હા, ચૂંથીચવાયેલી માતૃભાષામાં શિક્ષણની વાત જ ફરી કરવી છે.
કદાચ આ તમે એકલાખમી વાર વાંચતા હશો ને હજારટકાના વિશ્વાસ સાથે મનોમન માનતા હશો છતાં ફરી કહેવું છે કે માતૃભાષા એટલે એ ભાષા, જે ભાષા ગર્ભમાંથી જ સાંભળતાં સાંભળતાં બાળક વિકાસ પામે છે. મહાભારતમાં શ્રી કૃષ્ણે અભિમન્યુને ગર્ભમાં જ યુદ્ધના કોઠાઓ શીખવ્યા હતા એ જાણીતી વાત છે. શ્રી શુકદેવજીનો પણ એવો જ દાખલો છે. માના ગર્ભમાંનું બાળક માત્ર સાંભળી જ નહિ, સમજી પણ શકે છે, એ વાતની પુષ્ટિ આજના મનોવિજ્ઞાનીઓએ-વૈજ્ઞાનિકોએ પણ કરી છે. આ રીતે, બાળકને માતૃભાષામાં કહેલી, શીખવેલી કે સમજાવેલી વાત એના મગજમાં સરળતાથી ઉતરી જાય છે. માતૃભાષા એવી ભાષા છે જે બાળક ખૂબ જ સાહજિક રીતે અને રમત રમતમાં પોતાના ઘરમાંથી કે મિત્રવર્તુળમાંથી લગભગ ઓછા કે ન જેવા પ્રયત્ને, અભાનપણે જ પ્રાપ્ત કરી લે છે. આ માતૃભાષામાં શિક્ષણ પ્રાપ્ત કરવું, એ બાળક માટે ખૂબ જ અગત્યનું છે; કારણકે વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ, જ્ઞાન, અભિવ્યક્તિ ક્ષમતા, સર્જનાત્મક કે ફળદાયક ક્ષમતા- આ બધાની કૂંપળો માતૃભાષામાંથી જ ફૂટે છે. આથી માતૃભાષાને શાળાના અભ્યાસક્રમમાં મહત્વનું આગવું સ્થાન આપવું અને મળવું જોઈએ.
એ માટે આપણે કેટલાંક મહત્વનાં કારણો સમજીએ.
માતૃભાષા એ સંદેશાવ્યવહાર કે પોતાનાવિચારો અને લાગણીઓ વ્યક્ત કરવાનું ઉત્તમ અને સમર્થ માધ્યમ છે. માણસની, ખાસ કરીને માતૃભાષા બોલવાવાળાની, પોતાના સામાજિક વર્તુળ કે સંગઠનની રચના સહજ રીતે થઈ જાય છે. વળી,જે તે વિષયમાં તેની પૂરેપૂરી નિપુણતા, પારંગતતા કે તજજ્ઞતા પણ માતૃભાષા દ્વારા જ પ્રાપ્ત થઈ શકે.
જ્ઞાનપ્રાપ્તિ માટે વિચારતંત્ર અત્યંત જરૂરી છે. વિચાર કરવા માટે ભાષા પણ એટલી જ આવશ્યક છે. પી. બી. બેલાર્ડે કહ્યું છે કે ‘માતૃભાષામાં કેળવણી એટલે એ ભાષામાં કેળવણી જે ભાષામાં બાળક વિચારે છે અને સ્વપ્નાં પણ સેવે છે. છીછરાપણામાંથી સુંદરતમ માનવ સંસ્કૃતિ પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન એટલે માતૃભાષા.’
ભાષા વગર બુદ્ધિનો શ્રેષ્ઠતમ વિકાસ પણ અશક્ય છે. વાંચન, અભિવ્યક્તિ, જ્ઞાન સંપાદન કરવું, બૌદ્ધિક દલીલો કરવી, એ બધા બુદ્ધિવિકાસના માધ્યમો છે. આ બધું ભાષાથી જ, ખાસ કરીને માતૃભાષા દ્વારા જ ઉત્તમ રીતે શક્ય બને છે. આથી, આપણા વિદ્યાર્થીઓની વિદ્યાપ્રાપ્તિનો પાયો મજબૂત, મક્કમ અને અડગ કરવા માતૃભાષામાં શિક્ષણ અત્યંત આવશ્યક છે.
વળી, આમ તો આપણે સંદેશાવ્યવહાર કે માહિતીની આપ-લે તો કોઈ પણ ભાષામાં કરી શકીએ છીએ; છતાં પણ સર્જનાત્મક અભિવ્યક્તિ તો માતૃભાષામાં જ શ્રેષ્ઠ રીતે શક્ય બને છે. આથી જ જગતના મહાવિદ્વાન લેખકોએ ઉત્કૃષ્ટ અને અદ્ભુત સાહિત્યનું સર્જન પોતાની સ્વભાષામાં જ કર્યું છે, જેનું અનુમોદન આપણે પછીથી કરીશું.
આ વાત પછી આપણને એ વિચાર આવે કે શું અંગ્રેજી કે ઈતર ભાષામાં કંઈ ન શીખી કે સમજી શકાય? જરૂરથી શીખી, સમજી શકાય. પણ, એને માટે નાજુક મગજ પરિપક્વ થવું જોઈએ. બાળકની સમજણ, સ્મરણ, ગ્રહણ અને યાદશક્તિ ઘણી જ કુશાગ્ર હોય છે. એનો સંપૂર્ણ ઉપયોગ કરવા, બાળકનું મગજ પરિપકવ થાય ત્યાં સુધી માતૃભાષામાં જ શિક્ષણ આપવું આવશ્યક છે. બાળક ૧૦-૧૨ વર્ષનું થાય ત્યારે લગભગ આ બધી શક્તિઓ પરિપક્વ થાય છે. આ ઉંમરે એ ઘણુંખરું ચોથા થી સાતમા ધોરણ સુધી પહોંચી જાય છે. આના પછી એને અંગ્રેજી કે અન્ય ભાષામાં વિગતે વ્યાકરણ સહિત શિક્ષણ આપવું યોગ્ય ગણાશે. બહુભાષી શિક્ષણમાં ખાસ ઉલ્લેખનીય એ છે કે ‘પહેલી ભાષામાં પહેલું શિક્ષણ’ એટલે, શરૂઆત માતૃભાષાથી કરવી ને પછી બીજી ભાષાઓ શીખવી. બહુભાષી શિક્ષણના બહોળા સ્વીકાર માટે ‘યુનેસ્કો’એ ચાર તબક્કા સૂચવ્યા છે. ૧. બાળકને શિક્ષણ સંપૂર્ણપણે એની સ્વભાષામાં આપવું. ૨. માતૃભાષા પર અસ્ખલિત કાબૂ આવે પછી બીજી ભાષાનો પરિચય કરાવી, બોલવાની તથા વાતચીતની શરૂઆત કરાવવી. ૩. બીજીભાષા પર પણ પહેલા જણાવ્યા મુજબ સંપૂર્ણપણે કાબૂ આવે પછી સાહિત્યનો પરિચય તથા અભ્યાસ કરાવવો. ૪. આ પછી જિંદગીભર તમે એનો અભ્યાસ તથા ઉપયોગ કરો. આવી રીતે જેટલી ભાષાઓ શીખવી હોય તેટલી શીખાય.
આ કોઈ નવી પ્રથા નથી. અગાઉ આ પ્રથા પ્રચલિત હતી. એ પ્રથાથી એ જમાનામાં પણ આપણે ત્યાં ઘણાં રાષ્ટ્ર તથા આંતરરાષ્ટ્રિય સ્તરે ઉચ્ચ કોટિના વિદ્વાનો થઈ ગયા છે. ભારતમાં જુદા જુદા વિસ્તારના લોકોની માતૃભાષા અલગ અલગ હોય છે. આમાં કેટલાક લોકોને પોતાની માતૃભાષા પ્રત્યે ઉત્કટ ભાવના અને ગૌરવ હોય છે, તો કેટલાકને ઓછી અથવા નહીંવત્ હોય છે. આપણે ત્યાં ઘણો મોટો વર્ગ એવો છે જે દેખાદેખીથી પોતાનું બાળક પાછળ ન રહી જાય અથવા એ આધુનિક કહેવાય માટે માતૃભાષાને બદલે અંગ્રેજીમાં શીખવવાનો આગ્રહ રાખે છે. ઉપર જણાવ્યા પ્રમાણે, તેની કુદરતી શક્તિનો લાભ આપણે ઝૂંટવી લઈએ છીએ. આમ કરવાથી, આપણી સંસ્કૃતિ જેના પર આપણે ઉન્નત મસ્તક રાખી ગૌરવ કરવું જોઈએ, તેનાથી તેને વંચિત રાખીએ છીએ. જે મનુષ્ય પોતાની સંસ્કૃતિને, ગૌરવને સન્માન નથી આપી શકતો, તેનું પોતાનું, કે પોતાના કુટુંબ અને સમાજનું આગવું વ્યક્તિત્ત્વ શું રહે?
જો આપણે દુનિયાના ઈતિહાસમાં નજર નાખીશું તો ખ્યાલ આવશે કે દુનિયામાં જેટલા મહાન સાહિત્યકારો, લેખકો, કવિઓ, વક્તાઓ, કથાકારો વગેરે છે ને થઈ ગયા છે, તેઓએ તેમની મહાન રચનાઓ પોતાની માતૃભાષામાં જ આપી છે. ગાંધીજીએ પણ કહ્યું છે કે “રવીન્દ્રનાથ ટાગોરનું ચમત્કારી બંગાળી તેમના અંગ્રેજીને આભારી નથી. તેમની ચમત્કૃતિ તેમના સ્વભાષાભિમાનમાં છે.” ગીતાંજલી પ્રથમ બંગભાષામાં લખાઈ હતી. મહાત્મા મુનશીરામજી જ્યારે હિન્દીમાં પોતાનું વ્યાખ્યાન આપે છે, ત્યારે તે સૌ ખુશીથી સાંભળે છે ને સમજે છે. શ્રીયુત મદનમોહન માલવીયાનું અંગ્રેજી ચાંદી જેવું ઝળકી ઊઠે છે એમ કહેવાય છે, પણ તેમનું હિન્દી ગંગાના પ્રવાહ જેવું છે અને તેમના હિન્દી વ્યાખ્યાનનો પ્રવાહ શુદ્ધ કાંચન સમો ચળકે છે. બળબળતા મધ્યકાળમાં આપણે ત્યાં નરસિંહ, કબીર, દયારામ, તુકારામ, તુલસીદાસ, રામદાસ, પ્રેમાનંદ, શામળ ને દલપતરામ જેવા કવિઓ પોતિકી ભાષાના સાહિત્ય દ્વારા જે સામાજિક ચેતના પ્રકટાવી છે એનો વિકલ્પ શોધવા કઈ ભાષા પાસે જશું? આ ઉપરથી જણાય છે કે માતૃભાષાના વિકાસ માટે અંગ્રેજી ભાષાના જ્ઞાન કરતાં માતૃભાષા પરના પ્રેમની – આપણી ભાષાસંસ્કૃતિ પર આપણે શ્રદ્ધા રાખવાની જરૂર છે, પણ એ આપણે રાખી નથી શકતા, બરાબર?
- મુંબઈ ગુજરાતી સંગઠન
પ્રકાશના ધોધ અમોઘ ઝીલતી ધપે ધરા... - ઉમાશંકર જોશી
'પ્રકાશના ધોધ અમોઘ ઝીલતી ધપે ધરા...'- વીસેક વરસની વયે આ ચિત્રે સંવિદનો કબજો લીધો.
ત્યાં સુધીની મથામણોનો ખ્યાલ કરું છું ત્યારે થાય છે કે ઓછા વિદ્યાપોષણ ઉપર હું ઊછર્યો હતો. સાહિત્યનાં પુસ્તકો મારે રસ્તે આવ્યાં નહીં. ઈડરની અંગ્રેજી શાળામાં આગળ ભણવા ગયો. ત્યાં હેડમાસ્તરના ટેબલ પર પડેલું એન. એમ. ત્રિપાઠી કં.નું પુસ્તકોનું સૂચિપત્ર, એમાં કવિતાનાં અને અન્ય પુસ્તકોનાં તથા તેના કર્તાઓનાં રોમાંચિત કરે એવાં નામો હતાં. મારા મનને ભરી દેતાં. અભ્યાસવિષયોના શિક્ષકો ઘણા સારા મળ્યા, અભ્યાસમાં આગળ વધવું શક્ય બન્યું. પણ કવિતાશિક્ષક, ખાસ સાહિત્યરુચિ પોતે ધરાવતા હોય અને બીજામાં જગાડે-ખીલવે એવા શિક્ષક કે મુરબ્બી કે મિત્ર આખા શાળાજીવન દરમિયાન ન મળ્યા.
પણ મુખ્ય કામ કદાચ થતું આવતું હતું. ચિત્તને શબ્દો ગટકગટક પીવાની ટેવ. આંખ મૂળથી જ કાચી. તેમાં વળી કશીક ધૂનમાં ખોવાઈ ગયો હોઉં. આંખ બિચારી ઘણું જોવાનું ચૂકી જાય. ગમે તેવી ધૂનમાં પણ કાન સરવા. સંભવ છે ધૂન પણ કાનને કંઈક પહોંચ્યું તેના કારણે હોય. શબ્દે-શબ્દે આસપાસનો લોક ઊઘડતો આવે. ડુંગરો વહેળા નદી તળાવ ખેતર કૂવા પશુપંખી જીવજંતુ ઝાડીજંગલ ચંદ્ર સૂર્ય તારા વાદળ વીજળી ગડગડાટ વંટોળિયા કોરણ હિમ લૂ ધૂળ કાદવ શેરીઓ ઘરો ઝૂંપડાં મંદિરો ખળાં સ્મશાન વગડો ઉત્સવો મેળા પંચ ઝઘડા મારામારી બધાની વચ્ચે ઢોરઢાંખરથી અભિન્ન ભાવે જીવતાં સ્ત્રીપુરુષો બાળકો- એ આખો આશ્ચર્યલોક કાન દ્વારા-ભલે આંખ દ્વારા ઘણો બધો મળ્યો હોય તોપણ પૂરો સંદર્ભ રચીને તો કાન દ્વારા અંદર ગોઠવાતો - દિવસે-દિવસે જાણે કે ફેર-ગોઠવતો આવતો હતો.
માતાને ગીતો કથાઓનો રસ. સોમનાથ લંગડાનું વર્ણ કરતાં 'વડવાઈઓ જેવા એના હાથ' એમ એ કહી બેસે. પિતાજી(નિરક્ષર ખેડૂત પિતાના પુત્ર)ના અક્ષરોનો મરોડ (પ્રો. ઠાકોરમાં જ ફરી એવો જોયો છે), કલમ-હથોટી (પેનમૅનશિપ) અને ખાસ તો કથનની તાદૃશતા પ્રભાવિત કરે એવાં. મારા ગામના (કદાચ બધાં ગામો વિશે આવું હશે) વડેરાઓ- ભલે ને અભણ, મહાજન-વાણિયા, ઠાકોર-સૌ જેમ-તેમ બોલી નાખે જ નહીં, શબ્દનો સતત રસ લેતા રહે છે એવું મને લાગતું. એક દિવાળી ઉપર ગામ ગયો ત્યારે ઠાકોરસાહેબે એ વર્ષે ખૂબ ભારે વરસાદ થયેલો તેની વાત કરીઃ ભાઈ, શું કહું? ડુંગરા વહેલાઈ (વિશ્લથ-સાંધેસાંધે ઢીલા થઈ) ગયા, ધરતી તરવા લાગી! અમસ્તી બે પડોશણોની ગામગજવતી વઢવાડ(જેનાથી ક્યારેક તો જાગવાનું થાય)માં પણ હું તો એમની શબ્દોની સરસાઈમાં ગાયબ થઈ ગયો હોઉં. પંચમાં બેઠેલા ઘરડેરાને કે કોઈ માંદાની ખબર પૂછવા આવેલી વૃદ્ધાને સામાના હૃદયને શારી નાખવા માટે એક ટૂંકું વાક્ય તો ઘણું.
ગામ છોડવાનું આવ્યું ત્યારે 'આવજે!' 'આવજે!' - એ આપણી ભાષાના પ્યારામાં પ્યારા શબ્દની તરવરતી ફરફરતી પ્રેમપતાકાની જ પ્રધાનતા ચેતનામાં રહી. વળી આશ્ચર્યલોકની ક્ષિતિજો હળુહળુ આગળ હડસેલાતી જતી હતી. તેમાં મુખ્યતા આ પ્રેમભાવની જ વસી, પણ સાથેસાથે જે ક્લેશો - અકારણ ક્લેશો, વિદ્વેષો, વેરઝેર, ખાર, લોહીશેકણાં, જડ યાતનાઓ એ બધાને પાસ પણ એને લાગેલો હતો. આ બધું ઝીલાયું હતું શબ્દોમાં, બલકે મુખ્યત્વે શબ્દના નાદ અંશમાં- કાકુઓમાં, લહેકાઓમાં, ગીતોની ગતમાં, ટૂંકામાં કહેવું હોય તો લયમાં. 'આવજે' શબ્દ પાછળ ધબકતું વહાલ તો સ્પર્શી જાય જ પણ ચિત્તમાં રમી રહે તે તો રસ્તે દૂર નીકળી ગયા પછી પણ પાછળથી કાનને-હૃદયને પહોંચવા કરતો 'એએએ આવજેએએએ...!'નો આછો થતો જતો થરથરાટ.
ઈડર આવ્યા પછી આ શબ્દલયના ઉત્કૃષ્ટ નમૂનાઓ કવચિત્ - પણ કવચિત્ જ પાઠ્યપુસ્તકોમાં અને કોઈ હાથ લાગ્યું તે પુસ્તકમાં મળવા લાગ્યા. 'ફડફડ ફફડાવે ધૂળમાં ચલ્લી પાંખ,' 'તિથિપૂનમે શોભતા સાંજ ટણે.' 'પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું,' 'દૂરથી ધૂમસે પ્હાડ સરખો, નદી વચ્ચે ઊભો....દીસ્યો હાર્યો જોદ્ધો હરિતણું હૃદે ધ્યાન ધરતો,' 'શાંતિ! શાંતિ! ઝરમર ઝરી ગૈ ગળી વાદળી આ,' 'પિતા, કાલના સર્વ સંતાપ શામે,' - પણ ઘણા ઓછા નમૂના માર્ગમાં આવ્યા. મોટાભાઈએ સદભાગ્યે લૅમ્બ ભાઈબહેનની શેક્સપિયરની નાટ્યકથાઓ મોકલેલી તેમાંથી એ વખતે રાજાનો કેર વરતાતો એટલે '(રાજાનું નામ) has murdered sleep' એમ એમને કાગળમાં લખી મોકલ્યું. મનમાં-મનમાં શબ્દલયને કાગળ પર અવતારવાની ગડમથલ લગાતાર ચાલવા લાગી..
