ગાંધીસંદેશ અને માતૃભાષાની શાળાઓની અવગણના
આપણા મહાનગરમાં ‘મહાત્મા’ કે મોહનદાસ કરમચંદ ગાંધીના નામના કેટલાય માર્ગો હશે; કેટલીય સંસ્થાઓ ને શાળાઓ પણ એ નામે કાર્યરત હોવા છતાં પણ એમના પગલે ચાલનારા, એમના સંદેશાને આત્મસાત કરીને સમાજઘડતરમાં કાર્યરત હોય એવા લોકો-સંસ્થાઓ કેટલા? આખા વિશ્વને અહિંસાનો ને સત્યના માર્ગે ચાલવાનો સંદેશ આપનારા રાષ્ટ્રપિતાને આપણે માત્ર અંજલિઓ ને અર્પણો પૂરતા જ યાદ કરીએ છીએ, ખરુંને? આખું વિશ્વ જેને એક આદરણીય, પૂજનીય વ્યક્તિ ગણે છે એ ગાંધીજીનું આપણા દેશમાં આટલું જ મહત્ત્વ વધ્યું છે?! તેમની એક હાંકલ પર ઘરપરિવાર છોડીને, વતન માટે બલિદાન દેનારા દેશપ્રેમી યુવાનોની આખી ફૌજ ક્યાં ચાલી ગઈ? એવા દેશપ્રેમીઓની આજે અછત વર્તાય છે. તેમના વિચારો, આચરણ, સ્વદેશપ્રેમ, અહિંસા, સર્વધર્મસમભાવ, શાકાહાર, માતૃભાષાપ્રેમ, સ્વદેશીવસ્તુનો સ્વીકાર, સત્યપ્રિયતા, કૃતનિશ્ચયીપણું વગેરેનો અભાવ સ્વતંત્રતાના સાતમા દાયકે સ્પષ્ટ થઈને દેખાવા લાગ્યો છે. પરદેશમાં લોકો જેના વિચારોને અપનાવી રહ્યાં છે તેને આપણે, આપણા જ દેશમાં અવગણી રહ્યા છીએ.
ગાંધીજીના માતૃભાષા પરના વિચાર કેવા હતા? માતૃભાષાના માધ્યમથી જ શિક્ષણના કટ્ટર આગ્રહી ગાંધીજીએ લખ્યું હતું કે માતાના ધાવણ સાથે જે સંસ્કાર અને જે મધુર શબ્દો મળે છે, તેની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ તે પરભાષા મારફતે કેળવણી લેવામાં તૂટે છે. માતૃભાષાનો જે અનાદર આપણે કરી રહ્યા છીએ તેનું ભારે પ્રાયશ્ચિત આપણે કરવું પડશે. ગાંધીજીએ આત્મકથામાં સ્કૂલ દરમિયાન એમના માથે થોપી બેસાડવામાં આવેલા અંગ્રજીથી પડતી મૂશ્કેલીઓની પણ વાત લખી છે. આત્મકથાનું એક આખું પ્રકરણ એમને આ વિશેના વિચારો-અનુભવોથી હોવા છતાં આજે ગાંધીજીની આત્મકથા જેટલા વ્યાપક પ્રમાણમાં ફેલાયેલી છે એનાથી અડધા પ્રમાણમાં પણ ક્યાંય એમના વિચારો ફેલાયેલા નથી લાગતા. અને માત્ર વિચારમાં નહીં, આચારમાં પણ ગાંધીજી માતૃભાષાના વપરાશના કટ્ટર આગ્રહી હતા. આઝાદી પહેલા ગુજરાતમાં કોંગ્રેસની જાહેર સભામાં ઝીણા જેવા ઝીણા પાસે એમણે ગુજરાતીમાં ભાષણ આપવાનો આગ્રહ કર્યો હતો, તો જ્યાં જાય ત્યાંના લોકો સાથે એમની જ ભાષામાં વાત કરવાના એમણે પ્રયાસ કર્યા હતા.
જોકે ગાંધીજીએ આગાહી કરી હતી એવો પ્રાયશ્ચિત કરવાનો સમય પણ આપણે ગુમાવી રહ્યા છે એમ નથી લાગતું? ગાંધીજીએ બ.ક. ઠાકોરને એક પત્રમાં લખ્યું હતું કે આપણી પાર્લામેન્ટ થશે ત્યારે ફોજદારી કાયદામાં એક કલમ દાખલ કરવી પડશે કે બે ભારતીયો એક ભાષા જાણતા હોવા છતાં અંગ્રેજીમાં લખે કે બીજા સાથે અંગ્રેજી ભાષામાં બોલે તો તેને ઓછામાં ઓછી છ માસની સખત મજૂરી સાથે સજા કરવામાં આવે.
આપણી પોતાની પાર્લામેન્ટ તો આવી ગઈ અને ફોજદારી કાયદાઓમાં પણ આપણા જનપ્રતિનિધિઓના હાથમાં હોવા છતાં હજી ભારતની કોઈ ભાષાઓ, અંગ્રેજી સામે એનું પોતાનું સ્વમાન પણ જાળવી શકે છે ખરી એ પ્રશ્ન કરુણ છે.
કવિ ઉમાશંકર જોશીની ‘તેં શું કર્યું’ કવિતાની પંક્તિઓ આજે પણ કેટલી પ્રસ્તુત છે કે,
દેશ તો આઝાદ થાતાં થઈ ગયો,
તેં શું કર્યું?
અંગ્રજોની ગુલામીમાંથી આઝાદ થયા પછી પણ આપણા ભારતવાસીઓ ખરેખર માનસિક ગુલામીમાંથી આઝાદ થયાં છે? સ્પષ્ટ રીતે જવાબ મળશે, ‘ના’. આપણે હજુ પણ ગુલામીની માનસિકતામાં જ જીવીએ છીએ અને દુ:ખની વાત એ છે કે આ ગુલામીની ઝંઝીર હવે કોઠે પડી ગઈ છે. તેને તોડીને બહાર આવવાની કોઈ કોશિશ તો ઠીક, કોઈ એ વિશે વિચારતું પણ નથી. સ્વને મૂકીને દેશનું વિચારનારાઓની નવી પેઢી ફક્ત અને ફક્ત સ્વના વિચારોથી જ જીવે છે. દેશહિત, દેશકલ્યાણ, દેશની પ્રગતિ તો તેઓના શબ્દકોશમાં પણ નથી. જે ગણ્યાંગાંઠ્યાં લોકો ગાંધીના વિચારોને વળગી રહ્યાં છે, તેઓની મજાક ઉડાવવાનું પણ આપણે ચૂકતા નથી! કેવી ગજબની માનસિક ગુલામી જડબેસાલક મગજમાં ઘૂસી ગઈ છે, જેને કાઢવી ખૂબ જ જરૂરી છે. પણ આપણે વિચારીએ છીએ કે પહેલ કોણ કરે? આપણું સાંભળશે કેટલાં? નાહક મશ્કરીને પાત્ર ઠરીશું.
દરેક માનવના જીવનમાં ‘મા’, ;માતૃભાષા’ અને ‘માતૃભૂમિ’નું એક અનોખું સ્થાન હોવું જોઈએ. અહીં ‘હોવું જોઈએ’ સકારણ લખ્યું છે. હાલના સંજોગોમાં આપણે માતૃભૂમિ અને માતૃભાષાને તો કોરાણે મૂકી દીધાં છે. વિશ્વ એટલું નાનું થઈ ગયું છે કે પરદેશમાં ભણવા જઈએ અને ત્યાં જ સ્થાયી થઈએ એટલે એ જ આપણી ભૂમિ! અને જે માતૃભૂમિમાં જન્મ લઈ, બાળપણ, યુવાની વીતાવી પરદેશ જવા લાયક બન્યા તે જ માતૃભૂમિને વગોવતાં – અવગણતાં જરાય અચકાતાં નથી. જ્યારે માતૃભૂમિ માટે સંવેદનહીન છીએ તો માતૃભાષાની તો વાત જ શું કરવી?!
ગાંધીજી માતૃભાષામાં શિક્ષણ પર ભાર દેતા હતા. તેઓએ પોતાનાં બાળકોને પરદેશમાં રહેવા છતાં માતૃભાષામાં શિક્ષણ આપવા ઘણી જહેમત ઊઠાવી. ગાંધીજી જ્યારે પણ સમભાષી લોકો વચ્ચે હોય તો માતૃભાષામાં જ વાત કરતા, જ્યારે આજે માતૃભાષામાં શિક્ષણ તો બહુ દૂરની વાત છે, માતૃભાષામાં વાતચીત કરવી એ પણ હીનતાની દૃષ્ટિએ જોવામાં આવે છે. કેવી માનસિક ગુલામી કહેવાય આ? આજનાં યુવા વાલીઓને ‘ગુજરાતી’ માતૃભાષાની શાળાઓ હજી કાર્યરત છે એ વિશે અજ્ઞાનતા છે, કદાચ તે જાણવાની કોશિશ જ નથી કરી. આપોઆપ સ્વીકારાયેલી આ અજ્ઞાનતા માતૃભાષા માટે ઘાતક નીવડી રહી છે.
આપણા મહાનગર મુંબઈની જ વાત કરીએ તો કોંક્રિટના જંગલોની સાથે સાથે અંગ્રેજી માધ્યમની શાળાઓના રાફડા ફાટયાં છે. એને પોષનારા – વધારનારા આપણાં જ ગુજરાતીઓ આંધળુકિયા કરીને જેલમાં જેમ કેદીઓને રાખવાની સગવડ હોય તેના કરતાં ત્રણ ગણાં, ચાર ગણાં કેદીઓ ભરવામાં આવે તેમ દરેક શાળામાં કુમળાં બાળકેદીઓને ઘેટાંબકરાંની જેમ ભરવાનું અને ફક્ત ‘બેં... બેં...’ કરવાનું નહિ (માતૃભાષા બોલવાનું નહિ) એમ શીખવવામાં આવે છે અને માતૃભાષા બોલવા માટે સજા આપવામાં આવે છે અને આપણાં જ આ ટોળાશાહીમાંથી આર્થિક લાભ લેનારાઓ ભલે ને આ બાળકેદીને પૂરી સગવડ આપે કે ન સારું શિક્ષણ, સમજણ કે સર્જનશીલતા ખીલવે, આપણે સૌ માનસિક ગુલામ ‘ Yes Sir, Okay Sir’ના રટણોથી તેઓને ખુશ કરીએ, રખે ને, બાળકેદીનો જલદી છૂટકારો થઈ જાય તો કોણ રાખશે એ ડરથી!
પણ આ અજ્ઞાનતામાંથી જો બહાર આવીને, આંખો ખોલીને આજુબાજુ નજર ફેરવીએ તો મુંબઈનાં ઘણાં પરાઓમાં આજે પણ માતૃભાષાની (ગુજરાતી) માધ્યમની શાળાઓ બાળપુષ્પોને ખીલવી રહી છે. તેનામાં સંસ્કાર, સંસ્કૃતિ અને સર્જનશક્તિનું સિંચન કરી,માતૃભાષાની ફોરમ ફેલાવી રહી છે. અજ્ઞાનતાના ઓછાયા હેઠળ આ ફોરમ મુંબઈગરા સુધી પહોંચે તે માટેનાં કાર્યો પણ વિવિધ સંસ્થા, સંગઠનો દ્વારા થઈ રહ્યાં છે.
આમાંનાં ઘણાં સંગઠનો વર્ષોનાં પરિશ્રમ પછી ગુજરાતીઓની અજ્ઞાનતા, જડાતા, ટોળાશાહી, દેખદેખીની માનસિકતા સામે સંજોગવસાત પરિવર્તનશીલ વિચારોમાં શિથીલ થઈને ‘જે બચ્યું તે ઘણું’ના નિશ્ચયે આવી પહોંચ્યા છે, તો ઘણાં સંગઠનો, સંસ્થાઓ ફક્ત સંસ્થાની એક કાર્યસૂચિમાં વધારો કરવા પૂરતી ગણતરીથી કાર્ય કરી રહ્યાં છે. કૃતનિશ્ચયી થઈને સજાગતા કેળવવા, જનજાગૃતિ કરવાની સાચી હકીકતોનો પૂરેપૂરો અભ્યાસ કરી, આ સંજોગો માટેનાં નિષ્કર્ષો પર પહોંચવાની, તેના માટેનાં સકારાત્મક પગલાં ભરવાની હામ જૂજ સંગઠનો જ કરી શક્યાં છે.
‘મારી માતૃભાષા, મારી જવાબદારી’ને સાર્થક બનાવવા દરેકેદરેક ગુજરાતી પોતાની માતૃભાષા માટે એક અથવા બીજી રીતે કાર્યમાં સગયોગી બને તે માટેનાં આહ્વાન પણ થયાં. દરેકેદરેક ભારતીયની જવાબદારી છે કે પોતાની માતૃભાષાનાં સંવર્ધન માટે કાર્ય કરે અને આપણી વિવિધ સંસ્કૃતિવાળી ભારતીયતા છે તે જાળવી રાખે.
સરકારી તંત્રને પણ આ બાબત વિવિધ સૂચનો આપવાની પહેલ કરવામાં આવી રહી છે,જેથી વધુ મોટા ફલક ઉપર વધારે પ્રભાવી કાર્ય થઈ શકે. વાલીસભામાં પણ અંગ્રેજી માધ્યમ, વિવિધ બૉર્ડનાં શિક્ષણ માટે ‘હાય! તોબા!’નાં પ્રત્યાઘાતો મળી રહ્યા છે. આવા સમયમાં જો બધાં જ સાથે મળીને જનજાગૃતિના કાર્યને વેગ આપે તો માતૃભાષાની શાળાઓમાં પહેલાં જેવી રોનક આવે એવા એંધાણ છે. અમુક શાળાના આચાર્ય અને શિક્ષકોના ખંતથી બાળમંદિરમાં સંખ્યા વધવાના સંકેત મળ્યા છે અને ઘણી શાળાઓમાં જે સંખ્યા ઘટવાનો દર હતો તે બંધ થયો છે અથવા ઓછો થયો છે.
સમાજના દરેક તબક્કાના લોકો માતૃભાષાના માધ્યમ સાથે જોડાય તે માટેની મહેનત જરૂરી છે, નહિતર આ માધ્યમ ફક્ત નબળાં વર્ગનાં લોકોએ જ ટકાવી રાખ્યું છે એ કહેવામાં જરાય અસત્ય નથી. આ માટે વિવિધ જૈન મુનિ, સ્વામીનારાયણ સંપ્રદાયાનાં, વૈષ્ણવ સંપ્રદાયનાં ગુરુઓ દ્વારા ચાલતી પાઠશાળાઓમાં જ જો માતૃભાષાનાં માધ્યમ દ્વારા ભણાવવા પર આગ્રહ કરી સમજણ આપવામાં આવે તો પંદર વર્ષ પહેલાં જે ભદ્ર સમાજ માતૃભાષામાં પોતાનાં બાળકોને ભણાવતો હતો તે પાછો વળશે – આની તાતી જરૂર છે. માતૃભાષાનાં માધ્યમને જાળવવાની, સંસ્કાર- સંસ્કૃતિ બચાવવાની જવાબદારી ફક્ત આર્થિક રીતે નબળાં વર્ગની જ નથી, એ હવે સમાજે સમજવું પડશે.
આ માટે વિવિધ સ્તરે રાજકીય, કાયદાકીય, શિક્ષણક્ષેત્રે સરકારી, સંસ્થા, સંગઠનો, શાળાનાં સંચાલકો, આચાર્યો, શિક્ષકો, સમાચાર પત્રો વગેરેએ એક જ ધ્યેય રાખી ‘મારી માતૃભાષા, મારી જવાબદારી’ માટે કાર્ય કરવું પડશે, જેનાં સકારાત્મક પરિણામ જરૂરથી મળશે જ.
