(કનૈયાલાલ મુનશીકૃત ‘પૃથિવીવલ્લભ’માં
‘રસનિધિ’નું પાત્ર ઉપસાવતાં કેટલાંક ગદ્યપુષ્પો !)

*
‘ભિલ્લમરાજ!’ તૈલપે કહ્યું, ‘બા પણ છે એટલે ઠીક, હવે બોલો. તમારે જે વરદાન જોઈએ તે હાજર છે. આ વખત તમારી સેવાનો બદલો જે વાળું તે ઓછો છે.’ (પાનું-34)
*
જે પળે તે મુંજને પાડી તેના પર ચડી બેઠો, અને બળજોરીથી તેનાં શસ્ત્રો લઈ લીધાં તે પળે મુંજે તેના કાનમાં કહેલા શબ્દો તેને યાદ આવ્યા. ‘ભિલ્લમ,’ તેણે કહ્યું હતું, ‘મારું ભલે ગમે તે થાય, પણ મારા કવિઓને સંભાળજે.’ તે શબ્દો વિજયના ઉત્સાહમાં તે વીસરી ગયો હતો; અત્યારે તે યાદ આવ્યા. (પાનું-35)
*
‘માલવાના કવિઓને જીવતા જવા દો.’ ઉતાવળથી ભિલ્લમે કહી નાખ્યું.
‘માગી માગીને આ માગ્યું?’ તિરસ્કારથી મૃણાલે કહ્યું. (પાનું-36.)
*
(પાનાં- 39થી 44.)