એક પ્રસંગ યાદ છે. અત્યારે તો ઈડરના ધૂળેટા દરવાજા બહાર સ્ટેશન સુધી મકાનો થઈ ગયાં છે ને વસ્તી અને આવનજાવન પ્રવૃત્તિ હિલોળા લેતી હોય છે. પણ ત્યાં એ વખતે કબ્રસ્તાનની પેલી તરફ આંબાવાડિયું હતું. ગઢની હિમાઈ ટોક પરથી નીચે જોતાં સહેજે હજારેક આંબા દેખાય. નાનકડી ડેભોલ નદી આંબાવાડિયાને વીંધી રાજાના વિશાળ બગીચામાં દાખલ થઈ આગળ વધતી. ચોમાસાની સાંજ હતી. આસપાસ ઝળૂંબતા ઘેઘૂર આંબા કે શ્વેત રેતીપટમાં સરકતી ડેભોલ કે ઘાસ વચ્ચે જગ્યા કરતો - જેની ઉપર હું ઊભો હતો તે - વ્યક્તિત્વથી ઝગમગતો ધૂળિયો રસ્તો, - કશામાં ધ્યાન ન ગયું. દૃષ્ટિ ઊંચે આકાશમાં જઈ ચઢી. રંગો, રંગો, વાદળ-રંગો! જાણે પહેલી વાર રંગો જોતો હોઉં એમ હું ઊભો રહી ગયો. મારું વતનનું ઘર ડુંગરની તળેટીએ છે, ત્યાંથી સૂરજ ઊગતી વખતના સામેના દૂર-દૂરના ડુંગર ઉપરના રંગો નહીં જોયેલા એવું ન હતું. પણ આ સાંજની વાત જુદી હતી. જાણે કશાક રંગમયની ઉપસ્થિતિ અનુભવી. એને માટે 'રંગ' શબ્દ વાપરવાથી શું વળવાનું હતું? કોઈક એવી આભા હતી જે જાણે શબ્દથી અણબોટાયેલી રહેવા નિર્માઈ ન હોય!
ભીતર વદ્વિંગત થતો વિસ્મયાનંદ, બહાર શબ્દોની અને એ વખતે હાથવગા થતા આવતા સરળ છંદોની મદદથી મન જેટલો ઘાટ ઘડે તે બધા પેલા વિસ્મયથી- આનંદની હજારો ગાઉ દૂર, ફીકા, અણઘડ, શામળાજી પાસેના મેશ્વોતટ ઉપરની જાંબુની કુંજોનાં પાણીમાં પડતાં પ્રતિબિંબને શબ્દસ્થ કરવાની ઊંડી અમૂંઝણ - અકળામણ અત્યારે પણ એ વખતના જેટલી જ સ્મરણમાં તાજી છે.
શબ્દલય ઉપરાંત ગીત ચિત્ર અજમાવવાની પણ વૃત્તિ ડોકિયું કરી ગઈ. છાત્રાલયના ગૃહપતિના ટેબલ પાસેના પટારા પર અમે ત્રણ વિદ્યાર્થી બેઠા હતા. ગૃહપતિના કહેવાથી પહેલાએ ગાયું. પછી એણે હવે મારે ગાવું એમ પ્રસ્તાવ મૂક્યો. હું એ જ ક્ષણે સંકોડાઈ પાછળની ભીંતને અઢેલતો બેઠો. ગૃહપતિએ નોંધ્યું : એ શું ગાશે? જોયું નહીં, પાછો હઠ્યો! સંગીત હું ચૂકી ગયો. એક પંચાલ વિદ્યાર્થી અજબ કાબેલિયતથી સરોવરજળના કમળમાં ઊભેલી લક્ષ્મીની મૂર્તિનું મોટું ચિત્ર કરતો. મેં એ અજમાવ્યું. નેપોલિયન બોનાપાર્ટની છબી, એના દર્પમય લલાટ પર આગવી છટાથી ફરકતી લટ સાથે, પેન્સિલથી મેં આલેખી. કંઈક આત્મવિશ્વાસ આવ્યો. પણ ચિત્રની-સંગીતની (એ વખતે એની તાલીમના વર્ગો તો નહોતા) મુશ્કેલી એ છે કે ચિત્રો કરતાં તમને બધા ટોળે વળીને જુએ, ગાતાં તમને બીજાઓ સાંભળી જાય. શબ્દલયની રમત એવી કે મનમાં-મનમાં જ ચાલ્યા કરે. (જેમ કિશનસિંહે ત્યાં સાંજે દીવા નીચે હું પ્રૂફ સુધારતો હતો ને એમના નોકરે કૌતુકપ્રશ્નમાં સૂચવેલું : 'આ બધું તમે મગજમાંથી જૉઈન્ટ કરો છો?') ઘડીએ ભાંગી ઘડીએ એ બધી ઘડ-ભાંજ ભાંજ-ઘડ અંદર આવ જા ચાલે. એ અને આપણે. શું હું શરમાળ હતો, ગોપનશીલ સ્વભાવનો (સિક્રીટિવ) હતો? કોઈને લખેલું બતાવતો નહીં. એક વાર એક મિત્રને હોંસે હોંસે દેખાડવા ગયો. જો, તારું નામ લીટીઓના પહેલાપહેલા અક્ષરોમાં છે. એકબે પંક્તિઓ સાંભળીને કોણ જાણે કેમ એણે જોસથી મારી નાનકડી નોટબૂક આંચકી લેવા પ્રયત્ન કર્યો. હું નાઠો. એ હતો પણ કદાવર. પછીથી એ મિત્રે એકરાર કરેલો કે હું જમવા ગયો ત્યારે એ પાછળ રહ્યો હતો અને મારી પેટીમાંથી નોટબુક કાઢી કવિતા પોતે વાંચી લીધી હતી અને વાંચીને એને એવો તો ગુસ્સો ચઢ્યો કે રાતે ખુલ્લા ચપ્પુ સાથે એ મને મારી નાખવા આવેલો પણ પછી એણે વિચાર ફેરવ્યો- મને જતો કર્યો! છંદોવ્યાયામનો અંજામ આવો આવવા છતાં એ ચાલુ જ રહ્યો. પાઠ્યપુસ્તકમાંની રાજા આલ્ફ્રેડ છૂપા વેશે ભરવાડને ત્યાં નોકર તરીકે રહે છે ને યુદ્ધ-વિચારે ચઢી જતાં દૂધ ઊભરાય છે તેનો એને ખ્યાલ રહેતો નથી. અને ઠપકો પામે છે એ કથા વનરાજ અંગે કવિતામાં લખી 'નવચેતન'ને મોકલી, પણ છપાઈ નહીં.
છાત્રાલયમાં આવ્યો ત્યારે ગુજરાતી નિશાળમાં ભણવા જનાર એક માત્ર વિદ્યાર્થી પન્નાલાલ પટેલ તે મારા રાહબર હતા. અંગ્રેજી નિશાળમાં ચાર વરસ સાથે ભણ્યા અને પછી એ ઈડર છોડી ગયા. એક વાર્તાની ચોપડી (જેનો નાયક 'શૂરસિંહ' હતો) બારીમાં ગૂંચળું વળીને ગોઠવાઈ તેઓ રસપૂર્વક વાંચતા તે મને પણ એમણે વાંચવા આપેલી. કદાચ બીજી પણ બેત્રણ એવી નવલકથાઓ મેં વાંચી હોય. મેં પણ એક નવલકથા લખવી શરૂ કરી. રોજ રાતે, બધા સૂઈ જાય તે પછી (કોઈ જૂએ તે તો મને પાલવે નહીં) એક પ્રકરણ લખું, છ રાત સુધી નિયમિત એ રીતે લખ્યું. પછી તકલીફ ઊભી થઈ. રાજકુમારી વિજન ડુંગરના ભોંયરામાં કેદ હતી. એને કેમ છોડાવવી? વાર્તાનાયક નારસિંહ એક મોટા મકાનના પહેલે માળે આવેલા વિશાળ ખંડમાં બંને હાથથી તબિયત વાળી લાંબા ડગલા ભરતો એને છોડાવવાના ઈલાજ વિચારતો આંટા મારી રહ્યો હતો. બહાર ચાંદનીમાં વૃક્ષોના ઓળા ભૂતાવળા જેવા ભાસતા હતા. શરમની વાત છે કે નારસિંહને કોઈ ઈલાજ ન સૂઝ્યો તે ન જ સૂઝ્યો. એ હજી આંટા મારતો હશે અને રાજકુમારી હજી ડુંગરના ભોંયરામાં હિજરાતી હશે!
મૅટ્રિકના વરસમાં અમદાવાદ ભણવા આવ્યો. તબિયત સાચવવી અને બરોબર ભણવું એ બે એવડાં મોટાં કામ હતાં કે માંડ એકાદ રચના અજમાવી હોય. ન્યૂ હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓએ એ વરસે મૅટ્રિકના અભ્યાસ માટે પ્રો. લાગુએ કરેલા અત્યંત સુંદર અંગ્રેજી પદ્ય સંચયની કવિતાઓનો ગુજરાતી કાવ્ય-અનુવાદ બહાર પાડ્યો હતો. 'લીડ કાઈન્ડલી લાઈટ'ના, નરસિંહરાવ તેમ જ 'કાન્ત'ના, બંને અનુવાદ અમારા આચાર્ય બલવંતરાય પરમોદરાય ઠાકોરે વર્ગમાં ચર્ચ્યા. ભણવાનું તો પતાવેલું, એટલે નાતાલની રજાઓમાં શાળાના પુસ્તકાલયમાંથી સંસ્કૃત 'ઉત્તરરામચરિત' લઈ આવ્યો અને મણિલાલ નભુભાઈના સુંદર અનુવાદ સાથે આસ્વાદ લીધો.
કોલેજમાં જતાંની સાથે સાહિત્યનાં પુસ્તકો ઉપર ભૂખ્યાની જેમ તૂટી પડ્યો. દિવાળીની રજાઓમાં અમે ત્રણ મિત્રો આબુ ગયા. આબુરોડથી ચાલતા ચઢ્યા. આબુ એ આનંદરાશિ ન હોય! ખીણમાં ગાજતો નિર્ઝર એ આનંદદ્રવ ન હોય! છેલ્લાં ત્રણેક વરસમાં ક્ષણક્ષણની કણકણની પૂંજી ભીતર સંચિત થયાં કરતી હતી, શબ્દલય-ભાષાલય, બાળકને થતું હશે તેવી જ કોઈ રીતે, ફૂટુંફૂટું થવા કરતો હતો, 'નખી સરોવર પર શરતપૂર્ણિમા' સૉનેટનો 'સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે' એ કાવ્યદીક્ષામંત્ર પામીને તે જંપ્યો. જાહેર સમક્ષ ઊભા રહેવા ન રહેવાનો હવે સવાલ ન હતો. ગુજરાત કૉલેજ મૅગેઝિનમાં કૃતિ છપાઈ. ('સૌંદર્યો પી'ની જગ્યાએ 'સૌંદર્યોથી' એવી છાપભૂલ સાથે)
બીજા વરસમાં ત્રણચાર સંસ્કૃત રચનાઓ થઈ, આજે પણ જાળવું એવી. ખાસ તો કીટ્સના 'લા બેદ દામ સાઁ મેર્સી'ની બે કડીના અક્ષરશઃ કરેલા અનુવાદ (लम्बासकां लघुगतिं ललितां स्थलीषु व.)ના બે શ્લોક. બીજા શ્લોકમાં એ વખતે बद्धभावा સમાસ પણ કેવી રીતે સૂઝ્યો એનું કૌતુક રહ્યું છે. 'શાકુંતલ'-(અંક 3)માં એ સમાસ યોજાયો છે, પણ એ વખતે એ નાટક આખું વાંચેલું? (પછીથી 1934માં મુંબઈ કૉલેજમાં હતો ને અંગ્રેજીમાં રચનાઓ કરી. 'ધિ એલ્ફિન્સ્ટોનિયન'માં છપાઈ. એવામાં કવિ શ્રી હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય સાથે ગાઢ સંપર્ક થયો હતો. કહે કે અંગ્રેજી 'એશિયા' સામાયિકમાં છપાવું. મેં ના કહી, મને ગુજરાતીમાં જ લખવા દો.)
કૉલેજના બીજા વરસને અંત 1930માં સત્યાગ્રહની લડતમાં ઝંપલાવતા નવાવતાર જેવો અનુભવ થયો હતો. લડત દરમિયાન ક્યારેક-ક્યારેક લખાતું. કાચી જેલમાંથી મોકલેલી કૃત્તિઓ 'કુમાર', 'કૌમુદી'માં પ્રગટ થઈ. સાબરમતી અને યરોડા જેલમાં વાચનયજ્ઞ ચાલ્યો. મરાઠી, ઉર્દૂ, બંગાળી શીખવાનું શરૂ કર્યું. લખવાનું થયું નહીં. લેખનસામગ્રીની મનાઈ હતી. પણ મારા લેખકજીવનની, સમગ્ર જીવનની પાયાની અનુભૂતિ સાબરમતી જેલમાં થઈ. કોઈ કારણે સાથીઓથી છૂટા પડી બીજી બૅરૅકમાં અને વળી ત્રીજીમાં જવાનું થયું. ચાર વાગ્યે અંદર પૂરી દે. સો જણ માટેની મોટી બૅરૅકને ઓતરાદે છેડે બારી પાસે ઊભો રહીને વાંચું. અને પછી રાત્રિ-આકાશમાં સપ્તર્ષિને જોઈ રહું. મનમાં હસું કે બહાર હતો ત્યારે તો કદી તારાઓ ઉપર આટલું વહાલ ઊભરાઈ આવતું ન હતું. ખગોળ ઉપરનું 'જ્યોતિર્વિલાસ' વાંચ્યું. તારકપ્રિય કાકાસાહેબને મળવાની હજી વાર હતી. સો વચ્ચે, સૌ વચ્ચે હું એકલા જેવો હતો. આટઆટલામાં નહીં, દૂર-દૂરનાં નક્ષત્રો સાથે સંપર્ક વિકસ્યો. ભાવાનાત્મક વાચન પણ ચાલતું. ભાવાવેશનો પાર ન હતો. રાષ્ટ્રપ્રેમના વિરાટ રંગ ઉપર તો અમે સૌ ઊંચકાયેલા હતા જ. તેવામાં રોજ સવારે વહેલા ઊઠી દીવાલથી જરીક દૂર- ઊંઘી ન જવાય તે માટે અઢેલ્યા સિવાય- ટટ્ટાર બેસવાની ટેવ કેળવવાનું સૂઝ્યું. એક પ્રાતઃકાળે માથા પર જાણે કોઈ અગોચર સ્પર્શ થયો અને એના વજનવેગ નીચે દબાઈને આખું અસ્તિત્વ જાણે પૃથ્વીની સપાટી સાથે સમરેખ થઈ ગયું, પૂર્ણ આત્મવિલોપનનો- પ્રકાશભર્યા આત્મવિલોપનનો ભાવ ઊભરાઈ રહ્યો. શૂન્યતાનો નહીં, સભરતાનો અનુભવ હતો. આ તરંગ હશે? ભ્રમ હશે? જાગ્રત સ્વપ્ન હશે? આ ક્ષણે પણ પૃથ્વીસપાટી સાથે સમરેખતાનો અને સાથેસાથ સભરતાનો ભાવ સુરેખ ચતેનામાં તાજો છે. આ અનુભવવા પ્રભાવ નીચે મને એક નાટક સૂઝ્યું. નક્ષત્રો-ધ્રૂવ, અરુધન્તી અને સ્વયં કાલ એમાં પાત્રો છે. પ્રથમ દૃશ્યમાં કાલ કહે છે કે સૌન્દર્યની તો સ્થાપના સફળતાપૂર્વક થઈઃ
તેજને પૂર્યું તારલિયે,
દીધ પરિમલને ફૂલવેશ.
હવે વિશ્વમાં પ્રેમતત્વની પ્રતિષ્ઠા થયેલી પોતે જુએ એટલે બસ.
બીજું દૃશ્ય ગ્રહમાલાનું છે. સૌ પૃથ્વીને ટપારે છે કે એને લીધે સૂર્યગ્રહમાલા વગોવાય છે. ત્રીજું દૃશ્ય છે ધરતી અને મહાપ્રજાઓનું. બીજા અંકમાં પહેલું દૃશ્ય મહાભારતને અંતે યુધિષ્ઠિરને થતા યુદ્ધવિષાદનું છે. બીજાના વિષ્કમ્ભકમાં ઈશુ શિષ્યોને વિદાયવચન કહે છેઃ વરુઓનાં ટોળાંમાં તમારે અજશિશુ તરીકે જવાનું છે. મૂળ દૃશ્ય પહેલા વિશ્વયુદ્ધને અંતે વરસાઈ કરાર પર સહીઓ થઈ રહી છે તે જ સમયે પૅરિસના એક કાફેમાં જુદાજુદા દેશોની કેટલીક વ્યક્તિઓના ઉગ્ર પ્રતિભાવો અને તીવ્ર આશંકાઓ અંગે છે. ત્રીજું દૃશ્ય યુદ્ધના વિકલ્પ તરીકે સમૂહસત્યાગ્રહના નિર્દેશનું- ધારાસણા સત્યાગ્રહનું છે. ત્રીજો અંક પૃથ્વીની મહાપ્રજાઓ વચ્ચે સંવાદનો ઉદય- સૂર્યગ્રહમાલામાં ઊજળે મુખે ફરતી પૃથ્વી- પ્રેમની પ્રતિષ્ઠા થઈ રહી છે એવા કાલને મુખે થતા ધન્યતા ઉદગાર- એ ક્રમે નાટકની પરિણતિ સાધે છે.
આ નાટકને મારે માટે એક આખો અભ્યાસક્રમ નિશ્ચિત કરી દીધો. જેલ બહાર આવ્યા પછી ગુજરાત કૉલેજમાં પાછો ન જતાં ગુજરાત વિદ્યાપીઠમાં હું ગયો. ત્યાં સમૃદ્ધ પુસ્તકાલય અને જંગમ વિદ્યાપીઠ જેવા કાકાસાહેબ. ત્યાં પહેલા અંકની રૂપરેખા આલેખી. 'યુધિષ્ઠિરના યુદ્ધવિષાદ' લખાયું. ત્યારથી ગંભીરતાથી મહાભારતના સ્વાધ્યાયમાં સ્થિર થયો. પ્રજાઓના ઈતિહાસ અને પહેલા વિશ્વયુદ્ધ અંગેનું સાહિત્ય ઉથલાવતો રહ્યો. 1932માં વિસાપુર જેલમાં 'સાપના ભારા' આદિ વાસ્તવદર્શી એકાંકીઓ લખ્યાં તે પછી વરસાઈના કરાર અને ધારાસણાસંગ્રામનાં દૃશ્યો પણ લખ્યાં. જેલની એ નોટબુક ક્યારેક-ક્યારેક હાથમાં લઉં છું, પણ કદી એ બે દૃશ્ય ફરી વાંચ્યાં નથી, નથી હજી પાકી નકલ સુધ્ધાં કરી.
