ગંગુભઈનું ગામ ગુલાબી

ધોળું નામે એક બટકા ભાઈ. એક વાર એને થયું કે પોતાના જૂના મકાનને રંગરોગાન કરીને વેચી નાખે, પણ એને ખબર નહોતી કે ત્યાં તો બીજું કોઈ રહેવા લાગ્યું હતું.

એનું નામ ગંગુ ગુલાબી!

ગંગુ એક ઘર પાસેથી પસાર થતો હતો. એણે જોયું કે ધોળુ ત્યાં ભૂરો રંગ કરી રહ્યો છે. ગંગુએ એના ડબ્બામાં જોયું. બાપ રે આ શું છે? ગંગુએ તો રંગને જોયો એટલે કશું સમજાયું નહિ. હિંમત કરી એને ચાખી જોયું. બાપ રે આ તો રંગ છે... -પણ આમ કેમ ચાલે મારા ઈલાકામાં કોઈ ભૂરો રંગ કેમ કરે? અહી તો ગંગુ ગુલાબીનું રાજ ચાલે છે તો બધે ગુલાંબી રંગ જ કરવાનો હોય. ધોળુ તો રંગ કરવામાં મશગૂલ ને એવામાં ગંગુ હળવેકથી ભૂરા રંગનો ડબ્બો લઈને એને સ્થાને ગુલાબી રંગ મૂકી ગયો... પડી મજ્જા!

ધોળુ ભાઈ તો પોતાના કામમાં તલ્લીન. જ્યારે રંગ લેવા પાછો પીંછડો રંગમાં બોળ્યો અને દીવાલે ફેરવ્યો તો દીવાલ ગુલાબી થવા લાગી એ જોઈ ધોળુ ગુસ્સે થયો ને આજુબાજુ જોયું. એને સમજાયું કે આ તો ડબ્બો કોઈ બદલી ગયું. કોણે કર્યું આ? એ શોધવા જતાં ધોળુને ખબર પડી કે કોઈકના ભૂરા રંગના પગલા છે, જે એક દરવાજા તરફ જાય છે. દરવાજો ખોલતાં ખુલતો નહોતો. ધોળુભાઈ તો થોડા પાછા ખસ્યા અને જોરથી દરવાજાને ધક્કો મારવા જતા હતા એવામાં જ દરવાજો એની મેળે ખુલી ગયો. ધોળુએ જોયું કે દરવાજા પર જ કોઈકે એના રંગનો ડબ્બો મૂક્યો છે. એણે તો બસ વિચાર્યા વગર હાથમાં રંગ લીધો અને હજી તો કઈ કરે એ પહેલા જ ગંગુએ આવીને દરવાજો એટલા જોરથી ખોલ્યો કે ધોળુ દબાઈને સીધો દીવાલથી જડાઈ ગયો અને ભૂરા રંગનો આખ્ખો ડબ્બો રંગ એના પર ઢોળાઈ ગયો. ઓય રે માડી... આ તો મને આખેઆખું સ્ટીકર બનાવી દીધું. દીવાલ પરથી ધીમે ધીમે સરકતા જતા ધોળુ પાછો એના મૂળભૂત રૂપમાં આવી પટકાયો.

કોણ છે આ જે ધોળુને પડકારે છે? પણ અત્યારે ધોળુને કોઈ દેખાયું જ નહિ. એણે બાંયો ચડાવી, પોતાનો ડબ્બો લઈને દોડી ગયો પોતાનું કામ કરવા... મનમાં ત્રાડુકતો કે હવે જોઉં છું કોણ આડું આવે છે? ધોળુએ તો રંગવા માંડી દીવાલને ભૂરા રંગથી. આ બાજુ ધોળુ ઉપરથી ભૂરો રંગ કરે અને ગંગુ નીચેથી ગુલાબી રંગ રંગતો જાય. છેડે આવીને ધોળુએ નીચે જોયું તો પાછો ગુલાબી રંગ. વિચારે કે આ તો ગડબડ થાય છે ભાઈ. એણે તો માથું નીચું કરી નીચે ભૂરો રંગ કરવા માંડ્યો. પાછો છેડે આવી હાશ કરે છે ત્યાં તો ઉપર ગુલાબી રંગ? હવે તો એને રંગ પર શંકા ગઈ. એણે વધેલો રંગ બહાર ફેંક્યો અને નવા રંગથી બહારનો થાંભલો રંગવા માંડ્યો. આ બાજુ ધોળુ ભૂરો રંગ ઝપટે અને બીજી બાજુએથી રંગ ગુલાબી ચિતરાતો જાય... એકવાર... બેવાર... બંને ગોળ ગોળ ફરી થાક્યા ત્યાં તો ગુલાબી અને ભૂરા રંગની કેન્ડી ઊભી હોય એવા રંગોની સુંદર મજાની ભાત પડી. પણ ધોળુ ગંગુને જોઈ જ ન શક્યો. એ પાછો થાક્યો. ઊભો રહી વિચારે છે કે કોઈક તો છે અહી.

એની નજર અચાનક ગુલાબી રંગના પગલાંની છાપ પર પડી. ધોળુ પગલાનો પીછો કરતો ચાલ્યો તો એને થયું કે આ તો કોઈ ઉંદરનું જ કામ છે. એ જે તરફ આવતો હતો ત્યાં ગંગુ દીવાલને ગુલાબી રંગથી રંગી રહ્યો હતો. ધોળુને જોતાં જ એ દીવાલમાં સ્ટીકરની જેમ ચોંટી ગયો. ગુલાબી દીવાલ અને ગંગુ ગુલાબી – ગંગુ ગુલાબી અને ગુલાબી દીવાલ - કેમ ખબર પડે કોણ શું છે? કોણ ક્યાં છે? ધોળુ ત્યાં ઊભો રહી વિચારતો રહ્યો. પાછો ફરીને જુએ છે તો ગંગુ એને પાછળથી રંગ કરીને જતો રહ્યો હતો. ધોળુને હવે શંકા થઈ આ તો નાનો નહિ, પણ મોટો ઉંદર લાગે છે. એને પકડવા કશુક કરવું જ પડશે. ધોળુ ઉંદર પકડવાનું ટ્રેપ લાવ્યો, પણ એમાં ઉંદર તો ન આવ્યો ને ધોળુભાઈ પોતે જ ફસાઈ પડ્યા. વળી, ટ્રેપ પર મૂકેલી ચીઝ પણ ઉંદર લઈ ગયો.

ધોળુએ બધું છોડી પાછુ રંગવા માંડયું. આ બાજુ ભૂરો દરવાજો કરે ને બીજી બાજુથી ગુલાબી થતો જાય. ભૂરા દાદર રંગે ને નટખટ ગંગુ એના પર ગુલાબી રંગ ઢોળી નાખે. ધોળુએ આખો ઓરડો ભૂરો રંગ્યો તો ગંગુ આવીને ત્યાં ગુલાબી ફુવારો મૂકી ગયો અને આમ ઘર આખું ગુલાબી-ગુલાબી.

હવે ધોળુ ખિજાયો. એક મોટી બંદૂક કાઢી અને દોડ્યો ગંગુ પાછળ. ધાડ-ધાડ ગંગુ આગળ ને ધોળુ પાછળ... ધોળુ માથે ડબ્બો ફેંકી ભાગ્યો અને છેક આવ્યો હવેલી પર જ્યાં ગંગુ સંતાયો હતો. આ હવેલીને ધોળુએ મહામહેનતથી ભૂરી રંગી હતી. છાપરે ચડીને ગંગુએ નીચે પોતાની રાહ જોતા ધોળુને જોયો એટલે એની ખભાને ટેકે રાખેલી બંદૂકનાં નાળચામાં ગુલાબી રંગ નાખી દીધો. હવ ધોળુ જ્યાં પણ ગોળી છોડે ત્યાં બસ ગુલાબી રંગ જ ફેંકાતો જાય... ગંગુભાઈનો પડી ગઈ મજ્જા જ મજ્જા... આખેઆખી હવેલી ગુલાબી રંગાઈ ગઈ. ધોળુએ યુક્તિ કરી. આ ગુલાબી રંગને જ છૂપાવી દઉ તો કેમ થાય? વાંસ પણ ન રહે અને વાંસળી પણ ન વાગે.

ધોળુને આ વિચાર ગમી ગયો. એણે તો ઊંડો ખાડો ખોદ્યો અને બધા જ ગુલાબી રંગનાં ડબ્બા એમાં દાટી દીધા... હાશ! હવે નિરાંત થઈ. ધોળુ ચાલવા માંડ્યો ત્યાં તો આસપાસથી ઘાસ-પાંદડા અને જોતજોતામાં આખેઆખો બગીચો ગુલાબી ઊગી નીકળ્યો. ગંગુ તો આવીને ખૂબ જ ખુશ થયો અને ધોળુનું માથું ચૂમી લીધું. એને શાબાશી આપી. ધોળુએ ઘરબહાર ‘વેચવા માટે’ જે બોર્ડ મૂકેલું, એને પણ ખસેડી દીધું. અંતે,  જતાં-જતાં એણે ગુલાબી પીંછી લીધી અને ધોળુને રંગ લગાવ્યો.... તમે જ કહો એ કયો રંગ હશે?

 

(રૂપાંતર - સમીરા પત્રાવાલા)

***

(આ કથા જે વિડિયો પરથી તૈયાર કરીને સાહિત્યાર્થીઓ સાથે ઉજવાઈ એ વિડિયો માટે ફંગોળાવો અહીં -www.youtube.com/watch?v=59lKdaXX6Eo )

 


સાહિત્યમાં જીવનઃ પ્રસ્તુતતા ખરી, પણ વ્યાપકતા ક્યાં અને કેટલી? - ધ્રુવ ભટ્ટ

આ તબક્કે પણ મને પાક્કો ખ્યાલ નથી આવતો કે જીવન અને સાહિત્ય વચ્ચેનો સંબંધ ચોક્કસપણે શો છે? કેવો છે? અને કેટલો છે? પહેલાં હું વાંચતો ત્યારે મને જે થતું તે પરથી હું એવું માનતો કે સાહિત્યની લોકોના જીવન પર અને સામાજિક પરિસ્થિતિ પર ઘણી અસર થાય છે, પણ પછી હું લખવા માંડ્યો તો બહુ નિરાશ થયો છું.

અંગત વાત કરું, 'તત્વમસિ'ને મળેલો દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ લેવા ગયો. 2002નું વર્ષ. ત્યારે મેં એવોર્ડ સ્વીકારતા કહ્યું હતું કે, ‘મારા કાર્યને આ એવોર્ડ આપવામાં આવ્યો છે એટલે હું એ લઈ જાઉં છું, પણ આ પુરસ્કારને હું ઘરમાં પ્રદર્શિત નહીં કરી શકું, મારે એને પેટીમાં છૂપાવીને મૂકી દેવો પડશે. કારણ કે સાહિત્ય અને જીવન વચ્ચેના સંબંધ પરથી વિશ્વાસ ઊઠી જાય એવી બિનાઓ ગુજરાતમાં બની છે.’

જ્યારે બીજી તરફ, આનાથી સાવ ઊંધું પણ અનુભવાયું છે. ઘણા બધા ભાવકોના ફોન-મેસેજ-મેઈલ-પત્રો આવતા રહે છે, સંવેદનશીલ પ્રતિભાવો મળતા રહે છે. ‘સમુદ્રાન્તિકે’ વિશે “મને જીવવા માટે નવું બળ મળ્યું તેવું કહેતા ઘણાં પ્રતિભાવો મળ્યા”. બીજી એક વાત, 2001ના કચ્છભૂકંપ સમયની છે. રોયલ્ટીની બહુ મોટી રકમનો ચેક ઘરે આવી ગયો, મને થયું કંઈક ભૂલ થઈ લાગે છે. તપાસ કરી તો જાણવા મળ્યું કે કોઈ ભાઈએ ‘સમુદ્રાન્તિકે’ની સામટી 7૦૦૦ નકલ ભૂકંપ પીડિતોમાં વહેંચી છે, જેથી લોકો એ વાંચીને પોતાની હામ ટકાવી રાખે. મહારાષ્ટ્રના ચંદ્રપુરના એક 84 વર્ષી વડીલે ‘તત્વમસિ’નો મરાઠી અનુવાદ વાંચીને મને લખી જણાવ્યું હતું કે, પોતે તો આજ સુધી નર્મદા જોઈ નથી શક્યા, પણ એમના અસ્થિવિસર્જન નર્મદામાં જ કરવા ઈચ્છે છે.

આ રીતે, વિચારતાં લાગે કે, એકાદ-બે પ્રસંગો એવા બને છે કે જે સાહિત્યના જીવન સાથે ઘનિષ્ઠ અને જીવંત સંબંધ ઉજાગર કરતા લાગે ! પણ આખા સમાજ પર સાહિત્યની વ્યાપક અસરને ધ્યાનમાં લઉં, ત્યારે હું સ્પષ્ટ નથી થઈ શકતો.

