓ(જેમાં અતિઆધુનિક લેખકો પણ હતા)એ માનવજાતિ આત્મનાશના આરેથી પાછી વળે અને જરૂર પડે ત્યાં જનસમાજો અને વ્યક્તિઓ ગાંધીએ ચીંધેલા માર્ગનો આશ્રય લે એવી જાહેર અપીલ કરી હતી. ગાંધીની વાત એ તાતી જરૂરિયાત બનતી જાય છે. ગાંધીયુગ તો હજી હવે આવશે.
પ્રકાશ ઝીલતી ધપી રહેલી પૃથ્વીનું ચિત્ર દસકે-દસકે વધુ સંગત અને તાદૃશ લાગે છે. નરી આંખે એ દૃશ્ય ચંદ્રયાત્રીઓએ જોયું એટલી હદે સ્થૂલ અંતરિક્ષપ્રદેશ પણ માનવ માટે ઘરઆંગણું બની રહ્યો છે. પૃથ્વી એની યાત્રામાં અત્યારની આ ક્ષણે જે બિંદુએ છે ત્યાં એની-માનવકુળ પૂરતી-શી સ્થિતિ છે? સર્વનાશની સામગ્રીના ખડકલા, બધું હાલાહલ બહાર આવે એવા સંસારમંથનના ઉધામા, સિત્તેર ટકા માનવજાતની ચાલુ તંગ હાલત, નેતૃત્વના દેવાળા જેવી સ્થિતિ, માત્ર રડ્યાંખડ્યાં સંવેદનશીલ જગતનાગરિકોની આ બધા અંગે સમાનતાભરી નિરંતર ઊંડી ચિંતા-અને તે પણ બર્ટ્રાણ્ડ રસેલમાં હતી એવી સક્રિય તો નહિવત્, -એ બધું સંવિદનો ભાગ તો બની શકે. એમાંથી કવિસંવિદની નીપજ એ જુદી વાત છે. કવિસંવિદ- કાવ્યાવતરણ એ એવો કીમિયો છે કે બ્લેઈક કહે છે તેમ 'રેતીકણમાં અનંતતા' સમાય, કુહાડાના ઘાથી ઝાડ પડતાં નિરાધાર ડુંગર ફસડાઈ પડ્યા જેવું થાય તેમાં વિશ્વનું ડૂસકું સંભળાય. અને બે લીટી અરે એક લીટીની પણ કાવ્યકૃતિ જો અભિનવગુપ્ત કહે છે તેમ 'વિશ્રાન્તિ'નો અનુભવ કરાવી રહે તો વિશ્વશાંતિના મહાલયના ચણતરમાં એક નક્કર ઈંટ ઉમેરાય.
ભલે પેલું નાટક (કે પદ્યનાટક) થયું નથી, પણ 1949માં આકાશવાણીએ 'A poem is born(કવિતાનો જન્મ)' ઉપર બોલવા સૂચવ્યું ત્યારે કહેલું તેમ "એ કાવ્યકૃતિ સૂઝી એ પછીથી ભલે એ પોતે રચાઈ નથી, એમાંથી બીજી અનેક નાનીમોટી કૃતિઓ ઉદભવી છે. Poems are born." માણસની કૃતિઓ કદાચ એક નહીં થયેલી કૃતિના પ્રકારાન્તો જ હોય.
'પોતાને મૃત્યુએ કેશથી ઝાલ્યો હોય એમ માણસે ધર્મના આચરણમાં મંડી પડવું જોઈએ'- એ વાત મને ઠીક લાગી નથી, - કાળ અનંત હોય એમ સૂક્ષ્મ વસ્તુઓના સેવનમાં માણસે ચાલવું જોઈએ. અમસ્તા 'અખોઃ એક અધ્યન'ને અને 'કલાન્ત કવિ'ને દુરસ્ત કરતાં-કરતાં છપાવવા અનુક્રમે બાર અને ચૌદ વરસ લાગ્યાં. 'શાકુન્તલ'નો અનુવાદ કરી બેઠો, પણ ગીતિઓ આર્યાઓ બરોબર કરીને મારાથી શક્ય એવી શ્રદ્ધેય આવૃત્તિ (ત્રીજી) આ વરસના કામને પરિણામે આપી શકાશે, અનુવાદની પ્રથમ હસ્તપ્રત કર્યા પછી છત્રીસ વરસે. 'સપ્તપદી'ની સાત કૃતિઓએ પચીસ વરસ ભલે લીધાં. સર્જનયાત્રામાં સહજપણે નવાનવા આરંભો થયે જ ગયા છે. 'ધારાવસ્ત્ર' પછી કંશુક નવતર ન થઈ બેસે તો જ નવાઈ. ઉત્સાહ હજુ શિખાઉનો છે.