રાજાએ વચન આપતાં આપ્યું તો ખરું, પણ રખે તે પાછું ખેંચી લે એવો ડર ભિલ્લમને લાગ્યો, એટલે તે ત્યાંથી બારોબાર જ્યાં માલવાના કવિઓને કેદમાં પૂર્યા હતા ત્યાં ગયો.
જે ભટ્ટરાજ કવિઓની ચોકી કરતો તે રાજાનું વરદાન સાંભળી વિસ્મય પામ્યો અને તેણે કારાગૃહનું બારણું મહાસામંતને ઉઘાડી આપ્યું.
તેને જોઈ ત્યાં બેઠેલા પુરુષોમાં ખળભળાટ થઈ રહ્યો.
‘કવિરાજો! ક્ષમા કરજો,’ ભિલ્લમે નમ્રતાથી કહ્યું, ‘મારા આતિથ્યનો સત્કાર કરો, એવી પ્રાર્થના કરવા હું આવ્યો છું.’
એક સુકુમાર, નીચો અને સ્વરૂપવાન યુવક ઊભો થઈ સામો આવ્યો, અને હસીને પૂછ્યું- ‘કોણ, તમે યમરાજ છો?’
ભિલ્લમ આ પુરુષની કાંતિ જોઈ રહ્યો.
‘હું? -ના, કેમ?’
‘શુષ્ક મૃણાલવતીના ગામમાં યમરાજ સિવાય અમારો કોણ અતિથિસત્કાર કરે?’ એક બીજો આવી બોલ્યો.
‘ધનંજય !’ પેલા યુવકે કહ્યું, ‘આ યમરાજ પોતે નથી; તેના દૂતોમાં શ્રેષ્ઠ એવો સ્યૂનદેશનો નરાધિપ છે.’
ભિલ્લમ હસ્યોઃ ‘ના; હું માત્ર મહાસામંત છું. હું યમદૂત નથી; પણ તમને આ જીવતા નરકમાંથી બચાવવા આવ્યો છું.’
ધનંજયે કહ્યુ- ‘પૃથિવીવલ્લભ વિનાની નિસ્તેજ પૃથ્વીમાં કંઈ જવા જેવું નહીં રહ્યું હોય.’
‘ના! મહારાજે તમને જીવિતદાન આપ્યું છે. તમે બધા મારે ત્યાં પધારો.’
આ સાંભળી બધા ચકિત થઈ ગયા, અને હોંસમાં આવી ઊભા થઈ ભિલ્લમને વીંટાઈ વળ્યા.
‘તમારું નામ તો ધનંજય?-’
‘હા.’
‘ને તમારું?’ પેલા સ્વરૂપવાન યુવક તરફ ફરી મહાસામંતે પૂછ્યું.
‘મારું?’ જરા ખંચાઈ પેલા યુવકે કહ્યું.
‘એનું નામ રસનિધિ.’ ધનંજયે ઉમેર્યું, ‘ને આ પદ્મગુપ્ત-’
‘હા, મારું નામ રસનિધિ.’ કહી રસનિધિ ભિલ્લમ સાથે ચાલ્યો, અને બધા તેની પાછળ ચાલ્યા.
રસ્તે ચાલતાં ભિલ્લમે ધ્યાનપૂર્વક જોયું- રસનિધિની સુકુમારતાના પ્રમાણમાં તેનું શરીર ઘણું મજબૂત લાગતું, અને શૂરવીરોનાં શરીરો પારખવાની ટેવ હોવાથી મહાસામંતને લાગ્યું કે આ પુરુષ બખ્તરમાં સારો શોભે. તે પોતાના વિચારથી મનમાં હસ્યો, ‘આ બિચારાને બખ્તરમાં, ને યુદ્ધમાં કૌશલ્ય શું?’
મૂંગે મોઢે મહાસામંત રાજમહેલની પાસે જ આવેલા પોતાના મહેલમાં આવ્યો અને પોતાના પરિચરોને આ કવિરાજોનું આતિથ્ય કરવાનો હુકમ કર્યો.
‘કવિરાજ!’ ધનંજય તરફ ફરી ભિલ્લમે કહ્યું, ‘આપને એક તસ્દી આપવાની છે.’