જોકે હા, સાહિત્યસર્જનને તો જીવન સાથે સીધો જ સંબંધ છે. મારા સાહિત્યમાં તો એવું છે કે જે લખાયું છે એ મારા જીવાતા જીવન દરમિયાન મને મળ્યું છે. મેં જે જોયું, તળના લોકો પાસેથી જે મેળવ્યું, એ બધું સીધી લીટીમાં સાહિત્ય થઈ અવતર્યું. સમુદ્રાન્તિકે, તત્વમસિ, અકૂપાર, તિમિરપંથી વગેરે નવલકથાઓ જોયેલા-જાણેલા-અનુભવેલા પ્રસંગો પરથી જ સીધેસીધી લખાઈ છે. અને હા, જીવનના આ પ્રસંગો-અનુભવો-અનુભૂતિઓને એકતાંતણે બાંધવાનું વાર્તા કહેવાની કળા દ્વારા સિદ્ધ થાય છે.

મારા પર વાંચનની જે અસર રહી છે તે જોતાં લાગે છે કે, આજના જીવનમાં સાહિત્યની પ્રસ્તુતતા ઘણી છે, પરંતુ સાથે સાથે એમ પણ લાગે છે કે આજનું સાહિત્ય બહોળી સામાજિક અસર કરી શકવા સમર્થ નથી. હા એવું નથી બનતું-નથી સર્જાતું.

ઉદાહરણ તરીકે, દેશના ભાગલા વખતે પંજાબ સરહદેથી આવતા-જતા હિજરતીઓમાં હિંસાનું પ્રમાણ ઊંચું હતું, જ્યારે સિંધ સરહદેથી આવતા કે જતા માણસોમાં તેવા બનાવોનું પ્રમાણ નગણ્ય રહેલું. આવું થવા પાછળનાં કારણો ઈતિહાસકારો તપાસે તો સમજાય કે એક મહત્વનું કારણ તે સિંધ-કચ્છ અને આસપાસના પ્રદેશોમાં ફેલાયેલી સૂફી વિચારધારાની અસર હતી. ત્યાં ભિન્ન ધર્મના લોકો પણ એક સાથે રહી, સુમેળભર્યુ જીવન જીવી શકે તેવાં સાહિત્ય, ભજનો અને વાતો થતી રહેતી. ત્યાંની એ એકતા સાહિત્ય-કલાથી પોષણ પામેલી હતી. બન્ને કૌમના પીર-દેવતા એક હોય એવાં ઘણાં સ્થાનકો ત્યાં હતાં અને હજી છે !

આજનું સાહિત્ય એવી પ્રબળ અસર સરજી નથી શકતું તેનું કારણ શું તે હું નથી જાણતો, પણ જો એવી વ્યાપક અસર પાડવા સક્ષમ સાહિત્ય આજે સર્જાય, તો લોકો એને વાંચે જ નહીં, એવું બનવાની શક્યતા હું નથી જોતો. કારણ કે આજે પણ લોકો વાંચે છે અને વિચારે છે. પહેલાં હું એમ માનતો કે લોકોને વાંચવું નથી, પણ એવું નથી. હકીકતમાં લોકો બહુ જ વાંચે છે ને આજના યુવાનો પણ વાચનપ્રેમી છે. ભાષા જુદી હોઈ શકે, ગુજરાતી-અંગ્રેજી કે બીજી કોઈ, પોતે જાણતા હોય એ ભાષામાં, પણ લોકો વાંચે છે.

જેમ જીવનના અનુભવો પરથી લખવાનું થયું છે એમ લખવાને લીધે જીવન ઘડાયું હોય એવું પણ બન્યું છે. સમુદ્રાન્તિકેમાં ‘એકલીયા હનુમાનની વિદેશી સાધ્વી’નો એક પ્રસંગ છે, એની મારા પર એવી તો ઊંડી અસર થઈ છે કે, ‘ચોરી એ ખરેખર ચોરી છે જ નહીં.’ એ વાત હજી પણ મારી કથાઓમાં પુનરાવર્તન પામ્યા કરે છે.

સાહિત્યને લીધે બીજી એક અસર ચોક્કસપણે થાય છે તે એ કે જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ પ્રભાવિત થાય છે. જીવવાની રીતને જુદી રીતે જોવાની ટેવ પડે છે. અગાઉ કહ્યું તેમ, લોકાભિમુખ સાહિત્યની વાચકોના જીવન પર પણ અસર પડે છે.

મને મળતા પ્રતિભાવો પરથી આ બધું કહું છું. મારા વાચકોમાં નવમા ધોરણના વિદ્યાર્થીઓથી માંડી વયોવૃદ્ધ સુધીના છે. પત્રો, ઇ-મેઇલ, ફોનકોલ કે વ્હોટ્સએપ દ્વારા મને સતત એમના પ્રતિભાવો મળ્યા કરે છે. અમુક વાચકો તો આપણને નવાઈ લાગે એવું એવું કરે છે. અકૂપાર વાંચીને કેટલાક લોકોએ ટીશર્ટ પર ‘ખમ્મા ગયરને’ છપાવ્યું છે. ગીરનાં જંગલોમાં ફરવા જનારા લોકોની ત્યાંનું વાતાવરણ જોવાની દ્રષ્ટિ બદલવામાં પણ અકૂપાર નિમિત્ત બની છે. ‘તિમિરપંથી’ની એક બહેન પર એટલી બધી અસર થઈ કે એમને પોતાના જન્મ-કૂળ પર રંજ થઈ આવ્યો, અને પાછાં એ કોઈ લાગણીશીલ તરુણી નહોતાં, ૬૦-૭૦ વર્ષનાં, શિક્ષિત બહેન હતાં. જોકે આવી ઘટનાનો યશ લેખક કરતાં વધુ તો વાચકને થયેલી અનુભૂતિને અને તેની જીવંત સંવેદનાઓને હોય.

ટૂંકમાં, સાહિત્યની વ્યાપક અસર ઝીલનારા લોકોની સંખ્યા તો ઘણી મોટી છે એ પૂરવાર થયું છે, પણ સમાજમાં એવા સરેરાશ લોકો કેટલા કે એમની ટકાવારી કેટલી? એ નક્કી કરવું મુશ્કેલ છે.

સાહિત્યવાચનનો સવાલ છે ત્યાં સુધી હું માનું છું કે આવનારી પેઢીઓ પણ વાંચશે તો ખરી. કદાચ હવે પુસ્તકોને બદલે ઈ-બૂક વંચાશે કે કંઈક નવું શોધાશે. નવી પેઢીને કયા માધ્યમથી સાહિત્ય આપવામાં આવે છે એ બાબત પર ઘણો મોટો આધાર છે. એમને પસંદ પડે એવી સામગ્રી હોય તો તે જરૂર વાચશે. કેમ ન વાચે? વાચન, માનવીની મૂળભૂત જરૂરિયાતોમાંની એક બની ગઈ હોય એવું લાગે છે. સાતમા ધોરણમાં ભણતી મારી પૌત્રી આયાંએ ઘરમાં જ લાઇબ્રેરી શરૂ કરી છે. એની સાથે ભણતા પાંચમા-છટ્ઠા-સાતમા ધોરણના વિદ્યાર્થીઓ પુસ્તકો બદલાવવા આવે. પુસ્તકો વંચાઈ જાય તો કહે કે, ‘બીજાં પુસ્તકો લાવી દો, આ બધાં તો વાંચી લીધાં.’ એ પુસ્તકો એ બાળકો જેવાં જ હોય. અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં ઉપર-નીચે લખ્યું હોય એવી દ્વી-ભાષી-ડ્યુઅલ લેન્ગવેજની ચોપડીઓ પણ એ બાળકો માટે ત્યાં રાખી છે. જ્યારે થોડાં મોટાં બાળકો નવલકથા ને ચિંતન લેખોનાં પુસ્તકો પણ વાંચે, ઘરે મમ્મી માટે પણ લઈ જાય. આ બધા પ્રત્યક્ષ અનુભવો સાહિત્યની જીવંતતાના પૂરાવા આપે છે. એના પરથી કહી શકું છું કે આવનારાં વર્ષોમાં પણ લોકો સાવ નહીં વાંચે એવું તો નહીં બને, હા, આધુનિક માધ્યમો વધી ગયા છે એટલે મોબાઈલસ્ક્રીન પરના વાંચન પછી બીજું વાંચવાનો સમય ન રહે એવું થાય, પણ એનો અર્થ સાહિત્ય-વાંચન બંધ થઈ જશે એવો નથી.

(ચર્ચા- તુમુલ બુચ)

***


[અનુવાદ] એક મૂરખ - ફ્રેડરિક નિત્શે

શું તમે કદી એ મૂરખ વિશે નથી સાંભળ્યું? જે પ્રભાતના ઊજળા પહોરમાં પણ ફાનસ સળગાવીને ઊભી બજારે રાડો નાખતો ફરે છે કે ‘હું ઈશ્વરને શોધી રહ્યો છું... હું ઈશ્વરને શોધી રહ્યો છું...’ બજારમાં તો ઈશ્વરમાં ન માનનારા લોકો પણ હોય, જેમના માટે તો આ મૂરખ મશ્કરીનું માધ્યમ જાણે! એક પૂછે: ‘કેમ? તારો ઈશ્વર ખોવાઈ ગયો છે?’ બીજોઃ ‘કે એ નાના બાળકની જેમ માર્ગ ભટકી ગયો છે?’ ત્રીજોઃ ‘કે પછી એ બધાથી છુપાતો ફરે છે? શું એ આપણા બધાથી ગભરાય છે?’ ચોથોઃ ‘શું એ કોઈ મહાન સમુદ્રી સફરમાં નીકળી પડ્યો છે?’ પાંચમોઃ ‘કે એ પરદેશ સ્થળાંતરિત થઈ ગયો છે?’

આમ મૂર્ખ પર હાસ્યની છોળો ઊડતી રહી, પણ ટોળાની વચ્ચે કૂદી પડી, સહુને અચંબિત કરી નાખતી નજરે તાકીને એ ચીસ પાડી બોલ્યોઃ “આખરે ક્યાં છે ઈશ્વર? હું સાચ્ચેસાચ્ચું કહું તમને બધાને? કહું? આપણે એની હત્યા કરી નાખી છે, તમે અને મેં! આપણે સહુ ઈશ્વરના હત્યારા છીએ, તમે અને હું! પણ આશ્ચર્ય છે કે આપણે આ ચમત્કાર કેવી રીતે સર્જ્યો? આપણે કેવી રીતે દરિયો પી ગયા? આખી ક્ષિતિજરેખાને લૂછી નાખે એવું લુછણિયું આપણને કોણે આપ્યું? આ પૃથ્વીને એના સૂર્યથી જુદી પાડી દેવા આપણે શો કરતબ કર્યો? હવે આ પૃથ્વી ક્યાં પ્રદક્ષિણા કરી રહી છે? ક્યાં જઈ રહી છે? આપણે ક્યાં જઈ રહ્યા છીએ હવે? બધા જ સૂર્યોથી દૂર? શું આપણે સતત માત્ર નાસભાગ નથી કરી રહ્યા? આગળ, પાછળ, આસપાસ બધેય, બધી જ દિશામાં બસ દોડાદોડ? શું હજીયે ઉપર અને નીચે એવા ભેદ છે? શું આપણે માત્ર અસીમ ખાલીપામાં રખડી નથી રહ્યા? શું આપણા માથે શૂન્યતા ઉચ્છવાસ નથી છોડી રહી? હવે શું એ વધારે શૂન્યવત્ નથી અનુભવાઈ રહી? હવે શું (એક રાત-એક દિવસના સ્થાને) એક અંધારી રાત પછી એનાથી વધારે અંધારી રાત ને એમ વધારેને વધારે અંધારી રાતોનું જ ચક્ર નથી ચાલી રહ્યું? શું ખરેખર આપણે બધાએ દિવસના પ્રકાશમાં પણ ફાનસો સળગાવવાની જરૂર નથી? શું આપણને ખરેખર હજી કબર ખોદી ઈશ્વરને દાટી રહેલા ડાઘુઓનો અવાજ નથી સંભળાઈ રહ્યો? શું હજી આપણને કોઈ ઈશ્વરીય સડાની ગંધ નથી અકળાવી રહી? કારણ કે ઈશ્વરો સુદ્ધાં સડી જાય છે. ઈશ્વર મૃત્યુ પામ્યો છે. હવે ઈશ્વર માત્ર મૃત સ્વરૂપે જ વધ્યો છે, કારણ કે આપણે એને મારી નાખ્યો છે. આપણે હવે આપણી જાતને દિલાસો પણ શો આપીએ? હત્યારાઓમાં આપણે સૌથી મોટા હત્યારા થયા છીએ. આ જગતે જાણેલા સૌથી પવિત્ર ને શક્તિશાળી તત્વને આપણે આપણા ચાકુઓથી મોતને ઘાટ ઊતારી દીધું. હવે આપણા પર વળગેલા આ લોહીના ડાઘ કોણ લૂછશે? આપણા આ લાંછનને ધોવા આપણા પાસે કયું દિવ્ય જળ છે હવે? એ માટે આપણે હવે કેવા શોકોત્સવ કે પવિત્ર ક્રીડાની શોધ કરવી પડશે? શું આપણા આ કૃત્યની વિરાટતા આપણા માટે વધારે પડતી વિરાટ નથી? તો શું હવે આ પ્રચંડ કૃત્ય આપણે જ કર્યું છે એ સાબિત કરતા રહેવા આપણે પણ પ્રચંડ નહીં થઈ જવું પડે? શું હવે આપણે જ ઈશ્વર નહીં બની જવું પડે? આનાથી મોટી કોઈ ઘટના આજ સુધી ઘટી નથી. આપણા પછી હવે જે કોઈ આ જગતમાં જન્મશે એ આ ઘટનાને કારણે અત્યાર સુધીના તમામ ઈતિહાસો કરતાં ઊંચા દરજ્જાના ઈતિહાસના ગણાશે...” આટલું બોલી મૂર્ખ બોલતો અટક્યો. એણે એના શ્રોતાઓ ઉપર એક દ્રષ્ટિ ફેરવી. સહુ એને આશ્ચર્યભરી નજરે ચુપચાપ તાકી રહ્યા હતા. મૂર્ખે એનું ફાનસ જમીન પર છોડી દીધું. ફાનસ પછડાતાં જ તૂટ્યું ને બુઝાઈ ગયું. પછી એ ફરી બોલ્યોઃ ‘હું બહુ જલદી આવી ગયો છું. હજી મારો સમય નથી થયો. આ રાક્ષસી ઘટના હજી તો એના માર્ગમાં છે. હજી એ પ્રવાસ કરી રહી છે. હજી એ મનુષ્યના કાન સુધી નથી પહોંચી. વીજળીના ચમકારા અને મેઘગર્જનાને સમય લાગે છે. સિતારાના પ્રકાશને સમય લાગે છે. મહાઘટનાઓને સમય લાગે છે, એ ઘટી ગયા બાદ પણ, એને જોઈ શકવા ને સાંભળી શકવા માટે ઘણો સમય લાગે છે. આ ઘટના તો સૌથી દૂરસુદૂરના સિતારા કરતાં પણ ઘણી દૂરની છે, છતાં એ પાર પડી છે.’