મને કવિતા, રાજકારણ (જાહેર બાબતો- 'પબ્લિક એફેર્સ'ના વિશાળ અર્થમાં) અને ધર્મ એકંદરે જુદાં જણાયાં નથી. (સાબરમતી જેલની પેલી કેન્દ્રિય અનુભૂતિએ ચીંધેલી રચનામાં ત્રણે અનુસ્યૂત છે.) કવિધર્મ, સમાજધર્મ, આત્મધર્મ તત્વતઃ એકરૂપ સમજાય છે. એક જ પસંદ કરવાનો પ્રસંગ આવે તો આત્મધર્મને પ્રાધાન્ય મળે, જોકે કાઠું તો કવિધર્મ અનુસરનારાનું ઘડાઈ ગયું તે ઘડાઈ ગયું. દરેકમાં એના સંસારથી ચેતવાનું. સામયિકનું સંપાદન પોતે થઈને માથે વહોર્યું એટલે તો સંસાર ન રચી બેસાય એ ખાસ સંભાળવાનું. કોઈ શાળામાં ન પેઠા, રખે શાળા સ્થાપી બેસાય. કવિતાના સંસારથી બચવાનું ઓછું મહત્વનું નહીં. 'છિન્નભિન્ન છું'-રચના દ્વારા નવો દિશાવળાંક આંકીને, પહેલી અને છેલ્લી વાર, જવાબ અને તે પણ આપણા એક ઉત્તમ કાવ્યમર્મજ્ઞને આપવામાં ઊતરી, ધર્મ અને રાજકારણના સંસારમાં ન સપડાઈએ તો કવિતાના સંસારમાં શા માટે - એમ કેવળ રચના કરતા રહેવા ઉપર જે શક્તિ હોય તે કેન્દ્રિત કરવાનું વલણ રહ્યું. છેવટે તો રચના જ મહત્વની છે. આમે લખવાનો સમય ઓછો રહે છે. એથી બીજી રીતે -કહો કે આખા સમયના- લેખક થવાનું ભાગ્યે જ પસંદ કરું. એ રીતે લેખક થઈ શકાય એમ મારા પૂરતું તો માની પણ ન શકું. સર્જક-રચના કરતો ભાગ્યે જ પકડાઉં. જરૂર છે તે તો એક જાતની નિરંતર સંપ્રજ્ઞતા (awareness)ની અને તેમાંથી કવિસંવિદ નીપજે તો તેને પહોંચી વળે એટલો, શ્રમ કરવાની ફાવટની, તેમ જ કૃતિના પ્રાણરૂપ સૂરની - જે તો કયે બિંદુએ રહીને રચના કરીએ છીએ તેની ઉપર આધાર રાખશો.
શબ્દ એક એવો ઘોડો છે જે જરીકમાં પાડી નાખે. ઘણી વાર પ્રશ્ન થાય કે શબ્દ સાથે ક્યાં પનારું પડ્યું. આના કરતાં, કહો કે, સુથાર થયા હોત તો કેવું! પણ પછી થાય છે કે ખુરશીના પાયા બરોબર ન કર્યા હોય તો ગ્રાહક આવીને આપણા માથામાં મારે તો એને એવો અધિકાર હોઈ શકે. વિવેચકો (મારો પેલો નાનપણનો મિત્ર સુધ્ધાં) છેવટે તો અહિંસક છે. રચનાકારે પોતે જ શબ્દને -શબ્દલયને વફાદારીપૂર્વક એના યોગ્યતમ સ્વરૂપે સ્થાપવો રહ્યો. જમાનાના આશીર્વાદરૂપે જે અનેકવિધ ઉત્તમ કવિતાનો ભાવક તરીકે આનંદ મેળવ્યો છે તેણે ભીતર સર્જકના કાનમાં એટલું અવશ્ય કહ્યું છે : જોજે હોં, તને વાંચવા પ્રેરાય તેની તારે હાથે વંચના ના થાય.
ચાલો મન, વિશ્વશાંતિના એ નિરંતર આકર્ષતા 'પ્રકાશના ધોધ અમોઘ ઝીલતી ધપે ધરા...' એ રોમહર્ષણ કલ્પનાચિત્રને યથાર્થપણે સાક્ષાત્કરવા.

જુલાઈ 21-24, 1984, અમદાવાદ.
(‘સર્જકની આંતરકથા’માંથી.)


કેળવણી? એ વળી શું?

