જીવન, મૃત્યુ અને વેળાસ ! – તુમુલ બુચ

વેળાસ મહારાષ્ટ્રમાં દરિયાકાંઠે આવેલી એક એવી જગ્યા છે જે (+મોબાઈલ) નેટવર્કના અભાવે બાકીના વિશ્વથી અલિપ્ત રહેવા પામી છે. શહેરની રોજિંદી જિંદગીમાં એક પછી બીજા પછી ત્રીજા પછી ત્રણસોમાં ને ત્રણ કરોડમાં એમ નિરંતર ચાલ્યાં જ કરતા કામના સમુદ્રમાં ગળાડૂબ હોઉં ને (-એવામાં)ત્યારે ક્યારેક વેળાસનો કિનારો દેખાઈ જાય અને ત્યાં જવાનું મન થઇ જાય, પણ દર વખતે ત્યાં જવાનું શક્ય ન થાય. આ વખતે તો નક્કી જ કર્યું'તું કે જાવું જ છે, ચાહે કુછ હો જાયે ! અગાઉ બે વાર હું આ જગ્યાએ (-ગયો) જઈ આવ્યો છું અને બંને વખતે થયેલા અનુભવોએ મને લખવા માટે મજબુર કર્યો છે. એક જ જગ્યાએ ત્રીજી વખત જઈને આવ્યા પછી પણ લખી શકાય અને લખવું જ પડશે એવું મેં નહોતું ધાર્યું. એવું શું હતું કે જેણે મને આ લખવા માટે ધકેલ્યો એ કહું એની પહેલા વેળાસ વિશે થોડું...
આ નાનકડું તટવર્તી ગામ કાચબા જન્મ માટે પ્રખ્યાત છે. ભારતના પશ્ચિમ તટ પર ઈંડું મુકવા આવતી માદા કાચબીઓમાંની એંશી ટકા માત્ર આ ગામમાં આવે છે. ઈંડામાંથી નીકળતા નાનકડા બાળ કાચબાઓ પોતાનું પહેલું ડગલું સમુદ્ર તરફ માંડે એ નજારો જોવા અનેક લોકો અહીં ઉમટી આવે છે. દર વર્ષે અહીથી બે-ત્રણ હજાર નવજાત કાચબાઓને સમુદ્રમાં છોડવામાં આવે છે. ઈંડા મુકીને ચાલી (-જતી)ગયેલી માદાની પાછળ ઈંડાને કઈ નુકસાન ન પહોચે તે જોવાની જવાબદારી ગામવાળાઓએ લીધી છે. વિલુપ્ત થઇ રહેલા કાચબાઓના સંવર્ધનને વરેલું અને જન્મનો ઉત્સવ મનાવતું આ ગામ છે.
બીજી તરફ, મારો અને આ જગ્યાનો સંબંધ મૃત્યુના નાજુક દોરે બંધાયેલો છે. અમે બીજી વખત ત્યાં ગયેલા ત્યારે ગામમાં બે મૃત્યુ થયાં હતાં. જેમને ત્યાં ઉતર્યા હતા એ ભાઈનું એક અઠવાડિયા અગાઉ જ બહુ નાની વયમાં મૃત્યુ થયું હતું. પહોચ્યાના બીજા દિવસે પણ હજુ એક જણનું મૃત્યુ થયું. પાછા ફરતા પણ રસ્તામાં ઠેકઠેકાણે લોકોની અંતિમ યાત્રા નીકળી રહી હતી. ત્યાં સુધી કે છેલ્લે મુંબઈ પહોંચીને છુટા પડતી વખતે પણ સ્ટેશન પાસે કોઈનું શબ એમ્બ્યુલન્સમાં ગોઠવાઈ રહ્યું હતું. આમ તો, આ બધી ઘટનાઓ વચ્ચે કોઈ જ તાર્કિક સંબંધ નથી છતાં મનનો સ્વભાવ જ એવો કે એ ચાંદામાં પ્રાણીઓ અને તારાઓમાં નક્ષત્ર શોધે રાખે.
આ વાતનાં બે વર્ષ પછી, ફરી ત્યાં જવાનું નક્કી કર્યું. પેલી ઉપરાઉપરી મોત અને વેળાસ વચ્ચે સંબંધની કુશંકા પર અત્યાર સુધીમાં ધૂળ જામી ગઈ હતી. એને ઉડાડવા જવાના ત્રણ દિવસ પહેલા જ ફરી મોતની તલવાર ત્રાટકી. અને આ વખતે એ ખુબ નજીક ત્રાટકી. હું અને મારા જે મિત્રો જવાના હતા એમાંના દરેકને કોઈક ને કોઈક નજીકના વ્યક્તિનું ઉપરાઉપરી મૃત્યુ થયું. એક મૃત્યુને લઈને પ્લાન થોડો પાછો ઠેલ્યો ત્યાં બીજું મૃત્યુ, હજુ પ્લાન પાછો ઠેલ્યો ત્યાં ત્રીજું. અને આ તો માત્ર અમારા સગાઓની વાત. થોડા દૂરના સગા કે પાડોશીઓ કે પછી ત્યાં ન આવનારા મિત્રોના સ્વજનો વગેરેના મૃત્યુના સમાચાર તો નોટીફીકેશન વેગે આવી રહ્યા હતા. અંતે જ્યારે ત્યાં પહોચ્યા અને એ જ ઘરમાં રોકાયા ત્યારે ખબર પડી કે ગયા બે વર્ષોમાં એ ઘરમાં હજુ ચાર વ્યક્તિને મૃત્યુ ગ્રસી ગયું હતું. માણસો ઉપરાંત તેમના બે કૂતરાં અને કેટલીક બિલાડીઓ પણ ખતમ થઇ ગયાં હતાં.