આ પછી નોંધાયું છે કે એ મૂર્ખ એ જ દિવસે અનેક દેવળોમાં પણ ગયો અને ત્યાં પણ એ ઈશ્વર માટેનાં એનાં આવાં મરશિયાં ગાતો રહ્યો. બધેથી એને તગેડી મૂકાયો, પણ જ્યારે-જ્યારે એને એના બબડાટનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે એણે કહ્યું, ‘હવે આ બધાં દેવળો પણ આખરે શું છે? સિવાય કે ઈશ્વરની કબરો ને પાળિયા...’

(ભાવાનુવાદ - સુનીલ મેવાડા)

***


ગૃહ’ યુદ્ધ - નીરજ કંસારા

આખા દિવસના ભણતરથી કંટાળેલા ચિન્ટુને હવે ઘરે આવીને લેશન કરવાનો કંટાળો આવતો હતો. પરંતુ મમ્મી સામે તેની એક પણ દલીલ ન ચાલી. અંતે તેણે બળવો પોકાર્યો અને પોતાના હાથમાં રહેલાં પુસ્તકો હવામાં ઉડાડી દીધાં. ધોળા કબૂતરની માફક ચોપડાઓ ઉડ્યાં. ચિન્ટુનો આ વિદ્રોહ રોજનો હતો. બાલીશ વિરોધપક્ષ જેવું તેનું મન ક્યારેય પણ એક સમાધાનથી સંતુષ્ટ હતું જ નહીં. ચિન્ટુના વિદ્રોહે મમ્મીનો પારો ચઢાવ્યો અને રસોડામાંથી બેલેસ્ટિક મિસાઈલસમું વેલણ ઊડતું ઊડતું ચિન્ટુના છાતી પર જઈને લેન્ડ થયું.
અમેરિકાએ પહેલો હુમલો કરી દીધો અને મધ્યપૂર્વના નાનકડા દેશની જેમ નિઃસહાય ચિન્ટુએ પોતાનો વિલાપ શરૂ કર્યો. આ વિલાપ સાંભળીને ચિન્ટુના પપ્પા અકળાયા, રશિયાની જેમ તેઓ પણ આ મધ્યપૂર્વના દેશની મદદે આવ્યા. રશિયા સમા પપ્પાએ મધ્યપૂર્વના દેશ સમા ચિન્ટુ પાસે સહાનુભૂતિ દર્શાવી. અમેરિકા પર હુમલો કરવાની જગ્યાએ તેઓ શાંત રહ્યા. આમ પણ અમેરિકા અને રશિયા વચ્ચેના શીતયુદ્ધનો અશાંત ઈતિહાસ હજી શીત નથી થયો એટલે કે ઠંડો નથી પડ્યો... આ ઉકેલ વાતચીતથી જ શક્ય છે એવા શાંતીપ્રિય વલણ ધરાવતા લોકોને યાદ કરીને શું થયું તેની પૃચ્છા કરવા ચિન્ટુના પપ્પાએ રસોડા તરફ પ્રયાણ કર્યું. દર વખતની જેમ અમેરિકાએ રશિયા પર આક્ષેપ કર્યો કે, ‘તમારા લાડને કારણે જ આ જ બગડી ગયો છે(દેશ કે ચિન્ટુ તે પૂછવું અસ્થાને)’ અન્ય સામે સારું દેખાડવાનો પ્રયત્ન કરવા પપ્પાએ થોડો વિરોધ કર્યો, પરંતુ અમેરિકાનો ગુસ્સો ચરમ સીમાએ હોય, તેમણે વધુ વાદવિવાદ માંડી વાળ્યા.

જોકે પોતાના થયેલા અપમાનનો બદલો ક્યારે વાળવો એ વિચાર સાથે તેમના મગજમાં ગોળમેજી પરિષદો ભરાવવા લાગી. રોજ રાત્રે ઘરના ડાઈનિંગ ટેબલ પર થતી સંયુક્ત રાષ્ટ્ર સમી બેઠકોમાં જ આનો નિવેડો લાવવો એવો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો. રશિયાને કોઈ પણ દેશ વગર સ્વાર્થે ટેકો આપતો નથી અને રશિયા પોતે પણ વગર સ્વાર્થે કોઈને ટેકો કરતું નથી એટલે આ બેઠકમાં કોઈનો ટેકો મળે કે નહીં તે અંગે પણ રશિયા સમા પપ્પા થોડા ચિંતામાં મૂકાયા.
ટેબલ પર ભોજન સમયે સંયુક્ત રાષ્ટ્રમાં થતી ચર્ચાઓ શરૂ થઈ અને તેમણે ચિન્ટુના વિદ્રોહ પર થયેલા હુમલાનો પ્રસ્તાવ મૂક્યો અને અમેરિકા મધ્યપૂર્વના દેશ પાસે માફી માગે તેવી માગણી કરી. અમેરિકાએ કહી દીધું કે આ હુમલો મધ્યપૂર્વના દેશના ભલા માટે જ હતો, નહીં કે પોતાના સ્વાર્થ માટે, તરત જ ચિન્ટુનાં દાદી બ્રિટન બની ગયાં અને અમેરિકાની હામાં હા પાડવાં લાગ્યાં. તેમણે આવા હુમલાને યોગ્ય ઠેરવ્યો, જ્યારે ફ્રાંસ-જર્મનીસમા ચિન્ટુના દાદાએ સ્વાયત્તાનો મુદ્દો સામે ધરીને આ અંગે કાંઈપણ બોલવાની નકાર ભણી દીધી.
રશિયા પર પોતાની જ વ્યુહરચના બૂમરેન્ગ થઈ. આખરે તેમણે અમેરિકા પર આક્ષેપોનો વણઝાર કરી દીધો. કોઈપણ પ્રકારની મંજૂરી રશિયાને અમેરિકા દ્વારા મળતી ન હોવાનો આક્ષેપ તે વણઝારોમાં મોખરે હતો. રશિયાએ બે વાર કરતાં વધારે ચા નહીં માગવી-નહીં પીવી એવો પ્રતિબંધ લાદવાની વર્ષો જૂની વાત પણ આજે ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી. તો અમેરિકાએ ફરી એકવાર રશિયાએ પોતાની સંધિભંગ કરી હોવાનો આક્ષેપ કર્યો અને પોતાની મનમાની કરતું હોવાના પુરાવાઓ પણ આ ચર્ચામાં સહુની સામે ધરવામાં આવ્યા...
અલબત્ત, એ જણાવવાની જરૂર નહીં હોય કે આ આખી ચર્ચામાં મધ્યપૂર્વના દેશ સમા ચિન્ટુની છાતી પર થયેલા હુમલા અને તેના દર્દ વિશે તમામ ભૂલી ગયા હતા...
***


[બાળજગત] ખુશી

પહાડો વચ્ચે ઘેરાયેલું એક નાનકડું ગામ હતું. એમાં બહાદુર અને ટોમી નામના કુતરો અને માણસ રહેતા હતા. અરે! એક મિનિટ માણસનું નામ ટોમી અને કુતરાનું નામ બહાદુર છે, હો! ઊંધું ન સમજતા. એ બંને રોજ મળસ્કે માછલી પકડવા જતા. મળસ્કે કોઈ જાતનો અવાજ ન હોય, વાતાવરણ શાંત હોય એટલે માછલી જલ્દી પકડાઈ જાય.
આજે પણ એ બંને પોતાની નાનકડી હોડકીમાં નીકળ્યા હતા. ટોમીસિંઘ માછલી પકડવાના કાંટામાં ચારા તરીકે અળસિયા ભેરવી રહ્યો હતો. એ અળસિયા ખાવા માછલીઓ આવતી અને કાંટામાં ભેરવાઈ જતી. ત્યારે બહાદુર ઊછળકુદ કરતો હોડકીમાં ભમરા પાછળ દોડી રહ્યો હતો. ત્યાં જ અચાનક બહાદુરે જોયું કે એક માથા પર પૂછડીવાળો... અરરર પૂછડી નહિ માથા પર કલગીવાળો બગલો આવીને હોડકી પર બેઠો. ધીમે રહી એ બગલાએ અળસિયાના ડબ્બામાં ચાંચ મારી એક અળસિયું પકડી લીધું. એ જોઈ બહાદુર ભડક્યો અને ભોકવા માંડ્યો એટલે પેલો બગલો ફરરર કરતો ઊડી ગયો. પણ આ તરફ માલિક ટોમીને ખબર પડી નહિ અને અવાજ કરતા બહાદુરને એ ચુપ રાખવા ગુસ્સે ભરાયા. બહાદુર નિરાશ થઇ બેસી ગયો. ત્યાં અચાનક ફરી પેલો ખાઉધરો બગલો આવ્યો અને ફરી અળસિયાના ડબ્બામાં ચાંચ મારી, ફરી બહાદુર ભોકવા માંડ્યો, ભોકવાના અવાજથી ચાર સુધી આવેલી માછલીઓ પાછી વળી જાય એટલે ફરી ટોમી ગુસ્સે ભરાયો અને બહાદુરને હોડીના નાકે ચુપચાપ બેસી જવા કીધું.
થોડીવાર પછી ફરી પેલો બગલો આવ્યો અને જેવો ચાંચ મારી અળસિયું પકડ્યું કે એક તરફથી બહાદુરે તરત ઉછળીને એ અળસિયાને પકડી લીધું. પછી તો બંને એ રબર જેવા લાંબા થતા અળસિયાને પકડી ખેંચ-તાણ કરવા માંડ્યા. એવામાં એ અળસિયું બંનેની પકડમાંથી છૂટી ગયું અને બંને એકબીજાથી દૂર હોડીમાં ફેંકાઈ ગયા. ધક્કો લગતા આ વખતે ટોમીસિંઘ એ બગલાને જોઈ ગયા કે તરત હલેસું લઇ મારવા દોડ્યા અને લગાવી એક જોરથી. એ બગલો તો ગભરાઈને નાઠો. બહાદુર એ બગલાને દૂર સુધી જતા જોઈ રહ્યો. બગલો ઊડી નિરાશ થઇ પાછો માળામાં ગયો, જ્યાં એના ત્રણ બચ્ચા હતા. બચ્ચા ખાવાનું માગવા માંડ્યા. હવે એની પાસે અળસિયા તો હતા નહીં. તો એને પહેલાથી પકડેલી માછલી બચ્ચાઓને આપી પણ બચ્ચાઓથી એ માછલી ગળાતી નહિ એટલે બિચારા રડવા માંડ્યા. એ જોઈ બહાદુરને પસ્તાવો થવા લાગ્યો કે એના લીધે બિચારા પેલા બચ્ચાઓ ભૂખે રહી ગયા હતા.
બહાદુરે ટોમી જોઈ ન જાય એમ અળસિયાના ડબ્બામાંથી બધા અળસિયા કાઢી હોડકીની પાળ પર નાખ્યા અને દૂર ખસી ગયો. એ જોઈ તરત બગલો આવ્યો ને એ બચ્ચા માટે લઇ ગયો. બગલો તો ખુશખુશ થઇ ગયો, પણ બગલો અને એના બચ્ચાઓને ખુશ કરવા જતા બહાદુર હવે ઉદાસ હતો કેમ કે અળસિયા તો બધા એણે બગલાને આપી દીધા હતા અને હજી એક પણ માછલી પકડાઈ તો ન હતીને? એટલે? એટલે કે આજે એના સાથે એના માલિક ટોમીને પણ કદાચ ભૂખ્યા રહેવાનો વારો આવે એમ હતું. એ વિચારોમાં એ નિરાશ થઇ બેસી ગયો. ત્યાં એક અવાજથી એ ઝબકયો. જોયું તો એ જ બગલો ફરી આવ્યો હતો. શું એ પાછો હજી વધારે અળસિયા માગવા આવ્યો હતો? ના, આ વખતે એ પોતાની મોટી ચાંચ ભરીને બહાદુર માટે માછલીઓ લાવ્યો હતો. એ બધી માછલીઓ બહાદુર તરફ નાખી બગલો ઊડી ગયો. અવાજથી માલિક ટોમીસિંઘ પાછળ ફર્યો અને આટલી બધી માછલીઓ જોઈ ચોંકી ગયો. ખુશ થતા થતા એ બહાદુર પાસે આવ્યો અને એને શાબાશી આપવા માંડ્યો. કેમ કે બહાદુરના લીધે જ આટલી બધી માછલીઓ મળી હતી. બહાદુર ફરી ખુશ થઇ હોડકીમાં ઊછળકુદ કરી ભમરાઓ પકડવા માંડ્યો. ત્યારે બહાદુરને સમજાયું કે સાચી ખુશી તો બીજાને ખુશ રાખવામાં જ છે. દૂર સૂરજ ઊગી ગયો હતો અને હોડકી પાછી કિનારા તરફ વળી ગઈ હતી.