- મુંબઈ ગુજરાતી સંગઠન
જીવન-સંવેદન-વ્યવસાયમાં સમતુલા આણનાર પરિબળ - ડૉ. સૌરભ મહેતા
સાહિત્ય ! આમ તો આ શબ્દનો પરિચય શાળાના પાઠ્યક્રમનાં વાર્તા-કવિતાને લીધે, પણ એ જ ‘સાહિત્ય’ કહેવાય એવી સમજ તો ત્યારે ક્યાંથી હોય? શાળામાં એ ઓળખ ફક્ત વાંચનના શોખ તરીકે હતી, પણ તેની સાથે પરિણય તો થયો કોલેજથી. કોલેજનાં વરસો દરમિયાન સમજ મળી કે બાળપણથી વાંચેલાં પુસ્તકો એટલે સાહિત્યનો જ ભાગ, એમાં બાળવાર્તાથી લઇ અધ્યાત્મનું વાંચન પણ આવી જાય. સમયની સાથે સાહિત્યની સમજ અને વ્યાખ્યા પણ વિસ્તરતી રહી છે, તો હજીયે સાહિત્યના નવાનવા અર્થો મળતા રહે છે. ઉંમર, અનુભવ અને સમજણ સાથે સાહિત્યની રુચી, ગંભીરતા અને રૂપો પણ બદલાતા રહ્યા છે. બાળપણનું સચિત્ર ને નિર્દોષ હાસ્ય-આનંદ આપનારું સાહિત્યનું વર્તુળ ફિલ્મોથી લઇ બીજાં ઘણાં ક્ષેત્ર તેમ જ વિવિધ ભાષાઓ સુધી વિસ્તરતું રહ્યું છે, તેનો આનંદ છે, તો સાથે આપણા સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ ન કરી શક્યાનો રંજ પણ સતાવે છે.
કાર્યક્ષેત્ર ટેકનોલોજી હોવાને લીધે ગણિત-વિજ્ઞાન-ટેકનોલોજીનાં પુસ્તકોનું વાંચન-અભ્યાસ તો દિનચર્યાનો જ એક ભાગ, જેને લીધે લખાણની હકીકતો, તાર્કિકતા અને વિશ્લેષણાત્મક મુલવણીનો મહાવરો વધ્યો છે. આ મહાવરાને લીધે વાસ્તવિક જગતની જુદી જુદી સ્થિતિઓ અને પ્રસંગોને મુલાવવાનો અને સમજવાનો અભિગમ તથા દ્રષ્ટિકોણ પણ વિકસ્યો છે, આ બધાના પરિપાકરૂપે કોઈ પણ નિષ્કર્ષ પર આવતા પહેલાં મનોમંથનોની આદત આવી. એથી વિપરીત સાહિત્યનું વાંચન વિચારોની નવીનવી ક્ષિતિજ ખોલતું ગયું, જ્યાં ફક્ત તર્ક-હકીકતોથી કામ નથી ચાલતું, પણ એનાથી આગળ, માનવજગતની મનોભાવનાઓ, આંટીઘૂંટીઓ, ઉર્મીઓ અને લાગણીઓના વિશ્વમાં સાહિત્ય લઇ જાય છે. આ વાંચન બુદ્ધિ કરતાં વધુ હૃદયને સ્પર્શે છે. જગતમાં સૌથી સંકીર્ણ મનોવિશ્વ છે લાગણીઓનું, જ્યાં સાહિત્ય પ્રવેશ કરાવે છે. સાહિત્ય જે રીતે માનવીના સ્વભાવ-અંતરમનના રંગોનો પરિચય કરાવે છે તે કદાચ વિજ્ઞાનથી કે તર્કથી રજૂ કરવું શક્ય નથી. લોકો સાથે સંવાદ સાધવા તેમજ તેમને સમજવામાં સાહિત્ય મદદરૂપ બને છે. મારું તો સ્પષ્ટપણે માનવું છે કે માનવસ્વભાવ અને સમાજનું ઘડતર ફક્ત સાહિત્ય જ કરી શકે છે. અન્ય વિદ્યાશાખાઓ બાહ્યજીવન માટે કાર્યરત છે, જ્યારે સાહિત્ય આંતરિકવિશ્વ સાથે સંબંધ ધરાવે છે.
હવે થોડી અંગત વાતો.
સાહિત્યવાંચનને લીધે વ્યવસાયિક જગતમાં જરૂરી મારાં લખાણો-અહેવાલોમાં અલગપણું આણી શકાયું છે એ મારી અંગત પ્રાપ્તિ ગણું છું. એ લખાણોના પ્રતિભાવોમાં મને જાણવા મળ્યું કે ગૂંચવાડાભરી ટેક્નિકલ બાબતોના હોવા છતાં મારા અહેવાલો-લખાણોમાં વાચનારાઓને પ્રવાહિતા ને સરળતા જણાઈ છે, જ્યારે સામાન્યપણે આવાં લખાણો શુષ્ક ને નીરસ માહિતીના ખડકલા જેવા જ બની જતા હોય છે, એ વાચવાયોગ્ય બની શક્યા છે એ વાચકોને મારી ઉપલબ્ધિ લાગશે, પણ અપ્રત્યક્ષ રીતે એ સાહિત્યવાચનની દેન છે. વળી, શિક્ષક-પ્રશિક્ષક તરીકે તાલીમ-પ્રશિક્ષણ આપવાની જવાબદારી આવે, એમાં કથાતત્વ ઉમેરવાના પ્રયોગ મેં કર્યા છે, એ પ્રયોગને લીધે તાલીમાર્થીઓનો રસ વધારવામાં સફળતા મળી એ પણ સાહિત્યને આભારી.
સાહિત્યના નિયમિત વાંચન-અભ્યાસને લીધે બીજા વ્યવસાયિકો તેમ જ લોકો સાથેના સંપર્કસેતુ સાધવામાં પણ સરળતા અનુભવાઈ છે, ખાસ તો સાહિત્યને લીધે બહુવિધ ક્ષેત્રોના મિત્રો મળ્યા છે, તો લોકોને તેમની વિવિધતા અને સારા-નરસા પાસા સાથે સ્વીકારવાની સમજણ પણ આવી છે. સાહિત્યનો સૌથી મોટો પાઠ જાત સાથે સંવાદ સાધવાનો મળ્યો છે. સાહિત્યએ વ્યક્તિદર્શન સાથે સમાજદર્શન પણ કરાવ્યું છે. સાહિત્યને લીધે દેશ-પરદેશના લોકોની સંસ્કૃતિ, મૂલ્યો, રહેણીકરણી, ખાન-પાન વગેરે જાણવાની તક મળી છે. આમ સમગ્રપણે સાહિત્યને લીધે અંગત, વ્યવસાયિક અને સામાજિક જીવનમાં એક ઠરેલપણું લાધ્યું છે.
ગુજરાતી સાહિત્યમાં કેટલાય લેખકો તેમ જ પુસ્તકોએ જીવન ઘડતરમાં વધતે ઓછેઅંશે પ્રભાવ પાડ્યો છે. ખાસ ધ્રુવ ભટ્ટની નવલકથાઓ, એમના લખાણમાંની માનવીય સંવેદના, સંબંધો તેમ જ પ્રકૃતિ સાથેનો સંવાદ ઝીલાય છે, તે મનને ઝંકૃત કરી નાખે છે, માંહ્યલાને જીવંત રાખે છે. કાકાસાહેબનાં પ્રવાસવર્ણનો તેમ જ ભાણદેવસાહેબના હિમાલયના પ્રવાસ્સો માનવી તરીકેની મારી અધૂરપને ઉજાગર કરી આપે છે. સ્વામી આનંદ અને ફાધર વાલેસના નાનીનાની પ્રસંગોકથાઓ, પણ માનવીની આંતરિક સુંદરતા પ્રગટાવી પ્રેરણા આપતા રહ્યા છે. ગાંધીજી અને વિવેકાનંદનાં લખાણો સ્વ સાથે સંવાદ કરવાની કળા શીખવે છે. તો હરિભાઈ વ્યાસ અને રમણલાલ સોનીની બકોર પટેલ કિશોર કથાઓ કે અનુવાદો બાળપણની મધુર યાદોમાં ફરી લઇ જાય છે.
મૂળભૂત રીતે પિતાના સાહિત્યવાંચન શોખને લીધે કદાચ મને પણ સાહિત્યનો શોખ વારસામાં મળ્યો છે. ઉચ્ચ અભ્યાસ તેમજ વ્યવસાયિક કારણોસર ઘણા વર્ષો વિદેશમાં એકલા રહેવાનું થયું, જેને લીધે ઘણીવાર એકલવાયાપણું, નિરાશા વગેરે ઘેરી વળતા, ત્યારે પિતા દ્વારા લખાયેલા પત્રો એક નવું જોમ આપી દેતા. પિતા દ્વારા લખાયેલા સરળ અને લાગણીસભર પત્રો એ જીવનનો ભવ્ય વરસો છે. આમ સાહિત્યને લીધે એકદમ અંગત સ્તરે, અમારા પિતા-પુત્રના સંબંધની કડી હંમેશાં મજબૂત રહી છે. વળી આ જ સમયમાં કેટલાંક વર્ષો અનિદ્રાના રોગ રહેતો, ત્યારે ઘણી રાતો ઉજાગરા રહેતા અને દિવસ અકળામણમાં પસાર થતા, તે વખતે પણ સાહિત્યવાંચન અકસીર ઈલાજ બની પડખે રહ્યું, વગર કોઈ દવા કે સારવાર સાહિત્યવાંચનના શોખે ધીમેધીમે એ રોગમાંથી પણ સંપૂર્ણ મૂક્તિ અપાવી.
આ સફરમાં ભારતીય વિચારકો, સાહિત્યકર્મીઓથી લઈ દુનિયાભરના શ્રેષ્ઠ સાહિત્યકારોને વાંચવા, જાણવા અને સમજવાની તક મળી છે. સાહિત્યને લીધે સ્થળ અને સમયના બંધન ન રહેતા, હવે તો પેઢીઓ પહેલાંના અને સમકાલીન સાહિત્યકારોને વાંચવા તેમ જ નવી ટેકનોલોજી દ્વારા સાંભળવા જોવાનો લહાવો પણ મળી રહ્યો છે. સાહિત્ય ભલે દરેક સમસ્યાનો ઉકેલ ન આપી શકતું હોય, પણ ઉકેલ માટે જરૂરી સંવેદના, સમજણ ને દ્રષ્ટિકોણ તો ચોક્કસ આપે જ છે.
ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા ગુજરાતી સાહિત્યમાં માસ્ટર્સની પરીક્ષાઓ તો શોખ ખાતર પાસ કરીને ડિગ્રી મેળવી, પણ સાહિત્યનો પદ્ધતિસર-પરંપરાગત અભ્યાસ ન કરી શકવાની થોડી ખટક રહેતી, જે સાહિત્યવાંચન દ્વારા સંતોષાઈ છે. આજે પણ સફારી જેવા સાયન્સ મેગેઝીનથી લઇ નવનીત સમર્પણ-ચિત્રલેખા જેવા સામયિકોનું નિયમિત વાંચન વ્યવસાયિક અને અંગત જીવનમાં ખૂબ ઉપયોગી થાય છે.
સમાપનમાં એટલું જરૂર કહીશ કે સાહિત્યએ મારા જીવનમાં એક સમતોલપણું આણ્યું છે ! દુનિયાને જોવાની એક નવી દ્રષ્ટિ આપી છે. જીવનના ઘણા ચઢાવ-ઉતાર થતા પ્રસંગોમાં ટકી રહેવાની પ્રેરણા અને બળ પૂરું પાડ્યા છે. ઉપરાંત, આજે, આ સાહિત્યની જ દેણ છે કે આપ સહુ સાથે મારો અનુભવ-મારો આનંદ વહેંચી શકું છું. આગળ પણ પ્રભુને એ જ પ્રાર્થના છે કે સાહિત્યવાંચનનો આ પ્રવાસ અવિરત ચાલતો રહે ને જીવનને વધારે ને વધારે સમૃદ્ધ કરતો રહે !
ગુજરાતી શાળાઓના વિકાસમાં પાયારૂપ બની શકે એવી યોજનાઓ
અગાઉ ગુજરાતી માધ્યમ, માતૃભાષામાં શિક્ષણ અને શિક્ષણના વિવિધ પાસાંઓ વિશે ચર્ચા થઈ છે. આ વખતે જાણીએ કે કેવી કેવી યોજનાઓથી શક્ય છે ગુજરાતી શાળાઓનો સંપૂર્ણ વિકાસ.
અનેક ઉદાહરણો પરથી એ સ્પષ્ટ થયું છે કે માતૃભાષાની શાળાઓ પણ જુદી જુદી પ્રવૃત્તિ, સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને થોડા માર્કેટિંગના સહારે ફરી પાછી ધમધમતી થઈ શકે છે, પણ પ્રશ્ન છે આપણી અનેક શાળાઓને ફરી પાછી પ્રવૃત્તિમય અને જીવંત કરવા માટે જે પગલાઓ લેવાની જરૂર છે તે આર્થિક મદદ વગર કેવી રીતે પૂરાં કરી શકાય? આજે મોટાભાગની ગુજરાતી શાળાઓ ખાનગી ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે કે પછી પાલિકા દ્વારા સહાયપ્રાપ્ત છે. ખાનગી ટ્રસ્ટવાળાઓને તો હવે ગુજરાતી માધ્યમમાં રસ (કે પૈસો) ન દેખાતા તેઓ અંગ્રેજી માધ્યમ તરફ વળી ગયા છે, અને કેટલાક ઈચ્છુક હોવા છતાં સશક્ત નથી, તેથી શાળાઓ માટે નવી સુવિધા ઉપલબ્ધ નથી કરાવી શકાતી.
વાલીઓ પોતે આર્થિક ભીંસમાં હોય તો પણ પોતાના બાળકને બીજાં બાળકો સાથે હરીફાઈમાં ટકી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. વળી તેમાં પણ અંગ્રેજીનો મોહ અને હાઉ ભળે, એટલે વાલીઓની ઈચ્છા એક ગાંડપણનું સ્વરૂપ લઈને અંગ્રેજી માધ્યમ માટેની આંધળી ઘેલછામાં પરિણમે છે.
તો આ ઘેલછા રોકવા માટેના ઉપાય શું છે? જો આ ઘેલછા રોકવી હોય તો સંપૂર્ણ આધુનિક સુવિધાઓ ધરાવતી ગુજરાતી શાળાઓનો પ્રચાર થવો જોઈએ, જ્યાં માતૃભાષામાં શિક્ષણ મળે સર્વોત્તમ અને અંગ્રેજીની તાલીમ હોય ઉત્તમ. તો ગુજરાતી માધ્યમની શાળાઓ આવી સુવિધા મેળવવા આર્થિક સહાય ક્યાંથી લાવી શકે?
આ લેખની ચર્ચા એ જ મુદ્દા પર છે કે ગુજરાતી માધ્યમની શાળાઓ જો ધારે તો ઘણા રસ્તાઓથી આર્થિક મદદ મેળવી શકે છે, તો ચાલો જોઈએ કેટલીક યોજનાઓ અને રસ્તા કે જેના દ્વારા અથવા એવી જ બીજી સંસ્થાઓ પાસેથી ગુજરાતી શાળાઓ આર્થિક મદદ મેળવી શકે.
