કવિતામાં કવિતા સિવાયનું બીજુંબધું... - સુનીલ મેવાડા

દાડમડીનાં ફૂલ રાતાં ઝૂલણ લ્યો વણઝારી
ફૂલ રાતાં ને ફળ એનાં લીલાં ઝૂલણ લ્યો વણઝારી
હું તો વાણીડાને હાટે હાલી
ચૂંદડી મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઊઠી ઝૂલણ લ્યો વણઝારી…
હું તો સોનીડાને હાટે હાલી
ઝુમણા મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઊઠી ઝૂલણ લ્યો વણઝારી…
હું તો મણિયારાને હાટે હાલી
ચૂડલા મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઊઠી ઝૂલણ લ્યો વણઝારી…
– લોકગીત

લોકસાહિત્યની સમૃદ્ધિ અને સુમધુરતાની ગાથા આપણે અનેકવાર સાંભળી છે. આવાં કેટલાંય ગીતો આપણે સાંભળતાં-માણતાં આવ્યાં છીએ. કોઈકને વળી પ્રશ્ન થાય કે આ લોકગીત ખરું, સારુંય ખરું, પણ એમાં કવિતા ખરી? કોઈ ના પાડવાની હિંમત કરે? કવિતાનિર્ણાયકો કહેતા હોય છે એમ, એમાં નવીનતા શું? ન ભાવનું નાવિન્ય કે ન અભિવ્યક્તિમાં તાજગી, લયપ્રાસ ઠીકઠીક સારા, પણ લયપ્રાસથી (કથિત-કુખ્યાત) કાવ્યતત્વ થોડી સિદ્ધ થાય, પછી એમાં કવિતા ક્યાં? કયું તત્વ સ્પર્શે છે? આખરે ક્યાં ક્યાં ક્યાં, ક્યાં છે કવિતા?
દાડમડીનાં ફૂલ રાતાં રંગનાં છે અને ફળ લીલા રંગનાં છે, (નાચતા હો તો ઝૂલણ લ્યો, ન નાચતા હો તો કંઈ નહીં.) ઓકે, ફાઈન. ચૂંદડી લેવા વાણિયા પાસે ગઈ, ઊભા ઊભા ચૂંદડી જોઈ(નાચતા હો તો, ઝૂલણ.), હેઠે બેસી મૂલ કર્યા (વન્સ અગેઈન ઝૂલણ), ફૂલ રાતાં છે ને ફળ લીલાં છે. ઠીક છે, સમજ્યા. એ જ રીતે સોની પાસે ઝુમરાં, મણિયારા પાસે ચૂડલાં જોયાં-મૂલવ્યાં-લીધાં,(ઝૂલણ-ઝૂલણ-ઝૂલણ) પત્યું. ઠીક છે, તો શું? કવિતા ક્યાં?
શું આ સદી અગાઉ સદીઓથી બાયડીઓ સાવ નવરી હતી એટલે બસ પ્રાસબદ્ધ ગીતો બનાવ્યાં કરતી? નવરાત્રીઆદી નાચવાના પ્રસંગો આવે એટલે સહુના પગમાં થનગાટ ઉમેરવા આ પ્રકારે ઠુમકાબદ્ધ શબ્દો ગોઠવ્યા કરતી? એટલા માત્રથી આ બધાં ગીત રચાયાં? એમાં કૂદાકૂદીની મજા અને આનંદ છે, પણ કાવ્યતત્વ નથી?
લગ્નઆદિ પ્રસંગોમાં ગામની સ્ત્રીઓને ગાણાં ગાતાં સાંભળવાનું (સદભાગ્યે) કેટલીકવાર બન્યું છે, એમાં સાંભળેલી એક પંક્તિ ભૂલાતી નથી, ન ભૂલાય છે એ ગાતી વખતે જોયેલો પેલી સ્ત્રીઓના ચહેરા પરનો ભાવ. એ પંક્તિઃ
“લીંબડાની છાયા,
જેવી માબાપની માયા...
માયા છોડવી પડશે, સાસરે જાવું પડશે....”
સાવ આવી સપાટ બયાની. આમાં કવિતા ખરી? પણ આ ગાતી વખતે પેલી પચ્ચીસથી પિસ્તાલીસ વરસ સુધીની પરણેલી સ્ત્રીઓના ચહેરા જે ભાવ તરવરતો હતો, એ સ્પષ્ટપણે ચાડી ખાતો હતો કે આ પંક્તિ તે બધીઓ માત્ર સાસરે જનારી સ્ત્રીને જ નથી કહેતી, પણ પોતાની જાતને પણ યાદ કરાવ્યા કરે છે કે માબાપના રાજમાં જે જલસો હતો, તે સાહ્યબી હજી ભૂલાતી નથી, મનોમન એમની ખોટ સાલે છે, માબાપની છત્રછાયા સાંભરે છે, પણ હવે આટલેવરસે તો એ બધું ભૂલ ભૂંડી ભૂલ !
દાડમડીનાં ફૂલ ગમેતેવાં હોય ને ફળ ગમેતેવાં હોય, વાણિયા-સોની-મણિયારા પાસે એકએક કરીને શોપિંગ કર્યું હોય કે મોલમાં જઈ સાગમટું કે ઘરેબેઠા ઓનલાઈન ઓર્ડર આપ્યું હોય, કશો ફરક નથી પડતો, મહત્વનું છે માત્ર ઝૂલણ. ઝૂલણ. ઝૂલણ. ગમે તે વાત હોય, ગમે તે શબ્દ હોય, ગમે તે પ્રાસ હોય, ગમે તે કારણ હોય કે કોઈ જ કારણ ન હોય, આજે તો મર્યાદાના વર્તૂળમાંથી બહાર નીકળી ઝૂલણ લઈ થનગનવા મળ્યું છે એટલે બસ ઝૂલણ લ્યો ને ઝૂમો... એ જ જીવનની કવિતા અને એ જ કવિતાનું જીવન ! આવું ધૂળિયું કાવ્ય-લોકગીત ન જાણે કેટલીય સ્ત્રીઓનાં હૈયાંને કેટલાંય વર્ષોથી હચમચાવતું ગરબે ઘૂમતું રહ્યું છે. આમાં કઈ કવિતા અને કયું જીવન? અહીં સુધીમાં તો ખરેખર ચડિયાતું કાવ્ય કેવું હોય ને હોય તો કયું હોય એ પ્રશ્ન પણ સાવ નિરર્થક લાગે એવી વ્યાપક અનુભૂતિ થઈ આવે છે.
-પણ, અહીં શહેરમાં બેઠાબેઠા ઘણીવાર વિચાર આવે છે કે આપણે કવિતાના શા હાલ કર્યા છે?
કેમ હજી આપણે ઊંબરે ઊભા રહી વ્હાલમનાને જ બોલવાનું કહ્યા કરીએ છીએ? કેમ હજી આપણા ભઈલાઓ લીંબડીપીપળી હલાવી વહાલી બેનીને હિંચકે જ ઝૂલાવ્યા કરે છે? કેમ હજી આપણે મધુવનમાં ખોવાયેલા માધવને જ શોધ્યા કરીએ છીએ? કેમ હજી આપણા સાંવરિયાઓ ખોબો માગીએ તો દરિયો જ દઈ દીધા કરે છે?
કારણઃ અનુભૂતિ ! ખરેખર?
અનુભૂતિને અનુસરેલા શબ્દો પંક્તિ સુધી કૂચ કરે, ને એવી પંક્તિઓથી જે કવિતા રચાય, એને વળી ક્યાં પ્રકાર ને બંધારણની ચિંતા રહે? કે પ્રકાર અને બંધારણોના ચોકઠા સમજ્યા પછી જ કવિતા સિદ્ધ થાય છે?
કવિ ધૂમિલની, ‘કવિતા’ નામની એક કવિતામાંની આ એક માત્ર પંક્તિ મૂકી દીધા પછી મારે-તમારે વધારે કશી ફરિયાદ કરવાની નહીં રહે.
“(કવિતા)
વહ કિસી ગંવાર આદમી કી ઉબ સે
પૈદા હુઈ થી ઔર
એક પઢે-લિખે આદમી કે સાથ
શહર મેં ચલી ગઈ...”


સાહિત્યમાં જીવનઃ કિરીટ દૂધાત

* જીવન અને સાહિત્ય વચ્ચેનો સંબંધ તમારા મતે-તમારા અનુભવે, શું છે?

* સાહિત્યને વ્યાપક અર્થમાં લઈએ તો કોઈ પણ વ્યક્તિના જીવનમાં સાહિત્ય પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે હાજર હોય છે જ. જેનું પદ્ધતિસરનું શાળાકીય શિક્ષણ નથી થયું એવી વ્યક્તિ લોકગીત ગાય કે આપણા અભણ દાદીમા વાતચીતમાં કહેવતોનો અને રૂઢિપ્રયોગોનો ધાણીફૂટ ઉપયોગ કરે તો તેમાં એમની ચેતનાનો કોઈ અંશ સાહિત્ય સાથે જોડાયેલો હોય જ છે. વીસમી સદીના ત્રીજાથી નવમા દાયકા સુધી ફિલ્મોએ સાહિત્યને લોકો સાથે જોડાયેલું રાખ્યું છે, ત્યાર પછી આ કામ ટી.વી.ની સિરિયલોએ કર્યું છે. એમ કહેવાય છે કે બાળક જન્મીને હાલરડું સાંભળે કે એનાં મરણ પછી મરશિયાં ગવાય એમાં બધે સાહિત્ય કોઈને કોઈ રીતે જોડાયેલું હોય છે. હવે સાહિત્યને આપણે રૂઢ અર્થમાં લઈએ કે શિક્ષિતો નવલકથા કે કવિતા વાંચે એને જ સાહિત્ય કહેવાય તો એવું પણ વત્તા ઓછા અંશે આપણી આસપાસ જોઈએ છીએ, એ રીતે એક યા બીજા સ્વરૂપે માણસના જીવનમાં સાહિત્યની હાજરી હોય છે. આખરે તો માણસને સૌંદર્ય(aesthetics)નો સંસ્પર્શ જોઈએ છે. પછી એ લોકગીત, ભજન, કહેવત, ફિલ્મ અને એનું સંગીત, મુશાયરો, છાપામાં આવતી કોલમ કે નવલકથા અને ‘સરસ્વતીચન્દ્ર’ કે ‘પૂર્વાલાપ’ હોય, એનાં વાંચનમાંથી પણ માણસ પોતાની સમજણ અને રુચિ મુજબ એ મેળવી લે છે.

* તમારી શબ્દસાધનાને જીવન સાથે કેવી રીતે જોડો છો?

* આ સવાલનો જવાબ આપવા માટે મારે કેટલીક અંગત વાતો કહેવી પડશે, એને મારી કોઈ સિદ્ધિ તરીકે કે સ્વ-પ્રશંસા તરીકે ન જોતા, આ પ્રશ્નના જવાબમાં જોવા વિનંતી... તો, મારો જન્મ અને દસમા ધોરણ સુધીનો અભ્યાસ સૌરાષ્ટ્રના એક નાના ગામમાં થયા જ્યાં ખેતી સિવાયના કોઈ વ્યવસાયની તકો નહોતી. પિતાજી અમદાવાદની એક મિલમાં સામાન્ય કારીગર. દસમા પછી હું અમદાવાદ આવ્યો અને મિલ મજૂરોની વસાહતોમાં રહ્યો, ત્યાં પણ મિલમાં કામદાર તરીકે નોકરી મળે એ જીવનની મોટી સિદ્ધિ ગણાતી. વળી ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી નાણાકીય સગવડ આવાં કુટુંબોમાં ન હોય એ તો સ્વાભાવિક છે, પરંતુ હું વાંચતા શીખ્યો ત્યારથી સાહિત્ય મારી રોજિંદી જિંદગીમાં સતત વણાયેલું રહ્યું છે. મારા વડવાઓ જે જિંદગી જીવ્યા એનાથી પણ વધુ સારી આંતરિક ને બાહ્ય જિંદગી તેમ જ દુનિયા છે એ વાતનું સતત ભાન મને સાહિત્યના કારણે થયું. એવી જિંદગી જીવવા અને મેળવવા મેં પ્રયત્નો કર્યા જેમાં થોડાક અંશે તો થોડાક અંશે હું સફળ થયો. આ બધું મેં એકલા હાથે નથી કર્યું. મારાં નાના-નાની, માતા પિતા, મારાં શિક્ષકો અને મિત્રોના અડગ ટેકા સિવાય આ શક્ય ન જ થયુ હોત, પણ હું જ્યાં જન્મ્યો હતો અને જ્યાં પહોચ્યો છું એમાં સાહિત્ય મને દીવાદાંડીની જેમ સતત દોરતું રહ્યું છે એ મારા પૂરતું તો સત્ય છે જ...