***
(આ કથા જે વિડિયો પરથી તૈયાર થઈ સાહિત્યાર્થીઓ સાથે ઉજવાઈ, એ વિડિયો જોવાનો વેબકાંઠો - https://www.youtube.com/watch?v=1lo-8UWhVcg)


[બાળજગત] કેકડાભાઈનો ટાપુ

ઘણે દૂરદૂર એક ટાપુ પર નાનકડી ટેકરી હતી. એકદમ દરિયાની લગોલગ ! સોનેરી સરસ મજા રેતીથી બનેલી એ ટેકરી પર રહે એક લાલચટક કેકડાભાઈ. નાનાનાના ધારદાર ચાકુ જેવા આઠ-આઠ પગ, બે મોટી વીંટી જેવી આંખો અને થોડું ઘૂઘરા જેવું લંબગોળ ને થોડું સમોસા જેવું ત્રિકોણઆકાર એમનું શરીર. કેકડાભાઈને તો જમીનમાં પૂરાઈ રહેવાનું કામ. કીડામકોડા ખાવાના ને મજાથી રહેવાનું. એમને એમ કે એમની આ ટેકરી જ આખો ટાપુ છે, જેના એ પોતે માલિક છે. ટેકરી પરથી અવાજ કરીને પવન પણ ફૂંકાય કે જરીક ચહલપહલ થાય કે કેકડાભાઈ ટપટપ કરતા આડા પગે દોડી આવે દરની બહાર... આસપાસ નજર નાખે, પણ બધું શાંત-સ્વચ્છ જુએ એટલે ગાયઃ
કેકડાભાઈનો પ્યારો...
આ ટાપુ આખો મારો...
સાફસુથરો સારો !

ઘણીવાર કેકડાભાઈ પોતાના દરમાંથી બહાર આવી જુએ કે પાનપાંદડા કે શંખલા-છીપલા તણાઈ એમના દર પાસે આવી પડ્યા છે, એમની ટેકરીને ખરાબ કરે છે, એટલે કેકડાભાઈને એ ન ગમે. ટેકરીને ચોખ્ખીચણાક રાખવાની એમની હઠ. એ તણાઈ આવતા જાતજાતના ‘કચરા’ને ધકેલીધકેલી ટેકરી પરથી નીચે ગબડાવે ને દરિયામાં વહાવી દે. પછી ‘હાશ.’ અનુભવે ને મજાથી ગાયઃ
કેકડાભાઈનો પ્યારો...
આ ટાપુ આખો મારો...
સાફસુથરો સારો !
-પણ એક દિવસે તો જબ્બર થયું. બન્યું એમ કે કેકડાભાઈના દર પાસે એક નારિયેળીનું ઝાડ ઊગ્યું હતું. નારિયેળી જેમજેમ મોટી થતી ગઈ એમ હવે એના પર નારિયેળ પાકવા લાગ્યા હતા. એક દિવસ કેકડાભાઈના દરની બરાબર પાસે જ એક નારિયેળ પાકીને પડ્યું નીચે... ભડડમમમ ! ટેકરી ધ્રુજી ગઈ. કેકડાભાઈ તો હાંફળાફાંફળા થઈને બહાર આવ્યા ને જુએ છે કોઈ રાક્ષસી સામાન એમની ટેકરી પર આવી પડ્યો છે. આ છે શું? પહેલાં તો એ જબ્બર મુંઝાયા. આવું પહેલાં કદી બન્યું ન હતું. આવડોમોટો આ કચરો હતો શાનો? આકાશમાંથી પડ્યો કે જમીનમાંથી ફૂટી નીકળ્યો? એ કોઈ રાક્ષસ કે જનાવર તો નથીને? મને મારી ખાવા આવ્યો હશે તો?
કેકડાભાઈ તો કેટલાય વિચારોમાં ગુંચવાયા, પણ એમનો નિયમ તે નિયમ. ટેકરી સાફસુથરી રાખવી. એમના દરની આસપાસ કંઈ ન ખપે. હિંમત કરીને એ તો આડા પગે હળવે-હળવે ગયા નારિયેળ પાસે. પહેલા એને એક પગની અણીથી અડ્યા. કંઈ ન થયું. જોયું કે આ ચીજ છે તો બહુ કડક ને મજબુત. નારિયેળની આસપાસ ફર્યા ને બધે ઠેકાણે અડી જોયું. થોડું ખસેડ્યું તો નારિયેળ ડાળી પરથી જે સ્થાને તૂટ્યું હતું એ સ્થાને થોડાં નિશાન હતાં. એ નિશાન બે આંખ ને એક નાક જેવાં લાગતાં હતાં. તે જોઈને તો કેકડાભાઈને થયું, ‘નક્કી આ તો કોઈ રાક્ષસ જ છે ને આકાશથી નીચે પડીને બેહોશ થઈ ગયો લાગે છે.’ એ હોશમાં આવે એ પહેલાં જલદીજલદી એને દરિયે ધકેલી દેવો પડશે. ભયમાં અને ઉતાવળમાં કેકડાભાઈ તો ફટાફટ પગ હલાવવા માંડ્યા ને નારિયેળને ધકેલવા મથ્યા. ઢાળને લીધે થોડું ધકેલાઈ નારિયેળ એકવાર એમના તરફ પાછું સરકી આવ્યું, ત્યારે તો કેકડાભાઈને થયું, પત્યું, હવે તો મર્યા, પણ નારિયેળ એમનું એમ પડ્યું રહ્યું. કેકડાભાઈ ફરી હિંમત ભેગી કરી ઊભા થયા ને નારિયેળરૂપી રાક્ષસને ટેકરીની ટોચથી દરિયે ફંગોળવામાં લાગ્યા. ધીમેધીમે કરી નારિયેળ ગબડ્યું દરિયાની વાટે... સરરરર... બુડૂક !
દરિયાના પાણીમાં પડતાં જ નારિયેળ પાણીની સપાટી પર તરતું તરતું પ્રવાહ સાથે આગળ વધવા લાગ્યું. કેકડાભાઈ એમના ધારદાર પગને આંખ પર માંડી ગભરામણ અને ઉત્સુકતાભરી આંખે દૂર સુધી નારિયેળને વહી જતું જોઈ રહ્યા. નારિયેળરૂપી રાક્ષસ ન જાગ્યો. કેકડાભાઈના જીવમાં જીવ આવ્યો. બે ક્ષણ શાંતિ છવાઈ એટલે એમણે ફરી રાજી થઈને ગાયુઃ
કેકડાભાઈનો પ્યારો...
આ ટાપુ આખો મારો...
સાફસુથરો સારો !
હજી કેકડાભાઈ એમનું ગીત પૂરું કરે ન કરે ત્યાં તો ધરતી ફરી ધૂણી ઊઠી... ભડડમમમ ! કેકડાભાઈના આપણી મુઠ્ઠી જેવડા નાના પેટમાં મોટી ફાળ પડી કે ફરી શું થયું? એમણે પાછળ ફરીને જોયું ને ડોળા પહોળા થઈ ગયા. બીજો એક એવો જ મોટો ‘રાક્ષસ’ કેકડાભાઈની ટેકરી પર, એમના દર પાસે જ પટકાઈ પડ્યો હતો.
એમણે તો ચીસ પાડીઃ અરે! આ પાછો આકાશથી પડ્યો કે ધરતીમાંથી ફૂટી નીકળ્યો? કોઈ કહેશે મને આ શું થઈ રહ્યું છે?
આપણને એવું મન થાય કે કેકડાભાઈને કહીએઃ અરે ઓ અમારા સહુના વહાલા કેકડાઓમાં શ્રેષ્ઠ કેકડાભાઈ, સ્વચ્છતાના આગ્રહી, પોતાના ઘરના નીડર રક્ષક, તમે તમારું ઘર નારિયેળના ઝાડ નીચે કર્યું છે તો આ નારિયેળો તો પાક્યાં કરશે અને પડ્યાં જ કરશેને?
-પણ એ નારિયેળ છે રાક્ષસ નથી એવું એમને કોણ સમજાવશે? છે કોઈ ઉપાય?
***
(આ કથા જે વિડિયો પરથી તૈયાર કરીને સાહિત્યાર્થીઓ સાથે ઉજવાઈ એ વિડિયો માટે ફંગોળાવો અહીં - https://www.youtube.com/watch?v=am5lKJMibr0)