‘મને? શી?’ ધનંજયે પૂછ્યું.
‘મારી સ્ત્રી ને પુત્રીએ ઘણા વખતથી કવિરાજોનાં દર્શન કર્યાં નથી. આપ મારી સાથે આવશો?’
‘જે દેશમાં કવિઓ દુર્લભ હોય ત્યાં સ્વરૂપમાંથી સૌંદર્ય જાય, રાજામાંથી ટેક જાય અને સ્ત્રીઓમાંથી આર્દ્રતા જાય એમાં શી નવાઈ?’
‘કવિરાજ! આપ આવશો?’
‘હું?’ ફરીથી ખંચાઈને રસનિધિએ પૂછ્યું.
‘હા. શી હરકત છે?’
ધનંજયે ધ્યાનથી રસનિધિ તરફ જોયું.
‘રસનિધિ! હા, તું પણ ચાલ. ચાલો સ્યૂનરાજ !’ કહી તે અને રસનિધિ ભિલ્લમરાજની સાથે અંતઃપુરમાં ગયા.
ભિલ્લમરાજે તેના પૂર્વજોનું બિરુદ ‘કવિકુલત્રાતા’ આજે રાખ્યું હતું; અને ઘણે દિવસે આવા સંસ્કારી પુરુષોની સોબત તેને મળી હતી. આથી તેનું હૈયું આનંદ અને ગર્વથી મલકાતું હતું.
લક્ષ્મીદેવી હજુ રાજમહેલમાંથી આવ્યાં નહોતાં, અને વિલાસ શંકરના મંદિરમાં હતી. ભિલ્લમે એક માણસને વિસાલને તેડવા મોકલ્યો, અને પોતે ધનંજય ને રસનિધિને લઈ પાછળ આવેલી વાડીમાં એક વિશાળ પીપળાના થાળા પર જઈ વાત કરવા લાગ્યો.
‘બાપુ-’ થોડી વારે વિલાસનો અવાજ આવ્યો.
‘કોણ વિલાસ? બેટા! ’
વિલાસ પાસે આવી એટલે મહાસામંતે કહ્યું : ‘આમ આવ. તારે કવિઓ જોવા હતા ને? લે, આ રહ્યા.’
વિલાસે બે કવિઓ તરફ જોયું, અને જરા ગભરાઈને ઊભી રહી.
‘આ કવિરાજ ધનંજય-એમની ખ્યાતિ તો મારા સ્યૂનદેશ સુધી પણ આવી હતી.’
વિલાસે નીચા વળી નમસ્કાર કર્યા.
‘પુત્રી ! રાઘવ સમા નરેશની અર્ધાંગના થઈ, સૂર્ય સરખા તેજસ્વી પુત્રોની માતા થજે,’ આડંબરથી ધનંજયે કહ્યું.
‘આ કવિવર રસનિધિ.’
શરમથી અડધું નીચું જોતાં, જિજ્ઞાસામાં અડધી ઊંચી આંખો રાખી વિલાસે રસનિધિ પર નજર ઠારી. વિલાસને તેનું મુખ કંઈ વિચિત્ર લાગ્યું; આ વિચિત્રતા શી હતી, એની તેના પર શી અસર થઈ, તેની તેને ખબર પડી નહિ.
‘ભગવતિ ! હું શું આશીર્વાદ આપું ?’ રસનિધિએ હસીને પૂછ્યું, ‘સુધાનાથને વરજો ને સુધા ચાખી અનેરા આનંદો અનુભવજો !’
વિલાસવતીને આશીર્વાદનો અર્થ કંઈ સ્પષ્ટ સમજાયો નહિ; પણ મહાસામંત ખડખડાટ હસી પડ્યા.
‘કવિરાજ, આ અવંતી ન હોય.’
‘હાસ્તો. નહિ તો આવી સ્થિતિમાં હોઉં?’
‘અમારે ત્યાં તો સુધાનાથ સુકાઈ ગયા છે. ને આનંદ-અનુભવો એ તો પાપની પરિસીમા છે.’
‘હેં!’
‘મૃણાલબાનો વૈરાગ્ય તમે જોયો નથી. અને આ વિલાસ પણ શું? એણે પણ અત્યારથી તપશ્ચર્યા શરૂ કરી છે.’