આજે આપણે બધા હૈયાવરાળ કાઢતા હોઈએ છીએ કે જુઓ તો આપણો સમાજ કેવો થઈ ગયો છે? બધે પૈસાની બોલબાલા છે, સંસ્કાર નામની કોઈ ચીજ જ નથી રહી; માન, સન્માન, લજ્જા, શરમ શેનીય કોઈને પરવા નથી. ખોટાં કાર્યો, જૂઠ્ઠું બોલવું, ચોરી, લૂંટફાટ, વ્યભિચાર, બળાત્કાર, આ બધું વધતું જ જાય છે. છાપાંઓ ભરી ભરીને આ જ બધું આવે છે, ખરેખર કળિયુગ આવી ગયો છે. બધા પોતાનામાં જ મસ્ત છે સમાજ કે દેશની કોઈને પડી નથી. આ થવાનું કારણ ખરેખર તો આપણી ખામીયુક્ત શિક્ષણ વ્યવસ્થા છે. કહેવાય છે ને કે કૂવામાં હોય તો જ હવાડામાં આવે! અને આપણા સંસ્કાર ઘડતરના પાયામાં જ દુષણો રહેલાં છે.
"આપણી શિક્ષણ વ્યવસ્થાએ આપણને બૌદ્ધિક ગુલામીમાંથી હજુ મુક્ત નથી કર્યાં. સારાં ભવિષ્યના નિર્માણ માટે નાનપણથી જ જે વાતાવરણ, જે કેળવણી બાળકને મળવી જોઈએ તેને બદલે બાળકના શિક્ષણની શરૂઆત ડોનેશન આપીને થાય છે. શિક્ષણના વ્યવસાયીકરણની સાથોસાથ, બાળકોમાં મૂલ્યોનો હ્રાસ થતો જાય છે. બાળક મૂલ્યોને બદલે પૈસાને વધારે મહત્વ અપાતું જુએ છે અને એ જ શીખે છે અને ધીમે ધીમે પોતાની જ સંસ્કૃતિનાં મૂળિયાંથી છૂટું પડતું જાય છે. ગમે તેમ કરીને સારા માર્ક્સ મેળવવાની દોડમાં બાળક ખોટા રસ્તે ફંટાઈ જાય છે અને સારા-નરસાંનો વિવેક ભૂલી જાય છે.
આપણને જો સારો સમાજ જોઈતો હોય તો સારી કેળવણીની જરૂર છે કે જેના વડે ચારિત્રનું ઘડતર થાય, મનની વિચારવાની શક્તિમાં વધારો થાય, બુદ્ધિનો વિકાસ થાય, સ્વ નિર્ભર બનતાં શીખીએ. કેળવણીનો ખરો ઉદ્દેશ્ય મનુષ્યને ખરા મનુષ્ય બનાવવાનો જ હોવો જોઈએ, નહીં કે આર્થિક ઊડાન અને પરદેશગમનનાં સપનાં દેખાડી માનસિક અધઃપતનનો.
આજના સમયમાં સાચી કેળવણી એક લડત છે, જો આ લડતમાં શિક્ષકો પોતાનું મનોબળ તોડી નાખશે તો આ કેળવણી ‘એક પૈડાના રથ’ જેવી થઈ જશે. અજ્ઞાન સામે, અન્યાય સામે, અનાચાર સામે પ્રખર યુદ્ધ કરવું જ પડશે। હાલના સમાજનાં દૂષણોને દૂર કરવા, એ કપરું કાર્ય છે, તેને માટે ખૂબ ધીરજ જરૂરી છે. આ ધીરજ શિક્ષકો પાસે છે. તેઓ હોંશિયાર, નબળા, શાંત, તોફાની - બધા જ પ્રકારના વિદ્યાર્થીઓને - તેઓની જરૂરિયાત પ્રમાણે સાંભળતા, સમજાવતા ,સાચવતા હોય છે. આ શિક્ષકો જ સમાજનું નિર્માણ કરે છે. બાળકમાં ચરિત્રનું નિર્માણ કરવું, તેનામાં નીડરતા, પરોપકાર, નિરાભિમાન અને સર્જનશીલતા ખીલાવવાં એ જ શિક્ષકનું ધ્યેય છે. આ માટે આપણી કેળવણી બાળકને સારો માનવ બને એ લક્ષમાં રાખીને બનાવવી જોઈએ.
