મોટા વર્ગને જોઈને સમાજનો મધ્ય ને નીચલો વર્ગ પોતાનો આદર્શ નક્કી કરે છે, શું એ વર્ગ માતૃભાષા વિશે પોતાની ભૂમિકા બહોળી ન કરી શકે?

રોજના વ્યવહારી જીવનને ઉન્નતભ્રૂ જીવનશૈલીના ભાગરૂપે અંગ્રેજીમઢ્યું રાખી ઉન્નતભ્રૂ હોવાનો દંભ ઘણા લોકો પાળે છે. એ જ વલણ વાલીઓમાં અંગ્રેજીનું ઘેલું લગાવે છે અને પોતાનાં બાળકને અંગ્રેજીમય કરી દેવાના એકમાત્ર ઉપાય તરીકે એમનો પ્રવાહ ખાનગી અંગ્રેજી શાળાઓ તરફ ધસે છે. સમાજના ઊંચા વર્ગની જીવનશૈલી એટલે અંગ્રેજીપણું જ અને વિકાસ કરવો એટલે પોતિકી ભાષાનો તિરસ્કાર કરવો, એ બે કુમાન્યતાઓને આપણે ક્યાં સુધી એક લક્ષણ તરીકે સ્વીકારી રાખીશું? મોટા વર્ગના લોકોનું મોટાપણું એ અંગ્રેજી ભાષા કે જીવનશૈલી નહીં, પણ એમની મહેનત-લાયકાત-સાક્ષરતાનું ફળ છે, પણ એ જ મોટા વર્ગના લોકો શું જાહેરમાં પોતાની ભાષાનું ગૌરવ કરી એ સાબિત ન કરી શકે કે એમની સફળતા એ કંઈ અંગ્રેજી ચલણને આભારી નથી?
જોકે અંગ્રેજી એ જ સફળ લોકોની ભાષા હોય એવો માહોલ સર્જી દેવામાં આવ્યો છે. અસફળ કે સંઘર્ષશીલ લોકોના મગજમાં પહેલી છાપ જ એવી પાડવામાં આવે છે કે અંગ્રેજી એટલે સફળતા અને સફળતા એટલે અંગ્રેજી. (આ જ કારણે તો મહાલયોથી લઈ શૌચાલય સુધી ઠેરઠેર ‘અંગ્રેજી શીખો’ ને ‘ઈંગ્લીશ સ્પીકિંગ’ની બેલગામ જાહેરાતો જોવા મળે છે.) આ લેખશ્રેણીમાં અનેકવાર કહેવાયું છે એમ વારંવાર એ યાદ રાખવું પડશે કે કોઈ પણ માતૃભાષાપ્રેમી સંગઠન કે માતૃભાષાની શાળાઓ અંગ્રેજીની અવગણના કરવાનું કે એને તિરસ્કારવાની વાત નથી કરતાં, ભાષા તરીકે એનો સ્વીકાર ખરો જ, પણ એ પોતિકી ભાષાના ભોગે, ખોટી માન્યતાઓને આધારે નહીં. સફળતા અને ઊંચા સામાજિક દરજ્જાની લાલચથી અંજાઈ સામાન્ય લોકોને અંગ્રેજી તરફ વાળી દેવાનો અર્થ છે એમને ન ઘરના રાખવા કે ન ઘાટ.
આપણા સમાજના કહેવાતા મોટા વર્ગમાં, ઉચ્ચભ્રૂ લોકોમાં કે કથિત હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલને જીવનારાઓમાં અંગ્રેજીને સફળતાની નિશાની તરીકે રજૂ કરવાનું દુઃખદાયી વલણ જોવા મળે છે, જેનો શિકાર નાના વર્ગના મહત્વાકાંક્ષી લોકો થાય છે. પોતાની મહેનતથી ઉપર આવેલા, અગવડો વચ્ચે ભણીને સમ્માનિત સ્થાને પહોંચેલા અને કાળી મજૂરી કરીને આર્થિક રીતે સુખીસંપન્ન બનેલા અનેક લોકો પણ અંતે એ વાત ભૂલી જાય છે કે એમની સંઘર્ષથી સફળતા સુધીની યાત્રામાં અંગ્રેજી જેવી ભાષા માત્રનું યોગદાન ન હતું, બીજાં અનેક પરિબલો હતાં. એમ છતાં આવા અનેક લોકો ઊંચા વર્ગની ક્લબમાં સામેલ થયા પછી, માતૃભાષાનાં ગુણગાન ગાવાને બદલે અંગ્રેજીયતને સ્વીકારી લે છે, કારણ કે એ જ વલણ ઊંચા વર્ગની એટિકેટ તરીકે સ્વીકારાઈ ગયું છે.
બદનસીબે આપણે ત્યાં વ્યવહારમાં ‘અંગ્રેજી ચલણ’ એ ઊંચા અને અન્ય ભાષી વ્યવહારો નીચા વર્ગના છે એવું દ્રશ્ય ઊભું કરી દેવામાં આવ્યું છે અને આપણે સૌ એને સ્વીકારતા આવ્યા છીએ.