‘શા માટે?’ ધનંજયે પૂછ્યું.
‘કવિરાજ! તૈલંગણની ખૂબીઓ ન્યારી છે.’
‘પણ આટલી કન્યાને એ શું?’
‘વિલાસનું લગ્ન સત્યાશ્રય કુંવર જોડે થવાનું છે. એને માન્યખેટની ગાદીપતિની પટ્ટરાણીને લાયક કેળવણી જોઈએ ને?’ જરા અસ્પષ્ટ કટાક્ષમયતાથી ભિલ્લમે કહ્યું, ‘કેમ ખરું ની વિલાસ?’
વિલાસ હસી. બંને કવિઓ દયાથી તેની સામે જોઈ રહ્યા.
‘એટલે હૃદયનાં ઝરણાં સુકાય ત્યારે પટ્ટરાણીની પદવી પમાય?’ ધનંજયે પૂછ્યું.
‘અમારાં મૃણાલબાની એવી માન્યતા છે. બેસની વિલાસ ! આવ. હું આ બધા કવિઓને છોડાવી લાવ્યો; હવે એ આપણે ત્યાં રહેશે.’ વિલાસ આવી ભિલ્લમ પાસે ઊભી રહી, અને મૂંગે મોઢે ત્રણે જણા સામે જોઈ રહી.
તેને એક અપરિચિત અનુભવ થતો હતો. આ લોકોનો પહેરવેશ વિચિત્ર હતો; તેમની રીતભાત સ્વચ્છંદી, ટાઢાશ વિનાની હતી; તેમની વાતચીતમાં ગાંભીર્ય અને સંયમ – જે ગુણોની તેને ભક્ત બનાવવામાં આવી હતી – તેનો અભાવ હતો; તેમના મોં પર સખ્તાઈ કે ડહાપણનો અંશ નહોતો. અને આ બધાને લીધે તેને વાતાવરણ કંઈ અસ્વાભાવિક લાગ્યું; અને તેથી તેના હૃદયમાં કંઈ આઘાત થતો હોય – દુઃખ થતું હોય – તેમ લાગ્યું. પણ આઘાત અને દુઃખ એવાં આકર્ષક લાગ્યાં કે ત્યાંથી જવાનું મન થયું નહિ.
‘ત્યારે તમારે ત્યાંથી કવિઓને દેશનિકાલ કરવામાં આવ્યા છે. એ વાત ખરી ?’ રસનિધિએ પૂછ્યું, ‘મેં તો ગપ ધારી હતી.’
‘અમારે ત્યાં જે ન થાય તે ખરું,’ ભિલ્લમે કહ્યું.
‘તમારે ત્યાં કવિતા નહિ, રસ નહિ, આનંદ નહિ – પછી શું રહ્યું?’
‘બોલ વિલાસ ! જવાબ દે.’
ધીમેથી ઊંચું જોઈ તેણે રસનિધિની સામે જોયું અને કહ્યું : ‘ત્યાગ-શાંતિ.’
‘કેટલા માણસોએ ખરેખરાં ત્યાગ ને શાંતિ અનુભવ્યાં છે?’
‘અમે તો બધાં દેવો છીએ.’ ભિલ્લમે હસતાં હસતાં કહ્યું.
‘દેવો પણ આનંદની મૂર્તિઓ છે; તમે તો પાષાણ થવા મથો છો.’
‘અત્યારે દેવી હોય તો તેને તમારી વાતમાં બહુ રસ પડે.’
‘બીજું બધું ચંચલ છે – નિશ્ચલ માત્ર એક શાંતિ છે,’ પોપટની માફક વિલાસે સૂત્ર કહ્યું.
‘ના, તે પણ ચળે એવી છે; નિશ્ચલ માત્ર આનંદ.’
વિલાસ જરા તિરસ્કારપૂર્વક હસી.
‘શાંતિ વિના આનંદ કેમ આવે?’
‘સુખના અનુભવથી.’
‘એ તો ક્ષણિક.’
‘કોણે કહ્યું ? રસિકતા હોય તો શાશ્વત સુખ મળે.’