૧. ગુજરાતી માધ્યમ પાસે સૌથી પહેલો સ્રોત છે રાજકીય / કેન્દ્રીય યોજનાઓનો લાભ લેવો. ઉદાહરણ તરીકે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનની વિવિધ યોજનાઓ છે. ICT (ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી) દ્વારા શિક્ષણની ગુણવત્તા વધારવી, સ્કુલની માળખાકીય સુવિધા સુધારવા માટેની યોજના, શાળાની વિવિધ સુવિધાઓ જેવી કે લેબ, લાઈબ્રેરી, કમ્પ્યુટર રૂમ વગેરે બનાવવા માટેના પ્રોગ્રામ, ફોરેન લેન્ગવેજ કે અંગ્રેજી શીખવાડવા માટે શિક્ષક નિયુક્ત કરવાની યોજનાઓ. એની પૂરી માહિતી મેળવી એ યોજનાઓના લાભ લઈ શકાય છે. આ તો થઇ સરકારી યોજનાની વિગત.
૨. હવે જોઈએ કેટલીક મલ્ટીનેશનલ તેમ જ નેશનલ કંપનીઓ દ્વારા ચાલતી યોજનાઓ. ઉદાહરણ તરીકે માઈક્રોસોફ્ટ દ્વારા ચાલતા શિક્ષણને લગતા વિવિધ પ્રકલ્પો, ઈન્ફોસીસ દ્વારા શાળાઓને અપાતી ગ્રાન્ટ્સ, વિપ્રો દ્વારા અપાતી સહાય, TCS જેવી કેટલીક કંપનીઓ દ્વારા શાળા માટેના શિક્ષણના પ્રકલ્પો તેમની CSR અંતર્ગત ચાલે છે. આ યોજનાઓની વધુ વિગતો જે તે કંપનીની વેબસાઈટ પર મળી શકે છે, ઉપરાંત વ્યવસ્થિત સંશોધન કરવાથી આવી ડઝનો કંપનીઓના સહાય કાર્યક્રમો મળી રહેશે જે શાળાઓને સદ્ધર કરવામાં મદદરૂપ બને.
3. હવે વાત કરીએ કેટલીક NGOની કે સ્વતંત્ર સંસ્થાઓની જે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલી છે ને વિવિધ પ્રકારની યોજના ચલાવે છે. ‘મુંબઈ ગુજરાતી સંગઠન’ તેનું એક ઉત્તમ ઉદાહરણ છે, જે શાળાઓના સ્તરને સુધારવા તેમ જ તેમની માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે ઉપરાંત બાળકોના સંપૂર્ણ વિકાસને વેગ મળે તે માટેના કાર્યક્રમો યોજતું રહે છે. આવી જ બીજી પણ ઘણી સંસ્થાઓ છે જે વિવિધ યોજનાઓ દ્વારા શાળાઓને મદદ કરતી રહે છે. દરેક શાળામાં તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન એમાં ઘણું મદદરૂપ થઇ શકે છે. આજે લોકોમાં દાયકાઓ બાદ સ્કૂલી મિત્રો સાથેના મેળાવડાનો-રિયુનયનનો ટ્રેન્ડ છે, ત્યારે શાળાઓએ આવા રિયુનિયન્સને પોતાની શાળાઓ માટે આર્થિક કે અન્ય સહાય કરવા માટે અપીલ કરવી જોઈએ.
4. કંપનીઓ શાળા/શૈક્ષણિક સંસ્થાઓને મફત કે ખુબ જ રાહત દરે નેટ કનેક્શનની સુવિધા પૂરી પાડે છે કે જેથી ગુજરાતી માધ્યમની ખાનગી / સરકારી શાળાઓ પણ ઈન્ટરનેટનો લાભ લઇ શકે અને આજના જમાના સાથેની હરીફાઈમાં ટકી શકે.
5. જેમ આપણે જાણીએ છીએ જે 'મન હોય તો માળવે જવાય' આ જ ઉક્તિને સાચ્ચી ઠેરવતી કેટલીક કમાલની સાઈટો છે કે જેને 'ક્રાઉડ ફંડિંગ' સાઈટ્સ કહેવાય છે. જેનો મતલબ છે તમારી પાસે કોઈ સારો પ્રોજેક્ટ કે સારા લક્ષ્ય હોય પણ તેને પૂરા કરવાનો આર્થિક સહયોગ ન હોય તો 'ક્રાઉડ ફંડિંગ' વેબસાઈટ તમારો પ્લાન / વિચાર લોકો સમક્ષ મૂકે છે અને લોકો પાસેથી તમારી માટે ફાળો મેળવવા અપીલ કરે છે. અને તેના થકી તમે આર્થિક સહયોગ પ્રાપ્ત કરી શકો છો. ઉદાહરણ તરીકે milan.com, wishberry.in જેવી કેટલીયે વેબસાઈટ છે જે તમને ભંડોળ ભેગું કરવામાં મદદ કરે છે.
જ્યાં આટલા બધા રસ્તાઓ છે ભંડોળ / યોજનાઓ માટે તો અડચણ શું હોય? મોટાભાગની યોજનાઓ / ભંડોળ માટે શાળાઓને ખૂબ વ્યવસ્થિત યોજનાઓના પેપર તૈયાર કરવા પડે છે તેમ જ ધીરજ અને સતત ફોલો-અપ માગી લેતી કાર્યપ્રણાલીને અનુસરવું પડે છે. જે માટે શિક્ષકોએ આગળ આવી સારી યોજનાના પેપર બનાવવા તેમ જ પ્રેઝન્ટેશન કરવું વગેરે આવડતો વિકસાવવી રહી, વળી તેનો પણ એક સરળ ઉપાય છે, જો શાળા પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠનમાંથી આ પ્રશ્નોના નિષ્ણાત વિદ્યાર્થીઓને શોધી કાઢી તેમની સેવાનો લાભ લઇને વ્યવસ્થિત કાગળિયા બનાવે તો નક્કી દરેક શાળાને ભંડોળ માટે ચિંતા કરવાની ન રહે અને ઓછી ફી સાથે સારી ગુણવત્તાવાળું શિક્ષણ પણ આપી શકાય.
ઉપર કહ્યું તેમ આ માટેની તૈયારીઓની શરૂઆત કેવી રીતે કરવી? દરેક નવા કાર્ય માટે દૃઢ સંકલ્પ, પૂર્વતૈયારીઓ અને મહેનત જરૂરી છે. શાળાઓ પોતાની દરેક શૈક્ષણિક અને બીજા કાર્યક્રમોની વિગતે રિપોર્ટ બનાવી રાખી શકે એ બહુ જરૂરી છે. દરેક શાળાઓએ પોતાના વેબ પ્રોગ્રામ વધારવા જોઈએ જેમ કે તેમનો બ્લોગ કે વેબસાઈટ બનાવી દરેક કાર્યક્રમની વિગતો - અહેવાલો એના પર મૂકતા રહેવાથી ઘણો ફાયદો થઈ શકે છે. યુ-ટ્યુબ જેવા માધ્યમનો ઉપયોગ કરી શાળાની માહિતી વહેતી મૂકી શકાય છે, તો શાળાઓ માટે આવી ગ્રાન્ટ કે યોજનાઓનો લાભ મેળવવો સરળ બની જાય.
તો શાળાઓને આ માટે તૈયાર કેવી રીતે કરવી?
જે શિક્ષક કે શાળાઓને આવી યોજનાઓ વિષે જાણવામાં વધુ રસ હોય, આવી યોજના માટેની તૈયારી કેવી રીતે કરવી તે માટેની કટિબદ્ધતા હોય તે મુંબઈ ગુજરાતીનો સંપર્ક કરી એમના કાર્યક્રમ આગળ વધારી શકે છે. મુંબઈ ગુજરાતી આ વિષય માટેની નિઃશુલ્ક કાર્યશાળા યોજી શિક્ષકોને વધુ જાણકારી આપી શકે છે.
- મુંબઈ ગુજરાતી સંગઠન
સાહિત્ય-જીવન-સમાજ વિશે વિનોબા ભાવે
સાહિત્યનો અર્થ જ છે, સહિત અથવા સાથે જનારું. જે સાહિત્ય અમુકની સાથે જ જતું હોય, સહુની સાથે ન જતું હોય, તે એટલું સંકુચિત બને છે. જેના માટે સહુના દિલમાં પ્રીતિ ન જન્મતી હોય, તે ‘સાહિત્ય’ નથી, ‘રાહિત્ય’ છે – તે સર્વ જનની પ્રીતિથી રહિત છે. સાહિત્ય સર્વ જનોને બદલે વિશિષ્ટ જનો માટેનું જ થઈ ગયું, તો તે કાંઈ સાહિત્યની પ્રગતિ નહીં, સંકુચિતતા જ મનાશે.
*
મનુષ્ય દેખાવમાં તો સાવ નાનકડો છે. બીજાં પ્રાણીઓ સાથે સરખાવીએ, તો મનુષ્ય તદ્દન નિર્બળ ને કમજોર જણાશે. પરંતુ તેના નાનકડા દિમાગમાં ને દિલમાં જે કીમિયો છે તે અદભુત જ છે ! મનુષ્યને હમદર્દ દિલ એવું મળ્યું છે કે પ્રાણીમાત્ર સાથે તે એકરૂપ થઈ જાય છે. સકળ સૃષ્ટિ સાથે એકરૂપ થઈ શકવાની મહાન શક્તિ ભગવાને મનુષ્યના નાનકડા દિલમાં મૂકી છે. અને એ જ મનુષ્યની વિશેષતા છે. અને દિમાગ પણ એવું દીધું છે કે તે દુનિયા આખીની સેર કરી શકે છે, દ્રષ્ટા બની શકે છે. આ દ્રષ્ટા બનવાની શક્તિયે બીજાં પ્રાણીઓમાં નથી. આ બેઉ શક્તિ કેવળ મનુષ્યને મળી શકે છે, અને તેને જાગૃત કરવાનું કામ સાહિત્યકારનું છે.
સાહિત્યકારની વાણી સચોટ ક્યારે બને? શંકરાચાર્ય પૂછે છે, ‘કેષામ્ અમોઘ વચનમ્’ – કોની વાણી અમોઘ નીવડે છે? ‘યે ચ પુન: સત્ય-મૌન-શમશીલા:’ – જેનામાં સત્ય હોય છે, જે મૌન રહે છે, જે શાંતિ રાખે છે, એની વાણી અમોઘ હોય છે.
વાણી તો રામબાણ જેવી હોવી જોઈએ. ‘રામો દ્વિશરન્ નાભિસંદ્વત્તે’ રામ બે વાર બાણ નથી છોડતા. રામ બે વાર નથી બોલતા – ‘રામો દ્વિરનાભિભાષતે.’ આ શક્તિ સાહિત્યકારની છે.
સાહિત્યકારમાં અલિપ્તતા જોઈએ, અનાસક્તિ જોઈએ. તેના વિના તે દુનિયાને પામી નહીં શકે. સાહિત્યકારે આ સંસારના ખેલમાં દ્રષ્ટા થવાનું છે. જો તે ખેલનું પાત્ર બની ગયો, તો યથાર્થ ચિત્ર નહીં આલેખી શકે. સૃષ્ટિને સંસારથી અલિપ્ત રહેવાની શક્તિ જેનામાં હશે, તે જ ઉત્તમ સાહિત્યકાર બની શકશે.
પરંતુ આ અલિપ્તતા એટલે વિમુખતા નહીં. સાહિત્યકાર નિર્વિકાર રહેવાની સાથોસાથ વિશ્વ તરફ અભિમુખ પણ રહેવો જોઈએ. સંસારાભિમુખ હોવા છતાં નિર્લિપ્ત. જે આવો રહેશે, એ જ સાચા અર્થમાં સાહિત્યકાર બની શકશે.
એટલે હું કહીશ કે સાહિત્યકારે થર્મોમીટર પણ થવાનું છે અને વૈદ્ય પણ થવાનું છે. થર્મોમીટર બધાંનો તાવ માપે છે. જો થર્મોમીટરને પોતાને તાવ આવતો હોત, તો તે બીજાનો તાવ યથાર્થ રીતે માપી ન શકત. તેને પોતાને તાવ નથી આવતો એટલે જ તો તે બીજા બધાનો તાવ માપી શકે છે. સાહિત્યકારનુંયે તેવું જ. પરંતુ આની સાથોસાથ બીમાર પ્રત્યે હમદર્દી દાખવનારા વૈદ્યનાંયે લક્ષણ સાહિત્યકારમાં જોઈએ. તાવ છે તે જાણ્યું, તાવ કયો છે તે ઓળખ્યો, પછી તેના નિવારણ માટે તેણે દવા પણ બતાવવાની છે. સાહિત્યકારમાં આવી બેવડી શક્તિ જોઈએ.
*
મારી બા કોબી સમારતી, ત્યારે ઉપરનું પડ કાઢી નાખતી. એક વાર મેં જોયું કે ઉપરનું પડ કાઢ્યું તે સારું જ હતું. કાંઈ બગડ્યું નહોતું. એટલે મેં કહ્યું, આ તો સારું છે, છતાં શું કામ કાઢી નાખ્યું? તો એ બોલી કે તેના પર હવાની અસર થઈ છે એટલે તેને કાઢી નાખવું સારું ! પછી તેણે કહ્યું, મન ઉપર પણ આવાં જ પડ હોય છે ઉપરનું પડ કાઢી નાખવાથી અંદરનું સ્વચ્છ રૂપ દેખાય છે.
મને માનું આ વાક્ય બરાબર યાદ રહી ગયું છે. મનના ઉપરના પડ ઉપર હવાની અસર થતી રહે છે. ચારે કોરના વાતાવરણની તેના પર અસર થાય છે. તેને દૂર કરીને જોવાથી અંદરના મંગળ દર્શન થાય છે. ક્યારેક ક્યારેક આવી રીતે ઉપરનાં બે-ત્રણ પડ કાઢી નાખવાં પડે છે. આવી રીતે ઉપરનાં પડળ દૂર કરી અંતરનાં મંગળ દર્શન કરવાની શક્તિ પણ સાહિત્યકારમાં હોય.
સાહિત્યકાર શબ્દનો ઉપાસક છે, અને તેણે શબ્દને કદી નીચે નથી પડવા દેવાનો. તેણે શબ્દનો ઉપયોગ એવી જ રીતે કરવો જેથી શબ્દ ઉન્નત થાય. ખોટા શબ્દોના ઉપયોગથી અવનતી થાય છે. શબ્દોના અર્થ ઉપર ચઢાવવાથી સમાજ ઉપર ચઢે છે અને શબ્દોના અર્થ નીચે પાડવાથી સમાજ નીચે આવે છે, પતિત થાય છે. એટલે આ બધું શબ્દની ઉપાસના કરનારાઓના હાથમાં છે.
*
રામદાસનું એક કથન છે – ‘નબળી તબિયતવાળાને વિનોદ ગમે છે.’ એકવાર આ કથનને લઈને કેટલાક સાહિત્યકારો રામદાસ ઉપર તૂટી પડ્યા. રામદાસના કથનના ભાવાર્થ ઉપર ધ્યાન આપીને તેમાંથી ઉચિત સાર ગ્રહણ કરી લેવાને બદલે તે લોકોએ એમ પ્રસ્થાપિત કરવા માગ્યું કે રામદાસ વિનોદનું જીવનમાં તેમજ સાહિત્યમાં જે સ્થાન છે, તે જ નહોતા સમજી શક્યા. ઉપહાસ, વ્યંગ, મર્મભેદ વગેરે પ્રત્યે પ્રત્યે જ્ઞાનદેવે અરુચિ દર્શાવી છે, તેનેય આપણા સાહિત્યકારો એમની સાહિત્યની પરિભાષા અનુસાર જ્ઞાનદેવના અજ્ઞાનનું જ દ્યોતક માનશે! મૂળમાં વાત એ છે કે જ્ઞાનદેવ ને રામદાસને રાષ્ટ્ર-કલ્યાણની તડપન હતી, જ્યારે આપણા વિદ્વાનોને ચટપટી ભાષાની ફિકર હોય છે – પછી ભલે ને તેનાથી રાષ્ટ્રઘાત કેમ ન થયો હોય ! બંને વચ્ચે આ મુખ્ય ભેદ છે. આપણી સાહિત્યનિષ્ઠા એવી છે કે સત્ય ભલે મરી જાય, પણ સાહિત્ય જીવતું રહે !