1931માં વિદ્યાપીઠ રહ્યો તે સમયમાં નાટકની તૈયારી કરતાં કરતાં 'વિશ્વશાંતિ' સૂઝ્યું અને તે પાંચેક દિવસમાં લખાઈ ગયું. 'વિશ્વશાંતિ'નું કેન્દ્રભૂત દ્રશ્ય છેઃ
પ્રકાશના ધોધ અમોઘ ઝીલતી
ધપે ધરા નિત્યપ્રવાસપંથે.
પેલા નાટકનું કેન્દ્રભૂત દૃશ્ય પણ એ જ છે. પ્રકાશ તે પ્રેમનો સંવાદિતાનો શાંતિનો હોય એ બંને કૃતિઓમાં અપેક્ષિત છે. મારી સંવિદ ઓગણીસ-વીસ વરસની ઉંમરથી આ (સતત-ચલ એવી) ખીંટીએ પકડાઈ છે, વળીવળીને એ તે-તે ક્ષણે પૃથ્વી એની યાત્રામાં જે બિંદુએ હોય ત્યાં એને ચિંતવી રહે છે.
માણસ તો પૃથ્વી પર હમણાં આવ્યો. અબજો વરસ સુધી જે 'પ્રકાશનો ધોધ' એ ઝીલતી હતી તે પ્રેમનો પ્રકાશ હતો? ગમે તેમ, પણ માણસ આવ્યા પછી પૃથ્વી પર એ જે ડખો કરી બેઠો તેમાંથી ઊગારવા પ્રેમના પ્રકાશ સિવાય ભાગ્યે જ કોઈ વારણ હોય.
ઉપરની બે પંક્તિઓ પછી તરત નીચેની બે પંક્તિઓ આવે છેઃ
ઝૂમી રહી પાછળ અંધકારની
તૂટી પડી ભેખડ અર્ધ અંગે
પૃથ્વીને અન્વયે પ્રકાશવિરોધી અંધકારની ભેખડો, માનવને અન્વયે પ્રેમવિરોધી તત્વો- દ્વેષ વૈર ગૃધિષ્ણુતા અસહિષ્ણુતા - ની, એક શબ્દમાં દુરિતની.
પ્રકાશના ધોધ ઝીલતી, વેગથી ધપતી ધરાના ચિત્રે મારી સંવિદનો કબજો લીધો ને મારે માટે પાર વગરની મુશ્કેલીઓનો આરંભ થયો. અલબત્ત, આંતર ઘડતરનો એક માર્ગ ખૂલ્યો. નમ્રપણે ધીરપણે યથાશક્તિ એ અપનાવવો રહ્યો, જો એમાં ક્યારેકય સંવિદમાંથી કવિસંવિદ નીપજે.
1932માં પ્રથમ એકાંકી ઈશુ વિશે ('શહીદનું સ્વપ્ન') રચાયું. પણ થોડા દિવસોમાં જ મારા ગામની ભાષા એક પછી એક એકાંકીમાં બોલવા લાગી. એ વગર એનો છૂટકો ન હતો. પણ મુખ્ય વાત તો નાટ્યપ્રકાર પર હથોટી કેળવાય એ હતી. પેલું નાટક લખવાનું હોય (કવિમિત્ર રામપ્રસાદ શુક્લે એ સમયમાં નવરંગપુરા આગળ નદીના બેટમાં અમે વાતો કરતા હતા ને કહેલું કે હું હોઉં તો બાર વરસ આના ઉપર કામ કરું), તો પણ આપણી ભાષામાં નાટ્યપદ્ય નિપજાવવું જોઈએ. 'પ્રાચીના' અને 'મહાપ્રસ્થાન'માં એ દિશામાં કંઈક ગતિ કરી. દુરિતની 'ભેખડો'નો જાતપરિચય- કંઈ નહિ તો મોઢાની ઓળખ- અનિવાર્ય. 'સાપના ભાર'માં જ એવી ઓળખનાં એંધાણ છે. નિવેદનમાં થોડોક ખંચકાટ પણ પ્રગટ થયો છે: "આ નાટકોની સૃષ્ટિ જોઈને લખનારાને કોઈ દોષદેખો, અનિષ્ટચિતંક (cynic) ન ગણે એમ વિનંતી કરું છું. કોઈ વાર ફૂલો જોઉં છું ત્યારે સહજ મનમાં થાય છે, 'ફૂલો પણ છે!' તેવામાં જ 'આત્માનાં ખંડેર' સૉનેટમાલામાં અસ્તિત્વવાદી આંતરયાતનાના અને અસારતાવાદના, કાંઈક આગોતરા, ઓછાયા છે અને સાથે જ યથાર્થ સ્વીકારની ઘોષણા છે. એ જ વલણ 'સમયરંગ' અને 'નિરીક્ષક'ના અગ્રલેખો લખાવે છે અને રાજ્યસભામાં વખત આવ્યે પ્રવચનો કરાવે છે, નવી પર્યાપ્ત લયઈબારતની ખોજપૂર્વક 'છિન્નભિન્ન છું', 'સ્વપ્નોને સળગવું હોય તો', 'મૃત્યુરક્ષણ' રચનાઓ કરવા પ્રેરે છે. પૃથ્વીની યાત્રાની શક્યતાઓ અંગેની એક ક્ષણ ઝાંખી 'ધારાવસ્ત્ર'માં છે તો બીજીની 'માઈલોના માઈલો'માં. તો એ યાત્રા પ્રકાશાભિમુખ હોવાનો - ભલે પછી અનંતકાળમાં ક્યારેક પૃથ્વી પોતે પણ નહીં હોય- આ ક્ષણે અનુભવાતો સમુલ્લાસ 'પંખીલોક'ની એક પ્રકારની સિમ્ફની(રાગિણી)રૂપે પ્રગટવા કરે છે.
પંદકસત્તર રચનાઓ 'વિશ્વશાંતિ' પછી વાર્તા એકાંકી આદિની થઈ હતી ત્યારે એની એક નાના કાગળ ઉપર યાદી કરેલી તે હજી પડી છે. ઉપર બ્રાઉનિંગની પંક્તિ લખી હતી: 'The petty done, the undone vast' ('બન્યું લગરીક, અણબન્યું અપાર). પહેલા 'લેખકમિલન' આગળ હું બોલી ગયો હતો : બે ભમ્મરો વચ્ચે કંઈ-કંઈ પાત્રો ઊછળે છે. 'ઉગમણે બારણે' નવલકથાની 1938ની રૂપરેખા સચવાઈ છે. વરસ પછી આપણા વિદ્વાન રસિકલાલભાઈ પરીખને લોકલમાં ચર્ચગેટ સ્ટેશનથી અંધેરી આનંદશંકરભાઈને મળવા જતાં અને પાછા ગ્રાન્ટરોડ આવતાં સુધી એ કથા કહેલી. તેઓ કહે, એમાંનો ભાગવત સોશયલિસ્ટ તે પોતે જ છે. અમદાવાદ વિદ્યાસભામાં હું જોડાયો તે પછી મને વઢે, લેખ શું લખ્યા કરે છે, પેલી કથા લખને, એક કોરી નોટબુક આપી જાઉં? એ કથાની પૂર્વકથા 'ઉંબર બહાર' કુમારના 200મા અંકમાં શરૂ કરી, ચાર પ્રકરણે બંધ થઈ. નિયમિત હપતા આપવાની મારી ગુંજાશ નહીં. એ કથાનો ત્રીજો-ચોથો-પાંચમો ભાગ અનુક્રમે 'સાત લાખ સેવાગ્રામ', 'કુટુમ્બિની', 'પરિવાજક' કલ્પેલા છે. એ અત્યારે લખાય તો અવનવા ઢંગે જ આવે. ક્યારેક-ક્યારેક વિદ્વાનોએ સૂચવ્યું છે અને હું પણ (સારાસારા મિત્રોને ચીમકી લાગે છતાં) બોલ્યો છું કે ગાંધીજી વિશે કંઈક લખવું. પણ કહું? વળી અહીં વાહનનો પ્રશ્ન ઉકેલવાનો રહ્યો. પ્રેમાનંદને ભાષાએ આપેલું વરદાન બીજો કોઈને એ આપે?
પેલું નાટક એ ગાંધીનાટક જ છે. ગાંધી, જેમજેમ આજની યંત્રોદ્યોગ-સંસ્કૃતિ આગળ વધે છે તેમતેમ, વધુ ને વધુ સંગત (રેલેવન્ટ) બનતા જાય છે. ચારેક વરસ પહેલાં નોબેલ પારિતોષિક વિજેતાઓ(જેમાં અતિઆધુનિક લેખકો પણ હતા)એ માનવજાતિ આત્મનાશના આરેથી પાછી વળે અને જરૂર પડે ત્યાં જનસમાજો અને વ્યક્તિઓ ગાંધીએ ચીંધેલા માર્ગનો આશ્રય લે એવી જાહેર અપીલ કરી હતી. ગાંધીની વાત એ તાતી જરૂરિયાત બનતી જાય છે. ગાંધીયુગ તો હજી હવે આવશે.
પ્રકાશ ઝીલતી ધપી રહેલી પૃથ્વીનું ચિત્ર દસકે-દસકે વધુ સંગત અને તાદૃશ લાગે છે. નરી આંખે એ દૃશ્ય ચંદ્રયાત્રીઓએ જોયું એટલી હદે સ્થૂલ અંતરિક્ષપ્રદેશ પણ માનવ માટે ઘરઆંગણું બની રહ્યો છે. પૃથ્વી એની યાત્રામાં અત્યારની આ ક્ષણે જે બિંદુએ છે ત્યાં એની-માનવકુળ પૂરતી-શી સ્થિતિ છે? સર્વનાશની સામગ્રીના ખડકલા, બધું હાલાહલ બહાર આવે એવા સંસારમંથનના ઉધામા, સિત્તેર ટકા માનવજાતની ચાલુ તંગ હાલત, નેતૃત્વના દેવાળા જેવી સ્થિતિ, માત્ર રડ્યાંખડ્યાં સંવેદનશીલ જગતનાગરિકોની આ બધા અંગે સમાનતાભરી નિરંતર ઊંડી ચિંતા-અને તે પણ બર્ટ્રાણ્ડ રસેલમાં હતી એવી સક્રિય તો નહિવત્, -એ બધું સંવિદનો ભાગ તો બની શકે. એમાંથી કવિસંવિદની નીપજ એ જુદી વાત છે. કવિસંવિદ- કાવ્યાવતરણ એ એવો કીમિયો છે કે બ્લેઈક કહે છે તેમ 'રેતીકણમાં અનંતતા' સમાય, કુહાડાના ઘાથી ઝાડ પડતાં નિરાધાર ડુંગર ફસડાઈ પડ્યા જેવું થાય તેમાં વિશ્વનું ડૂસકું સંભળાય. અને બે લીટી અરે એક લીટીની પણ કાવ્યકૃતિ જો અભિનવગુપ્ત કહે છે તેમ 'વિશ્રાન્તિ'નો અનુભવ કરાવી રહે તો વિશ્વશાંતિના મહાલયના ચણતરમાં એક નક્કર ઈંટ ઉમેરાય.
ભલે પેલું નાટક (કે પદ્યનાટક) થયું નથી, પણ 1949માં આકાશવાણીએ 'A poem is born(કવિતાનો જન્મ)' ઉપર બોલવા સૂચવ્યું ત્યારે કહેલું તેમ "એ કાવ્યકૃતિ સૂઝી એ પછીથી ભલે એ પોતે રચાઈ નથી, એમાંથી બીજી અનેક નાનીમોટી કૃતિઓ ઉદભવી છે. Poems are born." માણસની કૃતિઓ કદાચ એક નહીં થયેલી કૃતિના પ્રકારાન્તો જ હોય.
'પોતાને મૃત્યુએ કેશથી ઝાલ્યો હોય એમ માણસે ધર્મના આચરણમાં મંડી પડવું જોઈએ'- એ વાત મને ઠીક લાગી નથી, - કાળ અનંત હોય એમ સૂક્ષ્મ વસ્તુઓના સેવનમાં માણસે ચાલવું જોઈએ. અમસ્તા 'અખોઃ એક અધ્યન'ને અને 'કલાન્ત કવિ'ને દુરસ્ત કરતાં-કરતાં છપાવવા અનુક્રમે બાર અને ચૌદ વરસ લાગ્યાં. 'શાકુન્તલ'નો અનુવાદ કરી બેઠો, પણ ગીતિઓ આર્યાઓ બરોબર કરીને મારાથી શક્ય એવી શ્રદ્ધેય આવૃત્તિ (ત્રીજી) આ વરસના કામને પરિણામે આપી શકાશે, અનુવાદની પ્રથમ હસ્તપ્રત કર્યા પછી છત્રીસ વરસે. 'સપ્તપદી'ની સાત કૃતિઓએ પચીસ વરસ ભલે લીધાં. સર્જનયાત્રામાં સહજપણે નવાનવા આરંભો થયે જ ગયા છે. 'ધારાવસ્ત્ર' પછી કંશુક નવતર ન થઈ બેસે તો જ નવાઈ. ઉત્સાહ હજુ શિખાઉનો છે.
મને કવિતા, રાજકારણ (જાહેર બાબતો- 'પબ્લિક એફેર્સ'ના વિશાળ અર્થમાં) અને ધર્મ એકંદરે જુદાં જણાયાં નથી. (સાબરમતી જેલની પેલી કેન્દ્રિય અનુભૂતિએ ચીંધેલી રચનામાં ત્રણે અનુસ્યૂત છે.) કવિધર્મ, સમાજધર્મ, આત્મધર્મ તત્વતઃ એકરૂપ સમજાય છે. એક જ પસંદ કરવાનો પ્રસંગ આવે તો આત્મધર્મને પ્રાધાન્ય મળે, જોકે કાઠું તો કવિધર્મ અનુસરનારાનું ઘડાઈ ગયું તે ઘડાઈ ગયું. દરેકમાં એના સંસારથી ચેતવાનું. સામયિકનું સંપાદન પોતે થઈને માથે વહોર્યું એટલે તો સંસાર ન રચી બેસાય એ ખાસ સંભાળવાનું. કોઈ શાળામાં ન પેઠા, રખે શાળા સ્થાપી બેસાય. કવિતાના સંસારથી બચવાનું ઓછું મહત્વનું નહીં. 'છિન્નભિન્ન છું'-રચના દ્વારા નવો દિશાવળાંક આંકીને, પહેલી અને છેલ્લી વાર, જવાબ અને તે પણ આપણા એક ઉત્તમ કાવ્યમર્મજ્ઞને આપવામાં ઊતરી, ધર્મ અને રાજકારણના સંસારમાં ન સપડાઈએ તો કવિતાના સંસારમાં શા માટે - એમ કેવળ રચના કરતા રહેવા ઉપર જે શક્તિ હોય તે કેન્દ્રિત કરવાનું વલણ રહ્યું. છેવટે તો રચના જ મહત્વની છે. આમે લખવાનો સમય ઓછો રહે છે. એથી બીજી રીતે -કહો કે આખા સમયના- લેખક થવાનું ભાગ્યે જ પસંદ કરું. એ રીતે લેખક થઈ શકાય એમ મારા પૂરતું તો માની પણ ન શકું. સર્જક-રચના કરતો ભાગ્યે જ પકડાઉં. જરૂર છે તે તો એક જાતની નિરંતર સંપ્રજ્ઞતા (awareness)ની અને તેમાંથી કવિસંવિદ નીપજે તો તેને પહોંચી વળે એટલો, શ્રમ કરવાની ફાવટની, તેમ જ કૃતિના પ્રાણરૂપ સૂરની - જે તો કયે બિંદુએ રહીને રચના કરીએ છીએ તેની ઉપર આધાર રાખશો.
શબ્દ એક એવો ઘોડો છે જે જરીકમાં પાડી નાખે. ઘણી વાર પ્રશ્ન થાય કે શબ્દ સાથે ક્યાં પનારું પડ્યું. આના કરતાં, કહો કે, સુથાર થયા હોત તો કેવું! પણ પછી થાય છે કે ખુરશીના પાયા બરોબર ન કર્યા હોય તો ગ્રાહક આવીને આપણા માથામાં મારે તો એને એવો અધિકાર હોઈ શકે. વિવેચકો (મારો પેલો નાનપણનો મિત્ર સુધ્ધાં) છેવટે તો અહિંસક છે. રચનાકારે પોતે જ શબ્દને -શબ્દલયને વફાદારીપૂર્વક એના યોગ્યતમ સ્વરૂપે સ્થાપવો રહ્યો. જમાનાના આશીર્વાદરૂપે જે અનેકવિધ ઉત્તમ કવિતાનો ભાવક તરીકે આનંદ મેળવ્યો છે તેણે ભીતર સર્જકના કાનમાં એટલું અવશ્ય કહ્યું છે : જોજે હોં, તને વાંચવા પ્રેરાય તેની તારે હાથે વંચના ના થાય.
ચાલો મન, વિશ્વશાંતિના એ નિરંતર આકર્ષતા 'પ્રકાશના ધોધ અમોઘ ઝીલતી ધપે ધરા...' એ રોમહર્ષણ કલ્પનાચિત્રને યથાર્થપણે સાક્ષાત્કરવા.
જુલાઈ 21-24, 1984, અમદાવાદ.
(‘સર્જકની આંતરકથા’માંથી.)
કેળવણી? એ વળી શું?
આજે આપણે બધા હૈયાવરાળ કાઢતા હોઈએ છીએ કે જુઓ તો આપણો સમાજ કેવો થઈ ગયો છે? બધે પૈસાની બોલબાલા છે, સંસ્કાર નામની કોઈ ચીજ જ નથી રહી; માન, સન્માન, લજ્જા, શરમ શેનીય કોઈને પરવા નથી. ખોટાં કાર્યો, જૂઠ્ઠું બોલવું, ચોરી, લૂંટફાટ, વ્યભિચાર, બળાત્કાર, આ બધું વધતું જ જાય છે. છાપાંઓ ભરી ભરીને આ જ બધું આવે છે, ખરેખર કળિયુગ આવી ગયો છે. બધા પોતાનામાં જ મસ્ત છે સમાજ કે દેશની કોઈને પડી નથી. આ થવાનું કારણ ખરેખર તો આપણી ખામીયુક્ત શિક્ષણ વ્યવસ્થા છે. કહેવાય છે ને કે કૂવામાં હોય તો જ હવાડામાં આવે! અને આપણા સંસ્કાર ઘડતરના પાયામાં જ દુષણો રહેલાં છે.