* આજના સમાજમાં સાહિત્યની જીવંતતા ક્યાં જુઓ છો?
* આજના સમયમાં સાહિત્યની જીવંતતા મને મારી આસપાસ ખાસ દેખાતી નથી. માણસો આજકાલ ઓછું વાંચે છે, જેના કારણે એક બીજા પ્રત્યેની સહિષ્ણુતા ઘટતી જતી હોય એમ લાગે છે, પરંતુ માનવસંસ્કૃતિ અસ્તિત્વમાં આવી ત્યારથી કોઈ પણ સંવેદનશીલ મનુષ્યને ભૂતકાળ કરતાં વર્તમાન અને ભવિષ્ય હંમેશાં નિરાશાજનક જ લાગે છે. એ રીતે તટસ્થપણે વિચારતા મારી આ માન્યતા માણસમાં રહેલા એ સ્વાભાવિક દોષદર્શન જેવી જ લાગે છે. હવે પછીની દુનિયા આજના કરતાં ભૌતિક રીતે બહેતર હશે, પણ એમાં સાહિત્ય માણસને માણસ બનાવી રાખવામાં બળ પૂરું પાડશે એની મને ખાતરી નથી. પચાસ વરસ પહેલાં આપણી જિંદગીમાં સાહિત્ય જેટલું ચાલકબળ હતું એમાં ચોક્કસ ઘટાડો થયો છે. એ રીતે આપણા સમાજમાં સાહિત્યની જીવંતતા ઓછી થતી જતી હોય એમ લાગે છે.
(વાતચીતઃ સમીરા પત્રાવાલા)


માતૃભાષા વગર સંસ્કૃતિરક્ષાની અફવા !

આપણે જોઈ રહ્યા છીએ કે ચારે તરફ સામાજિક, ધાર્મિક, રાજકીય (અને હવે તો જ્ઞાતિગત) સંગઠનોની મોટાપાયે હોહા મચી છે. આ બધાં સંગઠનો સંસ્કૃતિના-દેશના હિતરક્ષક હોવાનો, લોકહિતમાં કાર્ય કરતાં હોવાનો દાવો કરે છે અને પોતપોતાનાં ક્ષેત્રમાં ભૌતિક રીતે કાર્યરત પણ રહે છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે આ બધાં સંગઠનો માત્ર પોતપોતાની વિચારધારા અને માન્યતાઓના પ્રચાર-પ્રસારને બદલે અથવા એની સાથે સાથે, સમાજવિકાસના મૂળમાં રહેલાં માતૃભાષાના માધ્યમથી બાળશિક્ષણ ને યુવાનોના ઘડતર પર ધ્યાન કેન્દ્રિત કેમ ન કરે? આમ તો એ બધાં સંગઠનો મોટાભાગે સાંસ્કૃતિક વારસાને સાચવવાના પક્ષકાર હોય છે, પણ તે માટેનાં પાયાકીય પ્રયત્નો કરવાને બદલે ઉપરછલ્લાં કાર્યો કરીને સંતોષ માની લે છે.
બીજી વાત આપણા ધાર્મિક-સાંસ્કૃતિક સાહિત્યની, એમાં જે મૂળ તત્વ રહેલું છે, તે અંગ્રેજી જેવી બીજી ભાષામાં રૂપાંતરિત થાય ત્યારે એના મૂળ સ્વરૂપમાં જ બની રહે છે કે કેમ એ પ્રશ્ન મહત્વનો છે. પાછલી અનેક પેઢીઓનું સાંસ્કૃતિક ઘડતર કરનારી આપણી અનેક લોકવાર્તાઓના આજે ઉપલબ્ધ અંગ્રેજી અનુવાદો વાંચીએ ત્યારે સમજાય છે કે આ તો કથાનો અનુવાદ થઈ ગયો, પણ કથાસાર તો ક્યારેય અનુવાદિત થઈ શકશે એમ નથી લાગતું. ‘ચકી-બેન’ જેવા સંબોધન પાછળ માત્ર ચકલીને બોલાવાની વાત તો વાર્તાનો ભાગ છે, પણ ચકલી સુદ્ધાંને ‘બેન’ કહેવા પાછળનો બંધુત્વભાવ આપણી સંસ્કૃતિનો પાયો છે.(ઉંદરમામા, સૂર્યદાદા વગેરેવગેરે.) એનો અનુવાદ સન-અંકલ કે માઉસ-અંકલ થયો તોય શું? એવા શાબ્દાનુવાદો થાય, પણ ભાવાનુવાદો મુશ્કેલ છે, જે અનુવાદો ભણનારા માટે વધારે ઘાતક ને કંટાળાજનક બની શકે. ચેતવણી એ માતાપિતાઓ માટે પણ છે કે જે બધાં પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવતાં-ભણાવતાં માત્ર શનિ-રવિવારે કે અન્ય રજાના દિવસે પાઠશાળા કે સાંસ્કૃતિક-ધાર્મિક કેન્દ્રોમાં મોકલીને સંસ્કૃતિ-સંસ્કાર સાથે જોડાયેલા હોવાનો ભ્રમ પાળે છે. તેમણે સમજવું જોઈએ કે માતૃભાષા વગર એ કાર્ય એક પૈડે રથ દોડાવવા જેવું છે. અંતે એ બાળક માટે ફક્ત બોજારૂપ બની રહે છે.
જોકે ‘બધું બળતું હોય ત્યાં જે બચ્યું એ સોનુ’ના ભાવથી કાર્યરત આવાં કેટલાંક કેન્દ્રો આમ ભલે ધન્યવાદને પાત્ર ગણાય, પણ એ કાર્યો અપૂરતાં-અધકચરાં છે. કહેવાય છે કે અધૂરું જ્ઞાન વધારે જોખમી છે, એમ આ રીતની અધકચરી સંસ્કૃતિરક્ષા સંસ્કૃતિને વધારે નુકસાનદાયી સાબીત થઈ રહી છે. સાંપ્રત સળગતા પ્રશ્નો વિશે વિચારીશું તો પણ સમજાશે કે સામાજિક-રાજકીય ક્ષેત્રે પણ આપણે સહુ એ પ્રકારની અધકચરી સંસ્કૃતિરક્ષાને લીધે આપણા સંસ્કાર-સંસ્કૃતિને વધારે નુકસાન પહોંચાડતી પરિસ્થિતિઓના સાક્ષી બની રહ્યાં છીએ.
આમ માત્ર અનુનાયીઓ વધારવાની હોડમાં મૂળ ઉદ્દેશ કે કાર્યપદ્ધતિની અવગણના કરીને અંગ્રેજીમાં સાંસ્કૃતિક-ધાર્મિક-સામાજિક શિબિરો-વર્ગોનું આયોજન કરનારાઓ અંતે શું મેળવવાના છે ને એમના કયા હેતુમાં, કેટલા અંશે સફળ થવાના છે એ વિચારવા જેવું છે.
હકીકત એ છે કે સામાજિક, ધાર્મિક કે રાજકીય એવાં મોટા ભાગનાં સંગઠનો પોતપોતાના વાડા સુધી જ સીમિત રહેવા માગે છે ને તેથી દાયકાઓથી કાર્યરત હોવા છતાં સમાજ માટે ઉન્નત પરિણામ લાવવામાં નિષ્ફળ જઈ રહ્યા છે.(સંસ્થાગત રીતે સહુએ જે-જે ગિનિસમાં નોંધાયેલી સિદ્ધિ મેળવી હોય એ ભલે.) બીજી તરફ આવાં સંગઠનોના કાર્યકર્તાઓએ પોતે પણ અંગ્રેજી-અસર હેઠળ પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવ્યાં છે, તો બીજાને કઈ રીતે સમજાવી શકે? એથી ઉપરછલ્લાં છબછબીયાંમાં જ સંતોષ માની લે છે.
જો ખરેખર સાંસ્કૃતિક પરિવર્તન લાવવાનો એક માત્ર ઉદ્દેશ આ સામાજિક-ધાર્મિક-રાજકીય સંગઠનોનો હોય તો શું માતૃભાષા વગર એને પરિપૂર્ણ કરી શકાશે એ પ્રશ્ન એમણે વિચારવો જોઈએ. સામાજિક સંગઠનો જો સંપૂર્ણ પરિવર્તન લાવવા માગતા હોય તો તેમની પ્રવૃત્તિઓના કેન્દ્રમાં બાળકેળવણી, અને એ પણ માતૃભાષામાં જ હોવું જોઈએ. એ બાબતનો આગ્રહ હોવો જોઈએ. અયોગ્ય નિર્ણય કર્યાનો સ્વીકાર હોવો જોઈએ. એને સુધારવાની તૈયારી હોવી જોઈએ. એ બાળકેળવણી પણ પાછી શિક્ષણમાં પ્રચલિત કોપી-પેસ્ટવાળી ભાષામાં નહીં, પોતિકી ભાષામાં હોવી ઘટી. આપણી શાળા-કોલેજ-યુનિવર્સિટીઓ મોટાભાગે અનુકરણ કરતા જ શીખવે છે, જેના પરિણામ સ્વરૂપે એક સદી પહેલાંના સાહિત્યકારોએ ભેગી કરીને સાચવેલી ગુજરાતી ભાષાની અડધાથી વધારે હસ્તપ્રતો આજે પણ વણ-સંશોધાયેલી ભંડારો-ગ્રંથાલયોમાં પડી છે અને કહેવાતા ‘સંશોધકો’ એકના એક સંશોધિત વિષયો પર ફરીફરીને સંશોધનો કરતા રહે છે. (એનું એક કારણ એ પણ ખરું કે આપણા ઘણા વિદ્વાન પ્રાધ્યાપકો પોતાના પ્રાપ્ત-જ્ઞાનને અનુકૂળ વિષયો પર જ વિદ્યાર્થીઓ સંશોધન કરે એવો આગ્રહ રાખે છે ને...)
ઉપરાંત આજે ભારતીયો સોફ્ટવેર અને આઈ.ટી.ના ક્ષેત્રમાં ખૂબ આગળ છે, તેમાં અંગ્રેજી ભાષાનો નહીં, પણ આપણી તર્કશક્તિ અને ગણિતમાં રહેલો આપણો હજારો વર્ષ જૂનો વારસો કારણભૂત છે. આજે વિશ્વમાં સ્પૅનિશ અને ચાઈનીઝ બોલનારા લોકોની સંખ્યા અંગ્રેજી કરતાં વધુ છે, નવી શોધખોળ, પૅટન્ટનું રજિસ્ટ્રૅશન કરાવવામાં ચાઈનીઝ, રશિયન, જાપાનીઝ લોકો આગળ છે, કારણ કે પોતાની માતૃભાષામાં એમની સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધુ ખીલ્યાં છે. તર્કશક્તિ અને બુદ્ધિમતા અમાપ હોવા છતાં ભારતીયો આ બાબતોમાં લોકવસ્તીના પ્રમાણમાં ઘણાં પાછળ છીએ એનું કારણ દરેક બાબત માટે આપણામાં ઘર કરી ગયેલું અંગ્રેજીમાંથી કોપીપેસ્ટ કરવાનું વલણ અને બીજાનું અનુકરણ કરવામાં જ મળતો આનંદ છે!
આ બધી વાતના ઢગલાનો નિષ્કર્ષ એટલો છે કે પોતપોતાની ભાષાનું ગૌરવ કરવામાં પાછા પડેલાઓને, સંસ્કૃતિને એના મૂળસ્વરૂપે સ્વીકારવામાં નાનપ રાખનારાઓને સંસ્કૃતિ અળગા કરીને ફેંકી દેશે. માત્ર શ્લોકોની ગોખણપટ્ટી ને રામા-લક્શમનાની સ્ટોરીઓ કહેવા જેવા ત્રૂટકછૂટક પ્રયત્નોનો અર્થ નથી, સિવાય એમાં વ્યક્તિગત રીતે ‘મેં મારાથી બનતું સારું કર્યુ’નો સંતોષ માની લેવો. જાહેર સામાજિક કાર્ય આજે એક ફેશન બની ગઈ છે ને ચારે તરફ સમાજસેવકો, સંસ્કૃતિરક્ષકોની ભીડ જામી છે ત્યારે બીજાં અનેક પરિબળોની સાથે સંસ્કૃતિને આ દિશાહિન તીરની જેમ છૂટેલા સંસ્કૃતિરક્ષકો સામે પણ સુરક્ષા પૂરી પાડવાની જરૂર છે, જોકે એની જવાબદારી કોણ લેશે? શિક્ષકો ઈલેક્શન-ડ્યુટી અને એમ-ટાટની તૈયારીમાં અટવાયેલા છે, ધર્મગુરુઓ ગ્રંથાધ્યનમાં મગ્ન છે, સામાજિક આગેવાનો વૉટ્સઍપ-મેસેજમાં આવેલી તસવીરમાંની એક ખોવાયેલી બાળકીની માતાને શોધવા નીકળ્યા છે, જ્યારે (સ્વાભાવિક છે કે) રાજકીય નેતાઓથી આવો બોજ ન ખમાય અને સાહિત્યકારો તો સ્વ-દેશી ને પર-દેશી લિટરેચર ફેસ્ટિવલોમાં સંડોવાયેલા, કહેવાનો અર્થ કે, રોકાયેલા છે.


