સમાન સાહિત્યરસની પ્રેમતંતૂ બને ત્યારે?

મુલાકાતઃ સંજય પંડ્યા-પ્રતિમા પંડ્યા

* હા ત્યારે, શરૂઆત?
સંજય પંડ્યા: પપ્પા(વિઠ્ઠલ પંડ્યા) ફિલ્મક્ષેત્રે અને સાહિત્યક્ષેત્રે એક સાથે કાર્યરત, એટલે ઘરમાં અખબાર-સામયિકો પણ એટલાંબધાં આવે કે એક સાથે બાર-પંદર ધારાવાહિકો અને નવલકથાઓ વાંચતી રહે. લગભગ ૧૦ વર્ષની ઉંમર સુધીમાં અઢળક વાંચી લીધેલું અને ત્યારે એ બધું ખૂબ જ સહજ લાગતું. સ્કૂલમાં લોકો મને પપ્પાના સાહિત્યકર્મને લીધે વિશેષ માન આપતા તો ક્યારેક રેલ્વે સ્ટેશનમાં ટિકિટચેકર ઊભા રહીને એમના ચાહક હોવાની વાત કરતા ત્યારે ખૂબ ગમતું.
પ્રતિમા પંડ્યાઃ ગોંડલમાં જન્મ, મુંબઈ આવી ત્યારે સાત વર્ષની. ઘરમાં કોઈ જ સાહિત્યિક માહોલ નહિ, પણ રોજબરોજના જીવનમાં જેમ અત્યારે ધારાવાહિકોમાં લગ્નપ્રસંગ, તહેવાર, મહેમાન અને સાર-નરસા પ્રસંગો જીવાય છે, એ જીવાતા રહ્યા. પપ્પાને અખબાર વાંચવાની ટેવ અને પછી એમની વાતો, ખાસ કરીને ઐતિહાસિક સંદર્ભોની વાતો સાંભળવી ગમતી, એમની રજૂઆત મને સ્પર્શી જતી. મમ્મી પાક્કા વૈષ્ણવ એટલે ઘરમાં ભજન-કીર્તન પણ ચાલ્યા કરે, જે કાને અથડાતા રહે.

* તો શબ્દપ્રવેશ? આરંભી પ્રેરણા?
સં: પપ્પાની આંગળી પકડીને માણેલા વાર્તાવર્તૂળમાં, દિનકર જોશી, પ્રવીણચંદ્ર રૂપારેલ, ચંદુલાલ સેલારકા તો ક્યારેક સુરેશ દલાલ અને અમદાવાદથી રઘુવીરભાઈના સંસર્ગનો પણ લ્હાવો નાનપણમાં જ મળતો થયો, ત્યાં સુશીલાબેન ઝવેરી મને બાળગીતો સંભળાવતાં. એ લય-કવિતાનો પ્રથમ પરિચય. નાનપણમાં ગામ(કાબોદરા-સાંબરકાંઠા)માં જવાનું બહુ થતું. વેકેશન પડે અને ગામની વાટે ઉપડીએ. ગામથી પચાસ-સો ડગલાં ચાલતાં જ ખેતરો શરૂ થાય. ગામનો વૃક્ષાચ્છાદિત ઝાંપો, કૂવો-જ્યાં કોસ ચાલતો, ત્યાં પાણી ઉલેચાઈને હવાડામાં આવે, પાદર નજીક હનુમાનાજીના મંદિરમાં રાત્રે આરતી કરતાં, જાતે તોડીને કેરીઓ ખાતા, મકાઈના ડોડા ભેગા કરી તાપણામાં શેકતાં, હાથ-ગાડું ચલાવતાં, છાપરે મોર અને કોયલના ટહુકા હોય, ચકલીઓના માળા હોય અને ૩૦૦-૪૦૦ મીટર દૂર કોઈ પંપ ચાલવે ત્યારે જે ‘ભક ભક’ ધ્વનિ ઉત્પન્ન થાય એવા કેટલાયે અવાજો મનમાં લય બની ઘૂંટાતા રહ્યા. મોટાભાગના પ્રલંબલયનાં ગીતો આ સંસ્કારથી લખાયાં. ક્યારેક શહેરની ટ્રેન અને બસની મુસાફરીના સમયનો ધ્વનિ પણ પ્રેરણા આપતો રહ્યો. ગીત પછી અન્ય પ્રકારોમાં પહોંચાયું, જે માણ્યું એ લખાતું રહ્યું.
પ્ર: સ્વાભાવિક રીતે જ રોજબરોજ જોયેલું-સાંભળેલું બધું મનમાં ધરબાઈ રહે. સ્કૂલની મૌખિક પરીક્ષાઓમાં કવિતાઓના મોઢે પાઠ કરવાના હોય એ ખૂબ ગમતું. કોલેજમાં કવિસંમેલનો માણતી થઈ. એકવખત બોર્ડ પર મૂકવાની હિન્દી અછાંદસ કવિતાનો ગુજરાતી અનુવાદ કર્યો, ત્યારે સૌને ગર્વથી કહેતી ફરતી કે આ મેં કર્યું છે. પણ પછીથી વાંચનમાં અલગ-અલગ કવિતાઓ વાંચતી, એમાં શું અલગ કરી શકાય એ વિચાર આવ્યા કરતો અને એ બધામાંથી ‘તલાશ’ નામે પહેલી કવિતાનો પ્રયાસ થયો. આ ઉપરાંત ‘પ્રગતિ’ની બેઠકોનો લાભ મળ્યો. હા, મારા ગુરુ નૌશીલ શાહની પણ ભૂમિકા. શરૂઆતમાં અમૃતા પ્રીતમ અને પન્ના નાયકનાં કાવ્યોથી બહુ પ્રભાવિત રહી. લગ્ન પછી પ્રવૃતિઓ-લેખન બધું થોડું મંદ થયું. પણ એક સમય બાદ ફરી બધું શરૂ થયું.