***
(પાનાં-45થી 46)

‘રસિકતા એટલે શું?’ વિલાસે પૂછ્યું.
રસનિધિએ આંખો ફાડીઃ ‘તમને ખબર નથી?’
‘ના.’
‘તમે કાવ્યો સાંભળ્યાં છે?’
વિલાસ હસીઃ ‘તમારા ભર્તૃહરિનું વૈરાગ્યશતક સાંભળ્યું છે.’
‘શૃંગારશતક સાંભળ્યું છે?’
વિલાસે સખ્તાઈથી ઊંચું જોયું : ‘એ તો પાપાચારી માટે.’
રસનિધિ હસ્યોઃ ‘કંઈક નાટક જોયું છે?’
‘છેક નાની હતી ત્યારે સ્યૂનદેશમાં જોયું હતું, પણ યાદ નથી.’
‘ચંદ્રની જ્યોત્સ્નામાં પડ્યાં પડ્યાં કોઈ દિવસ ગાયું છે?’
‘ના. ચંદ્રના તેજમાં ફરવું મારે ત્યાજ્ય છે.’
રસનિધિ ગાંભીર્યથી તેના સામે જોઈ રહ્યો.
‘ત્યારે તમને રસિકતાનું ક્યાંથી ભાન હોય? તમારી પાસે આ બધું કોણ કરાવે છે?’
‘હું મારી મેળે કરું છું – મૃણાલબા માત્ર સૂચના કરે છે.’
‘એ બધું કરવાનું શું કારણ?’
‘ત્યાગવૃત્તિ કેળવવી.’
‘એમ કેળવાય? તમે શું ત્યાગ કરો છો તેનું તો તમને ભાન નથી.’
વિલાસ વિચારમાં પડીઃ ‘ના, છે. મને મૃણાલબા કહે છે.’
‘માત્ર મોઢાની વાતો – અનુભવની નહીં.’
‘કલંકિત કરે એવી વસ્તુનો અનુભવ-’
‘કલંકિત શી વસ્તુ કરે?’ રસનિધિએ જુસ્સામાં પૂછ્યું, ‘જો કાવ્ય કલંકિત કરે, રસ કલંકિત કરે, જ્યોત્સ્નાનું અમૃત કલંકિત કરે – કાલે કહેશો કે પ્રેમ કલંકિત કરે – તો એ કલંકિત જીવન શું ખોટું?’
‘મારે નિષ્કલંક થવું છે.’ જરા સખ્તાઈથી વિલાસ બોલી અને ઊઠી.
રસનિધિ મૂંગો રહ્યો. થોડી વારે તેણે કહ્યું : ‘ત્યારે તમને મારા જેવા તો કલંકિત લાગતા હશે?’
‘ભોળાનાથ તમને સદબુદ્ધિ આપશે.’
રસનિધિ ગૂંચવાઈને ઊભો રહ્યો.
‘રસિકતા અનુભવવાનું તમને કદી મન જ થયું નથી?’
‘મને.’ વિચારમાં પડી વિલાસે કહ્યું, ‘એ વસ્તુનો પૂરો ખ્યાલ જ નથી.’
‘ખ્યાલ લાવવાનું મન પણ થતું નથી?’
‘પાપ કરવાનું મન ન થાય એમાં ખોટું શું?’
‘વિલાસવતી !’ રસનિધિએ માયાળુપણાથી તેની સામે જોતાં કહ્યું, ‘રસિક થવું, રસિકતા અનુભવવી એમાં જ હું તો મોક્ષ માનું છું.’
‘ના. ના. ના.’ કાને હાથ દઈ, હસી વિલાસ બોલી. તેના હાસ્યમાં કંઈ જુદો જ ભાવ લાગતો હતો. ‘લો, આ બા આવી,’ કહી તે દૂરથી આવતાં ભિલ્લમ અને લક્ષ્મીદેવી તરફ ફરી.