બુદ્ધિ કે તર્ક ગમે એટલા તરફડીયા મારે આ બધાં મૃત્યુ વચ્ચે કોઈ કડી નથી એવું માન્યે રાખવાની, પરંતુ મનની સામે તેનું ખાસ કંઈ ઉકળતું નથી. મન તો એમ ધારવા મથે કે વેળાસના ખાતામાં જરૂર કરતાં વધુ જન્મ નોંધાયા છે એટલે સામે એટલાં મૃત્યુ નોંધવા પડશે, એવું હશે? હવે, એ વાત કે જેણે મને આ લખવા માટે ઉશ્કેર્યો...
વહેલી સવારે કાચબા જન્મ જોઇને અમે વેળાસના દરિયેથી ગામ તરફ આવી રહ્યા હતા. રસ્તામાં એક મંદિર આવે છે. નવાઈની વાત એ કે ત્રણે વખત મળીને કુલ દસ-બાર વખત ત્યાંથી પસાર થયા હોવા છતાં હજુ સુધી એના તરફ મારું ધ્યાન જ નહોતું ગયું. હજુ વધારે નવાઈની વાત એ કે એને જોઇને અચાનક મને એમાં જવાનું મન થઇ આવ્યું. આમાં નવાઈ એ વાતની કે છેલ્લાં દસેક વર્ષમાં કે કદાચ એથી પણ વધુ સમયથી મને કોઈ મંદિરમાં જવાનું મન જ નથી થયું. મારા મિત્રોને પણ આ વાતની નવાઈ લાગી છતાં હું અને જીગર અંદર ગયા. વેળાસના દરિયાની જેમ મંદિરમાં પણ અમારા સિવાય કોઈ નહોતું. આ પ્રદેશના અન્ય કોઈપણ મંદિર જેવું જ એનું માળખું. એક મુખ્ય મંદિર જેમાં શિવલિંગ અને બાજુમાં બીજું મહાલક્ષ્મીનું નાનું મંદિર. બંનેના ઊંચા ગુંબજ, પ્રવેશદ્વાર પર કમાન અને એમાં કરેલી કોતરણી, ગર્ભગૃહમાં પ્રવેશવાનું દ્વાર ખુબ નીચું અને એમાંય પાછો ઓટલો જેથી માણસે પરાણે નીચા નમીને પ્રવેશવું પડે. જીગરે મહાલક્ષ્મીના દર્શન કર્યા, હું કોતરણી જોતો હતો. પછી અમે મુખ્ય મંદિરમાં પ્રવેશ્યાં જ્યાં શિવલિંગની બાજુમાં બે પાટલા પડ્યા હતા. અમે બંને એની ઉપર બાજુબાજુમાં ગોઠવાઈ ગયા. અદભૂત શાંતિ હતી એ જગ્યાએ. આવી જ શાંતિ પાછલી રાતે અંધારામાં દરિયે બેઠા હતા ત્યારે પણ અનુભવાઈ હતી. જો કે એ શાંતિ અને આ શાંતિ જુદી હતી. એ શાંતિ એટલા વિસ્તૃત ફલકમાં પ્રસરેલી હતી કે અમને એનો થોડો જ ભાગ મળતો હતો. એ વ્યગ્ર મનને શાંત કરનારી તો હતી, પણ થોડી ઉદાસ કરી મુકનારી પણ હતી. જ્યારે મંદિરની શાંતિ થોડી ઓછી શાંત હોવા છતાં કેન્દ્રિત કરેલી હતી. વ્યગ્ર મનને માત્ર શાંત નહિ, પણ પ્રફુલ્લિત કરી મૂકનારી હતી. એવામાં જીગરે મંત્રોચ્ચાર શરૂ કર્યો. એ હાથ જોડીને આંખો બંધ કરીને મંત્ર બોલી રહ્યો હતો અને હું એને જોઈ રહ્યો હતો. એણે ઉચ્ચારેલા શ્લોકનો ધ્વનિ ઊંચા ગુંબજને અથડાઈને આખા મંદિરમાં ઘૂમી વળ્યો અને મારા પર કબજો જમાવી રહ્યો હતો. જાણે આદેશ આપી રહ્યો હોય કે ખુલ્લી આંખે નહિ આંખ બંધ કરીને જો. મારી આંખો સાચે જ બંધ થઇ. મને શ્લોકની આ પંક્તિઓ સંભળાઈ.