મોટા વર્ગનું નાનું વલણ આખા સમાજ માટે નુકસાનદાયી…

મોટા વર્ગને જોઈને સમાજનો મધ્ય ને નીચલો વર્ગ પોતાનો આદર્શ નક્કી કરે છે, શું એ વર્ગ માતૃભાષા વિશે પોતાની ભૂમિકા બહોળી ન કરી શકે?

રોજના વ્યવહારી જીવનને ઉન્નતભ્રૂ જીવનશૈલીના ભાગરૂપે અંગ્રેજીમઢ્યું રાખી ઉન્નતભ્રૂ હોવાનો દંભ ઘણા લોકો પાળે છે. એ જ વલણ વાલીઓમાં અંગ્રેજીનું ઘેલું લગાવે છે અને પોતાનાં બાળકને અંગ્રેજીમય કરી દેવાના એકમાત્ર ઉપાય તરીકે એમનો પ્રવાહ ખાનગી અંગ્રેજી શાળાઓ તરફ ધસે છે. સમાજના ઊંચા વર્ગની જીવનશૈલી એટલે અંગ્રેજીપણું જ અને વિકાસ કરવો એટલે પોતિકી ભાષાનો તિરસ્કાર કરવો, એ બે કુમાન્યતાઓને આપણે ક્યાં સુધી એક લક્ષણ તરીકે સ્વીકારી રાખીશું? મોટા વર્ગના લોકોનું મોટાપણું એ અંગ્રેજી ભાષા કે જીવનશૈલી નહીં, પણ એમની મહેનત-લાયકાત-સાક્ષરતાનું ફળ છે, પણ એ જ મોટા વર્ગના લોકો શું જાહેરમાં પોતાની ભાષાનું ગૌરવ કરી એ સાબિત ન કરી શકે કે એમની સફળતા એ કંઈ અંગ્રેજી ચલણને આભારી નથી?
જોકે અંગ્રેજી એ જ સફળ લોકોની ભાષા હોય એવો માહોલ સર્જી દેવામાં આવ્યો છે. અસફળ કે સંઘર્ષશીલ લોકોના મગજમાં પહેલી છાપ જ એવી પાડવામાં આવે છે કે અંગ્રેજી એટલે સફળતા અને સફળતા એટલે અંગ્રેજી. (આ જ કારણે તો મહાલયોથી લઈ શૌચાલય સુધી ઠેરઠેર ‘અંગ્રેજી શીખો’ ને ‘ઈંગ્લીશ સ્પીકિંગ’ની બેલગામ જાહેરાતો જોવા મળે છે.) આ લેખશ્રેણીમાં અનેકવાર કહેવાયું છે એમ વારંવાર એ યાદ રાખવું પડશે કે કોઈ પણ માતૃભાષાપ્રેમી સંગઠન કે માતૃભાષાની શાળાઓ અંગ્રેજીની અવગણના કરવાનું કે એને તિરસ્કારવાની વાત નથી કરતાં, ભાષા તરીકે એનો સ્વીકાર ખરો જ, પણ એ પોતિકી ભાષાના ભોગે, ખોટી માન્યતાઓને આધારે નહીં. સફળતા અને ઊંચા સામાજિક દરજ્જાની લાલચથી અંજાઈ સામાન્ય લોકોને અંગ્રેજી તરફ વાળી દેવાનો અર્થ છે એમને ન ઘરના રાખવા કે ન ઘાટ.
આપણા સમાજના કહેવાતા મોટા વર્ગમાં, ઉચ્ચભ્રૂ લોકોમાં કે કથિત હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલને જીવનારાઓમાં અંગ્રેજીને સફળતાની નિશાની તરીકે રજૂ કરવાનું દુઃખદાયી વલણ જોવા મળે છે, જેનો શિકાર નાના વર્ગના મહત્વાકાંક્ષી લોકો થાય છે. પોતાની મહેનતથી ઉપર આવેલા, અગવડો વચ્ચે ભણીને સમ્માનિત સ્થાને પહોંચેલા અને કાળી મજૂરી કરીને આર્થિક રીતે સુખીસંપન્ન બનેલા અનેક લોકો પણ અંતે એ વાત ભૂલી જાય છે કે એમની સંઘર્ષથી સફળતા સુધીની યાત્રામાં અંગ્રેજી જેવી ભાષા માત્રનું યોગદાન ન હતું, બીજાં અનેક પરિબલો હતાં. એમ છતાં આવા અનેક લોકો ઊંચા વર્ગની ક્લબમાં સામેલ થયા પછી, માતૃભાષાનાં ગુણગાન ગાવાને બદલે અંગ્રેજીયતને સ્વીકારી લે છે, કારણ કે એ જ વલણ ઊંચા વર્ગની એટિકેટ તરીકે સ્વીકારાઈ ગયું છે.
બદનસીબે આપણે ત્યાં વ્યવહારમાં ‘અંગ્રેજી ચલણ’ એ ઊંચા અને અન્ય ભાષી વ્યવહારો નીચા વર્ગના છે એવું દ્રશ્ય ઊભું કરી દેવામાં આવ્યું છે અને આપણે સૌ એને સ્વીકારતા આવ્યા છીએ.
જોકે ઘણો મોટો વર્ગ એવા લોકોથી ભરેલો છે જે ઉચ્ચભ્રૂના ગણાવવાની લાલસામાં સતત અંગ્રેજીને પુરસ્કૃત કરતા રહે છે અને વાત ત્યાં અટકતી નથી, કેટલાક લોકો માટે તો અંગ્રેજીને પુરસ્કારવા જેટલી જ જરૂર પોતાની માતૃભાષાને તિરસ્કારવાની હોય છે. આવા વલણને લીધે સમાજના અન્ય વર્ગના લોકો સામે ખોટો આદર્શ રજૂ થાય છે. કેટલાંક માતાપિતાઓ માટે તો એમનું બાળક પોતાની ભાષા ન બોલી શકતું હોય એ ગૌરવની વાત બની જતી હોય છે, ભલે પછી બોલચાલની અંગ્રેજી માંડ શીખીને ભણવામાં એ બાળક સાવ નબળું જ હોય. આવા બેમોઢાળા વલણને આપણે ક્યાં સુધી સ્વીકારતા ચાલીશું?
આમ જોઈએ તો સમાજના આ મોટા વર્ગના હાથમાં આખા સમાજનું નેતૃત્વ છે. આખો સમાજ એમને અનુસરવાનો છે. સમાજના પ્રતિનિધિ જેવા સફળ લોકો, આગેવાનો, અભિનેતા-કલાકારો, જાણીતી હસતીઓ, ઉદ્યોગપતિઓ વગેરે આખા સમાજ માટે માતૃભાષાનું જતન કરવાનો આદર્શ પ્રસ્તુત કરી શકે છે ને તે પણ માત્ર આચરણ દ્વારા. એમના વાણીવર્તનનું સમાજના બીજા લોકો અનુકરણ કરતા આવ્યા છે અને કરતા રહેશે.
સમાજના પ્રતિનિધિઓ જેવા મોટા વર્ગના લોકો જો માતૃભાષામાં શિક્ષણ સાથે અંગ્રેજીની ઉત્તમ તાલીમના હિમાયતી બને તો સમાજ પર એની બહુ મોટી અસર પડવાની.
-પણ જો આ જ રીતે ચાલ્યું અને સામાન્ય તથા નીચા વર્ગના લોકો અંગ્રેજી અને માતૃભાષા વચ્ચેની પસંદગી-સંઘર્ષમાં અટવાતા રહ્યા, તો સમાજહિતમાં પરિણામ લાવવા મૂશ્કેલ છે. આવા કપરા સમયે સમાજ પર સૌથી વધુ અસર કરવાની તાકાત ધરાવે છે એવા ઊંચા વર્ગના લોકો જો પોતાની જીવનશૈલીમાં અલમસ્ત રહ્યા તો એમની સામાજિક જવાબદારી પણ ચૂકશે એ નક્કી.
અંગ્રેજી ભાષાને એક વ્યાપક ભાષાને બદલે ઉચ્ચતાની લાયકાત ગણવામાં આવે છે એ બહુ મોટી ભૂલ છે અને એ ભૂલની સજા લગભગ આગલી આખી પેઢી ભોગવવાની છે.
સજાનું પરિણામ કેવું હશે?
માથાપછાડ, જબરજસ્તી અંગ્રેજીમાં ભણલું એ બાળક સંસ્કાર-સંસ્કૃતિથી અળગું થઈ જઈ શકે છે અને એનાં પરિમાણરૂપે એ બાળક પોતાના પરિવાર સાથે પણ પોતાનું અનુસંધાન ન જોઈ શકે એવું બને. (વગેરે જેવી માતૃભાષાના શિક્ષણને લગતી અનેક બાબતો વિશે આ લેખશ્રણીમાં અગાઉ ચર્ચા થઈ છે, જે લેખના અંતે આપેલી વેબલિન્ક પર વાંચી શકાય છે.)
હરખઘેલાં માતાપિતાએ આ બાબતે સાવધ રહેવું પડશે કે આજે પોતાના બાળકને પરિવારથી તદ્દન જુદું ને ભિન્ન બનતું જોઈ ભલે ગૌરવ અનુભવાય, પણ આવતીકાલે આ ભિન્નતાને લીધે જ બાળકને એમનાં માતાપિતાથી પણ તદ્દન જુદાપણું લાગવા લાગશે ત્યારે? જોકે એ સંજોગોમાં હંમેશાં સંસ્કારો કામ આવતા રહ્યા છે અને બદલાતી બે પેઢી વચ્ચે સ્નેહ-સમ્માનનો સેતુ આપણા સંસ્કારો જ બાંધતા આવ્યા છે, પણ શું આપણે એ સંસ્કારોને, સંસ્કૃતિના એ આખા પ્રવાહને માતૃભાષાના માધ્યમ વગર સાચવી શકીશું? બકોર પટેલ વગર, ચકાચકી વગર, દલા તરવાડી વગર, આપણી બોધકથાઓ વગર, આપણી પ્રાર્થનાઓ વગર, આપણી કવિતાઓવાર્તાઓ વગર, આપણા આખા સાહિત્ય વગર, માતૃભાષાના શિક્ષણ વગર આપણે એ સંસ્કારોને જીવતા રાખી શકીશું? એ સવાલ આપણે જ આપણી જાતને પૂછવાનો છે અને એનો જવાબ આપણે જ આપણી જાતને આપવાનો છે.
(જન્મભૂમિમાં પ્રકાશિત મુંબઈ ગુજરાતી સંગઠનનો લેખ)