(‘ચાલો ગુજરાતીનું ગૌરવ વધારીએ’ પુસ્તકમાંના લેખોમાંથી.)
...કારણ કે સાહિત્ય માણસને સંતુલિત બનાવે છે – પ્રા. દીપક મહેતા
સાહિત્ય સાથે મારું જોડાણ બાળપણથી જ... મને બરાબર યાદ છે કે હું આઠદસ વરસનો હોઈશ ત્યારેય ઘરમાં અઢીથી ત્રણ હજાર જેટલાં પુસ્તકો હતાં, તેનો શ્રેય મારી માતાને. પિતા તો વ્યવસાયે શેરબ્રોકર, તેમને સાહિત્યમાં ખાસ રસ નહીં. માતા પણ ભણેલાં તો સાવ ઓછું, પણ વાંચવાનો ખૂબ શોખ અને માટે જ પિતાએ એ બધાં પુસ્તકો વસાવેલાં. માતાએ એ બધાં પુસ્તકો વાંચી કાઢેલાં. આટલાંબધાં પુસ્તકો ઘરમાં હોય એટલે અમે પણ ઘણાં વાંચ્યા હતાં. માતાને એક મજાની ટેવ, તેઓ એકાદ પંક્તિ કે અવતરણ બોલે અને અમને પૂછે કે બોલો, આ કયા પુસ્તકનો અંશ છે? અને અમે રોમાંચિત થઈ જવાબના તર્ક લગાવવા લાગીએ.
આ મારા ઘડતરની શરૂઆત.
બીજો શ્રેય અમારી સાથે રહેતા ફોઈના દીકરા રમણભાઈને આપવો ઘટે. તેમણે ઘરમાં એક સિરસ્તો ચાલુ કર્યો, રાત્રે સાડા નવ વાગે એટલે એ કોઈ પણ પુસ્તક લઈને જોરથી વાંચતા અને ઘરના બધા લોકો તેમને સાંભળતા. ક્યારેક તો આ વાંચન રાત્રે અગિયાર વાગ્યા સુધી ચાલતું. રમણભાઈ કવિતાઓ વાંચે, આત્મકથા વાંચે, ચરિત્રો વાંચે, વાર્તાઓ કે નવલકથાઓ પણ વાંચે, એ સમયના બધાં જ પ્રતિષ્ઠિત સામાયિકો અમારે ત્યાં આવતાં એટલે ક્યારેક તો સામાયિકમાંથી પણ વાંચન ચાલતું... આજે ઘણીવાર મને કોઈ પૂછે કે તમે આ પુસ્તક વાંચ્યું છે એટલે હું અટકી જાઉ અને પછી કહું કે, ‘ના, ના, આ પુસ્તક મેં વાંચ્યું તો નથી, પણ આખું સાંભળ્યુ છે !’ એવું પણ બન્યું હોય કે એમાંના ઘણાં પુસ્તકો ફરી ક્યારેય વાંચવાનો સમય ન પણ મળ્યો હોય, પણ એકવારનું એ સાહિત્ય-શ્રવણ અમારી અંદર એવું ઊતરી જતું કે હજી એમાંનું કેટલુંક યાદ છે. આવું નોખું કૌટુંબિક વાતાવરણ મારા ઘડતરના પાયામાં છે.
બીજો નંબર આવે સ્કૂલનો. મુંબઈની પ્રખ્યાત ‘ન્યુ ઈરા સ્કૂલ’માં ભણવા મળ્યું, શાળામાં પિનાકિન ત્રિવેદી ને સોમભાઈ પટેલ જેવા સંનિષ્ઠ શિક્ષકો. પિનાકિનસાહેબ તો શાંતિનિકેતનના વિદ્યાર્થી એટલું કહેવું જ શું? સોમભાઈએ પણ ત્રણ-ચાર પુસ્તકો લખ્યાં હતાં, છતાં આજે તો એ સાવ ભૂલાઈ ગયા છે. પિનાકીનસાહેબ ક્લાસમાં કદી વાંચીને ન શીખવે, એ ક્લાસમાં આવે, ટેબલ પર પલાઠી વાળી બેસી જાય, ને ગાવા લાગે... અરે! પ્રેમાનંદનું આખું આખ્યાન તેમણે આ રીતે ગાતા ગાતા અમને શીખવ્યું હતું એ બરાબર યાદ છે. ઘરના વાતાવરણે સાહિત્યનાં જે ઊંડાં બીજ રોપ્યાં હતાં, તેને સ્કૂલમાં આવા સંનિષ્ઠ શિક્ષકો દ્વારા ઉત્તમ પોષણ મળ્યું. પછી કોલેજમાં તો પ્રખ્યાત સાહિત્યકાર મનસુખલાલ ઝવેરી ને વિદ્વાન સંસ્કૃતપંડિત ગૌરીશંકર ઝાલા જેવા પ્રાધ્યાપકો. ગૌરીશંકરસાહેબે ઘણું ઓછું લખ્યું ને ઓછા જાણીતા, પણ મનસુખલાલ તો પ્રતિષ્ઠિત નામ. કોલેજમાં સાહિત્યની દિશામાં એક ડગલું આગળ વધાયું. અત્યાર સુધી ફક્ત વાંચવાનો જ શોખ હતો, પણ હવે વાંચનને કેવી રીતે જોવું તેની દ્રષ્ટિ ઉમેરાઈ. સમીક્ષા કહો કે વિવેચન, તે કઈ રીતે થઈ શકે એ તરફનું વલણ આવા સમર્થ આધ્યાપકોને કારણે કેળવાયું.
કોલેજ પૂરી થયાં પછીનો દાયકો સોમૈયા કોલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે ગાળ્યો. ત્યાર બાદ પરિચય ટ્રસ્ટ દ્વારા તે સમયે પ્રકટ થતાં ‘ગ્રંથ’ સામયિકમાં સહાયક તંત્રી તરીકે જોડાયો. આ સામાયિક પુસ્તકોનાં અવલોકનો માટે પ્રતિષ્ઠિત, એટલે અહીં ફરી પેલી સમીક્ષકદ્રષ્ટિને વિકસવાની-વિસ્તરવાની તક મળી. ગ્રંથમાં ત્રણ વર્ષ કામ કર્યું. પછી અમેરિકાની વિશ્વવિખ્યાત ‘લાઈબ્રેરી ઓફ કોંગ્રેસ’ની દિલ્હી શાખામાં ગુજરાતી અને મરાઠી ભાષાના વિશેષજ્ઞ તરીકે જોડાવવાની તક મળી.
એક રીતે આ લાઈબ્રેરી જગતભરની ભાષાઓના સાહિત્યને સંપાદિત કરે છે. કામના ભાગરૂપે અમારે અહીંથી ભારતની દરેક ભાષાનાં સામાયિકો, અખબારો અને પુસ્તકો ખરીદી-એની સમીક્ષા કરી, એમાંથી પસંદગી કરીને, એ બધું વોશિંગ્ટન મોકલાવવાનું હોય, ત્યાં આ રીતે જગતભરની ભાષાઓની સામગ્રી ભેગી થાય. હું ગુજરાતી અને મરાઠી ભાષા માટે સિલેક્શન ઓફીસર રહ્યો. મને બરાબર યાદ છે કે અમારી ઓફિસ સવારે સાડા આઠ વાગ્યે શરૂ થાય. પહેલું કામ 10 વાગ્યા સુધીમાં 30 જેટલાં છાપાં વાંચી કાઢવાનું હોય. આ કામ દરેક ભાષાના સિલેક્શન ઓફિસર કરતા. જોકે ગુજરાતી અને મરાઠી ભાષા બન્નેની જવાબદારી મારા પર હતી એટલે મારે વધારે છાપા વાંચવા પડતા. સાડા દસ વાગ્યે અમારે એક અહેવાલ આપવાનો, જેમાં છાપામાં આવેલી સાહિત્યને લગતી, પત્રકારત્વને લગતી, પુસ્તકોને લગતી કે નવું સામાયિક આવ્યું હોય તેને લગતી માહિતી આપવી પડતી. એ સમયે ઘણાં પુસ્તકો ખરીદી માટે આવતા. બધાં જ પુસ્તકો વાંચવાનો સમય ન હોય, પણ જોવાં પડે, ઉથલાવવાં તો પડે જ... કારણ કે જો અમે કોઈ પુસ્તક લેવાની હા પાડતા કે ના પાડતા તો તેનું લેખિત કારણ આપવું પડતું. ત્યાં ઈતિહાસ, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર જેવાં તમામ વિષયોનાં પુસ્તકો સાથે કામ પાર પાડવાનું બનતું... એટલે કોંગ્રેસ લાઈબ્રેરીનાં એ દસ વર્ષમાં તો વ્યાપક પ્રમાણમાં મને સાહિત્યનો સંસર્ગ મળ્યો.
કોલેજમાં પ્રોફેસર હતો ત્યારે લખાણ તરફ ઝૂકાવ ઓછો હતો, પણ ગ્રંથ સામાયિકમાં કામ કરતા-કરતા લખવાનું પણ વધ્યું હતું. ગ્રંથમાં તો મારે કામના ભાગરૂપે પણ લખવંક પડતું. એ લખવાની પ્રવૃત્તિને ‘મુંબઈ સમાચાર’માં ‘વર્ડનેટ’ નામે કોલમ શરૂઆત થઈ ત્યારે વગે મળ્યો. એ કોલમ 2000થી 2012 સુધી સતત ચાલી, એમાં મોટા ભાગે સાહિત્ય વિશે ને નવાંજૂનાં પુસ્તકો વિશે લખાયું. એ પછી ‘ગુજરાતમિત્ર’માં લખવાની શરૂઆત થઈ. આ સમય દરમિયાન મેં જે વિવેચનો કર્યાં હતાં એનાં પુસ્તકો પણ પ્રકાશિત થયાં.
આમ આજે જોઉં છું તો મેં આખું જીવનમાં સાહિત્યમાં જ આળોટતાં-ઓળાટતાં વિતાવ્યું હોવાની અનુભૂતિ થાય છે.
સાહિત્ય વિશે મારી માન્યતા એવી છે કે સૌથી પહેલા તો એમાં મજા આવવી જોઈએ. લોકો એમની રૂચિ પ્રમાણેનું વાંચતા હોય, એટલે એકને ખૂબ જ ગમતું પુસ્તક બીજાને જરીકે ન ગમે એવું બને. જોકે સાહિત્યનું નિયમિત સેવન કરનારી વ્યક્તિની દ્રષ્ટિ, ખાસ તો સમાજજીવન-માનવવિશ્વને જોવાની એની દ્રષ્ટિ ઘણી સંતુલિત થઈ જાય છે. એના વ્યક્તિત્વમાં એવું આગવું સંતુલન કેળવાય છે કે જેનાથી વ્યક્તિ એકદમ સુખી કે એકદમ દુઃખી ન અનુભવે, એકદમ નારાજીગી કે એકદમ નિરસતા ન અનુભવે. એ સંતુલિત રહી શકે છે. વિવિધ ભાવના-અનુભૂતિઓના વર્તૂળમાં એક સંતુલનબિંદુ શોધી એમાં ટકી રહેવા એનું મન ઘડાય છે. બીજો ફાયદો એ કે સાહિત્યસેવનથી પ્રત્યક્ષ ન અનુભવ્યા હોય એવા અનુભવો મળે છે, એ માનવજીવન બાબતે વિચારો-નિષ્કર્ષો તૈયાર આપે છે કે માણસ આવો હોય ને માણસ આવું કરે, આ આવું છે ને તે તેવું છે, વગેરે વગેરે. મારો કહેવાનો અર્થ એવો નથી કે સાહિત્યવાંચનથી માણસ સ્થિતપ્રજ્ઞ કે સંન્યાસી જેવો થઈ જાય, પણ દરેક સંજોગોમાં, જુદીજુદી સંવેદનાઓને સાચવી રાખીને પણ એ સ્થિરતા કેળવી શકે છે. સાહિત્યસેવનથી કોઈ પ્રકારની એક આંતરિક હિંમત કેળવાય છે.
હા, આજે કદાચ સમાજમાં સાહિત્યની પ્રસ્તુતતા આપણને દેખીતી રીતે ન દેખાય, પણ સાહિત્ય માણસને મદદરૂપ થાય છે એમા કોઈ બેમત નથી. દરેક માટે સાહિત્ય અલગઅલગ રીતે મદદરૂપ બનતું હોય છે એટલે એનો ચિતાર આપવો અઘરો છે. અંગત વાત કરું તો સાહિત્યએ મને બે રીતે મદદ કરી છે. પહેલું તો એ કે સાહિત્યના વ્યાપક સંસર્ગથી મને સમજાયું કે મારા જીવનમાં જે તકલીફો છે એના કરતાં અનેકગણી વધુ તકલીફો માણસને આવી શકે છે, અને બીજું એ કે જો તકલીફો છે તો એનો સામનો કઈ રીતે કરી શકાય એનો જવાબ પણ મને સાહિત્યમાંથી મળ્યો છે. આમ મારા આંતરિક અને બાહ્ય જીવનમાં, સંવેદનો અને સમજણોમાં, હું જે સંતુલન જાળવી શક્યો છું, તે સંપૂર્ણપણે સાહિત્યને આભારી છે.
બીજું તો આજની પેઢી વિશે વાત કરીએ તો મને લાગે છે કે પડકારો તો દરેક પેઢી સામે હોય છે. જોકે એમાં, ક્યાંથી અનુકરણ અટકાવવું અને ક્યાંથી નવો ચીલો ચાતરવો, એ પડકારનો સામનો દરેક પેઢીએ કરવાનો હોય છે. પરંપરાથી વિખૂટા પડી જવાની વાત નથી, પણ નવીનતાની શોધ માટેની વાત છે. આજની પેઢીનો સૌથી મોટો પડકાર જાણ્યે-અજાણ્યે થતું અનુકરણ છે. મૌલિકતાની શોધ માટે કપરાં ચઢાણ ચઢવાને બદલે અનુકરણની લસરપટ્ટી હંમેશાં સરળ ને આકર્ષક રહી છે. જોકે દરેક પેઢી પોતાની રીતે પોતાની સમસ્યાઓના ઉપાય મેળવી લે છે. આજે કદાચ પડકારો વધ્યા છે, તો સામે શક્યતાઓ-તકો પણ એટલી જ વધી છે. હવે નોન-પ્રિન્ટ માધ્યમો, ડિજિટલ રિડિંગ વગેરે જે રીતે વધ્યું છે ને વધી રહ્યું છે એ ખૂબ જ સારી બાબત કહેવાય, કારણ કે એનાથી શોખીનો માટે વાચનનો અસીમ વ્યાપ થઈ શકશે. હા સાથેસાથે પ્રિન્ટ-માધ્યમ, છપાયેલાં પુસ્તકોનું મહત્વ રહેશે જ, અને હજી વધતું જશે, પણ કમ્પ્યુટરાઈઝેશનને અવગણી ન શકાય. મને આશા છે ગુજરાતી ભાષાનાં સારામાં સારા પુસ્તકો, વહેલામાં વહેલી તકે ઈ-બૂક્સ તરીકે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ થઈ જશે.