***
(પાનું-50)

તેને ધનંજય અને રસનિધિ કંઈ જુદા જ પ્રકારના માણસો લાગ્યા. તેમના હસવામાં સંયમ નહોતો, તેમની વાણીમાં ગાંભીર્ય નહોતું, તેમના શબ્દોમાં ઠાવકાઈ નહોતી, તેઓ પાપાત્માઓ જેવા સ્વચ્છંદી લાગ્યા; તો પણ તેમની રીતભાતમાં મનને ગમે એવી વિચિત્રતા લાગી. તેની કેળવણી, તેની ચારિત્ર્યની ભાવનાઓ અને તેના વિચારો-આ બધાને શિખરે ચઢેલી તેની નજરને તો તે બંને તુચ્છ, સયંમવિહીન, સ્વચ્છંદી લાગ્યા; અને છતાં પણ કંઈ એવું થયા કર્યું કે જાણે તેમની વાતચીત ફરી તે સાંભળે, તેમનાં મુખ તે ફરી જુએ.

***
(પાનું-51)

તેને મુંજ યાદ આવ્યો. મૃણાલબા તેને પાપાચારી કહેતાં હતાં, પણ તે આનંદ ને શાંતિની મૂર્તિ લાગતો હતો. પાપાચારીને શું આવી શાંતિ સંભવે?

***
(પાનું-51)

તેમનામાં એવું શું હતું કે જેથી મૃણાલબાએ તેમને દેશપાર કરાવ્યા હતા?
છેલ્લા પ્રશ્નનો જવાબ તેને સહેલો લાગ્યો; આવા સ્વચ્છંદીઓ દેશમાં વસે તો લોકોનું નિયમિત અને શુદ્ધ થઈ રહેલું જીવન ભ્રષ્ટ થઈ જાય.