જીવન અને સાહિત્ય: ધરતી હશે તો બીજ ઊગશેને... - વર્ષા અડાલજા

જેવી રીતે ધરતીમાં ઊંડેઊંડે પડેલા બીજને ખાતરપાણી મળતાં મોટું વૃક્ષ ઊગે છે, એ જ રીતે જીવન-સમાજમાંથી સાહિત્યકારને બીજરૂપ વાર્તા મળે છે. સાહિત્યનો જીવન સાથે સંબંધ અવિભાજ્યપણે જોડાયેલો છે. જીવનથી વિમુખ સાહિત્ય હોઈ ન શકે.
મેં પોતે તો આ અનુભવ્યું છે. સમાજના અંધારિયા ખૂણામાં મારા સર્જન દ્વારા હું એક નાનો દીવો પેટાવી શકું, એ તરફ સમાજનું ધ્યાન ખેંચી શકું, બસ એવા પ્રયાસ મેં સાહિત્યસર્જન દ્વારા કર્યા છે. એવો એક પ્રયાસ ‘આતશ’માં છે. વિયેતનામના યુદ્ધનો સિલસિલાબંધ ઈતિહાસ-સત્યઘટનાઓ વાંચી-અભ્યાસી-બધા દેશોનો એના પર અભિગમ તપાસી જઈ, પછી છેક યુદ્ધકથાનો સાર લીધો ને કથા આલેખી. મહાસત્તાઓ યુદ્ધની ઘોડાદોડ રમે છે પણ એમાં સામાન્ય માણસ પીડાય છે. જે અત્યારે પણ આપણે જોઈએ છીએ કે માન્યતા-યુદ્ધ બીજાના હોય પણ હત્યા નિર્દોષોની જ થાય છે. સિદ્ધાંતો બીજાના હોય, લડાઈ બીજાની હોય, પણ ભોગવવાનું હોય છે સામાન્ય માણસે. યુદ્ધની વ્યૂહરચનાઓ તો સદીઓથી થતી આવી છે, યુદ્ધશાસ્ત્રો રચાયાં છે, પણ શાંતિની વ્યૂહરચનાઓ નથી ઘડાઈ. યુદ્ધો ખેલાયા છે ને ખેલાઈ રહ્યા છે, પણ વિશ્વના દેશોએ એક સાથે કેવી રીતે રહેવું, સહજીવનમાં કેવી રીતે જીવવું એ શીખવે એવી વ્યૂહરચનાઓના શાસ્ત્ર નથી લખાયા. માનવીના તૂટેલા છિન્નભિન્ન સંબંધોનો પુલ સર્જકે એની સંવેદનશીલતાથી ફરી જોડી આપવાનો છે. માણસનું અસ્તિત્વ પથ્થર જેવું સઘન નથી, એમાં ચેતનાની તિરાડ છે.
‘ગાંઠ છૂટ્યાની વેળા’ માટે હું મધ્યપ્રદેશના આદિવાસીઓ વચ્ચે જઈને રહી, ત્યાંથી વાર્તાનું બીજ મેળવ્યું. એમાં સત્ય અને કલ્પનાનું મિશ્રણ કર્યું, વાર્તારસ જળવાઈ રહે એ રીતે મારી વાતને વાર્તાનો ઓપ આપી લોકો સામે મૂકી. મારે સમસ્યાને રજૂ કરવી છે, પણ એ દસ્તાવેજ કે હકીકતરૂપે ન થઈ શકે. એક વાર્તા તરીકે એની તરફ લોકોનું ધ્યાન જાય એ રીતે સમસ્યાને લખી શકાય. આપણે જે વાત કહેવી છે એ વાર્તાના રૂપે લોકો સુધી પહોંચાડવી રહી. (પહેલા કહ્યું એમ અંધારી દિશામાં નાનો દીવો થાય એ રીતે.)
‘ખરી પડેલો ટહૂકો’માં માનસિક રીતે અસ્થિર બાળકની વાત આવી. એ માટે હું પોતે હોસ્પિટલમાં કામ કરવા જતી. માતાઓને મળતી. પીડિત બાળકોની ફિઝિયોથેરપી જોતી. રોજેરોજ માતાઓ સાથે વાતો કરતી. એમની કથાવ્યથા સાંભળતી. એ બધાનાં આંસુઓમાં બોળીબોળીને આખી કથા લખાઈ છે. હકીકત એ છે કે આપણે પોતે નથી અનુભતા ત્યાં સુધી કોઈ પણ દુઃખનો ખયાલ આપણને આવતો નથી. એ દુઃખને સર્વસમભાવે વહેંચવા માટે, એ વ્યથાનો અનુભવ જોઈ-અનુભવી પછી જ લખવા લેવો પડે. ‘અણસાર’ નવલકથા લખવા માટે રક્તપિતના દર્દીઓ સાથે રહી હતી. એ લોકો સાથે તો હજી સંબંધ એવોને એવો છે ને એમના સંપર્કમાં પણ છું. એ કથાના પ્રસંગો-પાત્રો જીવનમાંથી સાચેસાચા આલેખેલા છે. જેલજીવન વિશે ‘બંદીવાન’ લખી, જેલજીવનની ઘટનાઓ નોંધી, સુપ્રિટન્ડેન્ટના જીવનની વાત વગેરે દ્વારા જેલની દીવાલોની ભીતર ડોકિયું કરવાનો એ પ્રયાસ રહ્યો. તાજેતરમાં ‘ક્રોસરોડ’ પ્રકાશિત થઈ. 1922થી 1975 સુધીનો લાંબો સમયગાળો લેતી એ મારી લેટેસ્ટ કૃતિ છે. સશસ્ત્ર ક્રાન્તિવીરોએ પણ સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ ભજવ્યો હતો, એમણે પણ શહીદી વહોરી હતી, બલિદાનો આપ્યાં હતાં, મારે એ વાત વણવી હતી, મારા પોતાના અનુભવો મૂકવા હતા, પણ એ પહેલાં આખા ઈતિહાસને દૂર રહી તટસ્થભાવે જોઈ, વાંચી, અભ્યાસી, લાંબા સમય પછી એક નાના પરિવારનું નિમિત્ત લઈ કથા આરંભી. એમાં સ્વતંત્રતા પહેલાં-પછીનું વાતાવરણ લીધું, ત્યારબાદ રાજકારણમાં-દેશમાં-સમાજમાં બનેલી ઘટનાઓની પૃષ્ઠભૂમિ પણ જાળવી, પણ મૂળ વાત ફરીફરી જે પરિવારની કથા કરવાની છે એના પર પાછી લાવી દેવી પડે, કારણ કે આપણી કથાએ સમયના અનુબંધમાં જીવવાનું છે, ત્યાં વેક્યુમમાં નથી જીવવાનું, આ માટે મેં 1922થી 1975 સુધીની ઘટનાઓનો ચાર્ટ બનાવી રાખ્યો હતો. મારી કથાના પરિવારની ઘટનાઓ વખતે જે-તે સમયની રાજકીય-સામાજિક પરિસ્થિતિ, વિચારધારાઓ કેવી હતી એ પ્રમાણે કથા આગળ ચલાવવી પડે, એ માટે એના પણ જુદા જુદા ચાર્ટ બનાવ્યા હતા, કારણ કે આખા સમયનું દસ્તાવેજીકરણ થઈ શકે. મને પોતાને જીવનમાંથી સાંપડેલી નાનીનાની મહત્વની વાતો પણ એમાં વણી લેવી હતી. જેમ કે કથામાં એક ગૌરમહારાજનું પાત્ર છે, જે સર્પદંશ પછી મૃત્યુપથારીએ પડ્યા છે, ઝેર ચડતું જાય છે, છતાં એમના હોઠ ફફડ્યા કરે છે. એ ગૌર સાથે એક ભાઈ હોય તે કહે છેઃ ‘ગૌરમહારાજે યજમાન પાસેથી રુદ્રી પાઠ કરવાના ચાર આના લઈ લીધા છે એટલે એ જ્યાં સુધી છેલ્લો રુદ્રી પાઠ પૂરો નહીં કરે ત્યાં સુધી એમનો જીવ નહીં છૂટે. એ ઋણ લઈને ઉપર નહીં જાય.’ આ જીવંત પાત્ર છે, મારા નજીકના સંબંધીમાંથી મળેલું. જીવનની આવી અદભુત વાત સાહિત્યમાં આ રીતે ડોક્યુમેન્ટ થઈ જાય છે. આ કથા ઈતિહાસની સાચી ઘટનાઓ-તથ્યોના આધારે ઘડાઈ છે. કથાનાં પાત્રોની જીવનઘટનાઓ પાછળની ઐતિહાસિક વિગતો પૂરેપૂરી તપાસીને લખી. કથાના ઘડતર માટે ખૂબ ફરી પણ ખરી. કલકતામાં ગઈ હતી. ત્યાં બડા બજારની ગીચ વસ્તીમાં કયા મકાનમાં મારો નાયક વિષ્ણુ છૂપાઈ શકે એ શોધતી હતી. ત્યાં નાનાકડા દાદરા દેખાયા, એ ચડીને ઉપર ગઈ, આગળ નાનકડી અગાસીએ પહોંચી, ઉપર કોથળા પડેલા હતા અને એ જોતાની ક્ષણે જ મને થયું કે મારો વિષ્ણુ છૂપાય તો અહીં જ છૂપાય...! કલકતામાં જ જૂનાં પુસ્તકો-સામયિકોના થોપલામાંથી કલકતાની ગુજરાતી સ્ત્રીઓએ સશસ્ત્રક્રાન્તિમાં નોંધાવેલા ફાળા વિશેનો એક અમૂલ્ય લેખ મળી આવ્યો. અમૃતસર તો અઠવાડિયું રહી. અમૃતસર મંદિરમાં ક્રાન્તિવીરોની તસવીરો છે, ત્યાં જલિયાંનવાલા બાગમાં જાણે હજી ઈતિહાસ જીવંત છે. મદનલાલ ધીંગરાની પ્રતિમા પાસે ઊભી રહીને રોમાંચિત થઈ જવાયું હતું. મદનલાલના વ્યક્તિત્વની તેજસ્વીતા જાણે હજી સ્પર્શતી હતી. મદનલાલે અંગ્રેજની કત્લ કરેલી અને એને ફાંસી થઈ ત્યારે ચર્ચિલે પણ બ્રિટિશ સંસદમાં એની બહાદૂરીને વખાણી હતી. અમૃતસરમાં સુભાષબાબુની સુંદર પ્રતિમા પણ ખરી. વાઘા બોર્ડરની મુલાકાત લીધી. અમૃતસરનું અઠવાડિયું સમયપ્રવેશનું હતું. સમયપ્રવેશ થયા પછી જ કથાપ્રવેશ કરી શકાય. જે-તે સમયની કથામાં પ્રવેશવા માટે પહેલા એના સમયમાં તો પ્રવેશવું જ પડેને...
આમાં જુઓ, જીવન અને સાહિત્ય તો નિઃશંકપણે જોડાયેલાં જ છેને...
આપણે એ વાત ધ્યાનમાં રાખવાની છે કે સાહિત્ય શૂન્યાવકાશમાં તો ન સર્જી શકાય. સાહિત્ય એટલે સહિત, જે સાથે ચાલે છે એ સાહિત્ય, જે જીવનને સાથે લઈ ચાલે છે તે સાહિત્ય છે. જીવન અને સાહિત્યનો અનુબંધ બહુ દ્રઢ છે. ધરતીમાં બીજ હોય તો જ વૃક્ષ ઊગેને. મૂળ વાત જ એ છે. વાર્તામાં જીવન હોવું જોઈએ. સત્યનું બીજ હોવું જોઈએ. એ સત્યનું બીજ જીવનની ધરતીમાં રોપાયેલું હોવું જોઈએ. પછી એને ખાતર-પાણી-તેજ-જળ-વાયુ મળશે તો સાહિત્યકૃતિનું વૃક્ષ પાંગરશે જ. સાથે એ વાત પણ નોંધવી કે એનાં મૂળ જે ધરતીનાં છે, એ મૂળ પકડી રાખીએ તો કૃતિઓ પણ જીવંત રહેશે. સમયને ઓળંગી જશે. પચાસ-સો વર્ષ જૂની કૃતિઓ પણ આપણને આજે ગમે છે, એ શું કામ? એ આઉડડેટેડ નથી લાગતી, કારણ કે જીવન ક્યારેય આઉટડેટેડ છે જ નહીં. જીવન આઉટડેટેડ કેવી રીતે થાય? એ તો હંમેશાં પ્રસ્તુત જ રહેવાનું, જીવન તો જીવંત જ રહેવાનું છે, માટે એની સાથે જોડાયેલું સાહિત્ય પણ જીવંત રહેશે...