(ચર્ચા – નીરજ કંસારા)
અભદ્રંઅભદ્રઃ ય્હાક છીં... - સુનીલ મેવાડા
સવારે ચા સાથે બિસ્કિટ ખાનારા સહુએ જોયા હશે. ચા સાથે ખારી (હવે આ ખારી ગળપણવાળી હોવા છતાં એને ખારી શું કામ કહે છે એ સમજાતું નથી એવું મેં ખોરાકશાસ્ત્રીને પૂછ્યું તો એણે કહ્યું કે નમક સ્વાદમાં ખારું હોવા છતાં આપણે એને મીઠું કહીએ છીએ એટલે એનો બદલો લેવા મીઠી ખારીને ખારી કહેવાનું ખોરાકના પ્રતિનિધિઓએ નક્કી કર્યું, ઠીક.) તો હા, ચા સાથે બિસ્કિટ ઉપરાંત ખારી, ટોસ્ટ ને નાનખટાઈ સુધ્ધાં ખાતા લોકો આપણી નજરે ચડે છે, પણ સુકેતુલાલને ચા સાથે સૌથી વધારે ભાવતી કોઈ ચીજ હોય તો એ છે છીંક.
એનાં કારણો આપતા સુકેતુલાલ કહે છેઃ કારણ એક કે એ પૈસેથી ખરીદી નથી લાવવી પડતી. કારણ બે એ ખાવા હાથ નથી હલાવવા પડતા અને કારણ ત્રણ ખાધા પછી એને પચાવવા માટે પાછું ચૂરણ પણ નથી ખાવું પડતું. ઉપરાંત, સૌથી મહત્વનું, ચા પીને છીંક ખાઈ સરસ મજાનો મોંફૂંવારો ઊડાવવા તેમ જ નાકપીંચકારી છોડવા મળે છે. એવો અનેરો ધૂળેટીલ્હાવો હોળીની રાહ જોયા વગર રોજેરોજ માણી શકાય છે. જોકે વાત આટલે પૂરી નથી થઈ જતી. છીંકવિદ્યામાં પારંગત થવા માટે ચાર બાબતો ખૂબ જરૂરી છે. એક તો ખખડતા ફેંફસા. બીજું ઘોઘરું ગળું, ત્રીજું નબળું નાક અને ચોથું કઠણ કાળજું. ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તેટલી જોરથી છીંક ખાવા માટે કઠણ કાળજાની જરૂર પડે પડે ને પડે જ. છીંકને દબાવ્યા કે ટાળવાના પ્રયાસ વગર, મનમાં વીરતાનો ભાવ લાવી, જરીકે સંકોચ વગર ય્હાક છીનો હાકોટો કરી આ જગતને આપણા સચેતન હોવાનો વારંવાર પૂરાવો આપવો એ એક વીરકૃત્ય છે, જેનું મહાભારતમાં વર્ણન કરવાનું વેદ વ્યાસ ચૂકી ગયા હતા. અફસોસ સાથે કહેવું પડે છે કે આજે છીંકક્રિયાને હીનભાવથી જોવામાં આવે છે. મનુષ્યએ એના વીર છીંકકર્મ પછી દિલગીરી વ્યક્ત કરવી જોઈએ એ બાબતને વિવેકનો હિસ્સો ગણવામાં આવે છે એ ખરેખર ખેદજનક છે. માટે જ, આપણા જેવા સર્વે સંસ્કૃતિપ્રેમીઓની લીંટાળી ફરજ છે કે આપણે વ્યાસસાહેબ દ્વારા છીંકાઈ ગયેલી એટલે કે ચૂકાઈ ગયેલી આ બાબત વિશે જાગૃતિ ફેલાવીએ.
બોસ સાથે મીટિંગમાં, તણાવભરેલા એક્ઝામ હોલમાં કે બેસણામાં કે ગમે ત્યાં, નાક સુધી ખેંચાઈ આવેલી છીંકને પાછી મોકલતા પહેલા મારા વીરવાચકો યાદ રાખો ને મનોમન ગણગણી લો, છીંક પછી તમારી સામે ક્રોધભાવે કે અણગમાના ભાવે જોનાર દરેકદરેક પામર મનુષ્યને આ નારો સંભળાવી દો કે, છીંક એ મારો જન્મસિદ્ધ અધિકાર છે ને એને હું ખાઈને જ રહીશ.
કૉમિક્સ, પુસ્તક, પ્રેમ, આજના ‘ઑથરો’ અને... - રાહુલ કે. પટેલ
“મુન્નુ પઢતા ડાયમંડ કૉમિક્સ, દીદી પઢતી ડાયમંડ કૉમિક્સ.
પાપા પઢતે ડાયમંડ કૉમિક્સ, મમ્મી પઢતી ડાયમંડ કૉમિક્સ.
મજેદાર હૈં ડાયમંડ કૉમિક્સ...”
રેડિયો પર આવતી આ જિંગલ એવા સમયની યાદ અપાવે છે, જ્યારે આખો પરિવાર મનોરંજનનાં સીમિત સાધનો વચ્ચે પણ સાથે મળી સમય પસાર કરતો હતો.
કૉમિક્સ એટલે આમ તો ચિત્રવાર્તા. બાળકોની કલ્પનાની-રંગીન દુનિયા, જ્યાં લેખકના શબ્દોથી બનેલી વાર્તાના આત્માને ચિત્રકાર ચિત્રરૂપી દેહ આપે છે, એવી ચિત્રકથા એટલે કૉમિક્સ ! જે બાળકોને પોતાની અલગ જ દુનિયામાં લઇ જાય છે. ગુજરાતીમાં ચંપક, ચાંદામામા, ચંદન, ફૂલવાડી, નિરંજન જેવાં બાળ-સામયિકો અત્યારે યાદ આવે, એમાંથી જોકે હવે ઘણાં ખરાં બંધ થઇ ગયા છે.
કૉમિક્સની વાત વધારીએ તો અત્યારે ભારતમાં ડાયમંડ અને રાજ કૉમિક્સ આ બે જ મોટા કૉમિક્સ પબ્લિશર વધ્યાં છે, જે ઓનલાઈન પાયરસીના કારણે હાલક-ડોલક થતાં જઈ, ખોટ ખાતાં જઈને પણ ભારતમાં કૉમિક્સ કલ્ચર સાચવી રહ્યાં છે.
હવે ચાલો થોડા પાછળ જઈએ,
ભારતમાં સૌ પ્રથમ શરૂ થયેલી ‘ઇન્દ્રજાલ કૉમિક્સ’ વિશે અનંત પાઈ કહે છે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રોટોગ્રેવિયર મશીન, જે મૂળભૂત રીતે કેલેન્ડર છાપતા હતા, એ મશીનને ચાલુ કંડીશનમાં રાખવા માટે જ ‘ઇન્દ્રજાલ કૉમિક્સ’ની શરૂઆત થઇ હતી. પી.કે. રોયએ કેટલાંક વિદેશી કૉમિક્સ કેરેક્ટર્સના રાઈટ ખરીદ્યા અને એ પરથી કૉમિક્સ બનાવવા અનંત પાઈને રોક્યા. ‘લી ફોલ્ક’ના પ્રખ્યાત કેરેક્ટર ફેન્ટમ, મેન્ડ્રેક, અન્ય વિદેશી પાત્રો તથા આબિદ સુરતીના બહાદુરને લઇ શરૂઆત થઇ ઇન્દ્રજાલ કૉમિક્સની.
ફેન્ટમ, હરતો ફરતો પ્રેત ! જે ગાઢ જંગલમાં જાનવરો વચ્ચે રહે, વરુ અને ઘોડો એના સાથી, જંગલના આદિવાસીઓ એને અમર ગણી પૂજે, પણ એનું કાર્યક્ષેત્ર અસીમિત, એ સમુદ્રી ચાંચિયાઓથી લઇ ક્રૂરતાના શાહ સુધીના વિલિનને હંફાવે ! વેતાલ ઊર્ફે ફેન્ટમનું આ કેરેક્ટર દુનિયાની અડધાથી વધારે ભાષાઓમાં અનુવાદ થઇ ચૂક્યું છે. ફેન્ટમ એટલુંબધું લોકપ્રિય પાત્ર બન્યું કે એનાં કારનામાંઓથી પ્રભાવિત થઇ કેરેબિયન દ્વીપના રહેવાસીઓએ ત્યાંના તાનાશાહ સામે આઝાદી માટે ફેન્ટમ નામથી ભૂમિગત અંદોલન શરૂ કરી દીધેલાં. એનાથી ગભરાઈ આર્જેન્ટીનાના તાનાશાહએ એ કૉમિક્સ પર પ્રતિબંધ લગાવી દીધેલો. આ વાત અહી એ માટે કહેવી જરૂરી લાગી કારણ કે ઘણા માને છે કે કૉમિક્સ તો ફક્ત બાળકોના મનોરંજનનું સાધન છે. આ સિવાય આજે ડી.સી. તથા માર્વેલ જેવી વિદેશી કૉમિક્સ કંપનીઓ અફલાતૂન ફિલ્મો બનાવી અઢળક કમાણી કરી રહી છે એ વાત પણ નોંધવી રહી.
ફરી આપણા મુદ્દા પર પાછા આવીએ. અનંત પાઈ ઇન્દ્રજાલથી સંતુષ્ટ તો હતા, પણ એમનું હૃદય જાણતું હતું કે તે કૉમિક્સમાં ભારતીય બાળકોને વિદેશી સામગ્રી આપી રહ્યા છે. એથી એમણે ભારતીય સંસ્કૃતિ પર આધારિત કૉમિક્સ શરૂ કરવાનો નિર્ણય લીધો અને શરૂ થઈ “અમર ચિત્રકથા” ! અમરચિત્રકથામાં દરેક ધર્મની પૌરાણિક કથાઓ, દંતકથાઓ, પશુ-પક્ષી-પ્રાણીઓની બોધ આપતી કથાઓ, ઇતિહાસનાં પાત્રો તથા સ્વતંત્રતા આંદોલનની કથાઓ, વૈજ્ઞાનિક તથા અન્ય મહાન લોકોના જીવનચરિત્ર પર આધારિત કથાઓ રંગબેરંગી ચિત્રકથા સ્વરૂપે આવતા. ભારતભરમાં અમર ચિત્રકથા વિવિધ ભાષાઓમાં રૂપાંતરિત થતી અને લાખોની સંખ્યામાં વેચાતી. આમ ‘અનંત પાઈ’ બાળકોના ‘અંકલ પાઈ’ બની ગયા.
ચાલો, હવે ફરી થોડા ફ્લેશબૅકમાં જઈએ.
અખંડ ભારતમાં લાહોરથી થોડે અંતરે કસૂર નામનું એક નાનકડું ગામ. એ ગામના પોલીસ જમાદારને ત્યાં સાતમા બાળકનો જન્મ થાય છે, એ છોકરો માંડ છ મહિનાનો થયો ત્યાં કાળ એના બાપને ભરખી ગયો, પરિવારમાં કોઈ વધુ ભણેલું નહી, નિરાધાર પરિવારનું ગુજરાન મુશ્કેલીથી ચાલતું, એવામાં માર-કાપ, બળાત્કાર, માનવોનું પશુતા, નવ વરસની ઉંમરે આ છોકરાએ દેશના ભાગલા જોયા, જીવ બચાવી આખો પરિવાર ગ્વાલિયરમાં આવ્યો, જ્યાં એની સૌથી મોટી બહેનના લગ્ન થયા હતા, ત્યાં ગુજરાન ચલાવવા આર્ટ શીખેલા છોકરાના મોટા ભાઈએ પેઇન્ટિંગ શરૂ કર્યું, જૂના ગામે જે કંઈ થોડું ભણેલા એ તો ઉર્દૂમાં, આથી ગ્વાલિયરમાં જાહેરાતોના બોર્ડ ચિતરવામાં તકલીફ ઊભી થઈ, સૌથી મોટા ભાઈએ હિન્દી શીખવા એ છોકરાને સ્કૂલમાં મોકલ્યો. એ દિવસોમાં આ છોકરો મજૂરને ચાર આના આપવા ન પડે એટલે પેઇન્ટિંગ માટેનું સાઈન બોર્ડ, બળતી બપોરે માથે ઊંચકીને લઈ આવતો. પુસ્તકો ખરીદવાનાં તો પૈસા ન હોય એટલે લાયબ્રેરી ખૂંદી વળતો. ત્યાં એ ભણતરનાં પુસ્તકો સિવાય પણ પુષ્કળ વાંચતો. નાની ઉંમરે એણે ટોલ્સટોય, મેક્સિમ ગોર્કી, પ્રેમચંદ વગેરેને ખૂબ વાંચ્યા. ગ્વાલિયરમાં બી.એ. પૂરું કર્યા પછી એ મોટા ભાઈ સાથે દિલ્હી આવી ગયો. એ અરસામાં ન્યુઝ પેપરમાં આવતી વિદેશી કૉમિક્સ સ્ટ્રીપથી એ પરિચિત થયો. મોટા ભાઈ તરફથી એને પેઇન્ટિંગનો શોખ લાગ્યો. દિલ્હીમાં એણે દિવસ દરમિયાન કૉમિક્સ બનાવવાનું અને સાંજે કેમ્પ કોલેજમાં એમ.એ. ભણવાનું આરંભ્યું. એક કાર્ટૂનના એને સાત રૂપિયા મળતા. એણે રચેલાં જુદાં જુદાં પાત્રોની કૉમિક્સ સ્ટ્રીપ્સ, ‘શંકર’સ વીકલી’ જેવાં સામયિકો તથા અખબારોમાં છપાવાની શરૂઆત થઇ. જેણે ભાગલા વખતે કોમી રમખાણો જોયેલાં એ બાળમાનસની કલ્પના વરસો પછી પાનાંઓ પર કૉમિક્સ બની અવતરી... એમનાં કોમિક પાત્રો ભારતના લોકજીવનમાં ઊંડા ઊતર્યા. લિમ્કા બૂકમાં એમનું નામ નોંધાયું ને અનેક સમ્માનો-એવોર્ડ્સ મળ્યાં. એ છોકરો આમ તો એક સફળ ડ્રોઈંગ ટીચર બની શક્યો હોત, પણ કૉમિક્સની દિવાનગીએ એને ઇન્ડિયાના વોલ્ટ ડિઝની બનાવી દીધા.
એ હતા, ૧૫ ઓગસ્ટ ૧૯૩૮માં જન્મેલા પ્રાણ કુમાર શર્મા !
વેસ્ટર્ન કૉમિક્સ કલ્ચરમાં હિરો લાંબા-તગડા, હેન્ડસમ અને સુપરપાવર ધરાવતા હોય, પણ અહી પ્રાણસાહેબનાં કોમિક પાત્રો એનાથી તદ્દન ઊંધા... જેમ કે, ચાચા ચોધરી એક ઘરડો-ટકલો માણસ, જેનું મગજ કમ્પ્યુટર કરતાં વધારે ઝડપી ચાલે, દરેક સમસ્યાને તે હસતા-હસતા ઉકેલે, એમની સાથે છે, જ્યુપીટર ગ્રહનો રહેવાસી સાબુ તથા એમનો કૂતરો રોકેટ. એ સિવાય પોતાની મૂર્ખાઈથી બધાનું મનોરંજન કરતો મસ્તીખોર ટેણીયો બિલ્લુ, ખિસકોલી લઇ ફરતી નાનકડી બાળકી પિંકી, ગૃહિણી શ્રીમતીજી, સામાન્ય માણસની સામાન્ય મુશ્કેલી સામે ઝઝૂમતો માણસ રમન તથા ચન્ની ચાચી જેવા અન્ય મજેદાર પાત્રો પણ પ્રાણસાહેબે આપ્યાં. પ્રાણનાં બધાં જ પાત્રો મધ્યમવર્ગી અને સંપૂર્ણ ભારતીય, જેથી પ્રાણસાહેબ પોતે, ને એમનાં પાત્રો, બંનેએ લોકોની અનહદ ચાહના મેળવી. પ્રાણના વિચક્ષણ હ્યુમરથી બાળકો જ નહીં, મોટેરા પણ આ કૉમિક્સ વાંચીને મલકી ઊઠતા.