આર્ષના પત્રવિશેષાંક માટે પત્ર - સંદીપ ભાટિયા

પ્રિય સુનીલ,

‘આર્ષ’ના પત્ર વિશેષાંક માટે કશુંક મોકલવા તેં કહ્યું, તે ક્ષણે જ વરસોનાં પડળ ખસી ગયાં અને સ્મૃતિની સંદૂકમાં મૂકાઇ ગયેલું અને પત્રવ્યવહારના ભાગ રૂપે લખાયેલું એક ગીત યાદ આવ્યું. આ ગીત મારા અંગત ખજાના શંખલાં, છીપલાં, લખોટી, ચાકના ટુકડાનો એક હિસ્સો છે. જાહેર મંચ પરથી આ ક્યારેય રજૂ કર્યું નથી, પણ તને અને ‘આર્ષ’મિત્રોને વંચાવવું મને ગમશે. એ નિમિત્તે ગીત જે સ્થળ સમય-સંજોગોમાં લખાયું ત્યાં ફરી એકવાર આંટો મારી આવવાની તક પણ ઝડપી શકાશે.
નવોનવો બેંકમાં જોડાયો એ અરસામાં દક્ષિણ મહારાષ્ટ્રના સાતારામાં બદલી મળી. એ વખતે સાતારા ચારેબાજુ સહ્યાદ્રિના ડુંગરાઓની વચ્ચે વસેલું એક નાનકડું ખોબલા જેવડું ગામ હતું. ઑર્ડર હાથમાં આવ્યો ત્યારે પંચગિની અને મહાબળેશ્વરને અઢેલીને આવેલા હિલસ્ટેશન જેવા ગામમાં જવા મળશે એ વિચારે જે આનંદ થયેલો એ ડ્યુટી પર હાજર થતાં જ વરાળ થઇ ગયો. શરુઆતના બેત્રણ દિવસમાં જ ખ્યાલ આવ્યો કે અહીં આસપાસ ગુજરાતી બોલી કે સમજી શકે એવું કોઇ નથી. હિન્દી કે સરખું અંગ્રેજીય બોલી શકે એવું એકાદ જણ મળે તો એને ભેટી પડવાનું મન થાય એવો સીન હતો. ખાતેદારો તો સ્થાનિક અને બેંકનો સ્ટાફ પણ મહદ અંશે સ્થાનિક જ. રોજિંદા જીવનથી લઇને બેંકના કામકાજ સુધી બધે જ મરાઠી ભાષાનું ચલણ. સાતારાની બોલીનો લહેકો ત્યાંની પથરીલી જમીનમાંથી ફૂટતા હાર્ડ વૉટરના ઝરણા જેવો જ ખડકાળ, તો મારા કાન મુંબઇ પુણેની મુલાયમ મરાઠી ક્યારેક ક્યારેક સાંભળવા ટેવાયેલા. ટૂંકમાં બંદાએ ત્યાં જઇને થોડા મહિના ‘કોશિષ’ના સંજીવકુમારની ભૂમિકા ભજવી હતી.
યાદ રહે, બેંકોમાં કમ્પ્યુટર આવ્યા નહોતા અને ઇંટરનેટ એટલે શું અને મોબાઇલ ફોન એટલે શું એ જાણનારા જૂજ લોકો જ દેશમાં હતા એ દિવસોની આ વાત છે. અત્યારે એ બધું યાદ કરું છું તો મને જ રમૂજ થાય છે. પણ દિવસો સુધી પોતાની ભાષાથી દૂર રહેવાની સ્થિતિ કેટલી પીડાદાયક હોઇ શકે એ હું સમજાવી શકતો નથી. નવી જગ્યામાં ગોઠવાવામાં આવતી નાનીમોટી અગવડો પણ એને લીધે વિરાટ દેખાવા લાગતી હોય છે. બે વરસ પછી જ અહીંથી બદલી થઇ શકશે એ ખબર હતી એટલે ઊંઘમાંથી જગાડીને પણ કોઇ પૂછે તોય બે વરસના સાતસોને ત્રીસ દિવસમાંથી હવે કેટલા દિવસ અને કલાક બાકી રહ્યા એ મને યાદ રહેતું. લાંબી સજાના કેદીની કોટડીમાં પણ ચાંદીની થાળી જેવી એક બારી, વાતાયન હોય છે અને એમાં આકાશનો ચોરસ મજાનો ટુકડો પીરસાયેલો હોય છે. એ આકાશના રંગો સતત બદલાતા રહેતા હોય અને એમાં પણ આકાશના આ ખૂણાથી છેક પેલા ખૂણા સુધી એકાદ પંખી ક્યારેક ટહુકો કરતુંક ઊડી જતું દેખાઇ જતું હોય છે.
સુનીલ, હું નસીબદાર છું. એ કપરા સમયમાં પણ રાહતરૂપ કેટલાક મિત્રો મારી સાથે હતા. સાતારામાં વર્ષોપુરાણા કાળા રામમંદિરના પૂજારી શરદભાઇ જાની અને તેમનો પરિવાર મારે માટે ખારા રણમાં વીરડી સમા હતા. ગુજરાતથી આવી પાંચ પેઢીથી મહારાષ્ટ્રના સાતારામાં સ્થાયી થયેલા આ જાનીપરિવારે ઉત્તર ગુજરાતની બોલીને આજ દિન લગી યથાતથ જાળવી રાખી છે. દૂધભાષા ગુજરાતી અને લૂણભાષા મરાઠી એમ બેય તરફનો શરદભાઇનો પ્રેમ વર્ણવવા આ પત્રનું ફલક નાનું પડે. એ વિશે આપણે રૂબરૂ મળીશું ત્યારે નિરાંતે વાત કરીશું.
આ સાથેનું ગીત જેને પત્રમાં લખીને મોકલ્યું હતું એ મારું બીજું રણદ્વીપ. બા, મારા એક ઘનિષ્ઠ મિત્રનાં મમ્મી. મારી શરૂઆતની કવિતાઓના પ્રથમ શ્રોતા, સમીક્ષક. નોકરીના ભાગરૂપ બદલીને કારણે આવેલા ભાષાઝૂરાપા અને ઘરઝૂરાપાને સહ્ય બનાવવા બા દર અઠવાડિયે પત્ર લખતાં. અથાણાની બરણી ખુલ્લી રહી ન જાય એનું ધ્યાન રાખવાની ભલામણથી લઇને હમણાં જ વાંચેલી ટૂંકી વાર્તા વિષે લંબાણપૂર્વક લખતાં. વર્ષો સુધી એમણે અઢળક વાંચ્યું હતું. વિષયોની વિવિધતા અને વિચારોની ગહનતા એમના પત્રોમાં દેખાતી. નવું પુસ્તક વાચવાનું સૂચવતાં. સ્થાનિક લાયબ્રેરીમાંથી મેળવીને વાંચી જવા મરાઠી પુસ્તકોના નામ પણ લખી જણાવતા. શરૂઆતના દિવસોમાં તો ઘરઝૂરાપો એટલો તીવ્ર હતો કે શનિવારે રાતે સાતારાથી એસટી બસ પકડી રવિવારે સવારે મુંબઇ આવતો અને રાતે વળતી એસટીથી પાછો નીકળી સોમવારે સવારે કામે જતો. આઠ કલાક મુંબઇની હવામાં શ્વાસ લેવા એસટીની ખડખડપાંચમ બસનો સોળ કલાકનો પ્રવાસ ત્યારે અગવડભર્યો નહોતો લાગતો એ વાતનું આજે મને જ આશ્ચર્ય થાય છે. ઘણીવારતો લખેલો પત્ર પહોંચે એ પહેલાં જ રૂબરૂ મળવાનું થતું, પણ તોય મળેલા પત્રનો ઉત્તર તો આપવાનો જ એવો વણકહ્યો શિરસ્તો હતો. પત્ર લખીને ટપાલપેટીમાં નાખવો અને પછી મનથી એ પત્રની સાથેસાથે જ એના ગંતવ્ય સુધી જવું, પ્રિયતમાને પત્ર લખ્યો હોય તો ટપાલીની ઇર્ષા કરવી અને પત્રનો જવાબ આવે ત્યાં સુધી કલ્પનાના કિલ્લા બાંધવા, તોડવા, ફરી બાંધવા એનો આનંદ શું હોય એ હાથમાં સ્માર્ટફોન લઇને જન્મેલી પેઢીને નહીં સમજાય. પ્રતીક્ષાનું દુ:ખ એ કેટલું મોટું સુખ હોઇ શકે એનો વ્હૉટ્સઍપ ડુડ્સને ખ્યાલ નહીં આવે.
અવસાદના ભાર તળે દિવસો સુધી કશું જ નહોતું લખાતું ત્યારે બા કહેતાં, આ અવસાદને જ લખ. એ સમયની મન:સ્થિતિનું પ્રતિબિંબ ઝીલતી થોડીક કવિતાઓ લખાઇ એમાંનું એક આ ગીત છે. ગમ્યું કે નહીં એ જણાવજે. (વ્હૉટ્સઍપથી ચાલશે. લોલ)
***

પથ્થરના દરિયામાં આવી ડૂબ્યો છું, રેતશીશીની વરણાગી મહેરથી

રોજ સૂરજની કાંચળી ઊતરે ને મારી છાતીમાં મ્હોરે છે હાશ
સાતસોને ત્રીસ દિ’નો પર્વત ચઢવામાં દોસ્ત તૂટી ન જાય મારા શ્વાસ

ઊંંબર પર મૂકીને આંખો જીવું છું, આવે શબ્દોની પીળચટ્ટી લહેરખી
પથ્થરના દરિયામાં આવી ડૂબ્યો છું, રેતશીશીની વરણાગી મહેરથી

સુંવાળી જાળમાં અટકી ને તડપે છે જિજીવિષાની કૂણી માછલી
પળપળના પૈડામાં ખોસી દીધી છે મારાં સપનાંની સોનેરી આંગળી

ટેરવાંની શેરીમાં સોપો ભલેને તોયે આવતી હશે જ તને હેડકી
પથ્થરના દરિયામાં આવી ડૂબ્યો છું, રેતશીશીની વરણાગી મહેરથી

સપ્રેમ

સંદીપ
25 ડિસેમ્બર, 2017 (મુંબઇ)


આપણો મધ્યકાળ - સુનીલ મેવાડા

-અને શરૂઆત !

ગુજરાતીને નજીકથી મળતી આવે એવી ભાષા સૌથી પહેલા ‘સિદ્ધહૈમ’ ગ્રંથમાં જોવા મળી છે, પ્રાકૃત વ્યાકરણનો આ ગ્રંથ સર્જનારા હેમચંદ્રાચાર્ય (ઈ.સ. 1089થી 1173) ગુજરાતીના સૌથી પહેલા (નોંધાયેલા) ‘લખનારા’ કહેવાયા છે. ભાષાકૂળ પ્રમાણે વૈદિક-શિષ્ટ સંસ્કૃતમાંથી શૌરસેની પ્રાકૃત, પ્રાકૃતમાંથી ગૌર્જર અપભ્રંશ અને અપભ્રંશમાંથી જૂની ગુજરાતીનો જન્મ થયો છે એ હકીકત પ્રચલિત તેમ જ સ્વીકૃત છે. જૂની ગુજરાતીની સૌથી પહેલી કાવ્યરચના(શાલિભદ્રસૂરિકૃત ભરતેસરબાહુબલિ) ઈસવી સનની 12મી સદીમાં અને સૌથી પહેલું ગદ્ય (સંગ્રામસિંહકૃત બાલશિક્ષા) 13મી સદીમાં મળે છે. પછી 14મી સદીમાં ભવાઈઓનો પ્રણેતા અસાઈત ને 15મી સદીની શરૂઆતમાં નરસિંહ આવે છે. જોકે શાલિભદ્રસૂરિ, વિનયસુંદર, જિનપદ્મસૂરિ જેવા અનેક જૈનકવિઓ દ્વારા ધર્મોપદેશની કૃતિઓ તેમ જ રાસો ને ફાગુકાવ્યો આ કાળખંડ(12મીથી 15મી સદી)નો સૌથી મુખ્ય સાહિત્યફાલ છે. આ પહેલાં, 14મી સદીમાં ‘તર-ગાળા’ પરંપરાના પિતા અસાઈત ઠાકરે વેશો લખી-ભજવીને નવો ચીલો ચાતર્યો એ ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું છે.


15મી સદીના આરંભમાં નરસિંહ મહેતાના આગમન સાથે આપણા સાહિત્યના ઉદયની હકીકત સર્વસ્વીકૃત છે. ગુજરાતીના આદ્યકવિ તરીકે સમ્માનિત નરિસંહની કૃતિઓ આજ દિન સુધી (પુસ્તકોનાં પૃષ્ઠે તો ઠીક પણ) લોકજીભે પણ જીવંત છે એ કોઈ પણ ભાષાના સાહિત્યિક ઈતિહાસ માટે અદ્વિતીય ઘટના ગણાય. મધ્યકાળના અન્ય કવિઓની જેમ નરસિંહના જન્મમૃત્યુનો સમય નિશ્ચિત કરવો મૂશ્કેલ છે, પણ વિવિધ ઐતિહાસિક આધારો પર ઉમાશંકરે આંકેલી ઈ. સ. 1414થી 1480ની નરસિંહની જીવનઅવધિ સૌથી વધારે શ્રદ્ધેય ગણાઈ છે. નરસિંહે હજાર જેટલાં પદો રચ્યાંનું કહેવાય છે, તેમાંથી અડધા કરતાં પણ ઓછો ફાલ ગ્રંથિત છે. કવિ તરીકે નરસિંહ કોણ છે એની ચિંતા કર્યા વગર સદીઓથી ગુર્જરભૂમિના લોકોએ કૃષ્ણભક્ત નરસિંહને એમની છાતીમાં જીવતો રાખ્યો છે એ વાત વધારે મહત્વની છે.
ભાવનગરના તળાજામાં જન્મેલા નરસિંહે જ્યારે જૂનાગઢની આસપાસ ભજનો આરંભ્યા ત્યારે પાટણ નજીક ભાલણ ‘ગુજર ભાખા’ને એના પદો-આખ્યાનો દ્વારા પોંખી રહ્યો હશે, તો ઝાલોરમાં રાજા અખેરાજ ચૌહાણનો રાજકવિ પદ્મનાભ કૃષ્ણદેવ પ્રબંધ(1456) રચી રહ્યો હશે.
એ પછી 15મી સદીના અંતે, નરસિંહના ઉતરાર્ધમાં, મીરાંનો આવિર્ભાવ મહત્વનો છે.
કંઠોપકંઠ પરંપરાના સાહિત્યક યુગમાં છૂટક ગદ્યો સિવાય, અગિયારમીથી ઓગણીસમી સદીના મધ્ય સુધી સાહિત્યનું મુખ્ય માધ્યમ, સ્વાભાવિક રીતે જ, પદ્ય રહ્યું. પ્રિન્ટિંગ પ્રેસનું આગમન ને છપાયેલા શબ્દો દ્વારા લોકો સુધી પહોંચવાનો દૌર પણ 19મી સદીના મધ્યથી, મશીનરી આવ્યા પછી શરૂ થયો. આ સમય આવ્યો એ પહેલાં, નરસિંહએ શરૂ કરી આપેલી કાવ્ય-પદ-પરંપરાને મીરાંની કૃષ્ણપ્રીતિનો સ્પર્શ મળ્યો. 16મી સદીથી આખા ઉપખંડમાં ભક્તિ આંદોલને જોર પકડ્યું, જેના પરિણામે મધ્ય-પૂર્વ ભારતમાં, દક્ષિણ ભારતમાં, સંતકવિઓનો દૌર ચાલ્યો. ગુજરાત પણ તેમાંથી બાકાત નથી રહ્યું. એ દરમિયાન નાકર, માંડણ, વિષ્ણુદાસ જેવા કવિઓએ લોકોમાં સાહિત્ય જીવંત રાખ્યું, 16મી સદીના અંતમાં ગુર્જરભૂમિ પર બીજો મોટો વિસ્ફોટ અક્ષયદાસ-અખાના નામે થયો. અખાના છપ્પાઓ મધ્યકાળના પદ્યદરિયામાંથી સોનામહોરની જેમ ગુજરાતી સાહિત્યમાં તરી આવ્યા છે. 17મી સદીમાં પ્રેમાનંદ અને 18મી સદીમાં શામળની સર્જનશક્તિ સાથે ગુજરાતી સાહિત્ય પણ નવી ટોચ પર પહોંચ્યું. પ્રેમાનંદે આખ્યાનો દ્વારા ને શામળે પદ્યવાર્તાઓ દ્વારા હજારો ગુર્જરવાસીઓને દાયકાઓ સુધી રંજન પૂરું પાડ્યું એમાં કોઈ બેમત નથી. એ કૃત્તિઓની સાહિત્યિક ઊંચાઈ ને વિશિષ્ટતાઓ પણ આજ સુધી ચર્ચાતી-અભ્યાસમાં લેવાતી આવે એવી અજોડ રહી છે. દરમિયાન અનેક નાનામોટા કવિઓએ પણ દેખા દીધી. એ પછી દયારામની ગરબીઓમાં ભાષા, ભાવ, અભિવ્યક્તિનો નવો ને તાજો જ ઉન્માદ મળ્યો. પ્રીતમ, રત્નો, ધીરો ભગત જેવા કવિઓએ 18મી સદીમાં ગુજરાતી સાહિત્યને જીવંત રાખ્યું ને દયારામના અંત(1852) સાથે ગુજરાતી મધ્યકાળનો અંત પણ સર્વસ્વીકૃત રીતે ગણાયો છે.
આમ 14મી સદીમાં અસાઈતથી ઈ.સ. 1852માં દયારામના મૃત્યુ સુધી ગૂર્જરભૂમિ પર આશરે 200 જેટલા નાનામોટા કવિઓ-સર્જકો થઈ ગયા છે. જૈનધર્મની ઉપદેશગાથાઓ લખનારા કવિઓની યાદી તો લાંબી છે, ઉપરાંત સ્ત્રીકવિઓ, પારસી કવિઓ, સત્સંગી કવિઓ, ઈસ્લામી કૃષ્ણભક્ત કવિઓ અને ધર્મપ્રચારાર્થે ગુજરાતીમાં કાવ્યો લખનારા ખ્રિસ્તી ફાધર-કવિઓ પણ નોંધપાત્ર છે. આજે પણ અભ્યાસેચ્છુ સાહિત્યાર્થીઓ માટે મધ્યકાળનો વિશાળ હસ્તપ્રત-સંગ્રહ ગુજરાતનાં અનેક ભંડારો-પુસ્તકાલયોમાં સચવાયેલો છે. જે તરફ સંશોધકોની યુવા પેઢી આકર્ષાય તો કદાચ ગુજરાતીને પ્રેમાનંદ, અખા કે શામળના નવીન અવતારો પણ મળી આવવાની શક્યતા છે !