રસિક અને શૈલાની વાર્તા – બકુલ ત્રિપાઠી

રસિકે શૈલાને પૂછ્યું, “તારાં બા-બાપજી ના પાડે તોપણ તું મારી સાથે લગ્ન કરે ખરી?”
શૈલાએ કહ્યું કે, “મારી ના નથી, હમણાં આ વાત કોઈને કરતો નહીં.”
સ્વાભાવિક છે કે રસિકે એના ખાસ મિત્ર મહેશને કહ્યું કે શૈલાનાં બા-બાપુજી મનાઈ કરશે તોપણ શૈલા તો મારી જોડે પરણશે જ. મહેશે પૂછ્યું, “શી ખાતરી?” ત્યારે રસિકે કહ્યું ખુદ શૈલાએ મને કહ્યું છે, પણ આ વાત કોઈને કરતો નહીં, કારણ શૈલાએ મને કહ્યું છે કે આ વાત કોઈને જ હમણાં કરવાની નથી.
મહેશે તો ચિત્રા પાસેથી પહેલેથી જ વચન લઈ લીધું કે હું તને એક વાત કહું પણ એ શરતે કે તું એ કોઈને કહે નહીં. ચિત્રાએ વચન આપ્યું પછી જ મહેશે ચિત્રાને કહ્યું કે શૈલા રસિક જોડે ચોક્કસ પરણવાની છે એવું ખુદ શૈલાએ રસિકને કહ્યું છે પણ વાત હમણાં કોઈને કહેવાની નથી એવું શૈલાએ રસિક પાસેથી વચન લીધું છે એટલે જ હું પણ તારી પાસેથી વચન લઉં છું કે આ વાત તું કોઈને કહેતી નહીં. ચિત્રાએ તે આપ્યું (વચન).
જો કે પછી ચિત્રાએ બીજે દિવસે મહેશને કહ્યું કે પોતે કોઈ પણ વાત પોતાની મધરથી છુપાવતી નથી એટલે શૈલા અને રસિકવાળી વાત પણ એણે પોતાની મધરને(એટલે કે ગિરિજાબહેનને) કરવી પડશે. મહેશે કહ્યું કે એ વાત કોઈનેય નહીં કહેવાનું તેં મને ખાસ વચન આપ્યું છે એનું શું? ત્યારે ચિત્રાએ કહ્યું કે મેં એ વચન આપ્યું છે એ ખરું, પણ મેં એ વચન આપ્યું ત્યારે હું આ વાત તો તદ્દન ભૂલી જ ગયેલી કે મારાં મધરથી કોઈ જ વાત નહીં છુપાવવાનો મારો નિયમ છે. ‘હવે શું કરવું?’ એ સમસ્યા મહેશ અને ચિત્રા આગળ આવીને ઊભી રહી. પણ એનો ઉકેલ છેવટે મહેશે એ રીતે કાઢ્યો કે ચિત્રાએ રસિક અને શૈલાવાળી વાત એનાં (એટલે કે ચિત્રાનાં) મધરને કરવી ખરી, પણ એ વાત મહેશ પાસેથી આવી છે એ એમને કહેવું નહીં. વળી મધર પાસેથી વચન પણ લઈ લેવું કે એ આ વાત કોઈને કહે નહીં.
ચિત્રાનાં મમ્મીએ આ વાત સાંભળ્યા પછી એ ખાનગી રાખવાનો દૃઢ નિશ્ચય કર્યો જ હતો, પણ બન્યું એવું કે એક વાર એ (એટલે કે ચિત્રાનાં મમ્મી ગિરિજાબહેન) અને સુભદ્રાબહેન તથા ચારુલતાબહેન વચ્ચે ચર્ચા ઊપડી કે આજકાલ દીકરીઓ શું કરતી હોય છે તેની માતાઓને પણ ખબર પડતી નથી. આ ચર્ચા ઊપડી ત્યારે ખરેખર આવું નથી અને પોતાને ઘેર તો દીકરી(એટલે કે ચિત્રા) પોતાને (એટલે કે ગિરિજાબહેનને) રજેરજ વાત કરે છે. એના ઉદાહરણ તરીકે ગિરિજાબહેને સુભદ્રાબહેન અને ચારુલતાબહેન આગળ આ વાત કહી-કે શૈલા રસિક પરણવાનાં છે એ તદ્દન ખાનગી વાત મહેશે ચિત્રાને કહી ત્યારે કોઈનેય નહીં કહેવાનું ચિત્રાએ વચન આપેલું છતાં એણે વાત પોતાને (એટલે કે ગિરિજાબહેનને) કહી જ. આ બતાવે છે કે દીકરીઓને એમની માઓમાં વિશ્વાસ હોય છે જ અલબત્ત, માઓએ દીકરીઓમાં સારા સંસ્કાર રેડ્યા હોય તો જ.
આ છેલ્લા વાક્યથી એટલે કે દીકરીઓ માઓનો વિશ્વાસ કરે જ, જો માઓએ દીકરીઓમાં સારા સંસ્કાર રેડ્યા હોય તો, એ વાક્યથી સુભદ્રાબહેન અને ચારુલતાબહેનને એવી ચાટી ગઈ કે ઘેર જઈને ગુસ્સામાં ચંદ્રવદનભાઈ અને રમણિકરાયને (અનુક્રમે) ગિરિજાબહેનના અભિમાનની વાત કરી. અલબત્ત, ગિરિજાબહેનને સુભદ્રાબહેનને અને ચારુલતાબહેનને સૂચના આપેલી કે શૈલા અને રસિકવાળી વાત બહાર જાય નહીં એટલે એ બંનેએ ચંદ્રવદનભાઈ અને રમણિકરાયને પણ (અનુક્રમે) એ સૂચના આપેલી, અને ખરેખર, ચંદ્રવદનભાઈ અને રમણિકરાયે એ વાત ખાનગી રાખી જ.
પણ થયું શું કે ચારુલતાબહેને જ્યારે રમણિકરાયને ગિરિજાબહેનની બડાશની વાત કરી ત્યારે રમણિકરાયે ચારુલતાબહેનને સંભળાવ્યું કે ગિરિજાબહેનનો મુદ્દો ખોટો તો નથી જ અને તેમણે (એટલે કે ચારુલતાબહેને) આપણી દીકરી એટલે કે (રમણિકરાય અને ચારુલતાબહેનની દીકરી) રેખાને એવા સંસ્કાર આપ્યા છે ખરા કે એ કોઈ વાત માતાપિતાથી છુપાવે નહીં જ. એ બાબત રમણિકરાયને શંકા છે. આથી ઉશ્કેરાઈને ચારુલતાબહેને તરત જ રેખાને પૂછ્યું કે એવી કોઈ વાત છે – દાખલા તરીકે શૈલા રસિક જોડે પરણવાની છે એ વાત – કે જે એને (રેખાને) ખબર હોય અને એણે ચારુલતાબહેનને ન કહી હોય. રેખાએ કહ્યું કે ના મમ્મી, મને એવી કોઈ વાતની ખબર નથી જ, પણ શું એ વાત ખરેખર સાચી છે કે શૈલા રસિક જોડે પરણવાની છે? ત્યારે ચારુલતાબહેને કહ્યું કે એ વાત ખરી છે, પણ તું કોઈને કહેતી નહીં.
રેખાએ કોલેજમાં જે જે બહેનપણીને આ વાત કરી એ બધીજને કડક સૂચના આપવામાં આવેલી કે આ વાત તેમણએ કોઈને કહેવી નહીં. અને વનલતા સાંજે ટેલિફોન પર સુનંદાને એ વાત કરતી હતી ત્યારે જયંતીલાલ એ સાંભળી ગયા એ તો અકસ્માતે જ બન્યું. પછી જયંતીલાલે દબડાવી ત્યારે જ વનલતાએ કબૂલ કર્યું કે શૈલા રસિક જોડે પરણવાની છે એ વાત ખાનગી હોવાથી જ એણે ઘરમાં કોઈને કહી નહોતી, માત્ર સુનંદાને જ ટેલિફોન પર એણે વાત કરેલી, કારણ એને એમ કે કદાચ સુનંદાને એ વાત ખબર હશે.
જયંતીલાલ એ શૈલાના પિતાના (એટલે કે વિનોદરાયના) મિત્ર હોવાથી અને શૈલા એમને (જયંતીલાલને) કાકા કહેતી હોવાથી ભત્રીજી પ્રત્યેની લાગણીથી દોરવાઈને એમણે વિનોદરાયને કહ્યું કે શૈલા રસિકને પરણવાની છે એવી વાત આવી છે, પણ આ વાત એમણે શૈલાને કરવી નહીં એવું જયંતીલાલે વચન લીધું અને ઉમેર્યું કે શૈલા જાણશે કે જયંતીકાકા પાસેથી આ વાત વિનોદરાય પાસે આવી છે, તો શૈલા એમને (એટલે કે જયંતીકાકાને) કદી માફ નહીં કરે. વિનોદરાયે કહ્યું કે પોતે જયંતીલાલનું દ્રષ્ટિબિંદુ સમજે છે.
હવે કે, સુજ્ઞ વાચકો, મારે તમને ત્રણ જ પ્રશ્નો પૂછવાના છેઃ (એક) વિનોદરાયે હવે શું કરવું? એમણે શૈલા જોડે ખુલાસો કરી નાખવો કે પછી વચનપાલક બની મૌન રહેવું? (બે) વનલતાબહેન મારફત શૈલાની મા યમુનાબહેન સુધી પણ આ વાત આવી છે, પણ વનલતાબહેને વચન લીધું છે કે યમુનાબહેને વિનોદરાયને કે શૈલાને આ વાત નહીં કરવી. આ સંજોગોમાં યમુનાબહેને શું કરવું? (ત્રણ) સુનંદા મારફત શૈલાને ખબર મળી ગયા છે કે વિનોદરાય તથા યમુનાબહેન સુધી આ વાત પહોંચી ગઈ છે પણ શૈલાને આ માહિતી આપનાર સુનંદાએ પ્રોમીસ લીધું છે કે શૈલાનાં ફાધર-મધર આ વાત જાણે છે એ વાત તો જાણે શૈલા જાણતી જ નથી, એમ એણે વર્તવું ! કારણ, નહીં તો વચ્ચે સુનંદાનું અને વનલતાબહેનનું નાહક નામ આવે અને એમની ફ્રેન્ડશીપ બગડે ! આ સંજોગોમાં શૈલાએ હવે શું કરવું?
પ્રિય વાચકો,
આ ત્રણ પ્રશ્નો વિષે ચિંતન કરતાં કરતાં આપના જીવનના દિવસો, માસો અને વર્ષો સુખમય વીતે એ જ શુભેચ્છા ! દરમ્યાનમાં કદાચેય ઉત્તર સૂઝે તો અમને અવશ્ય લખશો. અમે આભારી થઈશું- ઉત્તર ખાનગી રાખવાનો હોય તો અમને ખાસ જણાવશોજી.

(‘હાસ્યાયન’ પુસ્તકમાંથી.)