એક જમાનો હતો, જ્યારે ઉનાળાના લાંબા વેકેશનમાં બાળકો મામાના ઘરે કે પરિવાર સાથે ઉપાડતા ત્યારે ટ્રેનના સફર સાથે કૉમિક્સની મઝા લેતા જતાં. હું પણ એમાંનો એક. હું જ્યારે પણ કૉમિક્સ લેતો ત્યારે એ કોરા પુસ્તકને ખાસ સુંઘતો, કોરા પુસ્તકની એ સુગંધ મને તરોતાજા કરી દેતી. એ આદત આજેય જળવાયેલી છે. મારે તો દરેક પુસ્તક સાથે કંઈ કેટલીય યાદો જોડાયેલી હોય છે. મને યાદ છે કે વેકેશનમાં મામાના ઘરે જતા ટ્રેન મોડી હોય, તો હું ટ્રેન ન આવે ત્યાં સુધી સ્ટેશન પરના બૂકસ્ટોલની સામે કલાકો ઊભો રહી ત્યાં લટકાવેલી કૉમિક્સને જોયા કરતો. મને કૉમિક્સ વાંચવી ગમતી, પણ ભણતરનાં પુસ્તકો જ મુશ્કેલીથી મળતાં, ત્યાં શિક્ષણેત્તર સામગ્રી તો ભાગ્યે જ અપેક્ષિત હોય. જોકે કોઈવાર પપ્પા કૉમિક્સ લઇ આપતાં, તો કોઈવાર ટ્રેન આવી જાય એટલે મમ્મીએ મને ખેચી જવો પડતો, મમ્મી મને ટ્રેન તરફ ખેંચતી ને મારી નજરો પાછળ ફરી હજી કૉમિક્સના કવર પરની રંગીન દુનિયામાં ખોવાયેલા રહેવા ટળવળતી...
હવે ભાગ્યે જ બાળકો કૉમિક્સ વાંચતા દેખાય છે. આજે કૉમિક્સ મળતી નથી છતાં પણ ત્યારનું રેલવે સ્ટેશન પરના બૂકસ્ટોલ પર અટવાઈ પડેલું મારું મન, આ ઉમરે પણ મારા પગને એ બૂકસ્ટોલ પર અટકાવી દે છે, અને હજી કૉમિક્સ લેવા લલચાવી લે છે !
કૉમિક્સની વાત આવી એટલે મારું મન હજી બાળપણમાં ફર્યા કરે છે. એક સાંધો ને તેર તૂટતા હોય એવા સમયસંજોગમાં વાચવાનો શોખ કઈ રીતે પૂરો કરવા મેં મૌલિક ઉપાય શોધી રાખેલા. દોરીને છેડે ચુંબક બાંધી ઘસેડતો, જેથી ધૂળ-માટીમાં છુપાયેલી ખીલી, સ્ક્રૂ તથા નકામું લોખંડ એમાં ચોંટી ભેરવાઈ જતું. એ લઇ હું અને મારો મિત્ર લુહારચાલ અને શહેરની ઘણી બધી ગલીઓમાં ખુલ્લા પગે રખડતા. સાંજે જે ભંગાર એકઠું થાય એ વેચી દેવાનું. પછી જુદી જુદી પસ્તીની દુકાને ‘સર્ચ-ઓપરેશન’ ચલાવી, અડધી કિંમતે વેચાતી કૉમિક્સ લેવાની. રાતે સ્ટ્રીટ લાઈટના અજવાળે મિત્રો સાથે બેસી મોડે સુધી એ વાંચતા... લેતાવેંત વાંચી કાઢતા !
આમ વિવિધ ‘જુગાડ’થી ભેગા થયેલા પૈસાથી એક દિવસ માટે કૉમિક્સ ભાડે વાંચવા લાવતો. ત્યારે ઘણી દુકાનોમાં ભાડેથી કૉમિક્સ મળી જતી. બીજે દિવસે કૉમિક્સ જો પરત ના કરો તો ભાડું વધુ આપવું પડે, માટે સ્કૂલમાં છેલ્લી પાટલીએ સંતાઈને, પાઠ્યપુસ્તકોમાં છુપાવીને, રાતે ચાદર ઓઢી ટોર્ચની લાઈટમાં, વાંચતો... વાંચ્યા કરતો.
મારા શહેરમાં કૉમિક્સ મેળવવી આમ તો મુશ્કેલ કામ હતું. શહેરથી દૂર ખૂણેખાંચરે આવેલી એક-બે દુકાનો સિવાય કૉમિક્સ મળતી નહીં. દર મહીને સેટરૂપે પ્રકાશિત થતી હોવાથી કૉમિક્સમાં પણ કેટલીક વાર્તાઓ બે-ત્રણ ભાગમાં આવતી. મમ્મી એ સીવણના સંચામાં સંતાડેલા, ઘરના ખૂણેખાંચરે જમા થયેલા, ક્યારેક ભૂલથી ખર્ચા કે નાસ્તા માટે મળેલા પૈસા નાસ્તો ન કરી બચાવેલા, સાઇકલ-પંચર કે શૈક્ષણિક સાધનો લાવવાનાં બહાને મેળવેલા, નોટબુકોને કવર-સ્ટીકર નહીં લગાવી બચાવેલા, પપ્પાના ખિસ્સામાંથી સેરવેલા, એમ વિધવિધ રીતે પ્રાપ્ત કરેલા ‘સિક્કાઓ’થી હું કૉમિક્સ લેતો, એ પૈસા લઇ દર બે દિવસે કેટલાય કિલોમીટર સાઇકલ હાંકી, ક્રમશ: કોમિકસનો બીજો ભાગ આવ્યો કે નહિ એ શોધમાં રહેતો. ઘણા ધક્કા પછી જ્યારે એ ભાગ મળતો, ત્યારે રસ્તામાં આવતા એક બાગની લસરપટ્ટી પર બેસી વાંચી જતો. કૉમિક્સની વાંચવાની એ તલબ, એ ઝંખના, એ ઈન્તેજારી, એ ગાંડપણ આજેય બરકરાર છે !
હવે પ્રશ્ન એ કે કોમિકસનો રાગ અહીં શું કામ આલાપવો? તો કે ફેસબૂક-વોટ્સઅપની ભવ્ય ભ્રામિક દુનિયાને લીધે આજે, ગુજરાતી ભાષામાં ‘ઓથરો’ના (માત્ર લેખકો નહીં હોં કે) ફાટી નીકળેલા રાફડામાં સારા વાચકો કેટલા?, એ પ્રશ્ન મને ઘણા સમયથી મૂંઝવી રહ્યો છે. સારું સાહિત્ય ફક્ત સારા સાહિત્યકારો દ્વારા જ ટકે કે સારા વાચકોની પણ જરૂર પડે? હવે જરૂર સારા વાચકોની વધારે લાગે છે. ભલે કૉમિક્સરૂપે, શું આપણે બાળકોને બાળપણથી વાંચવા પ્રોત્સાહિત ન કરી શકીએ?
મારા મતે તો કૉમિક્સથી બાળકો વાર્તા, એની ગૂંથણી, એનું કથન તથા ચિત્રકળા જેવાં કળાક્ષેત્રો તરફ આકર્ષાઈ શકે, કમસેકમ બાળપણથી વાંચનશોખને લીધે એમનામાં કલાપ્રેમનું તો સીંચન થાય જ છે. વાંચનપ્રેમી બાળકો પોતાની કાલ્પનિક દુનિયામાં વિહરતા થઇ મૌલિક પાત્રોનું પણ સર્જન કરે છે, પોતે વાર્તાઓ બનાવે છે, સારી વાતો શીખે છે, કલાપ્રેમી ને સર્જનાત્મક બને છે.
ઉપરાંત હા, આ લેખમાં જેટલી જગ્યાએ ‘હું’ અને ‘મેં’ આવ્યું એ ફક્ત હું નથી, પણ મારા જેવા હજારો કૉમિક્સપ્રેમીઓની આ કથની છે.
-તો આજે જરૂર છે, સારા પુસ્તકપ્રેમીઓની.
એક આડવાત. ૧૯૩૮માં છપાયેલી સુપરમેનની દુર્લભ ગણાતી કૉમિક્સ ૨૦૧૪માં હરાજીમાં ૩,૨૦,૭૮૫૨ ડોલરમાં વેચાઈ, એ કૉમિક્સપ્રેમ ને વાચનપ્રેમનો જ પ્રતાપ ખરોને? ચાલો આ તો વિદેશી થયું, આપણી ભારતીય કૉમિક્સ પણ, જે અપ્રાપ્ય હોય, બંધ થઇ ગયેલા પબ્લિકેશનની હોય ને દુર્લભ હોય, એવી કૉમિક્સ ફેસબુક જેવા માધ્યમથી ૧૦૦ ગણી વધુ કિંમતે વેચાય છે. એમાય લેખક કે ચિત્રકારના ઓટોગ્રાફ વળી પ્રતના ભાવને અનેકગણા વધારી દે છે. એની સામે વાત કરું તો દર રવિવારે બંધ દુકાનો આગળ ફૂટપાથ પર પુસ્તકોનો ઢગલો લઇ કેટલાય પસ્તીવાળા બેસે છે, જેમની પાસેથી જૂનાં અને ઘણાં દુર્લભ પુસ્તકોય મળી રહે છે. કૉમિક્સ અને સાહિત્ય કેટલાક અંશે જુદા છે, છતાં શું આપણા લેખકો કંઈ નબળા છે? આપણા ‘લેજેન્ડરી’ સર્જકોની પ્રારંભિક હસ્તપ્રતો ને પુસ્તકો, કોઈ રસિક એટલી મોઘીં નહી તો કમસે કમ મૂળ કિંમતે પણ ન ખરીદી શકે? ફક્ત પ્રકાશકોના ધંધાર્થે નહીં, પણ એક પુસ્તકપ્રેમી તરફ બીજા પુસ્તકપ્રેમીની કદરદાની ચર્ચા છે. કૉમિક્સના છે એવા જનૂની વાચકો સાહિત્યિક પુસ્તકોના ન હોઈ શકે?
બીજું એક ઉદાહરણ, એક વાચક-ચાહકે બંધ થવાની અણી પર પહોચેલા પબ્લીકેશન પાસે પોતાને ગમતી એક દુર્લભ કૉમિક્સની ૧૦૦૦૦ પ્રતો છપાવડાવી, કેમ કે એ પબ્લિકેશન તો મોટી સંખ્યામાં જ છાપે, અને બીજે ક્યાંયથી એ પ્રત મળે એમ નહોતી. તો શું આ મૂર્ખાઈ છે? હશે. અમુક લોકો માટે એ મૂર્ખાઈ હશે, પણ મારા મતે એ પુસ્તકપ્રેમ છે, કૉમિક્સપ્રેમ છે, એ પુસ્તક સાથે જોડાયેલી એની યાદો છે, એક સારા વાચકની ચાહના છે, વાચક તરફથી સર્જકને ટ્રીબ્યુટ છે, એ પુસ્તકના ચિત્રકાર અને લેખકની કદરદાની છે !
અત્યારે આવા વાચકોની તાતી, અર્જન્ટ, યુદ્ધનાધોરણે જરૂર છે.
‘ઓથર’ તરીકે પ્રસિદ્ધિની ઘેલછા ધરાવનારાઓને લાગે છે કે એકાદ ચોટદાર અને ભાવનાત્મક લખાણ લખવું અને છપાવડાવી દેવું એટલે બની ગયા લેખક !? મનમાં એક નાનકડું છમકલું ફૂટતા, પાનાંનાં પાનાંઓ ભરી નાખતાં આ ઓથરોને, ઓલ ઈન વન ને ઍવરગ્રીન કલાકાર આબિદ સુરતીના એક ઈન્ટરવ્યુનો આ અંશ, મારા જેવા સામાન્ય વાચક-પુસ્તકપ્રેમી તરફથી સાદર અર્પણ.
“में करीब छह या सात साल का था | उन्ही दिनों दुसरे महायुद्ध के सैनिक, जब वे यहाँ से गुजरते थे, बम्बई से बर्मा जाने के लिए| तो यहाँ बम्बई में वो लोग डोक यार्ड में उतरते थे | वहां से एक छोटी सी ट्रेन जो होती थी वो उन्हें वी.टी तक लेकर जाती थी| जो अब वह पटरी भी नहीं रही और ट्रेन भी नहीं रही| वह ट्रेन बहोत ही धीमी गति से चलती थी| और उसमे सारे अंग्रेज या गोरे सैनिक रहते थे | हम सारे बच्चे उस ट्रेन के पीछे दोड़ते थे, भीख मांगते थे, की भाई कुछ पैसे फेंक दो या कुछ खाना फेंक दो | तो ये सैनिक लोगोंने कभी चोकलेट फेंक दी, कभी किसीने कुछ सिक्के फेंक दिए | और हम छिना ज़पटी करते हुए ट्रेन के पीछे दोड़ते रहते थे | तो एक बार एसा हुआ कि एक सैनिक ने एक कॉमिक्स फेंक दिया ट्रेन में से | अब उन दिनों मे कॉमिक्स किसीने देखी ही नहीं थी | क्योंकि इंडिया में कॉमिक्स थे ही नहीं | जो भी कॉमिक्स थे वो कभीकभार कोई यात्री ले आता था विदेश से या इस तरह सैनिक लोग जो आते थे वो कोमिक्स ले कर आते थे | इसके आलावा कोई जरिया नहीं था कॉमिक्स का, के भाई जाके कहीं से खरीद सके या कहीं जाके पढ़ शके | लायब्रेरी में तो कॉमिक्स रखने का चलन ही नहीं था | तो जैसे ही ये पहेला कोमिक्स फेंका गया हम सारे बच्चे टूट पड़े | टूट पड़े तो किसी के हाथ में कुछ आया, दो पन्ने आये, किसी के हाथ में चार पन्ने आये | मेरे हाथ में एक पन्ना आया | वो पन्ना लेके में घर पहोंचा तो मुजे लगा की ये तो मैं भी कर सकता हूं | और मैंने प्रेक्टिस करना शुरू कर दिया | मिकी माउस का कॉमिक्स था वो | तो प्रेक्टिस शुरू की तो मेरा हाथ बेठने लगा कार्टून में | तो वो एक पन्ने की वजह से आज में कार्टूनिस्ट भी हूं |” -અસ્તુ.
બાળકને પરભાષાના માધ્યમ દ્વારા અપાતું શિક્ષણ શાથી અઘરું પડે છે?
‘ઇતર ભાષાના માધ્યમમાં શીખવાથી બાળકનો વિકાસ કુંઠિત થઈ જાય’. ‘શિક્ષણનું માધ્યમ જો માતૃભાષા હોય તો બાળકના મગજ પર શિક્ષણનો બોજો ખૂબ જ હલકો થઈ જાય’, અને ‘બાળકને પોતાનું બાળપણ ખરેખર જીવવા મળે’ વગેરે બાબતો આપણે અહીં અગાઉના લેખોમાં સમજી. આજે આપણે બાળકમાં ભાષાકીય વિકાસના પગથિયાં, ભાષા વ્યવસ્થાની જટિલતા અને શિક્ષણના માધ્યમ તરીકે જો ઇતર ભાષા અંગ્રેજી હોય તો બાળક માટે શું અને કેવી મુશ્કેલીઓ ઊભી થાય છે તે વિશે વિચારીએ.