અભ્યાસક્રમ એ રીતનો બનવો જોઈએ કે સમાજની બદલાતી જરૂરિયાતોને એ સંતોષે, રોજીરોટી માટે એ જ્ઞાન પૂરું પાડે અને આવડતની સાથે નૈતિક મૂલ્યો પણ આપે, એને બદલે આજના શિક્ષણમાં વધારે ગુણ મળે તેની પાછળની દોટ, અથવા જેમાં પૈસા વધારે ચૂકવવાના હોય તે સારું એ માનસિકતા જોવા મળે છે. વિદેશી ભાષામાં વધારે ગુણ મળે છે, પૈસા વધારે મળશે એવી લાલચ દેખાય તો આપણે માતૃભાષાને પણ જાકારો આપી દઈએ છીએ. શિક્ષણને એક ધંધો બનાવી દીધો છે, જેમાં ઘણા ખરા પૈસાના જોરે, ભવિષ્યના સમાજની પરવા ન કરવાવાળા ઘુસી ગયા છે. અને તેઓએ આજનું શિક્ષણ મૂલ્યરહિત અને પૈસાલક્ષી બનાવી દીધું છે.મસમોટી મોટી ફી ભરે, ટ્યુશનમાં જાય, 90/95 ટકા લાવે એ હોશિયાર. વિદેશી ભાષામાં પરાયા વિચારોને ગોખીને ત્રણ કલાકમાં તેની ઉલ્ટી કરી નાખવી એજ આજનું ભણતર એમજ ને... તો શિક્ષાની ઉપલબ્ધિ ક્યાં લાંબી ટકી , આ તો બધું ઉપરછલ્લુંજ ને...
જેમ ન્યાયખાતા પર રાજ્યકર્તાઓનો અંકુશ ઓછામાં ઓછો
હોય, તો ન્યાયખાતું વધારે સારું અને પારદર્શક રહી શકે તેમ, આપણી બગડેલી શિક્ષણ વ્યવસ્થાને સુધારવા,આપણી કેળવણીની નીતિ ઘડનારા પણ રાજકીય નિયંત્રણથી પર
હોવા જોઈએ અને તેઓ સામાજિક દુષણો, તેના કારણો, અને તે માટેના ઉપાયોથી પરિચિત હોવા જોઈએ. તો જ તેઓ સમયાનુસાર લાંબાગાળાની એવી નીતિ બનાવી શકે જેથી
ધીરે ધીરે સમાજમાં પરિવર્તન લાવી શકાય, સારા સાચાં મૂલ્યો પાછાં પ્રસ્થાપિત કરી શકાય।
છેલ્લાં કેટલાય વર્ષોથી આપણી કેળવણીમાં જીવનમૂલ્યોની ફક્ત વાતો જ થઈ છે; પણ તે ખરા અર્થમાં અસ્તિત્વમાં નથી આવી, તેથી જ કેળવણી પાછળ પૈસાનો અને બાળકોના બાળપણનો મોટો ભોગ અપાય છતાંય સમાજ સાચી કેળવણી શું છે એમાં રસ લેતો નથી થયો. કાકા કાલેલકરના શબ્દોમાં કહીએ તો "આપણી પ્રજા એ સમજવું જોઈએ કે જ્યાં
ધર્મસુધારા સફળ નથી થતા, જ્યાં સ્મૃતિઓ કામ નથી કરતી, જ્યાં ઔદ્યોગિક હિલચાલ પંગુ નીવડે છે, જ્યાં સામાજિક સુધારા નિષ્પ્રાણ છે અને જ્યાં રાજદ્વારી હિલચાલ પણ થાકી જાય છે ત્યાં આખરે કેળવણી જ મદદગાર પૂરવાર થાય છે.
કેળવણી જ સમાજને સાવધ કરી સાચી દિશા દેખાડી શકે છે.
આપણે આપણા સમાજને બચાવવું હશે તો જીવનમૂલ્યોનું જતન થાય એવી કેળવણી પર જોર દેવું પડશે,જેની પગદંડી આપણા બાળકોથી શરૂ કરીએ, કારણકે બાળકોજ
આપણું સાચું ભવિષ્ય છે, આપણો ભવિષ્યનો સમાજ છે. માટે બાળકોને કેળવશું તો આપોઆપ પરિવાર સમાજ અને દેશ કેળવાશે।
સમાજની મોટામાં મોટી સંપત્તિ બાળકો છે, બાળકોના સર્વાંગી વિકાસ માટે જીવનમૂલ્યો એ જ સાચું પોષણ છે.બાળકનો સર્વાંગી વિકાસ એટલે ... જો તેના અંતરમાં દેશનો
આદર્શ નાગરિક બનીને પોતે સુખી અને બીજાને સુખી કરવાનો ઉમંગ જાગી જાય તો તે જ બાળકનો સર્વાંગી વિકાસ કહેવાય. માટે સારી કેળવણી એ બાળકના સર્વાંગી વિકાસલક્ષી હોવી જોઈએ જે માતૃભાષામાં શ્રેષ્ઠ રીતે આપી શકાય.

- મુંબઈ ગુજરાતી સંગઠન