જીવન, મૃત્યુ અને વેળાસ ! – તુમુલ બુચ

વેળાસ મહારાષ્ટ્રમાં દરિયાકાંઠે આવેલી એક એવી જગ્યા છે જે (+મોબાઈલ) નેટવર્કના અભાવે બાકીના વિશ્વથી અલિપ્ત રહેવા પામી છે. શહેરની રોજિંદી જિંદગીમાં એક પછી બીજા પછી ત્રીજા પછી ત્રણસોમાં ને ત્રણ કરોડમાં એમ નિરંતર ચાલ્યાં જ કરતા કામના સમુદ્રમાં ગળાડૂબ હોઉં ને (-એવામાં)ત્યારે ક્યારેક વેળાસનો કિનારો દેખાઈ જાય અને ત્યાં જવાનું મન થઇ જાય, પણ દર વખતે ત્યાં જવાનું શક્ય ન થાય. આ વખતે તો નક્કી જ કર્યું'તું કે જાવું જ છે, ચાહે કુછ હો જાયે ! અગાઉ બે વાર હું આ જગ્યાએ (-ગયો) જઈ આવ્યો છું અને બંને વખતે થયેલા અનુભવોએ મને લખવા માટે મજબુર કર્યો છે. એક જ જગ્યાએ ત્રીજી વખત જઈને આવ્યા પછી પણ લખી શકાય અને લખવું જ પડશે એવું મેં નહોતું ધાર્યું. એવું શું હતું કે જેણે મને આ લખવા માટે ધકેલ્યો એ કહું એની પહેલા વેળાસ વિશે થોડું...
આ નાનકડું તટવર્તી ગામ કાચબા જન્મ માટે પ્રખ્યાત છે. ભારતના પશ્ચિમ તટ પર ઈંડું મુકવા આવતી માદા કાચબીઓમાંની એંશી ટકા માત્ર આ ગામમાં આવે છે. ઈંડામાંથી નીકળતા નાનકડા બાળ કાચબાઓ પોતાનું પહેલું ડગલું સમુદ્ર તરફ માંડે એ નજારો જોવા અનેક લોકો અહીં ઉમટી આવે છે. દર વર્ષે અહીથી બે-ત્રણ હજાર નવજાત કાચબાઓને સમુદ્રમાં છોડવામાં આવે છે. ઈંડા મુકીને ચાલી (-જતી)ગયેલી માદાની પાછળ ઈંડાને કઈ નુકસાન ન પહોચે તે જોવાની જવાબદારી ગામવાળાઓએ લીધી છે. વિલુપ્ત થઇ રહેલા કાચબાઓના સંવર્ધનને વરેલું અને જન્મનો ઉત્સવ મનાવતું આ ગામ છે.
બીજી તરફ, મારો અને આ જગ્યાનો સંબંધ મૃત્યુના નાજુક દોરે બંધાયેલો છે. અમે બીજી વખત ત્યાં ગયેલા ત્યારે ગામમાં બે મૃત્યુ થયાં હતાં. જેમને ત્યાં ઉતર્યા હતા એ ભાઈનું એક અઠવાડિયા અગાઉ જ બહુ નાની વયમાં મૃત્યુ થયું હતું. પહોચ્યાના બીજા દિવસે પણ હજુ એક જણનું મૃત્યુ થયું. પાછા ફરતા પણ રસ્તામાં ઠેકઠેકાણે લોકોની અંતિમ યાત્રા નીકળી રહી હતી. ત્યાં સુધી કે છેલ્લે મુંબઈ પહોંચીને છુટા પડતી વખતે પણ સ્ટેશન પાસે કોઈનું શબ એમ્બ્યુલન્સમાં ગોઠવાઈ રહ્યું હતું. આમ તો, આ બધી ઘટનાઓ વચ્ચે કોઈ જ તાર્કિક સંબંધ નથી છતાં મનનો સ્વભાવ જ એવો કે એ ચાંદામાં પ્રાણીઓ અને તારાઓમાં નક્ષત્ર શોધે રાખે.
આ વાતનાં બે વર્ષ પછી, ફરી ત્યાં જવાનું નક્કી કર્યું. પેલી ઉપરાઉપરી મોત અને વેળાસ વચ્ચે સંબંધની કુશંકા પર અત્યાર સુધીમાં ધૂળ જામી ગઈ હતી. એને ઉડાડવા જવાના ત્રણ દિવસ પહેલા જ ફરી મોતની તલવાર ત્રાટકી. અને આ વખતે એ ખુબ નજીક ત્રાટકી. હું અને મારા જે મિત્રો જવાના હતા એમાંના દરેકને કોઈક ને કોઈક નજીકના વ્યક્તિનું ઉપરાઉપરી મૃત્યુ થયું. એક મૃત્યુને લઈને પ્લાન થોડો પાછો ઠેલ્યો ત્યાં બીજું મૃત્યુ, હજુ પ્લાન પાછો ઠેલ્યો ત્યાં ત્રીજું. અને આ તો માત્ર અમારા સગાઓની વાત. થોડા દૂરના સગા કે પાડોશીઓ કે પછી ત્યાં ન આવનારા મિત્રોના સ્વજનો વગેરેના મૃત્યુના સમાચાર તો નોટીફીકેશન વેગે આવી રહ્યા હતા. અંતે જ્યારે ત્યાં પહોચ્યા અને એ જ ઘરમાં રોકાયા ત્યારે ખબર પડી કે ગયા બે વર્ષોમાં એ ઘરમાં હજુ ચાર વ્યક્તિને મૃત્યુ ગ્રસી ગયું હતું. માણસો ઉપરાંત તેમના બે કૂતરાં અને કેટલીક બિલાડીઓ પણ ખતમ થઇ ગયાં હતાં.

બુદ્ધિ કે તર્ક ગમે એટલા તરફડીયા મારે આ બધાં મૃત્યુ વચ્ચે કોઈ કડી નથી એવું માન્યે રાખવાની, પરંતુ મનની સામે તેનું ખાસ કંઈ ઉકળતું નથી. મન તો એમ ધારવા મથે કે વેળાસના ખાતામાં જરૂર કરતાં વધુ જન્મ નોંધાયા છે એટલે સામે એટલાં મૃત્યુ નોંધવા પડશે, એવું હશે? હવે, એ વાત કે જેણે મને આ લખવા માટે ઉશ્કેર્યો...
વહેલી સવારે કાચબા જન્મ જોઇને અમે વેળાસના દરિયેથી ગામ તરફ આવી રહ્યા હતા. રસ્તામાં એક મંદિર આવે છે. નવાઈની વાત એ કે ત્રણે વખત મળીને કુલ દસ-બાર વખત ત્યાંથી પસાર થયા હોવા છતાં હજુ સુધી એના તરફ મારું ધ્યાન જ નહોતું ગયું. હજુ વધારે નવાઈની વાત એ કે એને જોઇને અચાનક મને એમાં જવાનું મન થઇ આવ્યું. આમાં નવાઈ એ વાતની કે છેલ્લાં દસેક વર્ષમાં કે કદાચ એથી પણ વધુ સમયથી મને કોઈ મંદિરમાં જવાનું મન જ નથી થયું. મારા મિત્રોને પણ આ વાતની નવાઈ લાગી છતાં હું અને જીગર અંદર ગયા. વેળાસના દરિયાની જેમ મંદિરમાં પણ અમારા સિવાય કોઈ નહોતું. આ પ્રદેશના અન્ય કોઈપણ મંદિર જેવું જ એનું માળખું. એક મુખ્ય મંદિર જેમાં શિવલિંગ અને બાજુમાં બીજું મહાલક્ષ્મીનું નાનું મંદિર. બંનેના ઊંચા ગુંબજ, પ્રવેશદ્વાર પર કમાન અને એમાં કરેલી કોતરણી, ગર્ભગૃહમાં પ્રવેશવાનું દ્વાર ખુબ નીચું અને એમાંય પાછો ઓટલો જેથી માણસે પરાણે નીચા નમીને પ્રવેશવું પડે. જીગરે મહાલક્ષ્મીના દર્શન કર્યા, હું કોતરણી જોતો હતો. પછી અમે મુખ્ય મંદિરમાં પ્રવેશ્યાં જ્યાં શિવલિંગની બાજુમાં બે પાટલા પડ્યા હતા. અમે બંને એની ઉપર બાજુબાજુમાં ગોઠવાઈ ગયા. અદભૂત શાંતિ હતી એ જગ્યાએ. આવી જ શાંતિ પાછલી રાતે અંધારામાં દરિયે બેઠા હતા ત્યારે પણ અનુભવાઈ હતી. જો કે એ શાંતિ અને આ શાંતિ જુદી હતી. એ શાંતિ એટલા વિસ્તૃત ફલકમાં પ્રસરેલી હતી કે અમને એનો થોડો જ ભાગ મળતો હતો. એ વ્યગ્ર મનને શાંત કરનારી તો હતી, પણ થોડી ઉદાસ કરી મુકનારી પણ હતી. જ્યારે મંદિરની શાંતિ થોડી ઓછી શાંત હોવા છતાં કેન્દ્રિત કરેલી હતી. વ્યગ્ર મનને માત્ર શાંત નહિ, પણ પ્રફુલ્લિત કરી મૂકનારી હતી. એવામાં જીગરે મંત્રોચ્ચાર શરૂ કર્યો. એ હાથ જોડીને આંખો બંધ કરીને મંત્ર બોલી રહ્યો હતો અને હું એને જોઈ રહ્યો હતો. એણે ઉચ્ચારેલા શ્લોકનો ધ્વનિ ઊંચા ગુંબજને અથડાઈને આખા મંદિરમાં ઘૂમી વળ્યો અને મારા પર કબજો જમાવી રહ્યો હતો. જાણે આદેશ આપી રહ્યો હોય કે ખુલ્લી આંખે નહિ આંખ બંધ કરીને જો. મારી આંખો સાચે જ બંધ થઇ. મને શ્લોકની આ પંક્તિઓ સંભળાઈ.

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्‌।
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्‌॥

કેવો યોગાનુયોગ! મનમાં આટલા સમયથી મૃત્યુના જ વિચારો ઘુમરાઈ રહ્યા હતા અને એમાં જીગર અન્ય કોઈ નહિ પણ મહામૃત્યુંજય મંત્ર બોલી રહ્યો હતો. આ શ્લોકનું મહાત્મ્ય એવું કે એનો જાપ કરનારનું મૃત્યુ પીડારહિત હોય અને એ માણસ જન્મ-મૃત્યુના ફેરામાંથી મોક્ષ પામે. બીજું કઈ નહિ પણ આ શ્લોક સાંભળવાથી મને એવી શાતા વળી કે કેટલાય દિવસોથી મગજમાં ચાલી રહેલા રહેલા મૃત્યુના વિચારોને મોક્ષનો રાહ મળી ગયો. એ મંત્રનું પુનરાવર્તન કરી રહ્યો હતો અને મારામાં એક ભાવની ભરતી ઊઠી રહી હતી, જેનાં ઊલળતાં મોજાં આંખોને કિનારે વસેલા ગામને પૂરેપૂરુ ભીંજવી ગયાં.

કયા કારણથી હું એ મંદિરમાં ખેંચાઈ ગયો અને એ સભર ક્ષણોનો સાક્ષી બન્યો? શું એ માત્ર યોગાનુયોગ હતો કે કોઈ પૂર્વનિર્ધારિત લીલા? શું આ જગ્યાનો અને જન્મ-મૃત્યુનો કોઈ સંબંધ છે? હું નથી જાણતો. કદાચ જાણવા પામીશ પણ નહિ અને જાણવાની ખાસ કોઈ ધગશ પણ નથી. છતાં એટલું જાણું છું કે પ્રવાસ અનેક બારીઓ ઉઘાડી આપતો હોય છે. મૃત્યુ, કે જેનો આકાર ચંદ્રની પાછલી સપાટી જેવો કે બ્રહ્માના ચોથા મુખ જેવો અકળ છે, એને જોવાની પણ એક નવી બારી આ પ્રવાસ મારે માટે ખોલતો ગયો.