***
(પાનાં 65થી 66)

-વચ્ચે વૃક્ષોનું એક ઝુંડ હતું. ત્યાં આગળથી જતાં તેને કોઈ ભોંય પર સૂતું હોય તેમ લાગ્યું.
‘કોણ એ?’ વિલાસે પૂછ્યું.
સૂતેલા માણસે એકદમ ચારે તરફ જોયું. વિલાસે તેને ઓળખ્યો.
‘કોણ, કવિરાજ?’
‘હા,’ રસનિધિએ કહ્યું.
વિલાસ ખંચાઈ. આ કવિને આમ મળવાની તેણે આશા રાખી નહોતી.
‘કેમ, શું કરો છો?’
‘કંઈ નહિ. ભિલ્લમરાજને અર્પણ કરવા એક અષ્ટક બનાવતો હતો.’
‘આખો દહાડો કવિતા જ કર્યા કરો છો?’ વિલાસે હસીને પૂછ્યું.
‘ના.’ દિલગીરીભર્યા અવાજે રસનિધિએ કહ્યું.
વિલાસે તેના મુખ ઉપર છવાયેલી ગ્લાનિ જોઈ અને પૂછ્યું :
‘કેમ? અહીંયાં ફાવે છે? કઈ જોઈતું કરતું હોય તો કહેજો.’
‘મને જોઈએ તે તમે કેમ કરીને આપી શકશો?’ ડોકું ધુણાવી રસનિધિએ કહ્યું.
‘શું જોઈએ છે? બાપુને જે કહેશો તે બધું મળશે.’
‘બા! તમે તો બાળક છો. બધું ક્યાંથી મળશે? – ક્યાં માલવા ને ક્યાં તૈલંગણ?’
‘કવિરાજ! તૈલંગણમાં શું ઓછું છે? તમે હજુ જોયું નથી તેથી આમ કહો છો.’
‘ના, ભલે તૈલંગણ સોનાનું હોય તેમાં મારે શું? મારી અવંતીનાં પ્રિય પુરજનો, મારા મહાકાલેશ્વરના ગગનભેદી ઘંટનાદો, મારા પિતાની પુનિત દાહભૂમિ – એ ક્યાં મળશે?’
‘આ તો મારી બા કહે છે તેમ તમે કહો છો. તેને પણ સ્યૂનદેશ વિના ચેન નથી પડતું.’
‘ખરી વાત છે.’
‘પણ તમને શું? મારી બા તો રાણી હતી તેથી તેને સાલે છે. તમે તો ત્યાં પણ કવિ હતા, અહીંયાં પણ છો. મુંજરાજ કરતાં ભિલ્લમરાજ તમારો વધારે આદર કરશે.’
‘વિલાસવતી’ ફરીથી મ્લાન વદને હસી રસનિધિએ કહ્યું, ‘પરજનની મૈત્રી કરતાં સ્વજનની સેવા સારી.’
‘મને વાત ખોટી લાગે છે-’
‘કારણ કે તમે સ્વજન અને પરજન વચ્ચે ભેદ ભાળ્યો નથી.’
‘તમારે સ્ત્રી છે?’
રસનિધિએ વિચાર કરી કહ્યું : ‘હા.’
‘ત્યારે તો યાદ આવતી હશે.’
‘હાસ્તો; અમારે કંઈ તમારી માફક ત્યાગવૃત્તિ સેવવી છે?’
‘જુઓ ત્યારે હું શું કહેતી હતી? ત્યાગવૃત્તિ નથી સેવી તેમાં જ તમને દુઃખ થાય છે.’
‘વિરહ ભોગવી દુઃખી થવાને બદલે નઠોર બની પ્રેમીજનોને વીસરી જવાં તેમાં હું મોટાઈ માનતો નથી.’
વિલાસ સમજી નહિ. તેણે એક ડગલું આગળભર્યું. તેઓ ધીમેધીમે ભિલ્લમરાજના મહેલ તરફ જતાં હતાં.
‘વિરહ શું?’
‘પ્રેમ સમજ્યા વિના તે કેમ સમજાય?’ રસનિધિએ કહ્યું. તેણે વિસ્મય પામી આ નિર્દોષ છોકરી સામે જોયા કર્યું.
‘કવિરાજ! મારું માનીને જરા તપશ્ચર્યા આદરો,’ વિલાસે કહ્યું, ‘તમારું ચિત્ત શાંત થશે.’
‘એવી ચિત્તની શાંતિને શું કરું?’ ડોકું ધુણાવી રસનિધિએ કહ્યું, ‘ચિત્ત અશાંત છે-અશાંત થવાનું તેને કારણ છે-તો શા સારુ એવો ખોટો પ્રયત્ન કરવો? મારી સ્ત્રી તમારા જેટલી જ છે; તે બિચારી દિન ને રાત આંસુ સારતી હશે-તેની પળેપળ વિષમ બની રહેતી હશે. તે આવું દુઃખ ભોગવે, અને હું સ્વાર્થી શાંતિને ખાતર તપશ્ચર્યા આદરી નઠોર બનું? જે સુખ આપે તેને માટે દુઃખી થવું એ પણ એક લહાવો છે.’
વિલાસ અનુકંપાભરી નજરે જોઈ રહીઃ ‘ત્યારે તમને દુઃખી થવું તેમાં સુખ દેખાતું લાગે છે.’
‘ના-’
‘ત્યારે બીજું શું?’
‘હું દુઃખી ન થાઉં તે માટે હૃદયનાં ઝરણાં સૂકવી નાખું તો પછી તે સુખભીનું કદી ન થાય.’
‘એ ભ્રમ છે. સુખ એટલે દુઃખનો અભાવ.’
‘કોણે કહ્યું?’ જરા જુસ્સાથી રસનિધિએ પૂછ્યું, ‘તમને સુખ શું છે તેનો ખ્યાલ નથી. સુખ શું છે તેનો ખ્યાલ નથી. સુખ એટલે માત્ર દુઃખનો અભાવ નહિ. માત્ર સંતોષ એટલું જ નહિ; સુખ એટલે શરીર અને મનની ઊર્મિએ ઊર્મિનું નૃત્ય. સવારમાં પંખીઓનો કલ્લોલ જોયો છે? એનું નામ સુખ.’
‘એ સુખ મળે?’
રસનિધિએ પલવાર તેની સામે જોયું : ‘તમે પરણશો ત્યારે ખબર પડશે. તમારું લગ્ન સત્યાશ્રય કુંવર જોડે થવાનું છે?’
‘હા.’
‘ત્યારે તેને જોઈ તમારું હૃદય થનગન નાચતું નથી?’
‘શા માટે? એ સંયમી છે ને હું પણ સંયમી છું.’
‘તેનો સ્પર્શ કરી, તેના શબ્દો સાંભળી અંતર ઠારવાનું મન નથી થતું?’
‘કોઈક જ વખત.’
‘ત્યારે વિલાસવતી!’ રસનિધિએ કહ્યું, ‘તમને સુખ કે દુઃખની શાની સમજ પડે?’
વિલાસ હસી.
‘મને સમજ પાડો જોઈએ.’
‘તમારું હૈયું ઉજ્જડ થયું છે તે ક્યાંથી સમજ પડશે? લો હવે મહેલ આવ્યો, પધારો.’
‘કવિરાજ ! મારી જોડે વાત કરવી ગમતી નથી, કેમ? તમારું ચિત્ત અસ્વસ્થ છે-અવંતી ગયું છે. તમે દુઃખી થાઓ તે મને ગમતું નથી.’
‘ના, તમે છો એટલી વાર હું મારું દુઃખ ભૂલ જાઉં છું.’
‘ત્યારે તમને એક બે વાત પૂછવી છે,’ કહી એક ઝાડના થાળા પર વિલાસ બેઠી.
‘પૂછો.’ ખિન્ન વદને હસી રસનિધિએ કહ્યું.