"આપણી શિક્ષણ વ્યવસ્થાએ આપણને બૌદ્ધિક ગુલામીમાંથી હજુ મુક્ત નથી કર્યાં. સારાં ભવિષ્યના નિર્માણ માટે નાનપણથી જ જે વાતાવરણ, જે કેળવણી બાળકને મળવી જોઈએ તેને બદલે બાળકના શિક્ષણની શરૂઆત ડોનેશન આપીને થાય છે. શિક્ષણના વ્યવસાયીકરણની સાથોસાથ, બાળકોમાં મૂલ્યોનો હ્રાસ થતો જાય છે. બાળક મૂલ્યોને બદલે પૈસાને વધારે મહત્વ અપાતું જુએ છે અને એ જ શીખે છે અને ધીમે ધીમે પોતાની જ સંસ્કૃતિનાં મૂળિયાંથી છૂટું પડતું જાય છે. ગમે તેમ કરીને સારા માર્ક્સ મેળવવાની દોડમાં બાળક ખોટા રસ્તે ફંટાઈ જાય છે અને સારા-નરસાંનો વિવેક ભૂલી જાય છે.
આપણને જો સારો સમાજ જોઈતો હોય તો સારી કેળવણીની જરૂર છે કે જેના વડે ચારિત્રનું ઘડતર થાય, મનની વિચારવાની શક્તિમાં વધારો થાય, બુદ્ધિનો વિકાસ થાય, સ્વ નિર્ભર બનતાં શીખીએ. કેળવણીનો ખરો ઉદ્દેશ્ય મનુષ્યને ખરા મનુષ્ય બનાવવાનો જ હોવો જોઈએ, નહીં કે આર્થિક ઊડાન અને પરદેશગમનનાં સપનાં દેખાડી માનસિક અધઃપતનનો.
આજના સમયમાં સાચી કેળવણી એક લડત છે, જો આ લડતમાં શિક્ષકો પોતાનું મનોબળ તોડી નાખશે તો આ કેળવણી ‘એક પૈડાના રથ’ જેવી થઈ જશે. અજ્ઞાન સામે, અન્યાય સામે, અનાચાર સામે પ્રખર યુદ્ધ કરવું જ પડશે। હાલના સમાજનાં દૂષણોને દૂર કરવા, એ કપરું કાર્ય છે, તેને માટે ખૂબ ધીરજ જરૂરી છે. આ ધીરજ શિક્ષકો પાસે છે. તેઓ હોંશિયાર, નબળા, શાંત, તોફાની - બધા જ પ્રકારના વિદ્યાર્થીઓને - તેઓની જરૂરિયાત પ્રમાણે સાંભળતા, સમજાવતા ,સાચવતા હોય છે. આ શિક્ષકો જ સમાજનું નિર્માણ કરે છે. બાળકમાં ચરિત્રનું નિર્માણ કરવું, તેનામાં નીડરતા, પરોપકાર, નિરાભિમાન અને સર્જનશીલતા ખીલાવવાં એ જ શિક્ષકનું ધ્યેય છે. આ માટે આપણી કેળવણી બાળકને સારો માનવ બને એ લક્ષમાં રાખીને બનાવવી જોઈએ.
અભ્યાસક્રમ એ રીતનો બનવો જોઈએ કે સમાજની બદલાતી જરૂરિયાતોને એ સંતોષે, રોજીરોટી માટે એ જ્ઞાન પૂરું પાડે અને આવડતની સાથે નૈતિક મૂલ્યો પણ આપે, એને બદલે આજના શિક્ષણમાં વધારે ગુણ મળે તેની પાછળની દોટ, અથવા જેમાં પૈસા વધારે ચૂકવવાના હોય તે સારું એ માનસિકતા જોવા મળે છે. વિદેશી ભાષામાં વધારે ગુણ મળે છે, પૈસા વધારે મળશે એવી લાલચ દેખાય તો આપણે માતૃભાષાને પણ જાકારો આપી દઈએ છીએ. શિક્ષણને એક ધંધો બનાવી દીધો છે, જેમાં ઘણા ખરા પૈસાના જોરે, ભવિષ્યના સમાજની પરવા ન કરવાવાળા ઘુસી ગયા છે. અને તેઓએ આજનું શિક્ષણ મૂલ્યરહિત અને પૈસાલક્ષી બનાવી દીધું છે.મસમોટી મોટી ફી ભરે, ટ્યુશનમાં જાય, 90/95 ટકા લાવે એ હોશિયાર. વિદેશી ભાષામાં પરાયા વિચારોને ગોખીને ત્રણ કલાકમાં તેની ઉલ્ટી કરી નાખવી એજ આજનું ભણતર એમજ ને... તો શિક્ષાની ઉપલબ્ધિ ક્યાં લાંબી ટકી , આ તો બધું ઉપરછલ્લુંજ ને...
જેમ ન્યાયખાતા પર રાજ્યકર્તાઓનો અંકુશ ઓછામાં ઓછો
હોય, તો ન્યાયખાતું વધારે સારું અને પારદર્શક રહી શકે તેમ, આપણી બગડેલી શિક્ષણ વ્યવસ્થાને સુધારવા,આપણી કેળવણીની નીતિ ઘડનારા પણ રાજકીય નિયંત્રણથી પર
હોવા જોઈએ અને તેઓ સામાજિક દુષણો, તેના કારણો, અને તે માટેના ઉપાયોથી પરિચિત હોવા જોઈએ. તો જ તેઓ સમયાનુસાર લાંબાગાળાની એવી નીતિ બનાવી શકે જેથી
ધીરે ધીરે સમાજમાં પરિવર્તન લાવી શકાય, સારા સાચાં મૂલ્યો પાછાં પ્રસ્થાપિત કરી શકાય।
છેલ્લાં કેટલાય વર્ષોથી આપણી કેળવણીમાં જીવનમૂલ્યોની ફક્ત વાતો જ થઈ છે; પણ તે ખરા અર્થમાં અસ્તિત્વમાં નથી આવી, તેથી જ કેળવણી પાછળ પૈસાનો અને બાળકોના બાળપણનો મોટો ભોગ અપાય છતાંય સમાજ સાચી કેળવણી શું છે એમાં રસ લેતો નથી થયો. કાકા કાલેલકરના શબ્દોમાં કહીએ તો "આપણી પ્રજા એ સમજવું જોઈએ કે જ્યાં
ધર્મસુધારા સફળ નથી થતા, જ્યાં સ્મૃતિઓ કામ નથી કરતી, જ્યાં ઔદ્યોગિક હિલચાલ પંગુ નીવડે છે, જ્યાં સામાજિક સુધારા નિષ્પ્રાણ છે અને જ્યાં રાજદ્વારી હિલચાલ પણ થાકી જાય છે ત્યાં આખરે કેળવણી જ મદદગાર પૂરવાર થાય છે.
કેળવણી જ સમાજને સાવધ કરી સાચી દિશા દેખાડી શકે છે.
આપણે આપણા સમાજને બચાવવું હશે તો જીવનમૂલ્યોનું જતન થાય એવી કેળવણી પર જોર દેવું પડશે,જેની પગદંડી આપણા બાળકોથી શરૂ કરીએ, કારણકે બાળકોજ
આપણું સાચું ભવિષ્ય છે, આપણો ભવિષ્યનો સમાજ છે. માટે બાળકોને કેળવશું તો આપોઆપ પરિવાર સમાજ અને દેશ કેળવાશે।
સમાજની મોટામાં મોટી સંપત્તિ બાળકો છે, બાળકોના સર્વાંગી વિકાસ માટે જીવનમૂલ્યો એ જ સાચું પોષણ છે.બાળકનો સર્વાંગી વિકાસ એટલે ... જો તેના અંતરમાં દેશનો
આદર્શ નાગરિક બનીને પોતે સુખી અને બીજાને સુખી કરવાનો ઉમંગ જાગી જાય તો તે જ બાળકનો સર્વાંગી વિકાસ કહેવાય. માટે સારી કેળવણી એ બાળકના સર્વાંગી વિકાસલક્ષી હોવી જોઈએ જે માતૃભાષામાં શ્રેષ્ઠ રીતે આપી શકાય.
- મુંબઈ ગુજરાતી સંગઠન
જીવન-સાહિત્યના સંગમની સાર્થકતા? - નંદિની ત્રિવેદી
આપણે સાહિત્યમાં જીવન વિશેની વાતો કરી રહ્યા છીએ તો એના સંદર્ભમાં જ વાત કરીશ. પપ્પા સાહિત્યકાર(કવિ જયંત પંડ્યા) અને મમ્મી શિક્ષક. બંને ગુજરાતી ને અંગ્રેજી વિષય ભણાવે, આથી આનાયાસે જ ભાષા માટેની જાગ્રતિ નાનપણથી આવી. બાળપણમાં પપ્પા લંડન ગયેલા, ત્યાંથી ત્યાંના કવિઓની કવિતાઓ રેકોર્ડ કરીને મોકલે, ત્યારે અંગ્રેજી તો ખાસ ન આવડે, છતાં સાથે ગુજરાતી કવિતાઓ પણ હોય એટલે મજા આવતી. ઘરમાં અખબારો, ઝગમગ, ફૂલવાડી, રમકડું, ચાંદામામા, બકોર પટેલ, મિંયા ફૂસકી વગેરે વાંચવામાં આવતું, એમાં કોણ પહેલું વાંચે એની હોડ જામતી, પછી પરબ, શબ્દસૃષ્ટિ, ઓળખ, કુમાર જેવાં સામયિકો પણ માનસ પર છાપ છોડતાં થયાં. સાહિત્યકાર હોવાનો દાવો તો નથી કરતી પણ મને લેખનમાં મળેલી સાર્થકતામાં પપ્પાનો ફાળો મોટો ગણાય. શિક્ષણ ઉપરાંત સાહિત્યલેખન, અનુવાદો, સમાજિક આગેકદમી સાથેસાથે પપ્પાએ પરિષદમાં ઉપપ્રમુખથી લઈ, ‘નિરીક્ષક’ના તંત્રી સુધીની વિવિધ જવાબદારીઓ દાયકાઓ સુધી નિભાવી, એમનું સાહિત્યવર્તૂળ વિશાળ, પ્રતિષ્ઠિત સાહિત્યકારોની નિયમિત ઘરે આવ-જા રહે, આ બધાં પરિબળોને લીધે સાહિત્ય માટેનો પ્રેમ આપોઆપ જન્મ્યો. પત્રકારત્વ કે લેખન વિશે સ્પષ્ટ વિચારો નહોતા, પણ મૂળ રસનો વિષય તો સંગીત. કોલેજમાં યશવંત શુક્લ જેવા મોટા દરજ્જાના કેળવણીકાર, કોલેજની અધધધ ઈત્તર પ્રવૃત્તિઓનો પણ પ્રભાવ. એ દરમિયાન સાહિત્ય અને નાટક સાથે વધુ ઊંડો પરિચય થયો. એ સમયે પપ્પાના ‘નિરીક્ષક’ મેગેઝિનના લેખોમાં પોકેટમનીની લાલચે પ્રૂફ રીડીંગ કરતી, એના ભારેભરખમ લેખોને લીધે બાહ્ય જગતના અનેકવિધ જ્ઞાન વિષે આકર્ષણ જામ્યું. ત્યાંથી જ રાજકારણના વિષયમાં રસ પડ્યો, જે કોલેજમાં પોલિટિકલ સાયન્સને વિષય તરીકે ભણવા તરફ લઈ ગયો. સમાજજીવન વિશે વધુ ને વધુ જાગ્રતતા કેળવાતી ગઈ.
સાહિત્યની વાત પર પાછા ફરીએ તો, મારું માનવું છે કે સાહિયને સારી રીતે ગ્રહણ કરવામાં આવે તો એ જીવન પર અસર કરે છે. એવાય લોકો હોય છે જે માત્ર વાંચે છે, એને ગ્રહણ નથી કરતા, પણ મારા કિસ્સામાં તો કહીશ જ કે સાહિત્યએ મને ખૂબ જ સમૃદ્ધ કરી છે. બકોર પટેલની વાર્તાઓ હોય કે સ્ટીવ જોબ્સની આત્મકથા ! વાંચનને હંમેશાં મદદ કરી છે. હૃદય અને સમાજ જીવનમાંથી મળતા સહિત્ય ગમે છે એટલે જ મને આત્મકથાઓ વધુ ગમી જાય છે.
પ્રવાસ વિશે એક જ વાક્યમાં કહેવાનું હોય તો કહીશ કે પ્રવાસ જ મારું જીવન છે. રખડવાનો શોખ તો મૂળથી જ સીંચાયેલો, પણ સંસાર ને વ્યવસાયની કડીઓ જોડવામાં ખાસ સમય ન મળતો. ભારતમાં ઠીકઠીક ફરી. સૌથી પ્રિય પ્રવાસન લદાખનું ને પ્રિય સ્થળ પેનગોન્ગ લૅક, ત્યાં જુદું જ એકત્વ, જુદું જ જોડાણ અનુભવાયું છે. હિમાયલ તો હિપ્નોટાઈઝ કરનારો મણિ ! એવું જ આકર્ષણ ગંગા નદીનું... વહેણનાં એ ભવ્ય સ્પંદનોની અનુભૂતિ આહલાદક. અલ્હાબાદમાં ત્રિવેણી સંગમ પાસે થયેલી અનુભૂતિ પૂર્ણપણે વર્ણવી શકાય એમ નથી. તાજેતરમાં વિયેતનામ ફરી આવી. પ્રવાસ એ માત્ર ફરવાનું માધ્યમ નથી પણ એક આખા સમાજ, સંસ્કૃતિ, ત્યાંના લોકોને-પ્રકૃતિને જાણવાનો એક સમુચિત પ્રયાસ છે. મને પોતાની રીતે પ્રવાસ કરવો ગમે. ત્યાંની જનસંસ્કૃતિ, જનસ્વભાવને જાણવું ખૂબ જ ગમે. પ્રવાસ-અનુભવોની એકંદરે વાત કરું તો સ્વિત્ઝરલેન્ડનાં લોકો ખૂબ જ હૂંફાળા, જર્મન થોડા અકડું, અમેરિકન્સ ખુલ્લા દિલવાળા તો બ્રિટીશરો અહંભાવ ધરાવતા, છતાં શિસ્તબદ્ધ ! જોકે દરેક સંસ્કૃતિની પોતાની આગવી મોહિની છે. એ દરેક સંસ્કૃતિ પાસે જે સારું છે એ પ્રવાસ દ્વારા આપણી પાસે આવી શકે છે. એ આપણને પણ જુદી અવસ્થામાં લઈ જાય છે. પ્રવાસવાંચન માટે કાકાસાહેબ કાલેલકર અને ભોળાભાઈ મને હંમેશાં ગમ્યા છે. આપણા જે નવોદિત લેખકોએ પ્રવાસવર્ણનો લખવા હોય એમણે આ બેને અનિવાર્યપણે વાંચવા જ રહ્યા. હવે તો ઘણા લેખકો અને કોલમિસ્ટસ પ્રવાસ વિશે લખે છે. સારું પણ લખે છે, કારણ કે અત્યારે લોકોમાં હરવાફરવાનું વધ્યું છે અને આવું લખાણ લોકોને સ્વાભાવિક રીતે ગમે પણ છે.
અનુભવોની યાદી બનાવું તો ટોચ પર કમ્બોડિયાની વાત આવે. ત્યાં કિલિંગ ફિલ્ડ છે, જ્યાં ભારે હત્યાકાંડ થયેલો. ત્યાં એક સ્કલ મ્યુઝિયમ પણ છે. એ કિસ્સા, એ વાતો... વગેરે રૂંવાડા ઊભા કરી દેતી અનુભૂતિઓ ! ઈંગ્લેન્ડમાં શેક્સપિયરનું આખું ગામ છે, જ્યાં ફરી વળ્યાં પછી એમના પ્રેમમાં પડી જવાય. એ જ રીતે વિદેશોમાં ફરીએ એટલીવાર આપણો દેશ સ્મરણપટ પર પડઘાતો રહે. સરખામણી ને મનનચિંતન થયા જ કરે. ભારત દેશ ભૌગોલિક રીતે એટલો વિશાળ અને સાંસ્કૃતિક રીતે એટલો સમૃદ્ધ છે કે શક્તિશાળી દેશો માટે પણ ભારતની અવગણના શક્ય નથી. આપણી પાસે જે સાંસ્કૃતિકતા છે, જે ઈતિહાસ છે, જે ધાર્મિક વિભાવના છે, એના વૈવિધ્યનો સમન્વય છે, એ બીજે ક્યાંય નથી. આજના રાજકારણમાં ધર્મનાં વિવિધ અર્થઘટનો થાય છે, એને લીધે ભારતની સામાજિક અને રાજકીય છબી બગડે છે. શૈક્ષણિક સ્તરે ઘણું કામ કરવાની જરૂર છે એ માટે... અલબત્ત, ભારતની સમૃદ્ધિને એના સાચા સ્વરૂપે વિશ્વ સુધી પહોંચાડે એવા યુવાનોની જરૂર છે. આ સંદર્ભે અત્યારની પેઢી ઘણી ઓપન-માઈન્ડેડ છે. એમની પાસે ઘણી આશાઓ બંધાય છે. પ્રવાસની વાતમાં એટલું જ ઉમેરવાનું કે ભારતમાં પ્રવાસન સ્થળોની ભરમાર છે પણ રસ્તા ને ત્યાંના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અવગણના થાય છે એ જોઈ કયા પ્રવાસપ્રેમની દુઃખ ન થાય?
અંતે, આજના સાહિત્યની વાત પણ કરવી રહી. સોશિયલ મિડિયાને લીધે સ્વાભાવિક રીતે જ પોતાને કવિ કે લેખક કહેનારાઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. નિઃશંકપણે સોશિયલ મિડિયા એક ઉત્તમ પ્લેટફોર્મ છે, પણ લોકો સાચા સાહિત્ય અને સાચી સાહિત્ય-શૈલીને સમજે એ પણ જરૂરી છે. માત્ર લખી લીધું એટલે લેખક બની ગયા એવું નથી એ વાત સમજાવે એવા માર્ગદર્શકોની જરૂર છે. અહીં ચર્ચા વ્યક્તિની નહીં વિચારની થવી જોઈએ, લોકપ્રિયતા હોય, માર્કેટિંગ સ્ટ્રેટેજી હોય કે સારો કસબ હોય, પણ અંતે એ કલાકસબ દ્વારા તમે સમાજને શું આપો છો એ મહત્વનું છે. હવે લોકો વાંચતા નથી, લાંબું વાંચી શકતા જ નથી એ ગંભીર બાબત છે. સાહિત્યની આવતીકાલ વિશે ચિંતા થાય પણ પેલી ‘માસ’ અને ‘કલાસ’ની થીયરી ફરી આંખ સામે આવી ઊભી રહે છે.