* અને લગ્ન?
સં: ‘જનશક્તિ’માં સુધીર માંકડ ‘કેન્ટિન કોલિંગ’ નામની કટાર લખતા, જેમાં બે-ત્રણ નામ શોર્ટલિસ્ટ કર્યાં હતાં. એક બીજો મિત્ર મિતુલ અને પ્રતિમા બંનેને કાગળ લખ્યા હતા. બંનેનાં જવાબ મળ્યા. પછી તો કાર્યક્રમોમાં મળતાં રહ્યાં. કાર્યક્રમની માહિતીઓની પણ આપ-લે ચાલી. પાંચેક વર્ષ આમ રહ્યું. એ દરમિયાન ૧૯૮૬-૮૭ની આસપાસ પ્રગતિ મિત્ર મંડળમાં મહિનાના એક શનિવારે કવિઓની બેઠક શરૂ થઈ એમાં પણ સાથે. એ સમયે ‘સમકાલીન’ અખબાર દ્વારા સાહિત્યિક જનરલ નોલેજની સ્પર્ધા યોજાઈ, જેમાં જોડીમાં જ ભાગ લઈ શકાય. એ સ્પર્ધામાં ૬૦૦ જોડીમાંથી ત્રણ જોડી પસંદ થઈ, જેમાં અમેય હતાં. ઈનામરૂપે ૫૦૦ રૂપિયા અને એક નેકલેસ મળ્યા. (હસીનેઃ નેકલેસ પ્રતિમાને આપી દીધો.) ઈનામી રકમ સાહિત્યિક પ્રવૃત્તિ માટે જ વપરાય એવા આશયથી અમે અને દિલીપ રાવલ એસ.એન.ડી.ટી.માં જયંત પાઠક પાસે ગયાં અને એ રકમ ઇનામ તરીકે જ વહેંચી.
પ્ર: અન્ય બેઠકો પણ યોજાતી રહી. મળાતું રહ્યું. આમ એક તરફ વધુને વધુ સહિયારી પ્રવ્રુતિઓને લીધે ઘનિષ્ટતા વધી, બીજી તરફ બંનેનાં ઘરમાં જીવનસાથીની શોધ ચાલી. પાંચ વર્ષની મિત્રતાના પરિણામે ગ્રુપમાં બીજી પણ જોડીઓ બની રહી હતી ત્યારે અંતે અમે પણ પરણવાનું નક્કી કર્યું. ૧૯૮૯માં પરિવારજનોની નારાજગી વહોરીને પણ પરણ્યાં, ને પડકારો વચ્ચે પણ નવજીવન આરંભ્યું.