♠♠♠


ઉમાંશકર જોશી – વિનોદ ભટ્ટ

શેક્સપિયરે ભલે કહ્યું કે ‘વ્હૉટ ઈઝ ધેર ઈન એ નેઈમ?’ પણ નામમાં ઘણું બધું છે અને ઉમાશંકરેય આ વાત ઘણી વહેલી જાણેલી. તેમનું મૂળ નામ તો ઉમિયાશંકર. ખુદ એમને જ લાગ્યું કે ઉમિયાશંકર નામ સાથે લખાયેલાં કાવ્યો નહિ જામે, એટલે ઉમાશંકર રાખ્યું. નામ જેવી તકલીફ તેમના ઉપનામમાં પણ પડી છે. તેમણે ઘણા લેખો ‘વાસુકિ” ઉપનામથી લખ્યા છે. ફૂંફાડાભર્યા તેમના સ્વભાવના સંદર્ભમાં જ તેમણે આ ઉપનામ રાખ્યું હોવું જોઈએ. ક્રોધના તે જ્વાળામુખી હોઈ ‘દુર્વાસા’ ઉપનામ પણ તેઓ રાખી શક્યા હોત. ગુજરાતી લેખકોમાં તેમના ગુસ્સાઓનો ભોગ બનેલાઓ કરતાં નહિ બનેલાઓનાં નામોની યાદી આસાનીથી બનાવી શકાય. કવિ જબરા ‘શોર્ટ ટેમ્પર્ડ’ છે. કઈ વાત પર ગુસ્સે થઈ શકે એ કલ્પવું અઘરું છે. ને એક વાર ગુસ્સે થઈ જાય પછી સામી વ્યક્તિને પાણીથીય પાતળી કરી નાખે. તેમનું ત્રીજું નેત્ર ખુલે ત્યારે લાગે કે ગુસ્સાનો ભોગ બનનારને હવે ભસ્મ થઈ ગયે જ છૂટકો. કહેવાય છે કે એક વાર પોતાના કોઈ સગા પર ‘વિશ્વશાંતી’ના એ કવિ એટલા બધા ગુસ્સે થઈ ગયેલા કે તેને મારવા ઈંટ ઉપાડેલી, પણ જ્યારે ખબર પડી કે આ ઈંટ છે ત્યારે દાઝી ગયા હોય તેમ તરત જ છોડી દીધેલી. ઈંટ તો શું, પણ ફૂલ પણ તે કોઈની પર ફેંકી શકે તેમ નથી. હા, કાંટાળા શબ્દોના મારથી કોઈને ગૂંગળાવી શકે ખરા. એક વખતે કવિ હસમુખ પાઠકને તેમના આ પ્રકારના ગુસ્સાનો લાભ મળેલો. વાત એવી બનેલી કે હસમુખની કોઈ કવિતા ‘સંસ્કૃતિ’માં પ્રગટ થયેલી. જેમાં એક-બે ઠેકાણે મુદ્રણદોષ રહી ગયેલા. હસમુખે કવિ પર નારાજ થઈને, થોડા આક્રોશથી પત્ર લખ્યો. કવિએ એ કાવ્ય ભૂલો સુધારીને ‘સંસ્કૃતિ’માં પુનઃ પ્રગટ કર્યું. તો પણ હસમુખના મનનું સમાધાન થઈ શક્યું નહિ. વાડીલાલ ડગલીના લગ્નમાં બન્ને કવિ ભેગા થઈ ગયેલા. પેલી કવિતાની વાતના અનુસંધાને ચાર કલાક સુધી કવિએ હસમુખ પર ગાજવીજ કરી. તેમની ગાજવીજને પરિણામે આકાશમાં વાદળ ઘેરાઈ આવ્યાં ને પરિણામે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. ભોજન પતાવીને બધા પોતપોતાને ઘેર જવા માંડ્યા. હસમુખ પાસે જઈને કવિ ચિંતાથી બોલ્યા: ‘આવા વરસાદમાં ઘેર કેવી રીતે જશો? તમે તો છેક મણીનગર રહો છો...’ પછી સલાહ આપીઃ ‘ કોઈ વાહનમાં જ ઘેર જજો, હોં! પૂરતા પૈસા તૌ છે ને?’
કવિ એક વાર ગુસ્સો કરી નાંખે પછી ચંદનલેપ પણ લગાડી આપે. તેમનો ગુસ્સો મા જેવો હોય છે. મા બાળકને ગુસ્સાના આવેશમાં આવી જઈને કથોલું મારી બેસે ને પછી મનમાં ડુમાતી પાટાપિંડી કરે એવું જ આપણા કવિનુંય છે. તેમનો ગુસ્સો ઘણી વાર પ્રેમથી જન્મે છે. સામેની વ્યક્તિને તે પોતાની બુદ્ધિકક્ષાની કલ્પી લે છે; ને તેમની વાત સમજતાં વાર લાગે તો તેમનો પુણ્યપ્રકોપ ભભૂકી ઊઠે છે. એક વાર આ રીતે ગુસ્સામાં તેમણે સ્નેહરશ્મિને કહી દીધેલું: ‘તમે ઈન્ટેલેક્ચ્યુઅલ છો કે કેમ એની મને તો શંકા છે.’ તેમના જ હાથ નીચે એમ. એ. થયેલા એક (હવે તો સદગત) લેખકને તે કોઈ વાર કહી દેતા: ‘તમે એમ. એ. થયા છો એવો અનુભવ ક્યારેક તો કરાવો!’
તેમના કેટલાક આગ્રહોને કારણેય ગુસ્સો આવી જાય છે. એક જ પ્રતીક અંગેની મોરારજીભાઈ સાથેની તેમની ટપાટપી તો અખબારોને પાનેય ચમકી ગયેલી. સામેનો માણસ હોદ્દામાં જેટલો ઊંચો એટલી એમની ગુસ્સાની માત્રા પણ ઊંચી. આ પળોમાં કોઈકને કદાચ લાગે કે ઉમાભાઈ (સૉરી ઉમાશંકર, કેમ કે એક વાર પ્રિયકાન્ત મણિયારે તેમને ઉમાભાઈનું સંબોધન કર્યું ત્યારે મોઢું બગાડીને કવિએ કહી નાખેલું:‘મારું નામ ઉમાભઈ નહીં, ઉમાશંકર છે.’) ગુસ્સાની ક્ષણમાં અનબૅલેન્સ્ડ થઈ જાય છે, પણ તરતની ક્ષણમાં તે પાછા નૉર્મલ થઈ જાય છે. તેમનું ત્રીજું નેત્ર ખૂલે છે ત્યારે પેલાં બે બંધ થઈ જાય છે, પણ ત્રીજું બંધ થાય ત્યારે પેલાં બે આપોઆપ ખૂલી જાય છે ને એમાં ક્યારેક પ્રાયશ્ચિત પણ ડોકાય છે. કવિના નામના ઉત્તરાર્ધમાં ‘શંકર’ ન હોત તો કદાચ આવો ગુસ્સો પણ તેમનામાં ન હોત એવું આ લખનાર માને છે.
પણ આ કવિને ગુસ્સો કરતાં આવડે છે એથીય અદકી રીતે પ્રેમ કરતાં આવડે છે. ‘પ્રેમ’ નામના ચલણી સિક્કા પર જ તેમનો વ્યવહાર નભતો હોય છે. પોતાના કોઈ સ્વજનને ત્યાં જશે ત્યારે તે સ્વજનની પત્ની ઉપરાંત તમામ બાળકોનાં નામ પોપટની જેમ બોલી જઈ બધાંની ખબર પૂછી લેશે. જો બાળકો પોણો ડઝન હશે તો પોણોય પોણો ડઝનનાં નામ તેમને મોઢે હશે. તેમની તીવ્ર યાદશક્તિ આદર ઉપજાવે એવી છે. જેને તે પોતીકાં ગણે છે તેની પાસે ખુલ્લાશથી પહોંચી જાય છે. રઘુવીરને નોકરી ન મળે ત્યાં સુધી ચા નહિ પીવાની બાધા શ્રીમતી ચૌધરીએ લીધાનું કવિએ જાણેલું. પછી રઘુવીરને યુનિવર્સિટીમાં નોકરી મળી ત્યારે શ્રીમતી ચૌધરીને બાધા છોડાવવા તે રઘુવીરના ઘેર આવેલા તે વખતે લખનાર ત્યાં હાજર હતા.
પણ આવી કે તેવી બાધા છોડવવામાં પોતે બીજી રીતે ભાગ નહિ ભજવે. મિત્રો-સ્નેહીઓ માટે બધું કરવાને સમર્થ હોવા છતાં તે મિત્રો માટે કશું જ નથી કરતા એવા આક્ષેપ પણ તેમના પર મૂકાય છે. રઘુવીરની ભાષામાં કહીએ તો ‘પ્રેમ પક્ષપાત બની ન જાય અને અસ્વીકાર પૂર્વગ્રહમાં ન પરિણમે એ અંગે ઉમાશંકર સતત કાળજી રાખતા લાગે. સ્નેહની તીવ્ર લાગણી અનુભવનાર સંબંધ પરત્વે તટસ્થ રહે? ઉમાશંકર રહે છે.’ તેમના આ પ્રકારના વલણથી તેમની નિકટના લોકોને કોઈક વાર એવું પણ લાગે છે કે તેમને અન્યાય થયો છે. (સ્નેહરશ્મિના મનમાં ઊંડેઊંડે એવો ખટકો થયેલો ખરો કે ઉમાશંકર મિત્ર હોવાને કારણે ઉપકુલપતિ થવામાં મને નડ્યા). ગાંધીજીના હાથે સરદારને થયેલો, એવો અન્યાય કવિના મિત્રોને થવાનો સંભવ ખરો. કદાચ અન્યાય ન પણ થાય, પણ ફાયદોય ન થાય. તેનાથી ઊલટું તેમની તરફ કોઈ દુશ્મનાવટભર્યું વર્તન કરનાર જો સમર્થ હોય તો માત્ર વેરભાવને લીધે તેને અન્યાય ન થાય. સુરેશ જોષીએ તેમની વિરુદ્ધ જાહેરમાં સારી પેઠે લખેલું છતા ‘રીડર’ની જગ્યા માટે સુરેશ તથા ‘અનામી’ બંને ઉમેદવાર હતા, ત્યારે નિર્ણાયક સમિતિના કુલ ચારમાંના બે સભ્યોએ ‘અનામી’ને પહેલો ક્રમ આપેલો, ને સુરેશને બીજો. ત્રીજા સભ્યે સુરેશને પહેલો અને ‘અનામી’ને બીજો ક્રમ આપેલો. જ્યારે આ કવિએ માત્ર સુરેશને જ પહેલો ક્રમ આપેલો. બંને ઉમેદવાર વચ્ચે ખાસ્સું લાં...બું અંતર છે એમ ગણીને. દ્વેષમુક્ત રહેવા તે હંમેશાં પ્રયત્ન કરે છે.
પણ પોતાના હોદ્દાનો ગેરલાભ ઉમાશંકર લે કે લેવા દે એ વાતમાં માલ નહીં. તે જ્યારે ઉપકુલપતિ બન્યા ત્યારે સાથેસાથે અધ્યાપનકાર્ય પણ કરતા. પ્રોફેસરોનો પગાર લગભગ રૂપિયા પંદર સો ને ઉપકુલપતિનો લગભગ પાંચસો હતો. કામ તે પ્રોફેસરનું કરવા છતાં પગાર તો તે ઉપકુલપતિના હોદ્દોનો એટલે કે રૂપિયા પાંચસો જ લેતા. કવિમાં સૂક્ષ્મ વિવેક પણ ઘણો. કહે છે કે ઉપકુલપતિના હોદ્દા પર હતા ત્યારે તેમણે એવો આગ્રહ રાખેલો કે પોતે આ હોદ્દા પર હોય ત્યાં સુધી તેમની કોઈ કૃત્તિ પાઠ્યપુસ્તક તરીકે ન ચાલવી જોઈએ.
‘હર્બર્ટ એ. ડિસોઝા વ્યાખ્યાનમાળા’ માટે તેમને પ્રવચન આપવાનું આમંત્રણ સેન્ટ ઝેવયર્સિ કૉલેજ તરફથી મળેલું. આ પ્રવચનનો પુરસ્કાર પણ લગભગ પાંચસો રૂપિયા જેટલો અપાતો. ઉમાશંકર ઉપકુલપતિ હતા અને ઉપકુલપતિ સંલગ્ન કૉલેજોમાંથી પુરસ્કાર ન લઈ શકાય એવો નિયમ; ને આ લોકો પુરસ્કાર આપ્યા વગર છોડે પણ નહિ. એટલે ‘ફરી ક્યારેક’ એમ કહી પ્રવચન આપવાનું તેમણે ટાળેલું. ગયે વર્ષે ફરી આમંત્રણ આપી તેમને બોલાવ્યા. તેમણે પ્રવચન આપ્યું, પણ પેલો પુરસ્કાર ન લીધો. આ કવિ હાઈટમાં નીચા હોવા છતાં સ્ત્રી ને પૈસાની બાબતમાં ઘણા ઊંચા છે. નામે શંકર છતાં વર્તને વિષ્ણુ છે.