***
(પાનાં 70થી 73)

‘પરણીને મારે કેમ વર્તવું?’
રસનિધિ ખડખડાટ હસી પડ્યોઃ ‘તમે કેમ ધારો છો?’
વિલાસને હસવાનું કારણ સમજાયું નહિઃ ‘શાસ્ત્રમાં તો સહધર્મચાર કરવાનો કહ્યો છે.’
રસનિધિ ફરી હસ્યોઃ ‘બસ ત્યારે.’
‘પણ બધાં એમ ક્યારે કરે છે?’
‘જેમ માણસની જાત જુદી તેમ સહધર્મચારનો પ્રકાર પણ જુદો,’ હસતાં હસતાં રસનિધિએ કહ્યું.
‘તે કેવી રીતે?’
‘અમારી અવંતીમાં એક કઠિયારો છે. તે પણ સહપત્નીક તાંડવ સહધર્મચાર આદરે છે-’
વિલાસે મૂંગે મોઢે જોયા કર્યું.
‘સવાર, બપોર ને સાંજ એકેકને મારે છે.’
વિલાસ પણ હસી પડીઃ ‘પછી?’
‘પછી શું? બીજા પ્રકારનો એક વિપ્રવર્યનો છે.’
‘તે શો?’
‘તેનું નામ સરસ્વતીસહધર્મચાર. તે અને તેનાં ધર્મપત્ની એકબીજાની સાત પેઢી રોજ સાંભરે છે. ’
‘નહિ, નહિ. મશ્કરી શું કરો છો?’
‘સાચી વાત. પણ તમારે તો બધા પ્રકાર સાંભળવા છેને?’
‘હા.’
‘ત્યારે ત્રીજો પ્રકાર સ્વેચ્છાધર્મચાર.’
‘એટલે?’
‘જેની નજરમાં જે આવે તે તે કરે તે.’
‘તે કંઈ સહધર્મચાર કહેવાય?’
‘હાસ્તો! પરણીને જે કરીએ તે સહધર્મચાર.’
‘પછી કંઈ સારા પ્રકાર છે કે બધા આવા જ છે?’
‘હા; પછીનો પ્રકાર સ્વયંભૂ સહધર્મચાર.’
‘એટલે?’
‘એક પક્ષ ધર્મનું આચરણ કરે ને બીજા પક્ષને પરવા નહિ.’
‘એ તો બહુ ખોટું.’
‘પણ ઘણે ભાગે લોકોને એ પ્રિય છે.’
‘કેમ?’
‘ઘણુંખરું સ્ત્રી ધર્માચરણ કરે ને પુરુષ-’
‘શું?’
‘ચાહે તે કરે.’
‘અરરર! કેવી અધમતા!’
‘એમાં અધમતા શાની? ધર્મનું ગાડું એક જણ ખેંચે ને બીજો ગાડામાં બેસે.’
‘પછી?’
‘પછી શું? એક પ્રકાર શુષ્ક સહધર્મચારનો.’
‘એટલે?’
‘બંને શાસ્ત્ર પ્રમાણે વર્તે. ને ન હોય તેમાં રસ, આનંદ, પ્રેમ.’
‘તેમાં શું?’
‘આ પણ અધમ પ્રકાર જ કહેવાય.’
‘ખોટી વાત. આ પ્રકાર જ ખરો.’
‘વિલાસવતી! આનંદ કે પ્રેમ વિનાનો સહધર્મચાર એટલે શું તેનો તમને ખ્યાલ છે?’
‘હા; મહારાજ અને જક્કલાદેવીનો એવો જ શુદ્ધ પ્રકાર છે.’
‘ત્યારે તેમના જેવાં દુઃખી ને હીણભાગી સ્ત્રીપુરુષ મળવાં કઠણ પડશે.’
‘ત્યારે ખરો સહધર્મચારા કયો?’
‘જ્યાં અન્યોન્ય પ્રેમ હોય, જ્યાં એકમેકને માટે અનંત રસ વહેતો હોય, જ્યાં આનંદ દિન ને રાત એકમેકના નયનલગ્નમાં, એકમેકના સ્પર્શમાં વસતો હોય તે સહધર્મચાર.’
વિલાસ ગૂંચવાડામાં રસનિધિની સામે જોઈ રહી.
‘તમે તો બધી જ ઊંધી વાત કરો છો.’
‘ના. તમને બધું જ ઊંધું શીખવવામાં આવ્યું છે.’

***
(પાનું-76)

‘કવિવરો! મુંજરાજને મારવાનો હુકમ થઈ ગયો છે.’ ધીમેથી લક્ષ્મીએ કહ્યું.
‘હેં!’ બંને બોલી ઊઠ્યા.

***
(પાનું-77)

‘બા! અમારો સૂર્ય અસ્ત થઈ ગયો.’
‘હજુ વાર છે.’
લક્ષ્મીદેવી પાસે આવ્યાં અને ન સંભળાય તેમ કહ્યું : ‘એને છોડાવી લઈ જવાની હિંમત છે?’

***
(પાનું-78)

‘રસનિધિ! તૈલપરાજના પંજામાંથી કોઈ કદી છટકે?’
‘સહસ્ત્ર હાથનો સહસ્ત્રાર્જૂન મહાત થયો તો પછી બે હાથના તૈલપનો શો હિસાબ?’
‘કવિરાજ!’ લક્ષ્મીદેવી મશ્કરીમાં બોલવાનો પ્રયત્ન કરતાં હતાં, ‘આ કાવ્યો રચવાનું કામ નથી.’
‘ના બા ! આ તો કાવ્યોનો કર્તવ્યમાં સાક્ષાત્કાર કરવાનો છે.’