પીળા રંગની વેદનાનાં વન - વીનેશ અંતાણી

પત્રકારત્વ સાથે જોડાયેલા સુનીલ મેવાડા પોતાના એકાન્તના ગાઢ વનમાં બેસીને જાત, જગત અને વિશ્વને જાણવાનો પ્રયત્ન કરે છે. એમને બહારના વિશ્વની સંકુલતાને સમજવી છે, પરંતુ અંગતતાના ભોગે નહીં. તે કારણે ‘એકાન્તવન’ના નિબંધ જાણે અંગત ડાયરીનાં પાનાં પર લખાયા છે. નિબંધની રૂઢ પરિભાષાની સરહદને પાર કરતાં આ નિબંધકણો આપોઅપ સરી પડે છે. સુનીલ એની કલમ દ્વારા માત્ર અને માત્ર જાત સાથે સંવાદ કરે છે. એ સંવાદમાં ભારોભાર અકળામણ ભરી છે. ચારે બાજુ ચાલતા વિવિધ ખેલોમાં એમને પોતાના વ્યક્તિત્વનો હ્રાસ થતો દેખાય છે. અહીં સમજી શકાય નહીં તેવી મૂંઝવણ છે અને અસ્તિત્વનો અર્થ પામવાની મથામણ છે. ભીડથી ઊભરાતા મહાનગરમાં આ નિબંધકાર જાણે અનેક વનમાંથી પસાર થઈ પોતીકી વેલ શોધવા મથે છે, પરંતુ તે વેલ ક્યાંક ગૂંચવાઈ ગઈ છે. ગૂંચ ઊકેલવી સહેલી નથી તે પણ એમને સમજાયું છે. મા સાથે જોડી રાખતી નાળ મુંબઈની લોકલ ટ્રેનોના પાટા સાથે જોડાઈ ગઈ છે. વેદના ક્યારે ઊબકો બની જાય છે તે સમજાતું નથી. આ સર્જક ભાષાની વિડંબના અને સંસ્કૃતિની મૂંઝવણ વચ્ચે પોતાના ખાલીપાને માપવા મથે છે. જીવનની આવી અનેક વિડંબણા વચ્ચે ટકી જવાની મથામણમાંથી શબ્દો જન્મે છે. આ વિડંબણા માતાના ગર્ભમાંથી બહાર નીકળવાની ક્ષણે જ સામે ઊભેલી કાતરની છે. સંવેદન પણ દ્વિધા બને છે. સુનીલ અનુભવે છે ‘કોઈના વગર જીવી શકતો નથી તેમ હું કોઈની માટે પણ જીવતો નથી.’ આ સર્જકને ‘સંભવામિ યગેયુગે’નો સંદેશ અફવા જેવો લાગે છે. પોતાની આગવી કેડી શોધતો આ એવો નિબંધકાર છે, જેના સપનામાં એક ન જન્મેલા કળાકારનો આત્મા છાતી કૂટીને રડે છે. અકળાયેલા – મૂંઝાયેલા સર્જકના ચિત્તમાં જડ થઈ ગયેલી વ્યવસ્થાઓ સામે વિરોધનો સૂર પ્રગટે છે. વિરોધના તારસ્વરે પ્રાગટ્યની વેળાએ જ જુદા જ પ્રકારનો આશાવાદ પણ જન્મે છે. તેથી જ એ કોઈ કાલ્પનિક ક્ષણપ્રદેશની શોધમાં નીકળી પડે છે - એક એવો પ્રદેશ જેની ભોંય ક્ષણિક હોય, છતાં તેમાં કશુંક નવું બનવાની શક્યતા હોય. સુનીલના ક્ષણપ્રદેશમાં ‘પાંખો હશે, નહોર નહીં હોય.’
રૂઢિઓ અને વ્યવસ્થાઓથી ઊબેલો આ સર્જક શબ્દો સાથે ઊભો રહીને પોતાને આગળ લઈ જનારા વાક્યની રાહ જુએ છે. એવાં અનેક વાક્યો સુનીલ મેવાડાને મળે તેવી શુભેચ્છા.


શિક્ષણમાં સાહિત્યકારોની કોઈ જ ફરજ નથી?

આપણે એવું માનવાની ભૂલ ન કરવી જોઈએ કે સાહિત્ય એ એક જુદું ક્ષેત્ર છે ને શિક્ષણ એ જુદું... હા, વ્યવસાય તરીકે એ બે ભિન્ન છે, પરંતુ સમાજઘડતરના મહત્વના અંગ તરીકે સાહિત્ય ને શિક્ષણ એકબીજાના પૂરક હોય એટલા લગોલગ જોડાયેલા છે. સંસ્કૃતિની જાળવણીમાં આજે સૌથી મોટી સત્તા સરકાર-વ્યવસ્થા-સંસ્થાઓ નિષ્ફળ નીવડી રહ્યાં છે તો આ સત્યને અવગણીને નાનાં એકમો તરીકે કોણ-કોણ ફરજ ચૂકી રહ્યું છે?
એક સમય હતો જ્યારે શિક્ષણજગત અને સાહિત્યજગત એકમેક સાથે તંતોતંત જોડાયેલું હતું. મોટા ગજાના સાહિત્યકારો શાળાઓ, વિદ્યાપીઠોમાં શિક્ષક હતા. વિદ્યાર્થીઓને સાહિત્યના આસ્વાદ સાથે સાહિત્યદ્રષ્ટિ પણ મળતી અને એ કારણે જરૂરી નથી કે દરેક વિદ્યાર્થીઓ સાહિત્યકાર બની જતો, પણ મોટા ભાગના વિદ્યાર્થીઓમાં જીવન પ્રત્યે સૌંદર્યદ્રષ્ટિ ને સાહિત્યરસ અચૂક સિંચાતા હતા. એનાથી વ્યક્તિમાં સૈદ્ધાંતિક મૂલ્યોનું ઘડતર પણ થતું ને સાહિત્યની સમજ વિકસતી. આને લીધે જીવનમાં ટકી રહેવાની હિંમત તેમ જ ચરિત્રશુદ્ધિ-વિચારશુદ્ધિની ટેક યુવાનોમાં સચવાતી. મૂર્ધન્ય સાહિત્યકારોના હાથ નીચે ભણ્યા હોય એટલે વિદ્યાર્થીઓના મનમાં એ સાહિત્યકારની આજીવન છાપ મૂકાઈ જતી અને સાથે આજીવન એ વિદ્યાર્થી સાહિત્ય સાથે ને સાહિત્યના માધ્યમથી સંસ્કૃતિ તેમ જ ભાષા સાથે જોડાયેલો રહેતો... આ રીતે સંસ્કૃતિનું, સાહિત્યનું, ભાષાનું સૌંદર્યચક્ર ચાલ્યા કરતું અને આ કારણે જ પાછલી પેઢીના આગમન સુધી સંનિષ્ઠ સાહિત્યકારો સાથે આપણને સંનિષ્ઠ વાચકો-સાહિત્યરસિકો-સાહિત્યમર્મીઓ પણ મળતા રહ્યા.
આજે આખું દ્રશ્ય બદલાઈ ગયું છે, સૌંદર્યચક્ર વિષચક્રમાં ફેરવાઈ ગયું છે. આજે ફક્ત વાચકો, ફક્ત સાહિત્યરસિકો, ફક્ત સાહિત્યમર્મીઓ ક્યાં રહ્યા છે? નથી જ નથી. આજે વાચકોની સંખ્યા વધવાના જે દાવા થાય છે એ એકંદરે જે વસતી વધી છે એના પ્રમાણમાં વાચકો-સાહિત્યરસિકોની સંખ્યા વધી છે એના દાવા છે, પણ સરેરાશ નથી વધી એ હકીકત આપણે ભૂલી જઈએ છીએ. ઉપરાંત આપણે જેને આ સુજ્ઞ સાહિત્યરસિક વર્ગ કહીએ છીએ ને જે પુસ્તકોના ખરીદદાર કે કાર્યક્રમોના પ્રેક્ષક મનાય છે, એમાં પચાસ ટકાથી વધુ એવા લોકો છે જે પોતે પણ સર્જનપ્રવૃત્તિ, સાહિત્યિક પ્રવૃત્તિ, સંસ્થાકીય પ્રવૃત્તિ કે આડકતરી રીતે સાહિત્ય-પ્રકાશન કે કાર્યક્રમ સાથે સંપૂર્ણરીતે સંકળાયેલા-જોડાયેલા હોય છે. બાકી વધેલા વર્ગને, જેને ઘણા હજી સંનિષ્ઠ સાહિત્યચાહકો કહે છે, એ ગઈ પેઢીના સાહિત્યરસથી સીંચાયેલા ને નિવૃત્તિ પછી નવરા પડેલા, વડીલો ને વડીલો માત્ર છે.
આ બધાના મૂળમાં અનેક સામાજિક-સાંસ્કૃતિક કારણો છે ને એમાંનું એક કારણ એ પણ છે કે પાછલી પેઢીના સાહિત્યકારોનો પ્રવાહ શિક્ષણ સિવાયની દિશાઓમાં વધુ ફંટાયો છે. વ્યાવહારિક રીતે અયોગ્ય લાગતી હોવા છતાં આપણે આ વાત સ્વીકારવી પડશે, કારણ કે એ કડવું સત્ય છે.
10થી 20 વરસના વિદ્યાર્થીઓ-બાળકોને, એમને ગમી જાય એવા અંદાજમાં ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓનો, શ્રેષ્ઠ કવિતાઓનો, સાહિત્યના આનંદનો પરિચય કરાવવામાં ન આવે તો એ લોકોમાં સાહિત્ય માટે આકર્ષણ કઈ રીતે જન્મે? હા, સાહિત્ય માટે આદર નહીં, આકર્ષણ જન્મવું વધારે જરૂરી છે. આદર તો પછી આપોઆપ જાગે છે. નામપૂરતું આદર આપીને છૂટ્ટી જઈ શકાય છે, પણ આકર્ષણ જ કોઈ પણ બાબતની સાથે વ્યક્તિને જોડેલું રાખે છે... અને પોતાના સાહિત્ય સાથે જોડાયેલી વ્યક્તિ, પોતાની ભાષા, પોતાની સંસ્કૃતિ, પોતાના હોવાપણા સાથે તંતોતંત જોડાયેલી રહે છે.
-અને જાતજાતની સમસ્યાઓથી ઘેરાયેલી આજની શિક્ષણવ્યવસ્થામાં બધું જ ખાડે ગયું છે ત્યારે આ પ્રકારના દરેક સામાજિક પતન માટે વારંવાર શિક્ષકોને દોષિત ઠેરવી દેવાય છે, પરંતુ એ અભિગમ ખોટો છે. બધી જ ભૂલ એમની નથી. શિક્ષણથી તેમ જ નવી પેઢીના ભાષાઘડતરની સાહિત્યિક જવાબદારીથી દૂર જઈ ઊભી રહી ગયેલી સાહિત્યકારોની જમાતને પણ આ આક્ષેપનો રેલો અડકે છે.
પહેલાના મોટા ભાગના સાહિત્યકારોએ શિક્ષક તરીકે જ કારકિર્દીની શરૂઆત કરી હતી. કેટલાક લાંબા ગાળા સુધી તો કેટલાક આજીવન શિક્ષણ સાથે સંકળાયેલા રહ્યા હતા. બળવંતરાય ઠાકોર, સુરેશ હ. જોષી, રા. વિ. પાઠક, ઉમાશંકર જોશી, ભોળાભાઈ પટેલ, ધીરુભાઈ ઠાકર, ચંદ્રકાન્ત બક્ષી, સુરેશ દલાલ જેવા આપણા અનેક દિગ્ગજ સાહિત્યકારો દાયકાઓ સુધી શિક્ષણમાં રહ્યા, ને બાકી જે સાહિત્યકારો શિક્ષણમાં ન હોય એમને પણ આ સાહિત્યકારો અવારનવાર વિદ્યાર્થીઓ પાસે લઈ આવતા. ટૂંકમાં, જીવનકાર્યનો સારોએવો સમય આ સાહિત્યકારોએ આગલી પેઢીના ઘડતર માટે આપ્યો છે. નવી પેઢીના કૂતુહલને સંતોષ્યું છે ને એમનામાં સાહિત્યબીજ દ્વારા ભાષા-સંસ્કૃતિ માટે આદર-આકર્ષણ રોપ્યું છે. એ પછીની પેઢીમાં આવા સાહિત્યિક વલણનો અભાવ સમાજ તરીકે તો આપણને ભારે પડ્યો જ છે, સાથે આપણી ભાષા-સંસ્કૃતિ માટે પણ નુકસાનકારક પૂરવાર થયો છે એમાં કોઈ બેમત નથી.
આજે કાર્યક્રમ-કવિઓની, સામાયિક-સાહિત્યકારોની ને લખવા પૂરતા જ ભાષા-સંસ્કૃતિના ગુણગાન ગાતા ચિંતકોની સંખ્યા ખૂબ વધી ગઈ છે, પણ કરુણતા છે કે અનેક સમસ્યાઓ સામે લડી રહેલી શિક્ષણ-વ્યવસ્થા માટે, મર્યાદાઓ સાથે ચાલી રહેલી શાળાઓ માટે, જાતજાતની પરિસ્થિતિથી ઘેરાયેલા વિદ્યાર્થીઓના સાહિત્યઘડતર-શિક્ષણઘડતર દ્વારા જીવનઘડતર માટે સંઘર્ષ કરે એવા સમાજલક્ષી સાહિત્યવીરોની મહાજાતિ હવે દુર્લભ થઈ ગઈ છે.
આ બધી સમસ્યાઓ સામે વ્યવસ્થાપન-સત્તા તો તદ્દન નિષ્ફળ ગયાં છે ને કોઈને દોષ દેવો જ હોય તો સૌથી પહેલાં એમને દઈ શકીએ, બીજી આંગળી પ્રજા તરીકે આપણે પોતાની પર જ ઊપાડવી પડે. એ સિવાય અહીં કોઈ સાહિત્યકારો પર આક્ષેપો કરવાનો કે કોઈને ઉતારી પાડવાનો હેતુ નથી, પણ એ જ રીતે, ઘરે બેઠાબેઠા ફક્ત ‘મનન-ચિંતન-લેખન’ કરીને ભાષા-સંસ્કૃતિના સંરક્ષક હોવાના દાવા કરનારાઓને માથે ચડાવવા સામે (દુઃખ છે પણ) વિરોધ નથી, બધું બધાની જગ્યાએ બરાબર છે, પણ અહીં તો બસ, સામુહિક-સામાજિક જવાબદારી માટે આજે પણ સતત સંઘર્ષ કરી રહેલા વ્યક્તિત્વો, સંસ્થાઓ, સંગઠનો ને મંડળોનો નગ્ન આક્રોશ છે. એ આક્રોશને નમ્ર ટકોર કે ઉગ્ર વિનંતી ગણીને ગુજરાતીના સાહિત્યિક-સામાજિક પ્રતિનિધિઓ ઈચ્છે તો હજી પણ શહેરની ગુજરાતી શાળાઓના વિકાસ-વિસ્તાર માટે જે-તે રીતે ફાળો આપી શકે છે. ઘણું કરી શકે છે. આજે અંગ્રેજી માધ્યમની શાળાઓની ભલે બોલબાલા રહી, પણ દરેક વાલી મનોમન જાણે છે કે આંતરરાષ્ટ્રીય કે કેન્દ્રીય કે રાજ્ય બોર્ડમાં અંગ્રેજી માધ્યમમાં મૂકેલા એમના સંતાનની હાલ કેવી ભૂંડી થઈ રહી છે, કારણ કે એ માધ્યમોનું શિક્ષણ, શિક્ષણ નહીં, બસ એક સ્પર્ધા જ બની ગયું છે. માતૃભાષાના માધ્યમમાં પણ અનેક મર્યાદાઓ હશે, છે, પણ સંપૂર્ણતા તો જગતની કોઈ સુંદરતામાં નથી એ આપણે ક્યાં નથી જાણતા. ફક્ત સારી ઈમારત ને મોટું મેદાન ને વાતાનુકૂલિત સભાગૃહ ને દરેક વર્ગની કમ્પ્યુટર લેબ ને એવીએવી સુવિધાઓથી શાળા ભરચક હોય એટલે શિક્ષણ સારું જ મળી જવાનું? આજે જે વાલીઓ એમના સંતાનને શાળામાં મૂકવા વિશે મૂંઝાઈ રહ્યા છે એ પોતે એકવાર ફક્ત વિચારે કે એ લોકો પોતે કેવી શાળામાં ભણ્યા હતા? ને અસુવિધા હોવાથી એમનું શિક્ષણ શું કથળી ગયું હતું? સુવિધાઓ શાળાની શ્રેષ્ઠતાનો પુરાવો નથી એટલી સમજ તો ગુજરાતીઓની ચબરાક બુદ્ધિને ન હોય એ કેમ બને?
આજે મર્યાદાઓ સાથે પણ ગુજરાતી માધ્યમ જ શ્રેષ્ઠ ને સક્ષમ છે એ વાત આપણે સ્વીકારવી પડશે. એના પ્રચારપ્રસાર માટે જરૂર છે મોટા પાયે આહવાનની, મોટા વ્યક્તિત્વો-પ્રતિનિધિઓના સ્વીકારની, સહુને એ કહેવાની કે છેલ્લાં વીસ વરસમાં જે આંધળીદોટ મૂકતા મૂકાઈ ગઈ, થતાં થઈ ગયું, આપણી જ ધાંધલે ઘર તોડી નાખ્યું, પણ હવે અહીંથી ઘરને ફરી નવેસરથી ઊભું કરવાની, સજાવવાની તક છે, એ આપણે સહુ ઉપાડી લઈએ અને એના સર્વવ્યાપી આહવાનની જવાબદારી શું સાહિત્યકારો નહીં સ્વીકારે? ગુજરાત-મુંબઈમાં આજે મહિનાભરમાં સેંકડો સાહિત્યિક-સામાજિક કાર્યક્રમો થતા જ રહે છે, નાટકો-ડાયરાની તો વાત જ જવા દો, બીજું કંઈ નહીં તો દર વખતે આ સામાજિક-સાહિત્યિક પ્રતિનિધિઓએ આ કાર્યક્રમો દરમિયાન સતત માતૃભાષામાં શિક્ષણ આપવાનો સંદેશો ફેલાવતા રહેવાની પણ જરૂર છે, મર્યાદાઓ છતાં પણ આપણી ભાષાના માધ્યમની શાળાઓનો પક્ષ લેવો પડશે, પાછી એ સ્પષ્ટતા સાથે કે આ પગલું ભાષા કે સંસ્કૃતિના સંવર્ધન માટે નહીં, પણ આપણા પોતાના અસ્તિત્વ માટે જરૂરી છે. બાકી તો, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બોર્ડ્સ ને જાતજાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓના સૈનિકો જેવા અંગ્રેજીમાધ્યમ-પીડિત વિદ્યાર્થીઓને કદી મેદાનમાં રમતા ન જોઈ શકેલો આપણી બિલ્ડિંગનો વોચમેન પણ પ્રશ્ન પૂછતો થઈ ગયો છે કે કશા જ કૂતુહલભાવ વગર ફક્ત સ્કૂલથી ટ્યુશન વચ્ચે લથડિયા ખાતો આ તે બાળક છે કે રોબોટ ? જવાબ તો આપણે બધા જાણીએ જ છીએ.