-પછી આશા જાગે છે, કે લોકપ્રિયતા અને પ્રશિષ્ટતાનો ભેદ તો હંમેશાં રહ્યો છે ને રહેવાનો ! સદીઓથી આમ જ ચાલતું આવ્યું છે એટલે સાહિત્યવાચન માટે એક ચોક્કસ વર્ગ તો રહેશે જ ! મોટાભાગે જેમ ઉત્તમ સંગીત બધે નથી પહોંચતું, એ નાનકડા સભાગૃહમાં જ જીવંત રહે છે, ઉત્તમ નાટકો પૃથ્વી જેવાં વિશિષ્ટ થિયેટરમાં જ આવે છે, બધે જ નથી ભજવાઈ શકતા, એમ પ્રશિષ્ટ સાહિત્ય પણ, અમુક લોકો સુધી જ ભલે, પણ જીવંત રહેશે. અંગત રીતે મને એમ થયા કર્યું છે કે અગાઉના સાહિત્યકારોમાં જેમ એકથી એક આગવી શૈલી અમને વાંચવા મળેલી એની હવે વ્યાપક ખોટ વર્તાય છે, એટલે હમણાં તો આપણે નવા યુગમાં ‘માસ’ અને ‘ક્લાસ’ની વિશેષતાને ભેગી કરીને અભિવ્યક્ત કરી શકે એવા સમર્થ સાહિત્યકારની રાહ જોવી રહી...
(ચર્ચા: સમીરા પત્રાવાલા, તુમુલ બુચ)
શિક્ષણઅધિકારની જેમ માતૃભાષામાં શિક્ષણનો અધિકાર પણ જરૂરી
સરકારે RTEનો કાયદો લાવીને દરેકેદરેક બાળકને ભણવાનો અધિકાર આપ્યો છે. એવી જ રીતે, દરેકેદરેક બાળકને તેની માતૃભાષા શીખવાનો અને માતૃભાષાના જ માધ્યમ દ્વારા ભણવાનો અધિકાર છે એ વાતની ગંભીરતા સ્વીકારવાનો સમય પાકી ગયો છે. આજે શિક્ષકદિન નિમિત્તે એ વાત સમાજ સામે ફરી સ્પષ્ટતાથી મૂકવી જરૂરી છે કે માતૃભાષાના માધ્યમથી શિક્ષણ એ માત્ર ભાષાપ્રેમીઓનો આગ્રહ નહીં, પણ સંસ્કૃતિને ટકાવી રાખવા માટેનું બુનિયાદી પગલું છે.
પાંચ સપ્ટેમ્બર, જેના જન્મદિન નિમિત્તે શિક્ષકદિન ઉજવાય છે એ આપણા વિદ્વાન વિચારક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને કહ્યું હતું કે, ‘આખી શિક્ષણ પ્રક્રિયાનું અંતિમ પરિણામ એક સ્વતંત્ર સર્જનાત્મક વ્યક્તિ હોવી જોઈએ, જે ઐતિહાસિક સંજોગો સામે સંઘર્ષ કરી શકે.’ શું આજની આપણી શિક્ષણ-પ્રક્રિયા આવાં શિક્ષિત વ્યક્તિઓનું નિર્માણ કરી રહી છે? સ્વીડનની જેમ બહારના બીજા ઘણા દેશોમાં માતૃભાષામાં બાળકને ભણાવવા માટે ત્યાંની સરકાર ખૂબ જ સારા પ્રયત્નો કરે છે. બાળક ભલે તે દેશનું ન હોય છતાં પણ બાળકની જે માતૃભાષા હોય તેના શિક્ષકોની વ્યવસ્થા કરીને પણ સરકાર બાળકને તે માતૃભાષા શીખવવાનો આગ્રહ રાખે છે.
અહીં મુંબઈમાં પણ જમનાબાઈ નરસી શાળાના ટ્રસ્ટીગણ શાળામાં પ્રવેશ પહેલાં વાલીઓને માતૃભાષા લેવાનો આગ્રહ કરી, સમજણ આપે છે અને મક્કમતાથી તેને વળગી રહે છે. આવી જ રીતે, જો દરેક શાળાના સંચાલકો મક્કમતાથી એક નિર્ણય લે કે દરેક બાળકે માતૃભાષા તો શીખવી જ જોઈએ, તો તેનાં ખૂબ સારાં પરિણામ આવનારા સમયમાં સમાજને મળી શકે છે.
ગાડરિયા પ્રવાહમાં વહેતાં વાલીઓ કદાચ તે માટે એકલપંડે હિંમત ન કરે પણ જ્યારે સરકાર તરફથી જ માતૃભાષા શિક્ષણને મૌલિક અધિકારમાં આવરીને એક પહેલ કરવામાં આવે તો, અંદરખાને બાળકને માતૃભાષાથી વંચિત કરીને પ્રવાહમાં વહી જનારા વાલીઓને એક રાહત મળશે કે બાળક માતૃભાષાથી વંચિત નથી રહી ગયું.
દેશ આઝાદ થયાના સાત દાયકા વીતી ગયા હોવા છતાં આપણા દેશની જે કાયાપલટ થવી જોઈએ તેવી થઈ નથી, તેના મૂળમાં આપણી માનસિકતા કારણભૂત છે. સ્વતંત્ર થવાનો મતલબ આપણે ફક્ત અંગ્રેજોની સત્તાને ફગાવી દેવા પૂરતો જ કર્યો; અંગ્રજોની સત્તાને ફગાવવાની સાથે આપણે આપણી સંસ્કૃતિનો વારસો જાળવી રાખવાની જહેમત નથી ઊઠાવી. આપણે તો સવાયા અંગ્રેજ થઈને આપણી સંસ્કૃતિ, સંસ્કારોથી આપણી નવી પેઢીને દૂર લઈ જવાનું કાર્ય કરીએ છીએ અને તેને પાછું શિસ્તપાલન, એટિકેટ, આધુનિકતા જેવા સુંવાળાં નામે છાવરીએ પણ છીએ. આજે લોકોના મનોમગજ પર પોતિકી સંસ્કૃતિ, સંસ્કારોથી જેટલા દૂર એટલા સમજદાર-ભદ્ર લોકોનાં ટોળાની નજીક હોવાની માનસિકતા ઘર કરી ગઈ છે. અંગ્રજો ગયા અને અંગ્રેજી મૂકતાં ગયાં, આની સાથે બીજું ઘણું બધું છે જે આપણે અપનાવી લીધું છે, જે અંગ્રેજોની ખોટ લાગવા દેતું નથી.
આપણી જ શાળાઓમાં આપણાં જ તહેવારો ઉજવવાની મનાઈ.. કેવું કહેવાય ને??! એક શાળાનાં મુખ્ય શિક્ષિકાએ ફતવો બહાર પાડ્યો કે શાળામાં કોઈ પણ વિદ્યાર્થી રાખડી પહેરીને આવશે નહીં અને જો રાખડી પહેરીને આવ્યા તો શાળામાં જ કાઢી નખાવવામાં આવશે. કેવી નવાઈની વાત છે કે ‘ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર:’ના સંસ્કાર આપવાને બદલે કે જ્યાં બાળકોને સંબંધોનું મહત્ત્વ, તેનું સ્થાન શું છે એ સમજણ આપવાની હોય; ત્યાં રાખડીને ફક્ત એક જ દિવસનાં બંધનના દોરા તરીકે બાળમાનસમાં ઠસાવવામાં આવે છે.
આપણી સંસ્કૃતિ તો સહાય, માન, સન્માન, પ્રેમ, આદર આપવાની છે અને તે પણ જીવનપર્યંત. પણ આજકાલનાં કોન્વેન્ટિયા માનસવાળા જેઓ Father’s day, mother’s day, friendship day ને એક દિવસનાં ઉમળકામાં બાંધી દેવામાં માને છે, તે કેવી રીતે સાંખી લેવાય? પણ કહેવાતા સારું શિક્ષણ દેવાની લોલુપતામાં આપણા વાલીઓ આ બધું જ મનમાં બળાપા કાઢી, ચૂપચાપ સહન કરે છે અને નવી પેઢીને સંબંધોનાં ખરાં મહત્ત્વનું સમજાવતા અજાણતાં જ રોકે છે. નવી પેઢીએ રક્ષાંબંધનને પણ friendship dayની જેમ એક દિવસનો બનાવી દીધો છે. ત્યોહારની યાદીમાંથી રક્ષાબંધન બાકાત અને રાખડી પણfriendship bandની જેમ એક દિવસ પૂરતી..!! કેવી રીતે નવી પેઢી બહેનભાઈનાં સંબંધને, વહાલને, બહેનની રક્ષા કરવાની ફરજને સમજશે? તેઓને માટે તો રાખડી પણ એક friendship bandની જેમ ઔપચારિકતા બની જશે અને આ બધાં માટે જવાબદાર આપણે સૌ કહેવાતાં સ્વતંત્ર ભારતનાં નાગરિકો જ હોઈશું. આવી જ માનસિકતા આપણને ઘણી શાળાઓમાં મંહેદી માટે, ચાંદલા માટે, રક્ષાપોટલી માટે, જનોઈ કે કંઠી માટે જોવા મળે છે. ફી વધારા માટે એક થઈને વિરોધ કરનારાઓ, ક્યારેય આપણાં બાળકોને સંસ્કૃતિથી દૂર લઈ જનારા આ નિર્ણયો સામે એકજૂથ થઈને ઊભાં થયાં છેં? નહીં જ ને?આ જ માનસિકતા આપણું ભાવિ નક્કી કરશે. આપણને સ્વતંત્રતા મળવા છતાંયે સંસ્કારો,સંસ્કૃતિથી દૂર થતાં જઈએ તો ભાવિ સમાજના દુષણો ભોગવવા તૈયાર રહેવું પડશે અને ન ભોગવવા હોય તો શાળાથી જ શરૂઆત કરવી પડશે, જ્યાં નવી પેઢી ઘડાય છે.
સ્વતંત્ર થયાનાં આટલાં વર્ષો પછી પણ આપણે હજુ શિક્ષણ વ્યવસ્થામાં ફેરફાર લાવી શક્યાં નથી. દેશની રાજનીતિએ પોતપોતાનાં સ્વાર્થ ખાતર ઈતિહાસને મારી મચડીને પુસ્તકો રજૂ કર્યાં. આખા દેશમાં પણ શિક્ષણક્ષેત્રે ૭૦ વર્ષ પછી પણ આપણે સમાનતા ન લાવી શક્યાં તો આપણે અંગ્રજોનાં શાસન હેઠળ જ સારાં હતાં એમ કહી શકાય. આપણાં જ સંચાલકો, પોતાનાં નિજી આર્થિક સ્વાર્થ ખાતર, minority શાળાની ચાદર ઓઢી,માતૃભાષાની શાળાને ફક્ત સરકારી ચોપડે ચાલુ રાખવા પૂરતી રાખે અને પોતાનો બધો જ વહીવટ મલાઈદાર વિવિધ પ્રકારનાં બોર્ડની માટે વાપરે તો એ કઈ માનસિકતા કહેવાય? minorityના નામ હેઠળ મળતાં બધાં જ ફાયદાઓનો માતૃભાષા સિવાયનાં માધ્યમ માટે મેળવવા અને ઉપયોગ કરવાનો – એ નરી સ્વાર્થવૃત્તિ નહીં તો શું કહેવાય?આપણે છાતી ખોલીને વહીવટ પણ નથી કરતાં, તે પણ આપણી સંસ્કૃતિનાં નામ હેઠળ જ કરીએ તેનાથી મોટી માનસિક ગુલામી કઈ? આપણને નામ વટાવવું છે, પણ તેને બચાવવા મહેનત નથી કરવી. એટલે જ સ્વતંત્રતાનાં ૭૦ વર્ષ પછી પણ માતૃભાષાની શાળાઓની આ દશા છે. એ જ ટ્રસ્ટીઓ, એ જ સંચાલન હોવાં છતાં એક જ શાળામાં માતૃભાષાના માધ્યમ અને અંગ્રેજી માધ્યમની સ્થિતિ અલગ અલગ? ક્યાંક તો કચાશ છે આપણી વિચારસરણીમાં!
આ જ સંચાલકો પાછાં અંગ્રેજી માધ્યમનાં વાલીઓને જાગૃત કરવાનાં કાર્યમાં સહયોગ ન કરે, રખે ને મલાઈ મળતી ઓછી થઈ જાય? શેનો ડર? ઘર વાપસીની જેમ વાલીઓ પાછાં માતૃભાષા તરફ વળશે તેનો? તો શો વાંધો હોય? ફક્ત અને ફક્ત આર્થિક લાભ-ગેરલાભનાં ધોરણો પર આપણી શાળાઓનાં વહીવટ ચાલશે? સરકારી તંત્રો તો જાણે પોતે જ મારવા બેઠા હોય તેમ રોજ નતનવા સર્ક્યુલરો, નવી ગણતરીઓ (કેટલાં વિદ્યાર્થીઓ પર કેટલાં શિક્ષકોની, કેટલાં શિક્ષકો વધારાનાં?) કરતાં રહે છે. આ બધું શા માટે? જ્યારે સરકાર શિક્ષકોને પગાર આપવા બંધાયેલી છે જ તો શિક્ષકોને શિક્ષણનું કાર્ય કરવાને બદલે નિયમોમાં બાંધીને ઑફિસોમાં બેસાડી દેવાનાં? શિક્ષકોને ફક્ત અને ફક્ત શિક્ષણનું કામ કરવા દઈએ તો પણ આપણાં શિક્ષણસંસ્થાનોમાં ધરખમ સકારાત્મક પરિણામો દેખાશે અને તે માટે જડ કાયદાઓની માનસિક ગુલામીમાંથી બહાર આવીને ફક્ત અને ફક્ત દેશહિત, આપણી સંસ્કૃતિ, સંસ્કારો, નવી પેઢી માટેનું ભવિષ્ય જ કેન્દ્રમાં રાખવા જોઈએ.
અંગ્રેજો આપણાં ભારતીય સૈનિકો દ્વારા જ જુલમ કરતાં અને તે આપણે સહન કરતાં; પણ ત્યારે દેશ ગુલામ હતો. પણ હવે? હવે તો દેશ આઝાદ થયો છે તો શા માટે ભારતીયો દ્વારા જ ભારતીયતા પર જુલમ, કઠુરાઘાત થઈ રહ્યો છે? આપણે જ આપણાં વિરોધીઓ બનીને બેઠાં છીએ. આ માનસિક ગુલામી નથી તો શું છે? એટલે જ તો સરકારને નિવેદન છે કે જ્યાં સુધી સરકારના નિયમોનો ડંડો નહિ વાગે ત્યાં સુધી આપણી માનસિકતા સુધરવાની નથી. સરકારે Right to Education આપ્યું છે, તેની સાથે Right to first Education in mother tongue એ નિયમને સખ્તીથી લાગુ કરવાની જરૂર છે. આનો ફાયદો એ થશે કે જે લોકો દ્વિધામાં છે અને માતૃભાષાનાં માધ્યમ દ્વારા ભણતરનું મહત્ત્વ સમજે પણ છે, છતાંય પ્રવાહની વિરુદ્ધ જવાની હિંમત નથી કરી શકતાં તેવા મોટા વર્ગને હાશકારો થશે. વળી, પ્રવાહથી અલગ થયા વગર સંસ્કૃતિ-સંસ્કારો સાથે જોડાયેલાં રહેવાની તક પણ મળશે. મુઠ્ઠીભર અંગ્રેજોએ આપણાં જ માણસો દ્વારા આપણા દેશ પર રાજ્ય કર્યું; પણ જ્યારે આખો દેશ અંગ્રેજોની વિરુદ્ધ એક થઈ ગયો ત્યારે જ ગુલામીની ઝંઝીર તોડી શક્યા. એ જ રીતે, આવી માનસિકતાવાળાં મુઠ્ઠીભર લોકો ઊંચા હોદ્દા પર બેસીને, આપણાં જ જેવાં વિચારો ધરાવતાં નોકરિયાતો પાસે ગુલામિયત કરાવે છે, તેની વિરુદ્ધ દરેક સુસંસ્કૃત, જાગૃત દેશવાસીઓએ ઊભાં થઈ, આપણી ધરોહર જાળવી રાખવાનાં કાર્ય માટે ખભેખભાં મેળવી કાર્ય કરવું જોઈએ. જનચેતના એ જ માનસિક ગુલામીમાંથી બહાર આવવાનો સાચો માર્ગ છે.
- મુંબઈ ગુજરાતી સંગઠન
એક નાનુંએવું પુસ્તક માણસને ક્યાંથી ક્યાં લઈ જઈ શકે? - મિતુલ ત્રિવેદી
સાહિત્ય ! બીજા અનેક શુભ-પરિણામો ઉપરાંત સાહિત્ય આપણને માણસની પણ ઓળખ કરવામાં મદદ કરે છે. ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે અમુક સારા માણસને ખરાબ માની લેતા હોઈએ છીએ, કે વિપરીત પરિસ્થિતિમાં આપણે ખરાબ માણસને સારા માની લેતા હોઈએ છીએ. સતત સંસર્ગને કારણે માણસોની નાનામાં નાની વાતો અને તેનાં લક્ષણો નોંધવાની આવડત મારામાં વિકસી એ સાહિત્યસેવનને આભારી. સાહિત્યની મદદથી ભલે સાચા મિત્રો મળે કે ન મળે, પણ સાચા મિત્રો કેવા હોય તે ઓળખવાની ક્ષમતા સાહિત્ય જરૂર વિકસાવી આપે છે.
આપણ એ તો હંમેશાં જ જોયું છે કે સાહિત્ય સમાજને સાચી દિશા બતાવી શકે છે અને એટલું જ નહીં તે ક્રાંતિ પણ સર્જી શકે છે. આ વાતના ઘણા પુરાવા ઈતિહાસમાં પણ જોવા મળે છે. આપણે એ પણ જોયું છે કે સાહિત્ય જો કોઈ મોભી અથવા તો સમજદાર વ્યક્તિના હાથમાં જાય તો ત્યારે મુશ્કેલ લાગતા ઘણા પ્રશ્નો અત્યંત સરળ રીતે આપણે જનમાનસ સુધી પહોંચાડી શકીએ છીએ. વિશ્વના કોઈપણ મહાન વ્યક્તિઓને એક સવાલ પૂછી જોઈએ કે, ‘તમને સાહિત્ય ક્યારે મદદરૂપ થાય છે?’ ત્યારે તેમના તરફથી એક જવાબ અચૂક મળશે કે, ‘સાહિત્ય મુશ્કેલીના સમયે આધાર આપે છે અને ખોટા રસ્તે જતા અટકાવે છે.’