* સાહિત્યની ભૂમિકા-પ્રસ્તુતતા બાબતે?
સં.: સાહિત્ય માણસને સંવેદનશીલ બનાવે છે. જીવનને જોવા માટે આગવી દ્રષ્ટિ કેળવી આપે છે. બે વ્યક્તિ વચ્ચે વિચારભેદો-મતભેદો તો રહેવાના જ, એ ભેદો મનભેદ ન બને એ જરૂરી છે, એ સમજ પણ સાહિત્ય કેળવી આપે છે અને અન્ય વ્યક્તિને સમજવામાં ઘણી મદદ કરે છે.
અગાઉ સાધનો વગરના ગ્રામીણ વાતાવરણમાં સાહિત્ય જીવંત હતું, પ્રભાતિયાં, ભજન, લોકગીતો, ગરબા ને દોહરાઓ રૂપે સાહિત્ય લોકોની જીભે જીવંત હતું. સાહિત્યનો ઘણો મોટો હિસ્સો એ જ રીતે સચવાયો છે, લોકો માટે એ જ મનોરંજન પણ હતું. પછી ટેલિવિઝનથી શરૂ થઈને અત્યાર સુધી વિકસેલી ટેકનોલોજી, નવાં સાધનોથી મનોરંજનની નવી પરંપરા શરૂ થઈ. એને લીધે પેલી પરંપરાઓનો સંબંધ કેટલેક અંશે ખોવાયો. એક આખી પેઢી અંગ્રેજી માધ્યમ તરફ ફંટાઈ ગઈ, જેમાંથી ઘણા આપણા સંસ્કાર, સંસ્કૃતિ અને ભાષાથી વિમુખ થઇ ગયા. આ પ્રશ્ન દરેક પ્રાંતીય ભાષા સામે છે.
પ્ર.: સાહિત્યનું રસપાન વ્યક્તિની અંદર એક સંસ્કૃતિને સીંચે છે, જે વ્યક્તિને અવિવેકી ને અસમજૂ થતા અટકાવે છે.
સાહિત્ય તરફ બાળકોને ફરી આકર્ષવા માટે સમાજે ત્રણ મોરચે કામ થવું જોઈએ. શિક્ષક - માતાપિતા – સાહિત્યકાર, એમાં માતાપિતાને સમય નથી, શિક્ષકને સમજ નથી ને સાહિત્યકારોને પોતાનું નામ અને દામ કમવામાંથી ફુરસદ નથી. અત્યારે ત્રણેય નિષ્ફળ છે, એટલે બાળકોને જ્યાં દિશા દેખાય ત્યાં એ તરફ વળી જાય છે.
(ચર્ચાઃ સમીરા પત્રાવાલા)


એક સામાન્ય વ્યક્તિની નજરે સાહિત્ય

વિનોદ પટેલ, 30 વર્ષ.
ફેક્ટરી કામદાર, અમદાવાદ.
શિક્ષણઃ દસ ધોરણ.

* સાહિત્ય તમારી માટે શું છે?
સાહિત્ય શબ્દ સાંભળ્યો છે કંઈ કવિઓનું હોય છે. બાકી એ વિશે વધુ કંઈ ખબર નથી.

* કોઈ પુસ્તક વાંચ્યું છે?
ના. કંઈ વાંચતો નથી. એ અમારે શું કામનું? સમય કેમ બગાડવો? એટલો સમય કામધંધામાં વધારે ધ્યાન આપીએ તો બે પૈસા વધુ કમાઈએ. જોકે વરસો પહેલાં ક્યારેકક્યારેક છાપાં-ચોપાનિયાં ઉથલાવ્યાં છે.

* એટલે ક્યાંક કંઈ વાંચીને કદી ખળભળી જવાયું કે સુન્ન થઈ જવાયું હોય એવું થયું છે?
હા. એકવાર ટ્રક પાછળ વાંચેલું એક વાક્ય બરાબર મગજમાં ચોંટી ગયું છે, ‘તું તારું કર...’ એમ લખેલું હતું. એ કહે છે કે તું મારું ન વિચાર, તું તારા પર ધ્યાન આપ... તારી પોતાની ચિંતા કર.

* કદી કવિસંમેલન-મુશાયરા-કાર્યક્રમમાં ગયા છો?
ના.

* કોઈ કવિતાની પંક્તિઓ યાદ છે? સ્કૂલમાં ભણેલી કે સાંભળેલી?
જળકમળ છોડી જાને બાળા...

* એ નરસિંહ મહેતાની છે, એ કોણ હતા ખબર છે?
હા, એ કૃષ્ણના દૂત હતા.

* બીજી કોઈ પંક્તિઓ?
સોળ(ચૌદ) વરસની ચારણ કન્યા...