(જન્મભૂમિમાં છપાયેલો મુંબઈ ગુજરાતી સંગઠનનો લેખ.)


એક પંક્તિનું કાવ્ય, શા માટે?

મને ઘૂઘવતા, જળે ખડકનું, પ્રભુ મૌન દો
- સુરેશ દલાલ

એક પંક્તિનાં કાવ્યો આપણે ત્યાં છે, સારાં પણ છે.
જોકે રહસ્ય એ છે કે સમર્થ કવિઓ એકાદી અદભૂત પંક્તિને તો ગમે તે કાવ્યમાં ગોઠવી દઈ શકે, છતાં એને કેમ સ્વતંત્ર પંક્તિકાવ્ય તરીકે જ રહેવા દે?
પૃથ્વી છંદ, સત્તર અક્ષર, બે મરોડદાર યતિ ને આ એક જ પંક્તિ વાંચી આપણે કદાચ નામથી પ્રભાવિત થઈ એવું માની લઈએ કે માત્ર આ એક પંક્તિમાં સમુદ્ર જેવી જ ઊંડીઊંડી વાતો કવિએ કરી હશે, પણ વાત એક જ છે ને એય સાવ સરળ.
બે પંક્તિનો શેર થાય, ચૌદ પંક્તિની સોનેટ થાય, વીસત્રીસ પંક્તિનાં ગીત થાય કે સેંકડો પંક્તિનું ખંડકાવ્ય થાય... એમ છતાં સાહિત્યની સર્વોચ્ચ પદવીધારક ડોક્ટરેટ સુરેશ દલાલ, કવિતાના ખેરખાં, વિદ્વાન પ્રાધ્યાપક, અતિસમર્થ શબ્દકર્તા, લોકપ્રિય કાવ્યકર્તા, આમ એક જ પંક્તિ કેમ મૂકે?
કારણ કે વાત મૌનની છે, અને શબ્દો-પંક્તિઓનો ખડકલો કરી દે તો કવિની અભિવ્યક્તિમાં જ વિરોધાભાસ આવી ન જાય? પછી કવિનું પોતાનું એ પંક્તિ સાથે તંતોતંત જોડાણ કયાં રહે? હુંય આ એક પંક્તિ પર આટલું બધું લખું છું એ તો કવિભાવથી પ્રેરાઈને, એના કવિતાભાવથી પ્રેરાઈને નહીં, કારણ કે કવિતાભાવ તો મૌનની માગણીનો છે, શબ્દોની અતિહાજરી તો એનું અપમાન ગણાય.
હે પ્રભુ, આ સાધનો-ઘટનાઓના સંસારમાં આવીને ઘણું બધું બની શકાયું હોત, પણ અકસ્માતે મારાથી કવિ થઈ જવાયું છે ને કેટલીબધી ઔપચારિકતા કરવી પડે છે જો તો ખરો...
સવારે ગૂડ મોર્નિંગ, જમ્યા કે નહીં, એક ચર્ચગેટ રિટર્ન, બાકી સાંજે મળીએ, સન્ડે પાર્ટી પાક્કું, નેક્સ્ટ યરની પિકનિક તમારે ત્યાં... ને કેટલુંબધું બોલવું પડે છે, કેટલુંબધું કરતા રહેવું પડે છે, કેટલીબધી ચીજને અડવું પડે છે, કેટલાબધા લોકો સાથે હાથ મેળવવો પડે છે. ના ના ના... મારામાંના કવિને આ બધું નથી કરવું, આ સંસારના તરંગો એના પર છો અફળાયા કરે, એને વાંધો નથી, પણ મારામાંના કવિને એ તરંગો સામે પોતાનો પ્રતિભાવ આપવાની જરીકે ઈચ્છા નથી, પ્રતિક્રિયા ને પ્રતિસાદ એના સ્વભાવને માફક નથી, એને તો બસ, જે આવે-જે અફળાય-જે ભેટે, એને ભેટવા દઈ, પોતે સ્થિર રહી, અશબ્દ રહી, અચળ રહી, બધી ભીનાશ પોતાના પર ઝીલ્યા કરવી છે... બસ, બસ, બસ.
ઘૂઘવતા (મૌલિક ધ્વનિ ઉત્પન્ન કરતા) જળથી જરીકે વિચલિત થયા વગર અડગ પડ્યા રહેતા પ્રશાંત ખડક જેવી પ્રતિભાવ-અવસ્થા, સ્થિરપણું, મૌનજીવન મળી રહે એ જ કવિની અંતિમ વિનવણી છે અને એવા મૌનની વિનવણી માટેય કવિ જો એકથી આગળ વધુ પંક્તિઓ લખે, તો સામયિકો છાપી દે, પ્રકાશકો વખાણી દે ને અકાદમીઓ પુરસ્કારી પણ આપે, પરંતુ મૌનનું ઉલ્લંઘન તો ત્યાં જ થઈ ગયું ગણાય, કવિત્વ ત્યાં જ હરાઈ જાય, પછી કવિ પોતાને શું જવાબ આપે? કે હાય કમનસીબી, મેં તો મારા મૌનના ગૌરવ માટેય શબ્દોનો સહારો લીધો? તો મૌનનું ગૌરવ ક્યાં રહ્યું?
હે પ્રભુ, આ આટલા બધા છંદો-લય-પ્રાસોની સમજણોનાં મોજાં મારા કવિત્વ પર પટકાયાં કરે છે એ વચ્ચે મારે તો માત્ર એક અચળ કાવ્યસ્થિતિ જોઈએ છે. (અનુભૂતિઓની) તીવ્ર ભીનાશ ઝીલીને પણ અપ્રતિસાદી રહેતા ખડક(હૃદય)ની કાવ્યસ્થિતિ !
મૌનસ્થિતિની પહેલી શરત જ શબ્દરહિતતા, અને ખરો કવિ એ મૌનની પ્રાર્થનામાં પણ શબ્દપ્રચૂરતા કેવી રીતે લાવે? એ મૌનાર્થીને આ પ્રાર્થનામાં પૃથ્વી છંદના સત્તર અક્ષરોય મનોમન તો કઠતા હશે, અને કહેનારા કહે છે કે આ એક પંક્તિમાં બીજી 13 ઉમેરી આખી સોનેટ લખી નાખી હોત તો શું ખોટું થાત?
ના ભાઈઓ ના. કશું ખોટું ન થાત. આપણે મીટરબદ્ધ ગઝલો ને છંદોબદ્ધ સોનેટો જ વાંચ્યા કરીએ, કવિતા ન વાંચીએ. – સુનીલ.