બાળક જ્યારે જન્મે છે ત્યારે તેની પાટી સાવ કોરી હોય છે, તેને કેટકેટલું શીખવાનું હોય છે. દરેકેદરેક ઇન્દ્રિયની ક્ષમતા તેણે પ્રાપ્ત કરવાની હોય છે, વિવિધ અંગ-ઉપાંગના ઉપયોગ, દિશા અને સમયનાં પરિમાણો અને કેટકેટલું તેણે શિશુ અવસ્થામાં શીખવાનું હોય છે. ભાષા પણ તેને માટે એક નવી જ વસ્તુ છે. પણ બીજી ક્ષમતાઓ અને ભાષાની ક્ષમતાની પ્રાપ્તિમાં એક મૂળભૂત ફરક છે: બીજી બધી ક્ષમતાઓમાં એક, બે કે ત્રણ પરિમાણ હોય છે, જ્યારે, ભાષા વ્યવસ્થામાં કેટકેટલાંય પરિમાણો હોય છે.
બાળકની મનોભૂમિ પર ભાષાબીજ કેવી રીતે અંકુરિત થાય છે એ જાણતા પહેલાં કોઈ પણ એક ભાષા માત્રની સંરચનાના મૂળભૂત મુદ્દા ને એના વિવિધ પરિમાણો વિશે જાણી લઈએ, જેથી પછી એ ભાષાને બાળક કેવી રીતે ગ્રહણ કરે છે-ગ્રહણ કરવાની એ પ્રક્રિયા કેટલી અઘરી કે સહેલી છે વગેરે વિશે ખ્યાલ આવશે.
ભાષા વ્યવસ્થાનું એક પરિમાણ હોય છે ધ્વનિઓનું – દરેક ભાષામાં આવતી ધ્વનિઓ નિશ્ચિત હોય છે. વળી આ ધ્વનિઓના એકબીજા સાથે જોડાવાના નિયમો પણ હોય છે. જેમ કે ‘ળ’ કે 'ણ' ગુજરાતીમાં શબ્દની શરૂઆતમાં ન આવી શકે વગેરે. દરેકે દરેક ભાષામાં આવા નિયમો પણ નિશ્ચિત હોય છે. એટલે કોઈપણ નવી ભાષા શીખતી વખતે તે ભાષાના ધ્વનિઓ અને જોડાણના નિયમો પણ શીખવા પડતા હોય છે.
બીજું પરિમાણ હોય છે ધ્વનિઓ જોડાઈને બનતા ધ્વનિસમૂહના અર્થનું–એટલે કે શબ્દોના અર્થનું. વળી, કેટલાક શબ્દો નક્કર વસ્તુ દર્શાવે છે, તો કેટલાક ક્રિયા કે પ્રક્રિયા દર્શાવે છે, કેટલાક સ્થિતિ દર્શાવે છે, કેટલાક કાળ દર્શાવે છે. વળી કોઈપણ ભાષામાં આવતાં શબ્દોની સંખ્યા ઘણી મોટી હોય છે!
ભાષામાં શબ્દો જોડાઈને પદ બને છે અને તેમના અર્થ, તેમના ઉપયોગ, તેમના ગૂઢાર્થ વગેરેના પણ અનેક પરિમાણો હોય છે – જેમ કે ગુજરાતીમાં ‘મારવું’ નો અર્થ ‘કોઈને ભૌતિક રીતે ઈજા પહોંચાડવાની ક્રિયા’ છે, પરંતુ જો ‘મારવું’ની જોડે ‘પોતું’ કે ‘ઝાડુ’ જોડાય તો? તો એક અર્થ નીકળે છે કે ‘તે વસ્તુ વડે મારવાની ક્રિયા’, અને બીજો અર્થ નીકળે છે ‘એક નિર્ધારિત વસ્તુ વડે ધૂળ આદિની સાફ સફાઈ કરવાની ક્રિયા’.
વળી પદો જોડાઈને વાક્ય બને છે, તો તેમાં માહિતી આપવી હોય તો વાક્ય રચના અલગ, કાળ પ્રમાણે વાક્ય રચના અલગ, તો પ્રશ્નો પૂછવા હોય તો રચના અલગ, અને કોઈને આજ્ઞા આપવામાં આવે તેવા વાક્યોની રચના અલગ.
વળી, ઘણાખરા વાક્યોનો સાદો અર્થ તો હોય જ છે, પણ તેનો ગૂઢાર્થ અને પ્રાસંગિક અર્થ પણ અલગ હોય છે. વળી સંદર્ભ પ્રમાણે, સાંભળનાર કોણ છે તે પ્રમાણે અને સંજોગો પ્રમાણે ઉપયોગ પણ બદલાય. આમ, કંઈકેટલાય સ્તરો છે ભાષાની રચનાના.
આવી જટિલતમ વાગ્વ્યવહારની વ્યવસ્થા એક બાળકે સમજવી, ગ્રહણ કરવી કેટલી અઘરી હશે તેનો અંદાજ આપણને આ ઉપરથી આવી શકે. વળી, આ બધી વ્યવસ્થા બાળક સમજે, પણ તેનો ઉપયોગ કરીને તેમાં જ પોતાના વિચારોને વ્યક્ત કરતાં તેને વધારે સમય લાગે છે.
હવે આપણે એ પણ જોઈએ કે માતૃભાષાની આ આખી વ્યવસ્થા બાળક કેવી રીતે ગ્રહણ કરતો હોય છે.
બાળક ૩ મહિના જેટલું હોય ત્યારે તો હજી તે ફક્ત અવાજો સાંભળે છે, માતાનો અવાજ (અથવા ખૂબ નિકટતમ વ્યક્તિનો અવાજ) ઓળખે પણ છે, બીજા બધાનો અવાજ સાંભળે છે, સાંભળવાની ક્ષમતાનો વિકાસ કરતું રહે છે, અને, ફક્ત થોડાક જ અવાજો કાઢતું હોય છે.
જેમ જેમ બાળક મોટું થાય, તેમ તેમ, ‘માનવ જે બધા ધ્વનિઓ કાઢી શકે તે બધા જ ધ્વનિઓ કાઢવાનો’ બાળક પ્રયત્ન કરતું હોય છે. આ ધ્વનિઓ તેની આસપાસની ભાષામાં હોય કે ન પણ હોય. તે એકસરખું મોઢામાંથી કોઈ ને કોઈ ધ્વનિ કાઢતું રહે છે - ‘કકકક’ ‘બબબબ’ વગેરે વગેરે.
૬થી ૯ મહિનાનું બાળક પોતાની આસપાસના વ્યક્તિઓનો અવાજ ઓળખવા લાગે છે. બાળક હવે ધીરે ધીરે સમજવા લાગે છે કે આ માણસની વસ્તીમાં દરેકે દરેક વસ્તુ માટે ધ્વનિઓનો બનેલો એક સંકેત લોકો વાપરે છે. આ સંકેતો તે સમજવાની શરૂઆત કરી દે છે. તેની સાથે બોલાતા વાક્યોમાંથી શબ્દોને પકડવાની, તે શબ્દોથી સંકળાયેલી વસ્તુઓ કે ક્રિયાઓ સમજવાની શરૂઆત તો તેણે કરી જ દીધી હોય છે.
૯-૧૨ મહિનાનું બાળક તેની આસપાસના લોકોમાં બોલાતી ભાષાના ધ્વનિઓ – એટલે કે તેને સંભળાતા ધ્વનિઓ તરફ વધારે ધ્યાન આપે છે અને પોતાની ભાષાકીય કાબેલિયત પ્રાપ્ત કરવા માટે તે હવે બીજા ધ્વનિઓને ભૂલવા માંડે છે. સાથે જ હવે તે પણ ભાષાની સાંકેતિક ક્ષમતાનો ઉપયોગ કરવાનું, બહાર જવા માટે ‘બાબા બાબા’ પપ્પા માટે ‘પાપા પાપા’ કે ખાવા માટે ‘મમ મમ મમ’ વગેરેનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. પણ આ સાથે, અભાનપણે તેનું મગજ તેની આજુબાજુ સંભળાતી ભાષાનું પૃથ્થક્કરણ કરતું રહે છે. પોતાની આસપાસ સંભળાતી બોલાતી ભાષાને અભાનપણે તે ગ્રહણ કરતું હોય છે.
જેમ જેમ બાળક મોટું થતું જાય છે, તેમ તેમ તે ભાષાની રચના, તેમાં કયા શબ્દો ક્યાં આવે, સવાલ કેવી રીતે કરાય, જવાબ કેવી રીતે અપાય, કોઈને આજ્ઞા કેવી રીતે અપાય વગેરે રચનાકીય દરેકે દરેક સ્તરનું પૃથ્થકરણ તેનું મગજ કરતું હોય છે. તેની સમક્ષ આવતા શબ્દો, તેના અર્થ વગેરે પણ આ સાથે ગ્રહણ કરતું હોય છે. એક શબ્દનું બનેલું વાક્ય, બે શબ્દોનું બનેલું વાક્ય એમ ધીરે ધીરે નાના વાક્યોથી શરૂઆત કરીને મોટા વાક્યો સુધી પહોંચે છે. ત્રણ વરસની ઉંમરે તેનું શબ્દભંડોળ ૫૦૦થી ૨૦૦૦ શબ્દો જેટલું વિસ્તરી જાય છે.
ત્રણ સાડા ત્રણ વર્ષની ઉંમરે બાળકે પોતાની સમક્ષ બોલાતી રહેલી ભાષાની રચના આત્મસાત કરી લીધી હોય છે, બાળક હવે નવા શબ્દો શીખતો જાય છે, ક્રિયાઓ માટેના વિવિધ શબ્દો શીખતો જાય છે. પોતે આત્મસાત કરેલી રચનામાં વિવિધ શબ્દો મૂકીને પોતાના વિચારો રજૂ કરતા શીખી ગયો હોય છે, ક્યારેક રચનાકીય દૃષ્ટિએ સાચી, પણ મોટાઓની ભાષામાં ઉપયોગમાં ન લેવાતી એકાદ ભાષારચના બાળક કરે દા.ત. ‘સિંહ-સિહંણ, વાઘ-વાઘણ’ પ્રમણે જ ‘બળદ-બળદણ’ કરે, ત્યારે તેને મળતા પ્રતિભાવોને નોંધી, તે ભાષાના ઉપયોગને સુધારતો-મઠારતો ચાલે છે. ભાષાકીય ઉપયોગ પણ શીખતો જાય છે, જેમ કે, મહેમાનને ‘તમે ક્યારે જશો?’ એમ ન પૂછાય. કઈ પરિસ્થિતિમાં શું બોલાય, ક્યારે શેનો અર્થ શું થાય, વગેરે ભાષાના વિવિધ ઉપયોગો શીખતા શીખતા તેને ઘણાં વર્ષો લાગે છે. જેમ જેમ તેની સમક્ષ ભાષાના નવા નવા ઉપયોગો આવે તેમ તેમ બાળક તે શીખે છે.
આમ, વિચારી તો જૂઓ કે એક ભાષાને આત્મસાત કરી પોતે તેને સારી અને યોગ્ય રીતે સમજી, બોલી, પોતાના વિચારો વ્યક્ત કરી શકે, તે માટે એક બાળકે – તેના કુમળા મગજે કેટકેટલી મહેનત કરવી પડતી હશે?
એક બાળક ત્રણ વર્ષ સુધી તો ઘરમાં જ વધારે રહેતો હોવાથી, ઘરના સભ્યો દ્વારા બોલાતી ભાષા, તેની રચના, તેના શબ્દો શીખે છે, જે તેની માતૃભાષા કે પહેલી ભાષા કહી શકાય. બાળક ઘરની બહાર જવા લાગે તો પોતાની આસપાસ બોલાતી ભાષા પણ અભાનપણે શીખતો જાય છે. હવે, આ પરિસ્થિતિમાં વિચારીએ કે જો બાળકને ૨-૩ વર્ષની ઉંમરે પોતાના ઘરમાં બોલાતી ભાષા કે પોતાની આસપાસ બોલાતી ભાષાથી અલગ એવી પરભાષામાં એટલે કે બાળકે જે ભાષા હજી જરાય આત્મસાત નથી કરી અથવા તો સાવ જ થોડા અંશે આત્મસાત કરી છે તે ભાષામાં શિક્ષણ આપવામાં આવે તો શું થાય?
બાળકને આ પરભાષા આવડતી નથી, તે ભાષાના ધ્વનિઓ, ધ્વનિઓની રચના, તેના શબ્દો, શબ્દોના અર્થો, પદો, પદોના અર્થો, વાકય રચના, પ્રશ્ન, આજ્ઞા, તેના અર્થો, તેના વપરાશની પરિસ્થિતિઓ, સાદો અર્થ, ગૂઢાર્થ એમ દરેકે દરેક સ્તર આવડે ત્યારે જ ભાષા આત્મસાત થઈ કહેવાય. તેને આ નવી ઈતરભાષા સાવ નવેસરથી શીખવી પડે છે.
ત્રણ વર્ષ માતૃભાષાને સમજ્યા બાદ અચાનક એક તબક્કેથી ઈતરભાષા વ્યવહારમાં આવવા લાગે, ઈતરભાષામાં શિક્ષણ અપાવવા લાગે તો બાળકનું મગજ એ અન્ય ભાષાની રચનાને સમજવામાં વ્યસ્ત થાય, વળી શબ્દો પણ નવા હોય, એટલે તેમનો અર્થ પણ ન સમજાતો હોય એટલે બાળકનું મન ફરી એ બધું સમજવામાં અટવાઈ જાય છે.
વળી, પરભાષા બાળકના શિક્ષણનું માધ્યમ બને છે ત્યારે તેને આત્મસાત કરવા માટે બાળકે માતૃભાષાથી વિપરિત અભાનપણે નહિ પણ સભાનપણે પ્રયત્ન કરવો પડે છે; કારણકે, તે સાંભળી સાંભળીને આ ભાષા શીખી શકે તેટલા પ્રમાણમાં આ ઇતરભાષા તેની આસપાસ બોલાતી નથી કે નથી તેને એટલા બધા પ્રતિભાવો મળતા. વળી, વર્ગમાં પણ ૩૦-૪૦ બાળકો હોય, શિક્ષક દરેકની ભાષાને પ્રતિભાવ આપવા જાય તો જે તે વિષય ક્યારે ભણાવે?
આ બધામાં એ ભાષા દ્વારા શીખવાતા વિષયની સમજણ તો એક સરેરાશ બાળક માટે દૂરની વાત થઈ જાય છે. આ ઇતરભાષામાં અન્ય વિષયોનું પણ શિક્ષણ મેળવવાનું હોય, તેમાં જ જવાબ લખવાનો હોય. પણ હજી તો બાળકનું મગજ આ ભાષા સાંભળીને, તેનો રચનાકીય અર્થ સમજવામાં ને તેના નિયમો તારવવામાં રહેલું હોય, ત્યાં તે કેવી રીતે ઇતરભાષામાં શીખવાડાતા વિષયને સમજી શકે? તેનું નાનું મગજ ક્યાં ક્યાં દોડે અને કેટલું દોડી શકે? અને પછી ન સમજી શકે એટલે ટ્યુશન, અને ગોખણપટ્ટી સિવાય કયો આધાર રહે?
કેટલાક બાળકોમાં ‘ભાષા’ તરફ એક રુચિ હોય છે, તેવા બાળકો થોડીક વધારે ઝડપથી નવી ભાષા શીખી લે છે, પણ, તે છતાં, તેઓ પણ માતૃભાષામાં જેટલી સહેલાઈથી પોતાના વિચારો વ્યક્ત કરી શકતા હોય છે, તેટલી સહેલાઈથી ઇતર ભાષામાં વિચારો વ્યક્ત કરી શકતા નથી.