* ઝવેરચંદ મેઘાણીને ઓળખો છો?
અમારી આ હિરાવાડીનો ઝવેરી છે કદાચ.

* ગોવર્ધનરામ ત્રિપાઠીનું નામ સાંભળ્યું છે?
ના.

* સરસ્વતીચંદ્ર સાંભળ્યું છે?
હા, એ કોઈ મોટા માણસ હતા.

* ચંદ્રકાન્ત બક્ષીને જાણો છો?
ચંદ્રકાન્ત પક્ષી? (કંટાળાભર્યું હસે છે.)

* રઘુવીર ચૌધરીનું નામ સાંભળ્યું છે?
એક રઘુવીર રબારીને ઓળખું છું.

* તમને શું લાગે છે આ વાર્તાકવિતાઓને એ બધું લખાવું જોઈએ?
જેમની માટે કામનું હોય એમની માટે ભલે, બાકી એ બધું આપણા કામનું નહીં.

* તમને પુસ્તકો વાંચવાનું કહું તો વાંચો? તમારે પુસ્તકો વાંચવા જોઈએ. સરકાર કરોડો રૂપિયા ખર્ચીને સાહિત્યનું સંવર્ધન પ્રસાર-પ્રચાર કરે છે એ તમારી માટે કરે છે, એના પૈસા તમારા ભરેલા ટેક્સમાંથી આવે છે.
એમ હોય, તો જો સરકાર એવી વ્યવસ્થા કરી આપે કે એ પુસ્તકો વાંચવાથી અમને અમારા ટેક્સના પૈસા પાછા મળી જાય તો પુસ્તકો વાંચી કાઢીએ.

* કવિલેખકો વિશે શું માનો છો? એ લોકો આટલી બધી મહેનત કરીને શું કામ લખતા હશે?
પ્રસિદ્ધિ માટે લખતા હોય બીજું શું. નહીંતર સાથે એમનું નામ શા માટે લખે? લોકો માટે લખતા હો તો નામ લખવાની શી જરૂર છે?


જીવનમાં સાહિત્યઃ ક્યાં અને કેટલું?

નામ : શ્રુતિ જોષી
અભ્યાસ: એમ.ઈ.
રહેઃ અમેરિકા.

* ગુજરાતી સાહિત્યમાં રસ ખરો?
હા, વાર્તાઓ વાંચવી બહુ ગમે. કવિતાઓ ઓછી સમજાય છે પણ એય ગમે ખરી.

* સાહિત્યનો પરિચય કેવી રીતે થયો?
બાળપણમાં પપ્પા લાઈબ્રેરીમાંથી પુસ્તકો લઈ આવતાં. ઝવેરચંદ મેઘાણી, વર્ષા અડાલજા જેવા સર્જકોનાં પુસ્તકો વાંચ્યાંનું યાદ છે. મમ્મીપપ્પા સાથે હું પણ એ બધાં પુસ્તકો વાંચતી. છાપાઓની પૂર્તિઓમાં આવતી વાર્તાઓ-લેખો ઉપરાંત સામાયિકો પણ વંચાતાં. આમ, ઘરમાં બધાને છાપામાં પૂર્તિઓ-સામયિકો વાંચવાનો બહુ શોખ. બકુલ ત્રિપાઠી, તારક મહેતા વગેરે અનેક લેખકોને વાંચ્યા છે, આજે પણ વાંચીએ છીએ.

* કેવી વાર્તાઓ ગમે?
નવલિકાઓ, હાસ્યકથાઓ, રહસ્યકથાઓ અને જીવનમાં કોઈ હેતુ કે નવો વિચાર દર્શાવતી વાર્તાઓ ગમે. અમેરિકામાં ફ્રી લાઈબ્રેરીની પ્રથા છે. જેમાં અઢળક પુસ્તકો હોય, ત્યાંથી હું મારા અને બાળકો માટે પુસ્તકો લઈ આવું છું.

* યાદ રહી ગઈ હોય એવી વાર્તા-નવલકથા?
હંમેશાંથી વાંચવું ગમે, પણ લેખક અને વાર્તાઓનાં નામ બહુ યાદ નથી રહેતાં. માનવીની ભવાઈ, લીલુડી ધરતી. તેનાલિ રામની વાર્તાઓ અને જુમો ભિસ્તી વગેરે નામો અત્યારે યાદ કરતા જીભે ચઢે છે.