અંગત વાત કહું તો વ્યવસાય ઈતિહાસસંબંધિત એટલે મારા માટે સાહિત્યનું મહત્વ પણ એટલું જ, જેટલા ઈતિહાસ અને વિજ્ઞાન મહત્વના ! મારા વ્યવસાયમાં વાંચન પાયો છે. સંશોધનો માટે બહોળું વાંચન અનિવાર્ય છે. એ વાંચનમાં ઘણાં બધા પ્રકારના પુસ્તકો વાંચવામાં પડે, જેમાંથી કેટલીક વાર સાહિત્ય પણ હોય. સાહિત્યમાં પણ ઘણાં પૌરાણિક દસ્તાવેજો મળી આવે છે, જેના કારણે પણ સાહિત્યના સંપર્કમાં રહેવું પડે છે. ઘણો ઈતિહાસ સાહિત્ય સ્વરૂપે પણ સચવાયેલો છે એટલે સાહિત્યના સંસર્ગમાં આવવું એ મારા માટે સહજ છે. આ સાહિત્ય વ્યવસાયેત્તર પ્રવૃત્તિઓ અથવા તો મારા અંગત જીવનમાં પણ ઘણી રીતે ફાયદાકાર થયું છે તે મેં નોંધ્યું છે.
સાહિત્ય મારા જીવન માટે સીડી-સોપાન બન્યું છે. જેના પર પગલાં માંડી માત્ર માનસિક જ નહીં પણ બૌદ્ધિક સ્તર પણ ઘણું ઊંચું આવ્યું છે. મારામાં ઘણા ગુણોનું સિંચન કરવામાં અને આજે સમાજમાં નોખું સ્થાન મેળવવામાં સાહિત્યએ જ મને મદદ કરી છે. સાહિત્યએ મને નમ્રતા આપી છે. માણસ જોડે નમ્ર રહેવું એ ક્યારેય સરળ ન હતું, પણ સાહિત્યના સતત સંસર્ગે આ ગુણને કેળવવામાં અને તે કેળવણીને દરેકે દરેક પળે અમલમાં મૂકવામાં પણ એટલી જ મદદ કરી છે. સાહિત્યએ મારામાં પારદર્શકતા પણ વિકવાસવી છે.
મારો અને વાંચનનો સંબંધ કંઈક વધારે પડતો ઊંડો છે. 1996ના વર્ષની આસપાસ હું ઓફિસના કામથી હૈદરાબાદ વારંવાર આવજા કરતો હતો. ત્યારે એક વાર મારા કાકાના દીકરા માટે વૈદિક ગણિતનું પુસ્તક લઈને આવ્યો હતો, પરંતુ હું પુસ્તક લઈને સુરત પહોંચું તે પહેલાં જ મારા કાકાના દીકરાને અમેરિકા જવાનું થયું. તેથી આ પુસ્તક મારા પાસે જ રહી ગયું. જ્યારે મેં આ પુસ્તકના પાનાં ફેરવ્યા ત્યારે મને ગણિતની કેટલીક અદભુત પદ્ધતિઓ જાણવા મળી અને ધીરેધીરે આ પદ્ધતિઓ મેં બાળકને અને અન્ય લોકોને શીખવવાનું શરૂ કર્યું. આ વાંચવાનો શોખ એટલો વ્યાપ્યો કે મે અન્ય ભાષાઓમાં મળેલી મેન્યુસ્ક્રીપ્ટ્સ-હસ્તપ્રતો પણ વાંચવાની અને સમજાવવાની શરૂ કરી, પછી તો પ્રાચીન ભાષાઓમાં રસ વધ્યો એટલે એ શીખવાની શરૂઆત કરી, અને એ જ શોખે મને ISRO અને NASA જેવી સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દાઓ પર કામ કરવાની તક આપી. તેમ જ માનદપદવીઓ પણ અપાવી.
આમ કોઈ વ્યક્તિ એક નાનું પુસ્તક વાંચવાનું શરૂ કરે, ખૂબ રસ પડે અને એ રસ જ નવી ઓળખ ઊભી કરી અનેરા શિખરો સુધી લઈ જવામાં મદદ કરે એ વાત કોઈ ફિલ્મની પટકથા જેવી વાત લાગે, પણ આ ફિલ્મની નહીં મારા પોતાના જીવનની ખરેખરી વાર્તા છે. સાહિત્ય કે પુસ્તકમાં ખરેખર પરિવર્તન ક્ષમતા છે, તે વાત મને મારા પોતાના જ જીવન પરથી જાણવા મળી છે.
(મિતુલ ત્રિવેદી સુરતસ્થિત ઈતિહાસવિદ્ ને સંશોધક છે. ચર્ચાઃ નીરજ કંસારા)
સમાન સાહિત્યરસની પ્રેમતંતૂ બને ત્યારે?
મુલાકાતઃ સંજય પંડ્યા-પ્રતિમા પંડ્યા
* હા ત્યારે, શરૂઆત?
સંજય પંડ્યા: પપ્પા(વિઠ્ઠલ પંડ્યા) ફિલ્મક્ષેત્રે અને સાહિત્યક્ષેત્રે એક સાથે કાર્યરત, એટલે ઘરમાં અખબાર-સામયિકો પણ એટલાંબધાં આવે કે એક સાથે બાર-પંદર ધારાવાહિકો અને નવલકથાઓ વાંચતી રહે. લગભગ ૧૦ વર્ષની ઉંમર સુધીમાં અઢળક વાંચી લીધેલું અને ત્યારે એ બધું ખૂબ જ સહજ લાગતું. સ્કૂલમાં લોકો મને પપ્પાના સાહિત્યકર્મને લીધે વિશેષ માન આપતા તો ક્યારેક રેલ્વે સ્ટેશનમાં ટિકિટચેકર ઊભા રહીને એમના ચાહક હોવાની વાત કરતા ત્યારે ખૂબ ગમતું.
પ્રતિમા પંડ્યાઃ ગોંડલમાં જન્મ, મુંબઈ આવી ત્યારે સાત વર્ષની. ઘરમાં કોઈ જ સાહિત્યિક માહોલ નહિ, પણ રોજબરોજના જીવનમાં જેમ અત્યારે ધારાવાહિકોમાં લગ્નપ્રસંગ, તહેવાર, મહેમાન અને સાર-નરસા પ્રસંગો જીવાય છે, એ જીવાતા રહ્યા. પપ્પાને અખબાર વાંચવાની ટેવ અને પછી એમની વાતો, ખાસ કરીને ઐતિહાસિક સંદર્ભોની વાતો સાંભળવી ગમતી, એમની રજૂઆત મને સ્પર્શી જતી. મમ્મી પાક્કા વૈષ્ણવ એટલે ઘરમાં ભજન-કીર્તન પણ ચાલ્યા કરે, જે કાને અથડાતા રહે.
* તો શબ્દપ્રવેશ? આરંભી પ્રેરણા?
સં: પપ્પાની આંગળી પકડીને માણેલા વાર્તાવર્તૂળમાં, દિનકર જોશી, પ્રવીણચંદ્ર રૂપારેલ, ચંદુલાલ સેલારકા તો ક્યારેક સુરેશ દલાલ અને અમદાવાદથી રઘુવીરભાઈના સંસર્ગનો પણ લ્હાવો નાનપણમાં જ મળતો થયો, ત્યાં સુશીલાબેન ઝવેરી મને બાળગીતો સંભળાવતાં. એ લય-કવિતાનો પ્રથમ પરિચય. નાનપણમાં ગામ(કાબોદરા-સાંબરકાંઠા)માં જવાનું બહુ થતું. વેકેશન પડે અને ગામની વાટે ઉપડીએ. ગામથી પચાસ-સો ડગલાં ચાલતાં જ ખેતરો શરૂ થાય. ગામનો વૃક્ષાચ્છાદિત ઝાંપો, કૂવો-જ્યાં કોસ ચાલતો, ત્યાં પાણી ઉલેચાઈને હવાડામાં આવે, પાદર નજીક હનુમાનાજીના મંદિરમાં રાત્રે આરતી કરતાં, જાતે તોડીને કેરીઓ ખાતા, મકાઈના ડોડા ભેગા કરી તાપણામાં શેકતાં, હાથ-ગાડું ચલાવતાં, છાપરે મોર અને કોયલના ટહુકા હોય, ચકલીઓના માળા હોય અને ૩૦૦-૪૦૦ મીટર દૂર કોઈ પંપ ચાલવે ત્યારે જે ‘ભક ભક’ ધ્વનિ ઉત્પન્ન થાય એવા કેટલાયે અવાજો મનમાં લય બની ઘૂંટાતા રહ્યા. મોટાભાગના પ્રલંબલયનાં ગીતો આ સંસ્કારથી લખાયાં. ક્યારેક શહેરની ટ્રેન અને બસની મુસાફરીના સમયનો ધ્વનિ પણ પ્રેરણા આપતો રહ્યો. ગીત પછી અન્ય પ્રકારોમાં પહોંચાયું, જે માણ્યું એ લખાતું રહ્યું.
પ્ર: સ્વાભાવિક રીતે જ રોજબરોજ જોયેલું-સાંભળેલું બધું મનમાં ધરબાઈ રહે. સ્કૂલની મૌખિક પરીક્ષાઓમાં કવિતાઓના મોઢે પાઠ કરવાના હોય એ ખૂબ ગમતું. કોલેજમાં કવિસંમેલનો માણતી થઈ. એકવખત બોર્ડ પર મૂકવાની હિન્દી અછાંદસ કવિતાનો ગુજરાતી અનુવાદ કર્યો, ત્યારે સૌને ગર્વથી કહેતી ફરતી કે આ મેં કર્યું છે. પણ પછીથી વાંચનમાં અલગ-અલગ કવિતાઓ વાંચતી, એમાં શું અલગ કરી શકાય એ વિચાર આવ્યા કરતો અને એ બધામાંથી ‘તલાશ’ નામે પહેલી કવિતાનો પ્રયાસ થયો. આ ઉપરાંત ‘પ્રગતિ’ની બેઠકોનો લાભ મળ્યો. હા, મારા ગુરુ નૌશીલ શાહની પણ ભૂમિકા. શરૂઆતમાં અમૃતા પ્રીતમ અને પન્ના નાયકનાં કાવ્યોથી બહુ પ્રભાવિત રહી. લગ્ન પછી પ્રવૃતિઓ-લેખન બધું થોડું મંદ થયું. પણ એક સમય બાદ ફરી બધું શરૂ થયું.
* અને લગ્ન?
સં: ‘જનશક્તિ’માં સુધીર માંકડ ‘કેન્ટિન કોલિંગ’ નામની કટાર લખતા, જેમાં બે-ત્રણ નામ શોર્ટલિસ્ટ કર્યાં હતાં. એક બીજો મિત્ર મિતુલ અને પ્રતિમા બંનેને કાગળ લખ્યા હતા. બંનેનાં જવાબ મળ્યા. પછી તો કાર્યક્રમોમાં મળતાં રહ્યાં. કાર્યક્રમની માહિતીઓની પણ આપ-લે ચાલી. પાંચેક વર્ષ આમ રહ્યું. એ દરમિયાન ૧૯૮૬-૮૭ની આસપાસ પ્રગતિ મિત્ર મંડળમાં મહિનાના એક શનિવારે કવિઓની બેઠક શરૂ થઈ એમાં પણ સાથે. એ સમયે ‘સમકાલીન’ અખબાર દ્વારા સાહિત્યિક જનરલ નોલેજની સ્પર્ધા યોજાઈ, જેમાં જોડીમાં જ ભાગ લઈ શકાય. એ સ્પર્ધામાં ૬૦૦ જોડીમાંથી ત્રણ જોડી પસંદ થઈ, જેમાં અમેય હતાં. ઈનામરૂપે ૫૦૦ રૂપિયા અને એક નેકલેસ મળ્યા. (હસીનેઃ નેકલેસ પ્રતિમાને આપી દીધો.) ઈનામી રકમ સાહિત્યિક પ્રવૃત્તિ માટે જ વપરાય એવા આશયથી અમે અને દિલીપ રાવલ એસ.એન.ડી.ટી.માં જયંત પાઠક પાસે ગયાં અને એ રકમ ઇનામ તરીકે જ વહેંચી.
પ્ર: અન્ય બેઠકો પણ યોજાતી રહી. મળાતું રહ્યું. આમ એક તરફ વધુને વધુ સહિયારી પ્રવ્રુતિઓને લીધે ઘનિષ્ટતા વધી, બીજી તરફ બંનેનાં ઘરમાં જીવનસાથીની શોધ ચાલી. પાંચ વર્ષની મિત્રતાના પરિણામે ગ્રુપમાં બીજી પણ જોડીઓ બની રહી હતી ત્યારે અંતે અમે પણ પરણવાનું નક્કી કર્યું. ૧૯૮૯માં પરિવારજનોની નારાજગી વહોરીને પણ પરણ્યાં, ને પડકારો વચ્ચે પણ નવજીવન આરંભ્યું.
* સાહિત્યની ભૂમિકા-પ્રસ્તુતતા બાબતે?
સં.: સાહિત્ય માણસને સંવેદનશીલ બનાવે છે. જીવનને જોવા માટે આગવી દ્રષ્ટિ કેળવી આપે છે. બે વ્યક્તિ વચ્ચે વિચારભેદો-મતભેદો તો રહેવાના જ, એ ભેદો મનભેદ ન બને એ જરૂરી છે, એ સમજ પણ સાહિત્ય કેળવી આપે છે અને અન્ય વ્યક્તિને સમજવામાં ઘણી મદદ કરે છે.
અગાઉ સાધનો વગરના ગ્રામીણ વાતાવરણમાં સાહિત્ય જીવંત હતું, પ્રભાતિયાં, ભજન, લોકગીતો, ગરબા ને દોહરાઓ રૂપે સાહિત્ય લોકોની જીભે જીવંત હતું. સાહિત્યનો ઘણો મોટો હિસ્સો એ જ રીતે સચવાયો છે, લોકો માટે એ જ મનોરંજન પણ હતું. પછી ટેલિવિઝનથી શરૂ થઈને અત્યાર સુધી વિકસેલી ટેકનોલોજી, નવાં સાધનોથી મનોરંજનની નવી પરંપરા શરૂ થઈ. એને લીધે પેલી પરંપરાઓનો સંબંધ કેટલેક અંશે ખોવાયો. એક આખી પેઢી અંગ્રેજી માધ્યમ તરફ ફંટાઈ ગઈ, જેમાંથી ઘણા આપણા સંસ્કાર, સંસ્કૃતિ અને ભાષાથી વિમુખ થઇ ગયા. આ પ્રશ્ન દરેક પ્રાંતીય ભાષા સામે છે.
પ્ર.: સાહિત્યનું રસપાન વ્યક્તિની અંદર એક સંસ્કૃતિને સીંચે છે, જે વ્યક્તિને અવિવેકી ને અસમજૂ થતા અટકાવે છે.
સાહિત્ય તરફ બાળકોને ફરી આકર્ષવા માટે સમાજે ત્રણ મોરચે કામ થવું જોઈએ. શિક્ષક - માતાપિતા – સાહિત્યકાર, એમાં માતાપિતાને સમય નથી, શિક્ષકને સમજ નથી ને સાહિત્યકારોને પોતાનું નામ અને દામ કમવામાંથી ફુરસદ નથી. અત્યારે ત્રણેય નિષ્ફળ છે, એટલે બાળકોને જ્યાં દિશા દેખાય ત્યાં એ તરફ વળી જાય છે.
(ચર્ચાઃ સમીરા પત્રાવાલા)
વરસાદી જીન - સમીરા પત્રાવાલા
બોરીવલીથી છૂટેલી ટ્રેન જ્યારે ભાવનગર ટર્મિનસ પર અટકી, ત્યાં જ મન વિસામાની વડવાઈઓ પર ઝૂલવા લાગ્યું. દાયકા પછી વતનનો વરસાદ માણવાનો અવસર પ્રક્ટ્યો. આમ તો આખા ભાવેણામાં વરસાદ પ્રમાણમાં ઓછો પડે, એટલે ચોમાસામાં ત્યાંની માટી સોળ વરસની કાચી કન્યાની જેમ મહેંકી ઊઠે. પલળેલી મેંદી, બોગનવેલ અને ગુલમોહર, ભીંજાયેલા રસ્તાના રંગીન મિજાજને ઓર રંગીન બનાવી દે...
હવામાં ઓગળેલો આવો રોમાંચ શહેરના ખૂણે ખૂણે પોતાની ફોરમ ફેલાવે એ પહેલાં જ શૈશવ રમતું-કૂદતું મારા પર ઓળઘોળ થઈ ગયું. અહીં આકાશ મન ભરીને દેખા દે... ક્યારેક તૂટેલાં વાદળો દેખાઈ આવે તો ક્યારેક આસમાનને લસરકા પાડી મેઘધનુષ ઊભરાઈ આવે. ઉકળાટમાં સીજાયેલી હવા જ્યારે પહેલા વરસાદનો સ્પર્શ પામે, ત્યારે આખું ભાવેણું ચિલમના નશામાં જુમતા જોગીની જેમ જુમી ઊઠે. મુંબઈની કૃત્રિમતાથી ટેવાયેલી આંખો અહીંના વૈભવ પર ઘડીભર આફરીન થઈ ગઈ. આસમાની છાવણીમાં ખેંચાતાં-ઘેરાતાં વાદળો વીજળીના ચમકારે ચોમાસાનો ઘંટનાદ પોકારે ત્યારે આખા ભાવનગરનું રૂંવાડેરૂંવાડું આળસ મરડીને ઊભું થઈ જતું લાગે.
નાનપણમાં દાદીમા જીનની વાતો કરતાં. એ કહેતાં, જીન તો એવા તાકતવર હોય કે જો તમારા ઉપર મહેરબાન થાય તો એક રાતમાં આખો મહેલ ઊભો કરી દે...
આજે મારી સામે આવું જ કોઈ બરકતી જીન જાણે દ્રશ્યોના ચિરાગ લઈને હાજર ન થયું હોય!
દ્રશ્યનો પહેલો ચિરાગ રોશન થયો. ઝરમર વરસાદ સાથે ઓગળેલી હવામાં ગવર્નમેન્ટ કવાટર્સનું રસોડું દેખાયું. રસોડામાં મહામુસીબતે પગ ઊંચા કરીને ઊંચી બારી પર ટેકવાયેલું એક ડોકું બહારના ખુલ્લા મેદાનમાં વરસાદી પાણીના જમાવડા સાથે તળાવ બનવાની રાહ જોઈ રહ્યું હતું. રસોડામાં ગરમાગરમ ચણાના તીખાં પૂડલાં બની રહ્યાં હતાં. એ પૂડલાં બનતાં ત્યારે છમ્મ અવાજ આવતો, જાણે તવી પર પડતાં અગાઉ કકળાટ ન કરતાં હોય ! વાતાવરણની જેમ અહીંના લોકોય આહલાદક. અહીંની ભાવભીની વસ્તી ભૂકંપથી એટલી ન ડરે જેટલી વાવાઝોડાથી ફફડે. વરસાદ મોટેભાગે પૂરજોર ફૂંકાતા પવન સાથે જ આવે અને ઘણીવાર હળવું ઝાપટું આપે એ પહેલાં વંટોળ બનીને ઓલવાઈ જાય. રેઈનકોટ અને છત્રીના તો રિવાજ જ નહીં. તળાવ બનવાની રાહ જોતી પેલી છોકરી ઓફિસે ગયેલા પપ્પાને વાવાઝોડું ઉડાવી ન જાય એની મનોમન પ્રાર્થના કર્યા કરતી દેખાઈ...