ઉમાશંકરમાં બીજા એક ઉમાશંકર બેઠા છે. એ બીજા ઉમાશંકરની એક આરસની પ્રતિમા આ ઉમાશંકરે ઘડી છે. એ પ્રતિમા ખંડિત થાય એવી કોઈ પણ ચેષ્ટા કવિ સહી શકતા નથી. પોતાના સફેદ સાળુ પર કાળો ડાઘ પડવા ન દે એવી વિધવા બ્રાહ્મણી સાથે કોઈએ તેમને સરખાવ્યા છે. ‘શ્લીલ-અશ્લીલ’ પુસ્તકનું સંપાદન મેં કરેલું. તેમાં તેમની ‘રાહી’ વાર્તા લેવાનું નક્કી કરી તેમને મળ્યો. બે-ત્રણ વખત મને આંટા ખવડાવ્યા; પછી સંમતિ આપી, પણ સાથે ટકોર કરવાનું ન ચૂક્યા: ‘ભાઈ વિનોદ, જે કંઈ કરો તે જાળવીને કરજો. પછી એવું ન બને કે આપણે બધાએ સંતાતા ફરવું પડે.’
કવિ કાજળ કોટડીમાંથી ઊજળા બહાર નીકળનાર કીમિયાગર હતા. નિષ્કલંક જીવન જીવાય એ માટે તે સદાય જાગ્રત રહે છે અને એટલે કવિ સસ્તા બનીને કશું કરતા નથી. બાકી પૈસાની જરૂર કોને નથી હોતી? જેમની પાસે વધારે હોય છે તેમને વધારે હોય છે. કવિનેય હશે! પણ પેલી ઈમેજ! અરીસાને બીજે છેડે ઊભેલા ઉમાશંકર આ ઉમાશંકરને ઠપકો આપે એવું કશું જ તે નહિ કરે. આ ઉમાશંકર પેલા ઉમાશંકરનો ભારે આદર કરે છે. જ્ઞાનપીઠનું રૂપિયા પચાસ હજારનું ઈનામ પોતે ન રાખતાં ટ્રસ્ટ કરી દીધું. કવિ માટે પાંચ આંકડાની આ રકમ નાની ન કહેવાય. વળી, પૈસાનું મૂલ્ય કવિ નથી સમજતા એવુંય નથી. એક વાર મુંબઈના પરાના સ્ટેશને બુકિંગ ઑફિસવાળા સાથે બે પૈસા માટે તે લડી પડેલા. રિક્ષાવાળા સાથે પણ ચાર-આઠ આના માટે નાના-મોટા ઝઘડા તેમણે કર્યા છે. એક વખત તો તેમને ત્યાંથી ચીજ-વસ્તુઓ ચોરી જનાર નોકરનું પગરું શોધતા તે નોકર પાસે પહોંચી ગયેલા ને તેને ફોસલાવીને પોતાનો માલસામાન પરત મેળવેલો.
કંજૂસ લાગે એટલી બધી કરકસરથી તે જીવ્યા છે. ઓગણત્રીસ-ઓગણત્રીસ વર્ષથી ‘સંસ્કૃતિ’ પરના ઘડાનો બ્લૉક પડી ગયેલો હોવા છતાં તેમણે તે બદલ્યો નથી. નિરંજન ભગતે પહેરેલી ચંપલ ગમી જવાથી એ પ્રકારની જોડ ચંપલ લાવી આપવા તેમણે નિરંજનને કહ્યું. નિરંજન ચંપલ લઈ આવ્યા. કિંમત પૂછી. અઠ્ઠાવીસ રૂપિયા.. ‘અઠ્ઠાવીસ રૂપિયા?! આટલી મોંઘી ચંપલ પહેરાતી હશે?’ ને કવિ પોતાની જાત પર ગુસ્સે થઈ ગયા. ગુસ્સામાં ને ગુસ્સામાં નિરંજનને પૈસા આપવાનુંય તે ભૂલી ગયા... તે છ મહિને આપ્યા.
આમ તો તે વૅલ્યૂઝના માણસ છે. કદાચ એટલે જ ભદ્દાપણાની તેમને ચીડ છે. કદાચ આથી જ, પોતાની ષષ્ટિપૂર્તિ તેમણે ઊજવવા દીધી નથી. આ પ્રકારનું હાસ્યાસ્પદ કામ તેમણે નથી થવા દીધું. ‘માણસ જન્મે ને જીવે તો સાઠનો થાય. એની વળી ઉજવણી શી?’
તેમને સાઠ વર્ષ પૂરાં થતાં’તાં તેની નિરંજન, શિવ પંડ્યા, હસમુખ વગેરે મિત્રોને ખબર એટલે આગલા દિવસે નિંરજને કવિને ફોન કર્યો, ‘તમારું થોડું કામ છે; આવતી કાલે આવું?’ ‘આવો.’ પછી બાર પંદર મિત્રો ઉમાશંકરને ત્યાં ત્રાટક્યા. ઉમાશંકર પરનું કાવ્ય નિરંજને વાંચ્યું. ચા-પાણી વગેરે પત્યા. બધા ઊઠ્યા. ઝાંપા સુધી મિત્રોને વળાવવા જતાં ઉમાશંકરે નિરંજનને પૂછ્યું: ‘તમે આવ્યા ત્યારે સામે લટકમટક ચાલવાળી, નટખટ, જાજરમાન સુંદર સ્ત્રી મળી?’
નિરંજન તો આ વાતથી હેબતાઈ ગયા. (સ્ત્રીની વાત આવે છે ત્યારે નિરંજન હેબતાઈ જાય છે.) આ કવિ સાઠ વર્ષ પૂરાં કર્યા પછી યુવાનીમાં પ્રવેશે છે કે શું?! પ્રકટપણે કોઈ સુંદરીની વાત કરતા હોય એવો આ પહેલો પ્રસંગ હતો. કવિએ આ શું પૂછ્યું?
‘ના. નથી જોઈ...’ નિરંજન ઉવાચ.
‘ખરેખર?’
‘એટલે?’
‘અરે, હમણાં જ મારા ઘરમાંથી તે વિદાય થયાં. તેમનું નામ ‘બુદ્ધિદેવી’ હતું...’ કવિએ ખુલસો કર્યો.
ઉમાશંકરમાં Keen Sense of humour છે. તેમની સાથેની નાની વાતમાંથી પણ તેમની હાસ્યવૃત્તિ પ્રકટ થયા કરે છે. ટીખળ ‘કરી’ શકે તેમ ‘માણી’ પણ શકે છે. મારો અંગત અનુભવ છે. વાત ઈડરમાં ભરાયેલા જ્ઞાનસત્રની છે. ઈડર પાસેના બામણા ગામના વતની હોઈ કવિ યજમાન હતા ને અમે મહેમાન. પહેલે દિવસે પૂરી-શાક પીરસાયાં. પૂરી ઘણી જ ચવડ ને શાક પણ ધોરણસરનું નહિ. પીરસાયા પછી કવિ પંગતમાં ફરવા નીકળ્યા – બધાને બરાબર પીરસાયું છે કે નહિ તે જોવા. અમારી પંગતમાંથી તે પાછળની પંગતમાં ગયા. મારી બાજુમાં બેઠેલા વિનોદ અધ્વર્યુનાં પત્ની સુરંગીબહેને મને પૂછ્યુઃ ‘હેં વિનોદભાઈ! કહેવત તો એવી છે કે રસોઈ તો ઈડરની! તો પછી આમ કેમ?’
‘બહેન, ઈડરના રસોઈયા સાક્ષર થઈ ગયા છે.’ હું જરા મોટેથી બોલ્યો; એટલે દૂર રહ્યે રહ્યે ઉમાશંકર મને કહ્યું: ‘નૉટી બોય, હું સાંભળી ગયો છું.’(જોકે ઉમાશંકર કવિતા જેટલી જ સારી રસોઈ બનાવી શકે છે.)
ઉમાશંકર ઝીણા બહુ. ભારે ચીવટવાળા. ‘ગુજરાતની હાસ્યધારા’ નામના મારા સંપાદન-સંગ્રહમાં તેમની રચના માટે તેમની અનુમતિ માગતો પત્ર મેં લખ્યો, પણ સ્વભાવ અધીરિયો એટલે ચાર દિવસ પછી ફોન પર તેમની સંમતિ મેળવી લીધી, પણ પછી તે અવઢવમાં પડી ગયા – મને સંમતિ આપી છે કે નહિ એ બાબતે અને તેમણે પત્રોનો જવાબ નહિ આપવાની તેમની આબરૂના ભોગેય મને પત્ર દ્વારા અનુમતિ મોકલી આપી. જોકે પત્રનો જવાબ આપવાની કુટેવ તેમણે પહેલેથી જ નથી પાડી. ‘સંસ્કૃતિ’માં તેમને મોકલવામાં આવેલી કૃતિ મળ્યાની પહોંચ, સ્વીકાર/અસ્વીકાર વગેરે બાબતનો પત્ર લખવાની ઝંઝટમાં તે નથી પડતા. એક લેખિકાએ તેમને કૃતિ સાથે જવાબી પત્ર બીડેલો. જેમાં સ્વીકાર/અસ્વીકાર બધું જ લખેલું. માત્ર ‘ટીક’ કરીને જ પત્ર પરત કરવાનો હતો, પણ આ અઘરું કામ તે કરી શકેલા નહિ.
આપણા આ કવિ જીવનમાં જેટલા વ્યવસ્થિત છે એટલા જ અવ્યવસ્થિત પણ છે. તેમના ટેબલ પર ‘સંસ્કૃતિ’ અંગેનું કોઈ મૅટર મૂકાયું હોય તો તે શોધતાં કમસે કમ પિસ્તાળીસ મિનિટ તો લાગે જ. ને પાછા મજાકમાં કહે પણ કે અહીં કશું ખોવાતું નથી તેમ જલદી જડતું પણ નથી. કેટલીક વાર તો તે ખુદ પોતાનું પુસ્તક પણ ઘરમાંથી શોધી શકતા નથી. એટલે નજીકમાં રહેતા નગીનદાસ પારેખ પાસેથી તે મેળવવું પ઼ડે છે. તેમની પ્રસ્તાવના મેળવવાની ઈચ્છાવાળા ઘણા લેખકોનાં પુસ્તકો વર્ષો સુધી છપાઈને પડી રહ્યાના અનેક દાખલા છે; એટલું જ નહિ, ખુદ તેમનું પોતાનું એક પુસ્તક જ પ્રસ્તાવનાની રાહ જોતું લગભગ આઠેક વર્ષ સુધી છપાઈને પડ્યું રહેલું. આવી કેટલીક ક્ષણોમાં જ તે સાચૂકલા કવિ લાગે. બાકીની ક્ષણોમાં વ્યવહારપટું.
તેમની વાણીમાં ગુસ્સે થવાનું તત્વ છે એટલું પ્રસન્ન કરવાનુંય છે. એક વાર ‘સંસ્કૃતિ’ના પ્રૂફ્સ પ્રેસમાંથી થોડાં મોડાં આવ્યાં. પ્રૂફ લઈને આવનાર માણસ પર ગુરુ ગુસ્સે થઈ ગયા અને પ્રૂફનો જમીન પર ઘા કર્યો. ગુરુના ગુસ્સાથી અજાણ હોઈ એ માણસ જમીન પરથી પ્રૂફ ઉઠાવી તેનો વીંટો કરી ચાલ્યો ગયો. ગુરુએ માન્યું કે એ માણસ હમણાં જ પાછો આવશે, પણ તે પાછો આવ્યો નહિ. એટલે ફોન કરીને તેને બોલાવ્યો. બીજી વાર આવ્યો ત્યારે ગુરુએ પ્રેમથી બેસાડીને ચા પિવડાવી. પછી કહ્યું: ‘તું પ્રેસનો મૅનેજર બનવાને લાયક છે.’
એક વાર કવિ પ્રિયકાંત અને પત્ની રંજનબહને ઉમાશંકરને મળવા ગયાં. વાતમાંથી વાત કાઢીને ઉમાશંકરે રંજનબહેનને કહ્યું ‘પ્રિયકાન્ત તો તમારા વર-કવિ છે, પણ અમારા તો કવિવર છે.’ યોસેફ મૅકવાન સપત્ની કવિ પાસે ગયો તો તેની પત્નીને પણ કહ્યુઃ ‘યોસેફ તમારે મને વર-કવિ હશે, પણ અમારા તો કવિવર છે, હોં!’
પિનાકિન ઠાકોર તાજેતરમાં આકાશવાણી પરથી નિવૃત્ત થયા. (આ વાંચીને કોઈએ મને અભિનંદન આપવાં નહિ.) પત્ની સાથે તે નાટક જોવા ગયેલા ત્યાં ઉમાશંકર મળ્યા. તેમણે શ્રીમતી ઠાકોરને કહ્યુઃ ‘સુનીતાબહેન પિનાકિન હવે તમને આખેઆખા આપ્યા.’
તેમના આ પ્રકારના સ્વભાવની વાત કરતા એક કવિએ મને કહેલું: ‘અમે નાના હતા ને શાળામાં ભણતા ત્યારે શાળાએ જતી વેળાએ એક ઘરડા કાકા અમને બૂમ પાડીને પાસે બોલાવતા ને ખાટી-મીઠી પીપરમિન્ટ આપતા. કોઈને વળી ચૉકલેટ આપતા. ઉમાશંકરને જોઉં છું ત્યારે શાળા સમયના એ કાકા યાદ આવી જાય છે.’
ઉમાશંકરને જોઈને ઘણુંબધું યાદ આવી જાય છે. ખાસ તો એ કે આપણી પાસે એક જ ઉમાશંકર છે. એક અને માત્ર એક જ.
(ઓગસ્ટ, 1978)