* સાંપ્રત સમયમાં સાહિત્યની ઉપયોગિતા લાગે છે?
હા, ચોક્કસ. મારા અંગત અનુભવ પરથી જ કહું. અહીં અમેરિકામાં હું મારાં બાળકોને વાર્તાઓ સંભળાવું છું અને પ્રયત્ન કરું છે કે બાળકો ગુજરાતીમાં વાંચતાં પણ થાય. પુત્ર નિસર્ગને નિયમિત ‘પંચતંત્ર’ વાંચી સંભળાવું છું. અહીં ‘શિશુભારતી’ નામે એક સંસ્થા કાર્યરત છે જે બાળકોને ગુજરાતી ભાષા શીખવી છે. નિસર્ગ ત્યાં બે વર્ષથી જાય છે અને વાંચતા શીખ્યો છે, પણ ગુજરાતી-વાચનમાં હજી પૂરેપૂરી પકડ નથી આવી. ભાષા બોલવા ઉપરાંત મારાં બાળકો ગુજરાતીમાં વિચારતાં પણ થાય(જે હાલ અંગ્રેજીમાં વિચારે છે.)એવા મારા પ્રયાસ છે. માતૃભાષા દ્વારા જ બાળકો સંસ્કૃતિ સાથે પણ જોડાયેલાં રહે છે એ વિદેશની ધરતી પર રહેતાં અમને સમજાય છે. બાકી, અંગ્રેજીમાં બહુ ફોર્માલિટી કરવી પડે છે, કંટાળો આવે, પણ મજાક-મસ્તી તો માતૃભાષામાં જ કરવાની મજા આવે. મૌલિક અભિવ્યક્તિને પારકી ભાષા ન ફાવે. આ બધું સાહિત્યને લીધે શક્ય બને છે એવું મને લાગે છે.

* આજના સાહિત્યકારો પાસેથી શી અપેક્ષા રાખો છો?
મૂળ જરૂર છે કે મોટેરાઓની સાથેસાથે બાળકોને પણ સ્પર્શે એવું સાહિત્ય લખાય, જેમાં વર્તમાન સમાજમાં ચાલતી ઘટનાઓ, પ્રસંગો, આજના માનવજીવન અને સંસ્કૃતિનું ચિત્રણ હોય. વાર્તામાં બુદ્ધિકૌશલ્ય સાથે ટેકનોલોજીનો પણ સમન્વય હોવો જોઈએ.


સાહિત્યમાં જીવનઃ કિરીટ દૂધાત

* જીવન અને સાહિત્ય વચ્ચેનો સંબંધ તમારા મતે-તમારા અનુભવે, શું છે?

* સાહિત્યને વ્યાપક અર્થમાં લઈએ તો કોઈ પણ વ્યક્તિના જીવનમાં સાહિત્ય પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે હાજર હોય છે જ. જેનું પદ્ધતિસરનું શાળાકીય શિક્ષણ નથી થયું એવી વ્યક્તિ લોકગીત ગાય કે આપણા અભણ દાદીમા વાતચીતમાં કહેવતોનો અને રૂઢિપ્રયોગોનો ધાણીફૂટ ઉપયોગ કરે તો તેમાં એમની ચેતનાનો કોઈ અંશ સાહિત્ય સાથે જોડાયેલો હોય જ છે. વીસમી સદીના ત્રીજાથી નવમા દાયકા સુધી ફિલ્મોએ સાહિત્યને લોકો સાથે જોડાયેલું રાખ્યું છે, ત્યાર પછી આ કામ ટી.વી.ની સિરિયલોએ કર્યું છે. એમ કહેવાય છે કે બાળક જન્મીને હાલરડું સાંભળે કે એનાં મરણ પછી મરશિયાં ગવાય એમાં બધે સાહિત્ય કોઈને કોઈ રીતે જોડાયેલું હોય છે. હવે સાહિત્યને આપણે રૂઢ અર્થમાં લઈએ કે શિક્ષિતો નવલકથા કે કવિતા વાંચે એને જ સાહિત્ય કહેવાય તો એવું પણ વત્તા ઓછા અંશે આપણી આસપાસ જોઈએ છીએ, એ રીતે એક યા બીજા સ્વરૂપે માણસના જીવનમાં સાહિત્યની હાજરી હોય છે. આખરે તો માણસને સૌંદર્ય(aesthetics)નો સંસ્પર્શ જોઈએ છે. પછી એ લોકગીત, ભજન, કહેવત, ફિલ્મ અને એનું સંગીત, મુશાયરો, છાપામાં આવતી કોલમ કે નવલકથા અને ‘સરસ્વતીચન્દ્ર’ કે ‘પૂર્વાલાપ’ હોય, એનાં વાંચનમાંથી પણ માણસ પોતાની સમજણ અને રુચિ મુજબ એ મેળવી લે છે.