જીને દ્રશ્યનો બીજો ચિરાગ પેટાવ્યો. હવામાં આકાર બદલાયો અને દેખાયો બેઠકનો એક ઓરડો. મુશળધાર વરસાદના છાંટા ઓસરીથી બેઠકખંડ સુધી આવવાની દોડાદોડી કરતા હતા અને એ ઓરડામાં ત્રણ બાળકો લાડકા કાકા સાથે વેપાર રમી રહ્યાં હતાં. પેલી છોકરી હજી આ રમત શીખી નહોતી એટલે કાકાની બાજુમાં બેઠી હતી. ક્યારેક દોડીને રસોડામાં કામ કરતી મમ્મીને ફરિયાદ કરી આવતી તો ક્યારેક ફરફર કે ભજીયાની લહેજત માણતી, ક્યારેક અંદરના કલશોરથી બચીને ઓસરીમાં સાંગોપાંગ પલળતાં હીંચકાને જોતી રહેતી. ક્યારેક તો વળી નીતરતાં નેવાંમાં ભીંજાઈ લપસણી બનેલી સફેદ છાંટણાવાળી ઓસરીમાં ચૂપકેથી વાટકી મૂકી આવતી ને રાહ જોયા કરતી એમાં પાણી ભરાવાની... તો ક્યારેક છત, ઓસરી ને દરેક માળમાંથી પડતા પાણીનાં દદૂડા તાકતી રહેતી. નીચેના ફળિયાનું ઝાડ ઊંચું થઈને ઓંસરીમાં ડાળ લંબાવતું થઈ ગયેલું, એટલે ઉઘાડ આવતા જ લાકડી લઈ પાણીમાં તરબતર ઝાડની ડાળીઓને એ છોકરી એવી રીતે ફટકારતી જાણે પોતાના વાળમાંથી પાણી ઝટકતી હોય... પછી એ છાંટણક્રિડા લાંબી ચાલ્યા કરતી !
દ્રશ્યના ત્રીજા રોશન ચિરાગમાં દેખાઈ એક શાળાની ઈમારત. વરસાદના લયબદ્ધ સંગીતમાં ભીંજાતી ફાતિમા કોન્વેન્ટ પ્રાઈમરી સ્કૂલ...! પળવારમાં ગુલાબી ચેક્સવાળો બાળમંદિરનો યુનિફોર્મ આંખ પર પડદો કરી ગયો. પ્રાર્થના માટે લાઈનબદ્ધ ઊભેલાં પ્રાઈમરીનાં બાળકોમાં ઊંચાઈને લીધે સૌથી છેલ્લી ઊભેલી છોકરીના મનોભાવો બબડી ઊઠ્યા, “આટલી બધી હાઈટ શું કામની કે છેલ્લે જ ઊભું રહેવું પડે?!”
એ ઈમારતની બરાબર સામે ઊભેલી સેંટ ઝેવિયર્સ હાઈસ્કુલના મેદાનમાં પથરાયેલી મોટી, ગોળ, ઠંડી-ઠંડી રેતી વરસાદમાં પલળતી અનુભવાઈ અને ત્યાં ચૌદ વર્ષની કન્યા વરસ-વરસની રાહ જોઈ પોતાની જાતને પૂછતી સંભળાઈ કે “ હવે હું મોટી ક્યારે થઈશ? મારા વાળ કેડ સુધી લાંબા ક્યારે થશે?” વરસાદમાં પલળતાં-પલળતાં ઘરે જતી બે-ત્રણ સખીઓ દેખાઈ.
ચોથો ચિરાગ ઝળહળ થયો ને ઘડીભરમાં તો શૈશવ ઊગીને વીસ વરસની કન્યા બની બોરતળાવના ખરબચડાં રસ્તે લ્યુના લઈ નીકળી પડ્યું, સાથે હતાં ટી-સ્ક્વૅર અને પ્રોજેક્ટ કન્ટેનર, એન્જિનિયર બનવાનાં સપનાં અને મા-બાપે ગર્વથી થાબડેલી પીઠ પર લદાયેલાં પુસ્તકો. એકાતરે બદલાતા ફેરામાં ક્યારેક પેલી લાંબી છોકરી લ્યુના હંકારતી જાય ને પાછળ માંડ એનાં બાવડે પહોંચતી સખી બેઠી હોય, તો ક્યારેક માંડ-માંડ ધરતીએ પહોંચતા પગ ટેકવી-ટેકવીને એ છોકરી, ક્લાસની સૌથી ઊંચી છોકરીને લ્યુનામાં પાછળ બેસાડી ખેંચતી જાય... સવારમાં કોલેજ સમયસર પહોંચવાની હાયહોય સાંજે બોરતળાવ પાસે ઓગળતા સૂરજના નયનાલિંગનમાં શમી જતી. વરસાદમાં એ બોરતળાવના રસ્તા પર ગારો થઈ જતો, પણ રાતોરાત યુવાન થયેલા તળાવમાં નાના-નાના બતકા એની ટીંગરવેજા લઈને રાજાશાહી લટાર મારતા. કિનારે ઊગેલા સફેદ, લાલ, ભૂરાં, ગુલાબી, પીળાં નાનાં-મોટાં ફૂલો પર ગમ્મત કરતાં પતંગિયા હરખાઈને મોઢે આવી ચડતાં ત્યારે પેલી બીક્ક્ણ છોકરી ખુશ થવાને બદલે ડરીને લ્યુનાને બ્રેક લગાવી દેતી... જોકે ભાવેણું જ્યારે છલકાતું ત્યારે આ રસ્તો બંધ થઈ જતો. દિવસો બાદ પાણી ઓસર્યા પછી રસ્તો ખુલતો ત્યારસુધીમાં તો એ બતકની વણઝાર ક્યાંક બીજે રહેવા ચાલી જતી.
આ પલળતું, વરસતું, મહેકતું ભાવેણું જ્યારે મુંબઈનો વરસાદ બનતું ત્યારે ખબર નહીં કેમ પણ વાંછટો ચાબખાની જેમ વાગતી. મુંબઈનો વરસાદ પણ અહીંની લોકલ જેવો, હંમેશાં ઉતાવળમાં, છતાં મુંબઈની પ્રજા વરસાદ બાબતે વાઘઆળસ ધરાવતી લાગે. ચોમાસું આવે એટલે મુંબઈમાં ફક્ત પાણી જ નથી વરસતું. પણ હોર્નના હોંકારા, હાડમારીમાં ગળતી જિન્દગીના લવકારા, મરેલી ઈચ્છાઓનાં મડદાં અને ક્યાંક પહોંચવાની લ્હાય પણ વરસતી દેખાય. આવે સમયે ખબર નહીં કેમ પણ ઘર-આંગણ, ગલી-કૂચા, સ્ટેશન-વેશન, અંતર-વંતર, બધું ભેદીને મન ફક્ત એક જ જગ્યાએ સ્થિર થવા માગે, નરીમન પોઈન્ટ !
પાંચમા ચિરાગની રોશનીમાં દેખાયું એક નવયુગલ- હાથમાં હાથ પરોવી અફાટ દરિયા પર નજર કરતું. ચહેરા પર છંટાતી વાંછટો વરસાદ બની જાય અને ‘હાઈ ટાઈડ’ ડીકલેર થાય એ પહેલાં ઘૂઘવતા દરિયા પર પોતાનાં સપનાંઓનાં ચિત્રો દોરી છૂ...(ચપટી) થઈ જવા તલપાપડ.
છેલ્લો ચિરાગ ઝળહળા અને બોરીવલીના સિગ્નલ પર સ્કૂટર લઈને રેઈનકોટમાં લપાયેલી એક માતા સમયની પહેલી બસ પકડીને પોતાનાં બાળકને સ્કૂલેથી ઘરે લઈ જઈ રહી છે, આ સિગ્નલની આંખ હરિયાળી થાય એટલી જ વાર ! ભીડ અને વાહનોના હોંકારા-પડકારા વચ્ચે પણ શાંતિદૂત જેવા વરસતા વરસાદમાં એની નજર રસ્તા પર લયબદ્ધ પડતાં પાણીનાં પગલાં ઉપર મંડાઈ છે. રસ્તાની પેલે પાર એક તંબુમાં જિંદગીને ઢાંકવાનો પ્રયાસ કરતાં બે-ચાર પડછાયા ટોળું વળીને બેઠા છે. વારેઘડીયે સળગતાં-બુજાતાં ચૂલા ઉપર એક રોટલો હારીને અંતે શેકાયા વગરનો રહી જાય છે, ત્યારે એની પાસે દોડી જઈને પૂછવાનું મન થાય છે કે આ પાણીનાં પગલાં તને શુકનિયાળ લાગ્યા કે અપશુકનિયાળ?
આજની ઘેલછા આવતી કાલની પીડા બની રહેવાની
અંગ્રેજી માધ્યમની પર્વતકાય માર્કેટિંગ અને માતૃભાષાના માધ્યમની પદ્ધતિસર અવગણનાને લીધે માતૃભાષા જૂનવાણીઓનો આગ્રહ તથા અંગ્રેજી આધુનિકોની ફેશન બની ગઈ છે, જે બેનો સંઘર્ષ કશું પરિણામ લાવી શકે એમ નથી.
અંગ્રેજી ભાષા અને માધ્યમને આધુનિકતા સાથે એ રીતે જોડી દેવામાં આવ્યા છે કે એનો વિરોધ કરનારા કે માતૃભાષા માધ્યમની તરફેણ કરનારાને પળનો વિચાર કર્યા વગર જૂનવાણી ઠેરવી દેવામાં આવે છે. લોકોના માનસ પર પણ એવો જ ચિતાર ઘડી દેવામાં આવ્યો છે કે આ ભાઈ નરસિંહમીરાંની વાતો કરે છે, માતૃભાષામાં ભણાવવાના આગ્રહી છે, એનો અર્થ એવો કે તે જૂનીપૂરાણી વિચારધારા ધરાવનારા છે. વિશ્વસ્તરની ભાષાઓ જેટલી જ મહાન ને સમૃદ્ધ હોવા છતાં આપણી ભાષાઓ બીજા ને ત્રીજા દરજ્જાની ભાષાઓ હોય એવો આપણો વ્યવહાર થઈ ગયો છે, અરે વ્યવહાર માત્ર નહીં, આપણને હવે તો વિશ્વાસ થઈ ગયો છે કે આપણે બીજા દરજ્જાના જ છીએ, પહેલા દરજ્જાના તો વિદેશીઓ જ, આ વલણનું શું થઈ શકે? અનેક મહાનુભાવોએ વારંવાર કહ્યા કર્યું છે કે આપણે ભારતીયોએ આપણી પોતિકી માતૃભાષાઓને મહત્વ આપવું જોઈએ. ગાંધીજીએ તો બે ભારતીયો અંગ્રેજી કે વિદેશી ભાષામાં વાત કે પત્રવ્યવહાર કરે તો એમને સખ્ત-સશ્રમ સજા થાય એવી જોગવાઈ ઉમેરવાનું કહ્યું હતું, પણ અગાઉ કહ્યું એમ, આ બધી વાતો જૂનાજોગીઓની છે, આધુનિકો માટે નહીં, આધુનિક વિશ્વ અને આધુનિક પરિસ્થિતિને આ ગાંડાઘેલા જૂનવાણીઓ ક્યાંથી સમજે? માતૃભાષામાં તે કંઈ વળી બાળકને ભણાવાતો હશે? કેવી મૂર્ખતાભરી વાત? અરે, આ જૂનવાણીઓને તો કંઈ ભાન પડે કે દુનિયા ક્યાંની ક્યાં પહોંચી છે?
આપણે તો બાળકને ટનાટન-ચકાચક શોપિંગ મોલ જેવી ઝગમગતી સ્કૂલોમાં જ મોકલીશું અને લાખોની ફીઝ આપીને અમારા બાળક પ્રત્યે અમને કેટલોબધો પ્રેમ છે એ દર્શાવીશું, બાકી બાળકને ઘરે બેસાડી, એને વહાલ કરવાનો, એની સાથે ગપ્પા મારવાનો, એને જાતે કખગઘ-એકડે એક્કો શીખવવાનો, ઉંદરમામા કે સસલામામાની વાર્તા-કવિતાઓ કહેવાનો, એવોબધો ટાઈમ કોને છે ભાઈ? તો અમે અમારો બાળક પરનો પ્રેમ કેવી રીતે દર્શાવીએ? સિમ્પલ, આવી મોંફાટ મોંઘી સ્કૂલો અને ખિસ્સાફાટ એક્સ્ટ્રા એક્ટિવિટીઝના ક્લાસીસો કરાવી, એની પાછળ ચાર હાથે પૈસા ખર્ચીને જ તો અમે બાળકને કહી શકીશું કે જો અમે તને કેટલોબધો પ્રેમ કરીએ છીએ, ફલાણામાસાએ તો એમના બાળકને પાંચ લાખ રૂપિયાનો જ પ્રેમ કર્યો, પણ અમે તો આ એક જ વર્ષમાં તને સાત લાખ રૂપિયાનો પ્રેમ કરી દીધો જોયુંને તે... અમે કેટલાં સારાં માતાપિતા છીએ.
બસ, આ ને આવું જ આપણું વલણ થઈ ગયું છે, આવી વિચારધારામાં મોટા થઈ ભણીગણી સેટ થયેલાં બાળકો પણ ભવિષ્યમાં એમનાં માતાપિતાને કહેશે કે અરે પપ્પા ચિંતા શું કરો છો, આપણા કઝીને તો એમનાં માતા-પિતાને એક કરોડનો જ પ્રેમ કર્યો, એટલે જ તો એક જ વીમો ઉતરાવ્યો ને સાદા વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો એમને... હું તો તમને દસ કરોડનો પ્રેમ કરું છું જુઓ, મેં તમારા બંનેના બે-બે વીમા અને બે-બે મેડિક્લેમ પણ કરાવ્યા છે અને વૃદ્ધાશ્રમમાં તમને ન ફાવ્યું એટલે અહીં આ ફ્લેટમાં બે નોકર સાથે રાખ્યાં છે, છુંને હું એક આદર્શ પુત્ર !
બસ, આવા ‘આદર્શ પુત્રો’થી જ પછી આપણો સમાજ ભરેલો હશે ત્યારે પણ કદાચ આપણને અક્કલ નહીં આવે કે મૂળને અવગણીને કોઈ છોડ પાંગરતો નથી, કોઈ ખેતર પાકતું નથી, કોઈ ફૂલ ખીલતું નથી, બહારથી મળતા પવન-સૂર્યપ્રકાશ ત્યારે જ અસર કરે છે જ્યારે છોડના મૂળ જમીનમાં પૂરતા ઊંડાણ સુધી ઊતરેલા હોય. જગતમાં કોઈ આવી મૂર્ખતાભરી રીતે ફૂલ ખીલવવાની મથામણ નથી કરતું, પણ આપણે એવી મથામણ કરીએ છીએ ને પાછી એ મથામણની માર્કેટિંગ પણ કરીએ છીએ કે જુઓ, મૂળ ગયું મોસાણમાં, મૂળ વગર પણ આ છોડ આભને આંબશે જુઓ, તમારે ફક્ત આટલી ફીઝ ભરવાની છે ને આટલા અસાઈમેન્ટ પૂરાં કરવાનાં છે.
-અને બીજી મહત્વની વાત એ કે આપણે જો આ જ કર્યા કરવું હોય તો પછી ફરિયાદો બંધ કરી દેવી જોઈએ. જ્ઞાનમંદિરોને બદલે ફેશનક્લબો જેવી સ્કૂલોને પસંદ તો આપણે જ કરીએ છીએ, આપણને એ જ જોઈએ છે, તો પછી એમાં વ્યાપેલા દૂષણોની ફરિયાદ શું કામ કરવાની? અરે, જે જ્ઞાનમંદિરોમાં પાંચપચ્ચીસ વિદ્યાર્થીઓને ભણવાની ને એવા વાલીઓને ભણાવવાની ઈચ્છા હોય છે એવા જ્ઞાનમંદિરોની ઈમારતોને આપણે ક્કડભૂંસ કરાવી નાખી છે, તાળા મરાવી દીધા છે અને બાકી રાખી છે બસ આવી મહાકાય ફેશનક્લબો, અને પછી કહીએ છીએ આ તો નરક છે નરક... આ ફેશનક્લબમાં જ્ઞાનના દેવતા કેમ નથી આવતા, આવા બેધ્યાન શિક્ષકો, આવા ભ્રષ્ટ અધિકારીઓ, આવા આળસુ કર્મચારીઓ... આવું દૂષણ...
અરે પણ ભાઈ, જ્ઞાનની પૂજા કરવાને તો મહત્વ જ નથી આપવું. ખૂણેખાંચરે કેટલીક શાળાઓ મિશ્ર ધર્મના વિદ્યાર્થીઓ હોવાથી દાયકાઓથી ચાલતી આવતી સરસ્વતીની વંદના કરવાનું કે શ્લોકો ગવડાવવાની મનાઈ કરી રહી છે, કેટલાકને તો વળી વંદે માતરમ ગવડાવવા સામે પણ વાંધો છો ને એ બધાની સામે કોર્ટમાં પડ્યા છે તો બીજી તરફ અંગ્રેજીની બહુમતી કોન્વેન્ટ સ્કૂલો સદીઓથી બેરોકટોક મધર મેરીની બ્લેસિંગ્સ ગવડાવતી આવી છે એ આપણને ખૂંચતું નથી, ન ખૂંચે છે ધર્મઆધારિત શિક્ષણસંસ્થાનો. ચોવીસે કલાક ને ચારેબાજુ ધર્મપ્રચારની ફેક્ટરી ચલાવતી એ બધી સ્કૂલો આપણને આદર્શ લાગે છે, ને માનવપ્રેમ-પ્રકૃતિપ્રેમ-સર્વધર્મ સમભાવનાં ગુણગાન ગાતી આપણી જ શાળાઓ પછાત છે, કારણ કે ફીઝ વધારે નથી લેતી, બાળકો પર શિસ્તના નામે આદતો નથી લાદતી, બાળકોને મુક્તમને વિકસવા દેવો એ તો જાણે ગુનો થઈ ગયો હોય એમ એને ખાંસી ને છીંક ખાવાની એટિકેટ પણ સ્કૂલો શીખવીને આપે એવું આપણે ઈચ્છીએ છીએ.