(‘વિનોદની નજરે’ પુસ્તકમાંથી)


ઉમાશંકરઃ ગીત ગોતનાર, ગોતી આપનાર કવિ... - સુનીલ મેવાડા

ચૂંટે તો...

ચૂંટે તો, બ્હેન, મને મૂકજે અંબોડલે.
એક મારું વેણ તને, મૂકજે અંબોડલે.

હું તો નાનું ફૂલડું,
ખીલ્યું અણમૂલડું,
હીંચું હીંચું ને હસું ડોલતે રે ડોડલે.
ચૂંટે તો, બ્હેન, મને મૂકજે અંબોડલે.

વાયુરાજ પૂછતો,
આંખ મારી લૂછતો,
મુજને ફાવે ન એને વીજફાળ ઘોડલે.
એક મને ભાવે આ હીંચવું રે ડોડલે.

આજ તારી આંખમાં,
ફૂલ દીઠાં લાખ શાં!
હોડે હૈયું તે ચડ્યું હેત કેરે હોડલે.
હું ય ઝૂલું આંખ શું તારે દેહડોડલે.

માળમાં વીંધીશ મા,
કાંડે ચીંધીશ મા,
મૂકજે આંખોથી કોઈ ઊંચેરે ટોડલે.
ચૂંટે તો, બ્હેન, મને મૂકજે અંબોડલે.

ચૂંટજે ને ચૂમજે,
ગૂંથીને ઘૂમજે,
હૈયાની આંખ બની બેસું અંબોડલે.
ચૂંટે તો, બ્હેન, મને મૂકજે અંબોડલે.

-ઉમાશંકર જોશી

અલી ઓ બહેન, ખીલવાની આ સુંદર મૌસમ જોઈ વગડે આંટો મારવી નીકળી છે કેમ, ફૂલો-કળીઓ ચૂંટવાનું મન થતું જ હશે ખરુંને? જો એમાં તું, મને ચૂંટવાની હો તો મારી એક જ વિનંતી છે કે...!
જો, હું તો છું અહીં ડાળીએ ઝોલા ખાઈ હસ્યા કરતું એક ફૂલ, ના ના, પૂર્ણ ફૂલ પણ નહીં, મૂળવગર ખીલેલું એક નાનકડું ફૂલડું માત્ર, એટલે, મને ચૂંટે તો તારે અંબોડે, દેહના સર્વોચ્ચ સ્થાને જ મૂકજે હોં વહાલી ! એ જ મારી વિનવણી.
તું તો હમણાં આવી ને કદાચ ચાલી જઈશ, પણ આ અહીં જ પડ્યોપાથરો રહેતો વાયુ હરતા-ફરતા, મારી આંખો લૂછ્યા કરી, એની સાથે હિલ્લોળવા મને પૂછતો રહે છે, પણ એના એવા ફાંસમફાંસ ઘોડિયે મુજ બાળજીવને કેમનું ફાવે? મને તો આ નાનકા ડોડલે જ હીંચવું ગમે. અહીં જ હીંચતાંહીંચતાં મેં આજ તારી આંખમાં મજેદાર ફૂલ જોયાં બેની, હા ખરે જ ! જાણે તારી આંખો જ સોનેરી ફૂલ બની ગઈ ! જો હું પણ પૂર્ણ ફૂલ બનીશ, તો એવું જ અનુપમ-આકર્ષક બનીશ ખરું? એ વિચારીને મારું હૈયું તો, હેતની હોડીમાં બેસી હોડમાં-સ્પર્ધામાં ઊતર્યું કે હાય, હવે ક્યારે આ નાના છોડના જડ-ડોડલામાંથી છૂટું પડી તારા દેહના ચેતન-ડોડલે હું ઝૂંલું-મલકું-ફૂલું, જેમ હાલ તારી આંખો મલકી રહી છે.
-પણ સાથે એક ખુલાસો કરી લઉં હાં, જો ચૂંટ્યા પછી મને વીંધી-ચીંધી આડે હાથે ફગાવી દેવાની હો તો રહેવા દેજે. તારી માળામાં રોપાવાનાં કે કાંડે પરોવાઈ બેસવાનાં ઓરતાં મને નથી, મને કંઈ ખપે તો બસ તારી આ નમણેરી-અનેરી-મને ઘેલી કરનારી આંખો કરતાંય વેંતઊંચું થાનક. એ તો તારે અંબોડલે જ ને? મને ચૂંટે તો ત્યાં જ મૂકજે હો સખી, ચૂંટીને પહેલાં તો મને ચૂમજે, માથે ગૂંથીને ગામભરમાં ગૂમજે, હરખાઈને આંટા મારજે, સૌ છો જોઈને બળતાં, બધાં તને ને તારી આંખોને જોયાં જ કરે છેને, પણ કોઈ તારું હૈયું જોવે છે? તારા હૈયામાં ફૂટતા-ત્રાટકતા ઉમંગોનું નામ કોઈએ પૂછ્યું? ત્યારે, તારા દેહની પ્રતિનિધિ બની જેમ તારી આંખો મલકી-મહોરી-ફૂલી-ઝૂલી રહી છે, એમ હું તારા હૈયાની આંખો બનીને અંબોડલે બેસીશ, ત્યાંથી દેહે ન દેખાતી તારી ભાવનાઓ-ઉમંગો-લાગણીઓનું પ્રતિનિધિત્વ કરીશ, બસ ! પણ સાંભળ બ્હેની, ચૂંટે તો... મને મૂકીશ તો અંબોડલે જ, ને?
આવું ભાવભીનું-મજામજાનું ગીત લખનાર ઉમાશંકરનો પરિચય માત્ર બે અક્ષરનો જ છે, કવિ.
કોઈકના સ્મરણલેખમાં વાંચેલું કે ઉમાશંકર સંસ્કૃતિ સામયિકના પ્રૂફ તૈયાર થઈને ઘરે આવતા ત્યારે ઘણીવાર કહેતા, “પહેલું સુખ તે આવ્યા પ્રૂફ, બીજું સુખ તે ઘરની સાફસૂફ...” ઉમાશંકરને આપણો ઈતિહાસ પણ મોટાભાગે ‘કવિ’ કહીને જ સંબોધે છે એટલે એમના નામને બદલે કવિ સંબોધનથી જ એમની વાત કરવાની ઈચ્છા થાય, આપણા આ કવિ વિશે માનવામાં ન આવે એવી દંતકથાઓ પણ પ્રચલિત છે અને એ બધીય પાછી સાચી છે. એમના સાહિત્યપ્રદાનનો પટ એટલો વિશાળ છે કે એને માપવા-આપવાને બદલે થોડી વધુ સામગ્રી ભેગી કરી સમગ્ર ગુજરાતી સાહિત્યનો પટ આપી દેવો સહેલો છે, કારણ કે એમાંથી ઉમાશંકરના પ્રદાનની વિગતો પણ યથોચિત રીતે ઉલ્લેખી શકાય છે. એમને ન ગમાડનારાઓએ પણ એટલું તો માનવું જ પડે કે આપણે ત્યાં આ ‘કવિ’ એક જ થયા છે ને એક જ રહેશે. કોઈએ કહ્યું હતું એમ એક સદીમાં કવિ તો એક કે બે જ થાય છે, બાકી બધા તો કવિડાઓ...
કવિ, 1911માં બામણામાં જન્મે છે, ભણે છે. પ્રાથમિક શિક્ષણ પત્યા પછી ગામની શાળાને વચન આપે છે કે, ‘શાળા, એક દિવસ તારું નામ ઉજ્જવળ કરીશ’ અને ગામ છોડે છે. ‘શબ્દ’ લઈને અમદાવાદ આવે છે, રબારણોની મોટી બંગડીઓ જેવા બે કાચના ચશ્મામાં રીબાતી એમની બે નબળી આંખો બળ્યા કરે છે, છતાં એ ભણતા રહે છે, લખતા રહે છે, અમદાવાદમાં સ્થાયી થાય છે, આંખો બળ્યા કરે છે, એ લખતા રહે છે, વિદ્યાપીઠમાં જાય છે, આંખો બળ્યા કરે છે, એ લખતા રહે છે, ક્રાન્તિમાં જોડાય છે, આંખો બળ્યા કરે છે, એ લખતા રહે છે, જેલ ભોગવે છે, આંખો બળ્યા કરે છે, એ લખતા રહે છે... શાંતિનિકેતનમાં પહોંચે છે, આઝાદ દેશ માટે સાહિત્ય અકાદમીની સ્થાપનામાં જોડાય છે, રાજ્યસભામાં જાય છે, હોદ્દાઓની જવાબદારી નીભાવે છે, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે નરસિંહના શબ્દબ્રહ્મને પોંખે છે.... ને છેક, 1988માં 77 વર્ષે આંખો મીંચાય છે ત્યાં સુધી એ આંખો પોતાની બળતરા નથી મૂકતી, પણ સામે કવિની જીદ પણ ‘શબ્દ’ નથી છોડતી. કવિએ આત્મકથા સિવાય બધું જ આપ્યું અને બીજું ઘણુંબધું લખવાની તમન્નાઓ અધૂરી લઈને ગયા, પણ જે આપી ગયા એ અણમોલ...
આવા આપણા બાળઉમાશંકર જ્યારે ગીતની શોધમાં (ગામેથી શબ્દ લઈને) નીકળે છે, ત્યારે એ ક્યાં-ક્યાં ફરે છે?
(પૂછાપૂછવાળું બાળપણ) અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
(કુતૂહલભરી કિશોરાવસ્થા) અમે વનવનનાં પારણાંની દોરે, શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
(જોશીલી યુવાની) અમે ગોત્યું વસંતની પાંખે, ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
(સ્વપનીલ વયસ્કતા) અમે શોધ્યું સાગરની છોળે, વાદળને હિંડોળે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
(લગ્ન-પ્રણય) અમે ગોત્યું કંઇ સેંથીની વાટે, લોચનને ઘાટે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
(સંતાન-સંસાર) અમે ખોળ્યું શૈશવને ગાલે, કે નેહ-નમી ચાલે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
(વડીલાવસ્થામાં આધ્યાત્મિકતા-અભ્યાસનો નીચોડ) અમે જોઇ વળ્યાં દિશદિશની બારી, વિરાટની અટારી,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું...

(પણ, અને....) ઉરે આંસુ પછવાડે હીંચંતું, ને સપનાં સીંચંતું,
કે ગીત અમે…

એટલે કે જીવનભર ગીત(કવિતા) ગોતીગોતીને થાકેલા કવિજીવને અંતે ગીત ક્યાં મળે છે?
“…ઉરે આંસુ પછવાડે હીંચંતું
ને સપનાં સીંચંતું...”
આ જ ને? ગીત માત્રનું (અરે કવિતા માત્રનું) ઠેકાણું અને હોવાપણું... સૂક્કી આંખો રાખીને આંસુ સારતા હૃદયમાં સંતાઈ રહેવું (કવિતાનું ઠેકાણું) અને છતાં, સજીવતામાં શ્રદ્ધા ટકાવી રાખતાં સ્વપ્નો સીંચતાં રહેવું (કવિતાનું હોવાપણું) ! આ મથામણનો ભાવાર્થ એટલો કે અંતે ધમપછાડા મારી, હાથપગમાથું કૂટતાંકૂટતાં ગમે તેટલું શોધીને પણ ગીત(કવિતા) મળતું તો નથી જ, પણ હકીકતે એની શોધમાં નીકળવું એ જ એક મહાન ગીત (કવિતા) છે !