* તમારી શબ્દસાધનાને જીવન સાથે કેવી રીતે જોડો છો?

* આ સવાલનો જવાબ આપવા માટે મારે કેટલીક અંગત વાતો કહેવી પડશે, એને મારી કોઈ સિદ્ધિ તરીકે કે સ્વ-પ્રશંસા તરીકે ન જોતા, આ પ્રશ્નના જવાબમાં જોવા વિનંતી... તો, મારો જન્મ અને દસમા ધોરણ સુધીનો અભ્યાસ સૌરાષ્ટ્રના એક નાના ગામમાં થયા જ્યાં ખેતી સિવાયના કોઈ વ્યવસાયની તકો નહોતી. પિતાજી અમદાવાદની એક મિલમાં સામાન્ય કારીગર. દસમા પછી હું અમદાવાદ આવ્યો અને મિલ મજૂરોની વસાહતોમાં રહ્યો, ત્યાં પણ મિલમાં કામદાર તરીકે નોકરી મળે એ જીવનની મોટી સિદ્ધિ ગણાતી. વળી ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી નાણાકીય સગવડ આવાં કુટુંબોમાં ન હોય એ તો સ્વાભાવિક છે, પરંતુ હું વાંચતા શીખ્યો ત્યારથી સાહિત્ય મારી રોજિંદી જિંદગીમાં સતત વણાયેલું રહ્યું છે. મારા વડવાઓ જે જિંદગી જીવ્યા એનાથી પણ વધુ સારી આંતરિક ને બાહ્ય જિંદગી તેમ જ દુનિયા છે એ વાતનું સતત ભાન મને સાહિત્યના કારણે થયું. એવી જિંદગી જીવવા અને મેળવવા મેં પ્રયત્નો કર્યા જેમાં થોડાક અંશે તો થોડાક અંશે હું સફળ થયો. આ બધું મેં એકલા હાથે નથી કર્યું. મારાં નાના-નાની, માતા પિતા, મારાં શિક્ષકો અને મિત્રોના અડગ ટેકા સિવાય આ શક્ય ન જ થયુ હોત, પણ હું જ્યાં જન્મ્યો હતો અને જ્યાં પહોચ્યો છું એમાં સાહિત્ય મને દીવાદાંડીની જેમ સતત દોરતું રહ્યું છે એ મારા પૂરતું તો સત્ય છે જ...

* આજના સમાજમાં સાહિત્યની જીવંતતા ક્યાં જુઓ છો?
* આજના સમયમાં સાહિત્યની જીવંતતા મને મારી આસપાસ ખાસ દેખાતી નથી. માણસો આજકાલ ઓછું વાંચે છે, જેના કારણે એક બીજા પ્રત્યેની સહિષ્ણુતા ઘટતી જતી હોય એમ લાગે છે, પરંતુ માનવસંસ્કૃતિ અસ્તિત્વમાં આવી ત્યારથી કોઈ પણ સંવેદનશીલ મનુષ્યને ભૂતકાળ કરતાં વર્તમાન અને ભવિષ્ય હંમેશાં નિરાશાજનક જ લાગે છે. એ રીતે તટસ્થપણે વિચારતા મારી આ માન્યતા માણસમાં રહેલા એ સ્વાભાવિક દોષદર્શન જેવી જ લાગે છે. હવે પછીની દુનિયા આજના કરતાં ભૌતિક રીતે બહેતર હશે, પણ એમાં સાહિત્ય માણસને માણસ બનાવી રાખવામાં બળ પૂરું પાડશે એની મને ખાતરી નથી. પચાસ વરસ પહેલાં આપણી જિંદગીમાં સાહિત્ય જેટલું ચાલકબળ હતું એમાં ચોક્કસ ઘટાડો થયો છે. એ રીતે આપણા સમાજમાં સાહિત્યની જીવંતતા ઓછી થતી જતી હોય એમ લાગે છે.
(વાતચીતઃ સમીરા પત્રાવાલા)