આમ, બાળકની બાલ્યાવસ્થામાં જ આપણે બાળકને સારું, શ્રેષ્ઠ આપવાના ખ્યાલમાં જ કેટલો બધો બોજો બાળક પર લાદી દઈએ છીએ અને બાળકનું કેટલું અહિત કરતા હોઈએ છીએ એની કોઈ ગણતરી પણ શક્ય નથી.
આ બધો જ માનસિક ત્રાસ એક બાળક ઉપર આપણે લાદીએ છીએ, ઇતર ભાષામાં શિક્ષણ આપીને. આ ઇતર ભાષા જો અંગ્રેજી હોય તો??? આપણે આવતા અઠવાડિયે ‘ભારતીય ભાષી બાળકો માટે માધ્યમ તરીકે અંગ્રેજી ભાષા કેમ વધારે મુશ્કેલ બને છે’ તે ઉદાહરણ સાથે જોઈશું...
આપણો સગવડિયો ગુજરાતીપ્રેમ, નર્મદજયંતી અને ખરી ઘરવાપસી !
ઉચ્ચ શિક્ષણ અંગ્રેજીમાં હોવાને લીધે બાળપણથી જ બાળકોને અંગ્રેજી માધ્યમની એસએસસી, આઈસીએસઈ કે સીબીએસઈ શાળામાં ભણાવતા વાલીઓ બાળકને મજૂરની જેમ ભણતો જોઈ દુ:ખી થાય છે અને પરિણામ પણ જોઈએ એવું ન આવતાં છેતરાયાની લાગણી અનુભવે છે. આ વાલીઓની મૂંઝવણો અપાર છે. કેટલાક વિરલ ને સમજદાર વાલીઓ આવા આંધળૂકિયામાંથી બહાર આવી શક્યા છે તો મોટાભાગના હજી પીડાઈ રહ્યા છે. આપણી આસપાસ જ બનેલાં ઉદાહરણો દ્વારા જાણીએ અંગ્રેજી માધ્યમની કેટલીક તૂટી રહેલી ભ્રમણાઓ અને સામે આવી રહેલી વાસ્તવિકતાઓ...
પહેલા એક યથાર્થ વાત.
ઘરની સારી સ્થિતિ હોવા છતાં અંગ્રેજી ન ભણવાને લીધે પાછળ રહી ગયાની લાગણી અનુભવતા અને એ માટે આખી જિંદગી પોતાનાં મા-બાપને કોસતા કેટલાય દંપતિઓએ પૂર્વાગ્રહથી પીડાઈને પોતાનાં સંતાનોને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બોર્ડની શાળામાં મૂક્યાં. પાંચ-સાત વર્ષમાં તો તેમની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ ગઈ છે. આજે તેઓ બાળકોની શાળાની મોંઘીદાટ ફી અને ટ્યુશન પાછળ વર્ષે દોઢ-બે લાખ ખરચતાં હોવા છતાંય દુ:ખી છે, કારણકે મોંઘી ફી અને હાઈફાઈ કલ્ચરવાળી શાળામાં મૂકવાથી પોતાનું સંતાન હોશિયાર થઈ જશે એવી તેમની આશા ઠગારી નીવડી છે. એટલું જ નહિ, આજે એમની હાલત એવી છે કે નથી તે પોતાના બાળકને આ રીતે અટવાતો જોઈ શકતા કે નથી સાતમા-આઠમા ધોરણમાં આવેલા પોતાના બાળકને ઈચ્છવા છતાં ગુજરાતી માધ્યમમાં ફેરવી શકતા.
વળી, એમને મોટો આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે તેમને ખબર પડી કે કૉલેજમાં દાખલો લેતી વખતે, બાળક કયા માધ્યમમાંથી ભણીને આવ્યું છે એના કરતાં એને કેટલા વધુ ટકા આવ્યા છે, તે વાત વધારે મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલું જ નહિ, પણ ગમે તે માધ્યમ કે બૉર્ડમાં ભણ્યા છતાં કૉલેજ તો બધા વિદ્યાર્થીઓ માટે સરખી જ છે અને તેમને ભણવાનું પણ સરખું જ છે. આ ક્ષણે તેમને અંગ્રેજીના મોહમાં લીધેલા પોતાના નિર્ણય ઉપર સૌથી વધારે ગુસ્સો આવ્યો. હવે તો એ દંપતી, જે પણ વાલી મળે તેને એમ સમજાવે છે કે ભાઈ, જો તમારે દસ વર્ષના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દરમ્યાન બીજાથી વધારે ઝડપે ગાડી ભગાવ્યા છતાં પણ પછી તો એક જ ફાટક પર ઊભા રહીને બીજાની સાથે આગળ વધવાનું હોય તો નાહક શા માટે બાળકને વહેલાં ફાટક સુધી પહોંચાડવાની જફા વહોરવી??!!
એટલે કે, I.C.S.E, C.B.S.E કે S.S.C. ના અંગ્રેજી કે ગુજરાતી માધ્યમમાં ભણેલા વિદ્યાર્થીઓને કૉલેજમાં તો એકસરખું જ ભણવાનું હોય, તો શા માટે દસ વર્ષ સુધી પોતાના બાળક ઉપર ઉંમર કરતાં આગળનું ભણાવવાનો બોજો નાખવો? અને શા માટે બાળકને એટલું થકવી નાખવું કે જેથી ક્યારેય પાછા ન મળી શકે તેવા બાળપણના દિવસો તે માણી જ ન શકે અને ક્યારેક તો નિરાશાનો ભોગ બનવાની શક્યતા પણ રહે!
આજે, ખરેખર જરૂરી અને સહેલો રસ્તો એ છે કે બાળકને માતૃભાષામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ આપવું અને એ વર્ષો દરમ્યાન બાળકને સારામાં સારું અંગ્રેજી પણ શીખવવું. આ માટે ઘણી ગુજરાતી માધ્યમની શાળાઓએ પહેલ કરી છે, જેથી બાળક કૉલેજમાં આવીને અંગ્રેજીમાં પાછળ ન રહી જાય અને પોતાને બીજાથી ઉતરતા ન સમજે. ગાડરિયા પ્રવાહમાં તણાવાને બદલે તેમાંથી બહાર આવવાની હિંમત હાલમાં કેટલાક વાલીઓએ દાખવી રહ્યાં છે. પરાગભાઈ ગોરડિયાએ કાંદિવલીની અંગ્રેજી માધ્યમની શાળામાં ભણતા પોતાનાં સંતાનોને ગુજરાતી માધ્યમની શાળામાં મૂક્યા. તેમના પુત્રએ એસ.એસ.સી.માં ૯૦ % લાવીને સૌને આનંદાશ્ચર્યમાં મૂકી દીધાં છે તો પુત્રી પણ અંગ્રેજી કરતાં ગુજરાતીમાં વધારે સારું ભણી રહી છે. ઘાટકોપરના ગૌતમભાઈ બૂટિયાનાં સંતાનો પણ આ જ રીતે અંગ્રેજીમાંથી ગુજરાતી માધ્યમમાં પાછા ફરી એમની શૈક્ષણિક કારકિર્દીનું હસતાંરમતાં ઘડતર કરી રહ્યા છે. આ આજની જ વાત નથી થોડાં વર્ષો પહેલાં પણ આવા નોંધપાત્ર કિસ્સા બન્યા છે. નવી મુંબઈના ચાર્ટડ એકાઉન્ટન્ટ ધવલ બાવડના શિક્ષણની શરૂઆત પણ અંગ્રેજી માધ્યમમાં થઈ હતી. જોકે પછી એ ગુજરાતી માધ્યમમાં ભણ્યા અને આજે સીએની ધીકતી પ્રેક્ટિસ ધરાવે છે તો કાંદિવલીનાં એક બહેનનું શિક્ષણ પણ અંગ્રેજીમાં શરૂ થયું અને વચ્ચેથી ગુજરાતી માધ્યમમાં પાછા ફરીને માતૃભાષામાં જ શાળાનું શિક્ષણ પૂરું કર્યું. આજે એ બહેન એમની જ શાળાનાં ઉપ-આચાર્યા છે !
આવી સમજણથી પ્રેરાઈને મલાડ ઈસ્ટની જે.ડી.ટી. શાળામાં ગયા વરસે પહેલાથી ચોથા ધોરણ સુધીમાં, પ્રિયંકા યોગેશ વરતડા, છાપીયા સીકા, દરજી જય સતીશકુમાર, વાજાધારા વિપુલ, વાજાધારા આશિષ, ચંદાત શ્રુતિ, ચંદાત દક્ષા વગેરે બાળકોએ અંગ્રેજી માધ્યમની શાળામાંથી ગુજરાતી માધ્યમની શાળામાં પ્રવેશ લીધો છે અને એ માટે એમને શાળાના સંચાલકો, આચાર્યા અને શિક્ષકો તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળ્યો છે.
આવી જ રીતે, વિરારના એક બહેન મનીષા વ્યાસ, બીજા ધોરણના અંગ્રેજી માધ્યમમાં ભણતા પોતાના બાળક માટે ગુજરાતી માધ્યમની શાળાની જાણકારી મેળવવા માગતા હતા. તેઓ તો બાળકને ગુજરાતી માધ્યમમાં ભણાવવા વિરાર છોડીને જે તે શાળાની નજીકના પરામાં રહેવા જવા પણ તૈયાર છે. આ પ્રસંગો બતાવે છે કે સાવ ગાડરિયા પ્રવાહમાં તણાવવાને બદલે કેટલાક વાલીઓ જાતઅનુભવે શીખીને, બાળકના ભવિષ્ય વિશે ગંભીરતાથી વિચારીને, લોકોની વાતો વિશે ફિકર કર્યા વગર બાળકના હિતમાં હિંમતભર્યો નિર્ણય કરે છે.
તો ચાલો, આપણે પણ આવી હિંમત દેખાડીએ અને માતૃભાષા સિવાયની શાળામાં પોતાના બાળકને મૂક્યો હોય તો જાગ્રત થઈએ અને બાળકને એમનું બાળપણ જીવવા દઈ, આપણે તેને ખરેખર પ્રેમ કરીએ છીએ તે પૂરવાર કરીએ. જો આપણે માતૃભાષાની જવાબદારી ઊપાડી લઈએ, તો માતૃભાષા પણ આપણા બાળકના સારા સંસ્કાર અને ઉજ્જવળ ભવિષ્યની જવાબદારી ઊપાડી લેશે.
દરેક ગુજરાતી માટે જરૂર છે કે તે ગાંધીજીના સ્મારક સામે શ્રધ્ધાંજલિઓ આપી કે મોબાઈલ પર આવ્યે રાખતી ગુજરાતીઓની ખાસિયતના મેસેજ જોઈ, વાંચી કે સાંભળીને માત્ર ગુજરાતી હોવાનો ગર્વ અનુભવવાને બદલે માતૃભાષાની જવાબદારી ઉપાડવાનો સંકલ્પ કરી ખરું ગૌરવભર્યુ કાર્ય કરે.
2015ની ૨૪ ઓગસ્ટ, નર્મદ જયંતીના દિવસે આવા જ સંકલ્પ સાથે ‘મુંબઈ ગુજરાતી’એ ‘મારી મતૃભાષા, મારી જવાબદારી’ યાત્રાનો શુભારંભ કર્યો હતો જે હજી અવિરત ચાલ્યા કરે છે. આ યાત્રામાં સાથે જોડાવા અને મુંબઈના પરાની વિરારથી ચર્ચગેટ, કલ્યાણ, ડોમ્બિવલી, વી.ટી.થી લઈને થાણા સુધીની તમારા રહેઠાણની નજીકની ગુજરાતી માધ્યમની શાળાની જાણકારી મેળવવા કે આ પહેલમાં કોઈ પણ રીતે સહયોગ આપવા સંપર્ક કરો.
- મુંબઈ ગુજરાતી સંગઠન
એક સામાન્ય વ્યક્તિની નજરે સાહિત્ય
વિનોદ પટેલ, 30 વર્ષ.
ફેક્ટરી કામદાર, અમદાવાદ.
શિક્ષણઃ દસ ધોરણ.
* સાહિત્ય તમારી માટે શું છે?
સાહિત્ય શબ્દ સાંભળ્યો છે કંઈ કવિઓનું હોય છે. બાકી એ વિશે વધુ કંઈ ખબર નથી.
* કોઈ પુસ્તક વાંચ્યું છે?
ના. કંઈ વાંચતો નથી. એ અમારે શું કામનું? સમય કેમ બગાડવો? એટલો સમય કામધંધામાં વધારે ધ્યાન આપીએ તો બે પૈસા વધુ કમાઈએ. જોકે વરસો પહેલાં ક્યારેકક્યારેક છાપાં-ચોપાનિયાં ઉથલાવ્યાં છે.
* એટલે ક્યાંક કંઈ વાંચીને કદી ખળભળી જવાયું કે સુન્ન થઈ જવાયું હોય એવું થયું છે?
હા. એકવાર ટ્રક પાછળ વાંચેલું એક વાક્ય બરાબર મગજમાં ચોંટી ગયું છે, ‘તું તારું કર...’ એમ લખેલું હતું. એ કહે છે કે તું મારું ન વિચાર, તું તારા પર ધ્યાન આપ... તારી પોતાની ચિંતા કર.
* કદી કવિસંમેલન-મુશાયરા-કાર્યક્રમમાં ગયા છો?
ના.
* કોઈ કવિતાની પંક્તિઓ યાદ છે? સ્કૂલમાં ભણેલી કે સાંભળેલી?
જળકમળ છોડી જાને બાળા...
* એ નરસિંહ મહેતાની છે, એ કોણ હતા ખબર છે?
હા, એ કૃષ્ણના દૂત હતા.
* બીજી કોઈ પંક્તિઓ?
સોળ(ચૌદ) વરસની ચારણ કન્યા...
* ઝવેરચંદ મેઘાણીને ઓળખો છો?
અમારી આ હિરાવાડીનો ઝવેરી છે કદાચ.
* ગોવર્ધનરામ ત્રિપાઠીનું નામ સાંભળ્યું છે?
ના.
* સરસ્વતીચંદ્ર સાંભળ્યું છે?
હા, એ કોઈ મોટા માણસ હતા.
* ચંદ્રકાન્ત બક્ષીને જાણો છો?
ચંદ્રકાન્ત પક્ષી? (કંટાળાભર્યું હસે છે.)
* રઘુવીર ચૌધરીનું નામ સાંભળ્યું છે?
એક રઘુવીર રબારીને ઓળખું છું.
* તમને શું લાગે છે આ વાર્તાકવિતાઓને એ બધું લખાવું જોઈએ?
જેમની માટે કામનું હોય એમની માટે ભલે, બાકી એ બધું આપણા કામનું નહીં.
* તમને પુસ્તકો વાંચવાનું કહું તો વાંચો? તમારે પુસ્તકો વાંચવા જોઈએ. સરકાર કરોડો રૂપિયા ખર્ચીને સાહિત્યનું સંવર્ધન પ્રસાર-પ્રચાર કરે છે એ તમારી માટે કરે છે, એના પૈસા તમારા ભરેલા ટેક્સમાંથી આવે છે.
એમ હોય, તો જો સરકાર એવી વ્યવસ્થા કરી આપે કે એ પુસ્તકો વાંચવાથી અમને અમારા ટેક્સના પૈસા પાછા મળી જાય તો પુસ્તકો વાંચી કાઢીએ.
* કવિલેખકો વિશે શું માનો છો? એ લોકો આટલી બધી મહેનત કરીને શું કામ લખતા હશે?
પ્રસિદ્ધિ માટે લખતા હોય બીજું શું. નહીંતર સાથે એમનું નામ શા માટે લખે? લોકો માટે લખતા હો તો નામ લખવાની શી જરૂર છે?