જોકે ઘણો મોટો વર્ગ એવા લોકોથી ભરેલો છે જે ઉચ્ચભ્રૂના ગણાવવાની લાલસામાં સતત અંગ્રેજીને પુરસ્કૃત કરતા રહે છે અને વાત ત્યાં અટકતી નથી, કેટલાક લોકો માટે તો અંગ્રેજીને પુરસ્કારવા જેટલી જ જરૂર પોતાની માતૃભાષાને તિરસ્કારવાની હોય છે. આવા વલણને લીધે સમાજના અન્ય વર્ગના લોકો સામે ખોટો આદર્શ રજૂ થાય છે. કેટલાંક માતાપિતાઓ માટે તો એમનું બાળક પોતાની ભાષા ન બોલી શકતું હોય એ ગૌરવની વાત બની જતી હોય છે, ભલે પછી બોલચાલની અંગ્રેજી માંડ શીખીને ભણવામાં એ બાળક સાવ નબળું જ હોય. આવા બેમોઢાળા વલણને આપણે ક્યાં સુધી સ્વીકારતા ચાલીશું?
આમ જોઈએ તો સમાજના આ મોટા વર્ગના હાથમાં આખા સમાજનું નેતૃત્વ છે. આખો સમાજ એમને અનુસરવાનો છે. સમાજના પ્રતિનિધિ જેવા સફળ લોકો, આગેવાનો, અભિનેતા-કલાકારો, જાણીતી હસતીઓ, ઉદ્યોગપતિઓ વગેરે આખા સમાજ માટે માતૃભાષાનું જતન કરવાનો આદર્શ પ્રસ્તુત કરી શકે છે ને તે પણ માત્ર આચરણ દ્વારા. એમના વાણીવર્તનનું સમાજના બીજા લોકો અનુકરણ કરતા આવ્યા છે અને કરતા રહેશે.
સમાજના પ્રતિનિધિઓ જેવા મોટા વર્ગના લોકો જો માતૃભાષામાં શિક્ષણ સાથે અંગ્રેજીની ઉત્તમ તાલીમના હિમાયતી બને તો સમાજ પર એની બહુ મોટી અસર પડવાની.
-પણ જો આ જ રીતે ચાલ્યું અને સામાન્ય તથા નીચા વર્ગના લોકો અંગ્રેજી અને માતૃભાષા વચ્ચેની પસંદગી-સંઘર્ષમાં અટવાતા રહ્યા, તો સમાજહિતમાં પરિણામ લાવવા મૂશ્કેલ છે. આવા કપરા સમયે સમાજ પર સૌથી વધુ અસર કરવાની તાકાત ધરાવે છે એવા ઊંચા વર્ગના લોકો જો પોતાની જીવનશૈલીમાં અલમસ્ત રહ્યા તો એમની સામાજિક જવાબદારી પણ ચૂકશે એ નક્કી.
અંગ્રેજી ભાષાને એક વ્યાપક ભાષાને બદલે ઉચ્ચતાની લાયકાત ગણવામાં આવે છે એ બહુ મોટી ભૂલ છે અને એ ભૂલની સજા લગભગ આગલી આખી પેઢી ભોગવવાની છે.
સજાનું પરિણામ કેવું હશે?
માથાપછાડ, જબરજસ્તી અંગ્રેજીમાં ભણલું એ બાળક સંસ્કાર-સંસ્કૃતિથી અળગું થઈ જઈ શકે છે અને એનાં પરિમાણરૂપે એ બાળક પોતાના પરિવાર સાથે પણ પોતાનું અનુસંધાન ન જોઈ શકે એવું બને. (વગેરે જેવી માતૃભાષાના શિક્ષણને લગતી અનેક બાબતો વિશે આ લેખશ્રણીમાં અગાઉ ચર્ચા થઈ છે, જે લેખના અંતે આપેલી વેબલિન્ક પર વાંચી શકાય છે.)
હરખઘેલાં માતાપિતાએ આ બાબતે સાવધ રહેવું પડશે કે આજે પોતાના બાળકને પરિવારથી તદ્દન જુદું ને ભિન્ન બનતું જોઈ ભલે ગૌરવ અનુભવાય, પણ આવતીકાલે આ ભિન્નતાને લીધે જ બાળકને એમનાં માતાપિતાથી પણ તદ્દન જુદાપણું લાગવા લાગશે ત્યારે? જોકે એ સંજોગોમાં હંમેશાં સંસ્કારો કામ આવતા રહ્યા છે અને બદલાતી બે પેઢી વચ્ચે સ્નેહ-સમ્માનનો સેતુ આપણા સંસ્કારો જ બાંધતા આવ્યા છે, પણ શું આપણે એ સંસ્કારોને, સંસ્કૃતિના એ આખા પ્રવાહને માતૃભાષાના માધ્યમ વગર સાચવી શકીશું? બકોર પટેલ વગર, ચકાચકી વગર, દલા તરવાડી વગર, આપણી બોધકથાઓ વગર, આપણી પ્રાર્થનાઓ વગર, આપણી કવિતાઓવાર્તાઓ વગર, આપણા આખા સાહિત્ય વગર, માતૃભાષાના શિક્ષણ વગર આપણે એ સંસ્કારોને જીવતા રાખી શકીશું? એ સવાલ આપણે જ આપણી જાતને પૂછવાનો છે અને એનો જવાબ આપણે જ આપણી જાતને આપવાનો છે.
(જન્મભૂમિમાં પ્રકાશિત મુંબઈ ગુજરાતી સંગઠનનો લેખ)