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्‌।
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्‌॥

કેવો યોગાનુયોગ! મનમાં આટલા સમયથી મૃત્યુના જ વિચારો ઘુમરાઈ રહ્યા હતા અને એમાં જીગર અન્ય કોઈ નહિ પણ મહામૃત્યુંજય મંત્ર બોલી રહ્યો હતો. આ શ્લોકનું મહાત્મ્ય એવું કે એનો જાપ કરનારનું મૃત્યુ પીડારહિત હોય અને એ માણસ જન્મ-મૃત્યુના ફેરામાંથી મોક્ષ પામે. બીજું કઈ નહિ પણ આ શ્લોક સાંભળવાથી મને એવી શાતા વળી કે કેટલાય દિવસોથી મગજમાં ચાલી રહેલા રહેલા મૃત્યુના વિચારોને મોક્ષનો રાહ મળી ગયો. એ મંત્રનું પુનરાવર્તન કરી રહ્યો હતો અને મારામાં એક ભાવની ભરતી ઊઠી રહી હતી, જેનાં ઊલળતાં મોજાં આંખોને કિનારે વસેલા ગામને પૂરેપૂરુ ભીંજવી ગયાં.

કયા કારણથી હું એ મંદિરમાં ખેંચાઈ ગયો અને એ સભર ક્ષણોનો સાક્ષી બન્યો? શું એ માત્ર યોગાનુયોગ હતો કે કોઈ પૂર્વનિર્ધારિત લીલા? શું આ જગ્યાનો અને જન્મ-મૃત્યુનો કોઈ સંબંધ છે? હું નથી જાણતો. કદાચ જાણવા પામીશ પણ નહિ અને જાણવાની ખાસ કોઈ ધગશ પણ નથી. છતાં એટલું જાણું છું કે પ્રવાસ અનેક બારીઓ ઉઘાડી આપતો હોય છે. મૃત્યુ, કે જેનો આકાર ચંદ્રની પાછલી સપાટી જેવો કે બ્રહ્માના ચોથા મુખ જેવો અકળ છે, એને જોવાની પણ એક નવી બારી આ પ્રવાસ મારે માટે ખોલતો ગયો.