આ બધું જ આપણે ચલવી લીધું છે ને આપણી શાળાઓની પડખે હજી આપણે નથી ઊભા રહેવું, આપણી ભાષાઓનો પક્ષ હજી આપણે નથી લેવો, ભાષા વગર સંસ્કૃતિ પણ નહીં ટકી શકે એ નક્કર સત્યને હજી આપણે નથી સ્વીકારવું. હજી બાળકોને આ ઘેટાકંપનીઓમાં જ ઘેટું બનવા મોકલવા છે તો આપણે હસતે મોઢે બધું સ્વીકારી લેવું જોઈએ કે સાહેબ, રાઈટ જ છે બધું, ઓલરાઈટ. ફી વધારાની ફરિયાદો ન કરવી જોઈએ, બાળકોમાં વધેલા સ્ટ્રેસની ચિંતા ન કરવી જોઈએ, ગધેડાની જેમ કામ કર્યા કરવું જોઈએ ને દર મહિને ગૌણ ભરીભરીને સ્કૂલમેનેજમેન્ટની કેબિનમાં પૈસા ઢાલવી આવવા જોઈએ. આ જ આપણી, આપણે સ્વીકારેલી નિયતિ છે.
દુનિયાનો કોઈ દેશ આવી મૂર્ખતાભરી સ્થિતિ-વ્યવસ્થાને વળગી નથી રહ્યો, એને બદલી શકાય છે, લોકોએ બદલ્યો છે, અરે ઘણે ઠેકાણે તો એક-એક વિદ્યાર્થી માટે એની માતૃભાષાના શિક્ષકની વ્યવસ્થા કરી આપવામાં આવે છે, પણ આપણને હજી ઈન્ટરનેશનલ લેન્ગવેજ, અરે યુનિવર્સલ લેન્ગવેજમાં જ બાળકને ભણાવવાના અભરખાં છે તો પરિણામો, ભોગવટાની યાદી પણ સાથે રાખવી જોઈએ, એ યાદીને દરરોજ વાંચતા રહેવું જોઈએ, ને એમાંનું કંઈક ઘટે તો ફરિયાદ કરવાના વલણને, બીજા સેંકડો આક્રોશો પી જઈએ છીએ એ જ રીતે, પી જવો જોઈએ, ચૂપચાપ !
- મુંબઈ ગુજરાતી સંગઠન
ઘાટીને ખુલ્લો પત્ર – જ્યોતિન્દ્ર દવે
ખુલ્લા પત્ર લખવાની કળા દિવસે દિવસે વિકાસ પામતી જાય છે. દૈનિકપત્રમાં લગભગ હંમેશ કોઈ ને કોઈ પ્રકારનો ખુલ્લો પત્ર પ્રગટ થાય છે. વાઈસરૉયથી માંડીને વનિતાવિશ્રામના વ્યવસ્થાપક સુધી સર્વેને ખુલ્લા પત્રો લખવામાં આવે છે. કેટલાક લેખકોને તો જેને તેને પત્રો લખવાની ટેવ જ પડી ગઈ છે. દર બીજે દિવસે તેઓ કોઈને કોઈના ઉપર ખુલ્લો પત્ર લખે છે. એક પ્રસિદ્ધ પુરુષના ખુલ્લા પત્રો હું હંમેશ વાંચું છું. ને હવે એ કોના પર ખુલ્લો પત્ર લખશે, એમ દરેક વખતે એમનો પત્ર વાંચી વિચારમાં પડું છું. હવે એમને પોતાની પત્નીને ખુલ્લો પત્ર લખવાનો રહ્યો છે ને એ કાર્ય એઓ ક્યારે કરે છે તેની હું વાટ જોયા કરું છું.
ખુલ્લા પત્રોની વિશિષ્ટતા એ છે કે જેને માટે એ લખાયેલા હોય છે તેના સિવાયના બધા એ વાંચી શકે છે અને જેને સંબોધીને લખાયેલા હોય છે તે ઘણુંખરું એ વાંચતા નથી. આથી બે પ્રકારનો લાભ થાય છે; પારકા પત્રો વાંચવાની સ્વાભાવિક ને પ્રગતિપોષક ઈચ્છા સંતોષાય છે, અને પોતાના પત્રો વાંચવાના કંટાળાથી બચી શકાય છે. ને લખનારને મોટો લાભ એ થાય છે કે ખાનગી પત્રમાં જે લખવાની હિંમત એની ચાલતી નથી તે જાહેર પ્રજાની સેવાવૃત્તિને નામે એ છડેચોક લખી શકે છે.
આવા અનેક વિચારોને અંતે હું મારા ઘાટીને ખુલ્લો પત્ર લખવાના નિશ્ચય પર આવ્યો છું. મારે એને ઘણું ઘણું કહેવાનું છે પણ સામે મોઢે હું એને કંઈ પણ કહી શકું એમ નથી. અને એનું કારણ, મને મરાઠી-ઘાટીઓ સહેલાઈથી સમજી શકે એવું મરાઠી તો-બિલકુલ આવડતું નથી. એ એક જ નથી. એ ઉપરાંત સબળ કારણ જુદું જ છે.
ઘાટીને તે ખુલ્લો પત્ર હોય? એ કયે દિવસે વાંચવાનો? એવી શંકા કોઈને થશે. પણ ખરું પૂછો તો એ જ કારણથી હું આ પત્ર લખું છું. ઘાટી નહિ વાંચે એવા નિશ્ચાયાત્મક જ્ઞાનના બળ વડે જ હું આ પત્રલેખનની પ્રવૃત્તિ આદરી શકું છું. એ જો વાંચી શકતો હોય તો મારા કોઈપણ લખાણમાં ઘાટી તો શું પણ 'ઘટ' શબ્દ પણ ભૂલથી ન વરપાઈ જાય તેની હું ચોક્કસ કાળજી રાખત. વસ્તુસ્થિતિનો લાભ-અથવા ગેરલાભ-લઈને કોઈ મારા ઘાટીને (મેં એને પત્ર લખ્યો છે એ વાત) કહી દેશે, તો હું એ વાતનો ઈન્કાર કરીશ. એટલું જ નહિં, પણ હું એને જણાવીશ કેઃ 'મેં એ પત્ર તારે માટે નહિ પણ તને જેણે વાત કરી તેના ઘાટીને માટે લખ્યો છે. બધા ઘાટીઓમાં તું અપવાદરૂપ છે. હે ઘાટીશ્રેષ્ઠ! તારે માટે કશી પણ ફરિયાદ નથી.'
આટલી ચોખવટ કર્યા પછી ઘાટી સિવાયના વાચકો માટે જણાવવું જરૂરનું છે કે મારા ઘાટી સંબંધી મારે ફરિયાદ કરવાની છે-સખત કડવા શબ્દોમાં ફરિયાદ કરવાની છે. પુરુરવાની ખાનગી વાત વિદૂષકનું હૃદય ફાડીને મુખ વાટે બહાર આવવા પ્રયત્ન કરતી હતી, તેમ એ ફરિયાદો પણ મારા હૃદયમાં સમાવી શકાતી નથી; મારે કોઈ પણ ઉપાયે એ પ્રગટ કર્યા વગર ચાલે એમ નથી. બીજો કોઈપણ માર્ગ ન હોવાથી મારે ખુલ્લા પત્ર દ્વારા જ મારી ફરિયાદો પ્રગટ કરવી રહી. આ પત્ર શરૂ કરતાં પહેલાં જે ભૂમિકા લખી છે તેનાં દેખીતાં કારણ ઉપરાંત એમાં બીજા ઉદ્દેશ પણ છે. કદાચ મારો ઘાટી અક્ષરજ્ઞાનની કોઈ વિશાળ યોજનાનો લાભ લઈ વાંચતાં શીખી જાય અને એ આ વાંચે અથવા તો કોઈ મારો હિતચિંતક એને આ વાંચી સંભળાવે, તો આટલી ભૂમિકાના ભારથી જ એનું મગજ બહેર મારી જશે, કે ત્યાર પછીનો પત્ર એ જરા પણ સમજી શકશે નહિ. પણ હવે વિસ્તાર કરીશ તો વાચક પણ કદાચ કંટાળી જશે એવા ભયથી હવે હું પત્ર જ આરભું છું.
તુકારામ, સખારામ, ઇઠુ, પાંડુ, ભીખુ અને ખાસ કરીને રામો એવા વિવિધ નામે ઓળખાતા હે ઘાટીશ્રેષ્ઠ! તું અત્યારે મારી પોતાની પેટીમાંથી ચૂનો લઈ મારી નવી ચોપડીના પૂઠા પર તે ચોપડવામાં રોકાયો છે, તે કાર્યમાંથી નિવૃત્ત થઈને તારે માટે જે ફરિયાદો કરવાની છે તે સાંભળ.
હું તારી ફરિયાદ ને વાત જેટલી સાંભળું છું તેટલી મારી વાત કે ફરિયાદ તું સાંભળતો નથી, એ મારી પહેલી ને મોટામાં મોટી ફરિયાદ છે.
હું મોડો ઊઠું છું એ તો તું આટલા અનુભવ પરથી ચોક્કસ સમજ્યો છે. છતાં સવારના પહોરમાં વહેલો આવીને પથારી ઉઠાવવી છે, કચરો કાઢવો છે, એવાં બહાનાં કાઢી તું મને જગાડી મારે છે. તે તરફ હું સખ્ત અણગમો જાહેર કરું છું.
તું મારે ત્યાંથી પાનતંબાકુ લઈ જાય છે તેમાં મારે કંઈ પણ વાંધો નથી. ખરું કહું તો હું એ તારે માટે જ વસાવું છું, પણ તું જઈને તારા મિત્રમંડળને અને આપ્તજન વચ્ચે એની લહાણી કરીને વહેંચીને ખાવાની સદવૃત્તિ દર્શાવે છે, તે મને કંઈક ભારે પડે છે; અને એથી ય વધારે તો, તું બીજા ઘાટીઓ વચ્ચે 'શેઠને પાન લાવતાં આવડતાં નથી, સોપારી સડેલી લાવે છે. કાથો લોટ જેવો હોય છે,' એવી બાબતની ચર્ચા ઉપાડે છે, તે સામે મારો વાંધો છે.
મારાં વાસણો તું જ માંજે છે, અથવા માંજવાનો ઢોંગ કરે છે; છતાં 'શેઠ, તમારા વાસણો ચીકણાં બહુ રહે છે,' એમ તું મારે મોઢે ફરિયાદ કરે છે, ત્યારે જગતમાં પ્રામાણિકતા, ન્યાય કે સચ્ચાઈ જરા પણ છે કે નહીં એ વિષે મને ઘણો સંદેહ થાય છે. હું જ્યારે જ્યારે તારી સાથે મરાઠીમાં વાત કરું છું ત્યારે મારો ઉદ્દેશ તને હસાવવાનો હોતો નથી. હું તને કંઈક ઉપયોગી કાર્ય કરવા કહું છું એમ સમજી તારે હસવાનું છોડી મારા કહેવા પર લક્ષ આપવું જોઈએ.
હું તારી સાથે મરાઠીમાં બોલું તેથી તારે મારી જોડે ગુજરાતીમાં બોલવાની કંઈ જ જરૂર નથી. મારું મરાઠી તું ભલે નહીં સમજતો હોય, તારી મરાઠી હું સમજી શકું છું. હું જે વસ્તુ જ્યાં મૂકું છું ત્યાંથી તેને ખસેડીને તું બીજે ઠેકાણે મૂકી દે છે. હું પેન્સિલ, ખડિયો, કાગળ વગેરે ટેબલ પર મૂકું છું, તો તું ત્યાંથી તેને ખસેડીને રસોડમાં મૂકે છે, અને તેને બદલે ટેબલ પર કોઈક વાર ધોવાઈને આવેલાં કપડાં ને ઘણી વાર રસ્તામાં ફેંકી દીધેલા જૂના જોડા લાવીને મૂકે છે. ઢાંકણું બરાબર રાખી શકાય તે માટે હું ટ્રંકને ભીંતથી દૂર મૂકું છું તો તું તેને તરત જ ભીંતની અડોઅડ પાછી મૂકી દે છે. મને વહેમ છે - અરે, ખાતરી છે- કે તું આ જાણી જોઈને, મને ચીઢવવાને માટે જ કરે છે. તારે મને ચીઢવવો જ છે; કેમ? તું મને ગુસ્સો જ કરવા માગે છે, ખરું? તો-તો હું તને સાફ સાફ કહી દઉં છું, કે હું એથી જરા પણ ચિઢાતો નથી! હું મોડી રાતે ઘેર આવવાનો હોઉં ત્યારે તું બારણાં આગળ ટેબલ, તેની જોડે ખુરશી, ખુરશી પાસે ત્રણ ટ્રંક ને ટ્રંક પર ગોળી એમ ગોઠવીને દીવો હોલવીને ચાલ્યો જાય છે. હું ઘરે આવું ત્યારે અંધારામાં ટેબલ સાથે પહેલાં મારું માથું કુટાય પછી ખુરસી મારા પગના નાળા ભંગી નાંખે, ત્યાર પછી ટ્રંકના ખૂણા પગમાંથી લોહી કાઢે ને છેવટે ગોળી મારી સાથે ઓરડામાં ગબડવા લાગે, એટલા માટે જ તું એમ કરે છે, એ હું જાણું છું. દુઃખ સાથે હું કબૂલ કરું છું કે તારી એ દુષ્ટ મુરાદ ઘણી વખત બર આવી છે. તારા ઉદ્દેશમાં તે ધારી પણ ન હોય એટલી સફળતા તને મળી છે.
તું બે મહિના આગળ જ તારો પગાર માગે છે. એ તારી રીત ખોટી છે. કોઈ પણ મોટી-મોટી કે નાની-ઓફિસમાં એમ 'આંગ ઉપર' પગાર મળતા નથી. મને કોઈ દિવસ એમ પગાર મળ્યો નથી ને મળવાનો નથી. અમને આગળથી નહીં જ, પાછળથી પગાર આપવામાં આવે છે. ઘણી વાર તો બાપનો પગાર, તેના મૃત્યુ બાદ તેના પુત્ર કોર્ટની મદદથી વસૂલ કરી શકે છે.
તું કોઈ વાર દારૂ પીએ છે તે વિષે મારે કંઈ કહેવાનું નથી. પણ તું દારૂ પીને મને પીધેલો શા માટે ઘારે છે તે હું સમજી શકતો નથી. એમાં કાર્યકારણના નિયમનો ભંગ થાય છે એ તો તું કદાચ નહિ સમજે, પણ એમાં મારી આબરૂને, તારા મિત્રમંડળમાં મારી જેટલી આબરૂ તેં રહેવા દીધી હોય તેટલી આબરૂને-હાનિ પહોંચે છે, એ સ્પષ્ટ કરવાની જરૂર છે?
તને મેં સલાહ આપવા રોક્યો નથી, તને આપું છું તેટલા પૈસામાં જ સારી સલાહ આપનારા વકીલો એટલા બધા છે કે તેમને છોડીને મારે તારી સલાહ લેવાની જરૂર નથી. તને વાત કરવાનો અત્યંત શોખ છે. હું કોઈ રસભર્યું પુસ્તક વાંચતો હોઉ ત્યારે મારી સામે બેસીને પાનની પેટી લઈ હાથમાં ચૂનો ને તંબાકુ મસળતો મસળતો તું પાડોશીઓની વાત કરવા બેસે છે, અથવા મારી નાજુક તબિયતને સુધારવાના પ્રાથમિક પ્રયાસો સૂચવે છે, કે મારા ખોરાકમાં કરવા જોઈતા ફેરફારોની યાદી કહી સંભળાવે છે, ત્યારે તારું ને મારું બંનેનું કામ ને મારા એકલાનો મિજાજ બગડે છે, એનો તને ખ્યાલ રહેતો નથી.
તારા અવાજથી, તારા મૂઠી વાળી હાથ હલાવી ધમકી આપવાના અભિનયથી, અને લાગ મળતાં પ્રતિસ્પર્ધીને નળ કે ભીંત જોડે ઘોંચી દઈને અનવરત મુષ્ટિપ્રહાર કર્યા જવાના તારા ચાતુર્યથી અત્યારે નામશેષ થયેલી આર્યોની વીરશ્રીને તેં ટકાવી રાખી છે તે હું જાણું છું, પરંતુ હથિયારના અભાવે, આપણને નિઃશસ્ત્ર કરવાનો કાયદો બ્રિટિશ સરકારે કર્યો છે તે કારણથી, તું મારાં કડછી, તવેથો અને બીજાં વાસણોનો શસ્ત્રાસ્ત્ર તરીકે ઉપયોગ કરી તેમને હંમેશના ઉપયોગ માટે નિરર્થક કરી મૂકે છે, તે કોઈ પણ રીતે વાજબી નથી. પ્રતિસ્પર્ધી સામે પથરો ફેંકે, ઈંટ ફેંકે કે મોટી શિલા ફેંકે તેમાં મારે કંઈ કહેવાનું નથી. પણ તું જ્યારે તને માંજવા આપેલાં મારાં વાસણો ફેંકવા મંડે છે ત્યારે એ દૃશ્ય જોઈને ઘડીભર મારું હૃદય અટકી જાય છે.
મારા ગુણાવગુણો-ખાસ કરીને અવગુણો-મારી રહેણીકરણી ને મારાં સ્નેહીસંબંધીઓ એ સર્વનું ઝીણવટભર્યું, ને ઊંડું પૃથ્થકરણ કરી તે વિષે જાહેરમાં અહેવાલ રજૂ કરવા મેં તને રોક્યો નથી. 'શેઠ ખાય છે બહું ઓછું, ને ઊંઘે છે બહુ વધારે!' એમ મારા સંબંધી બધા પાડોશીઓને કહી આવવાની તારે કાંઈ પણ જરૂર નહોતી.
અમને અઠવાડિયામાં એક જ દિવસ રજાનો મળે છે; ઈશ્વરે પણ એક જ દિવસ આરામ લીધો હતો; પણ તું દર અઠવાડિયે ઓછામાં ઓછા બે દિવસ તારી મેળે જ તને રજા આપે છે. અને એ પણ કદાચિત્ ચલાવી લઉ, પણ કયા દિવસે તું નક્કી કરે છે એ સામે મારે સખ્ત વાંધો છે. જ્યારે મારે ખાસ કામ હોય કે મેં ઘરે મિત્રને જમવા બોલાવ્યો હોય ત્યારે જ તું નથી આવતો એ કંઈ આકસ્મિક હોય એમ માનવા હું તૈયાર નથી. મારા મિત્રો આગળ ચાના પ્યાલા ને બીજાં વાસણો માંજવાનું ક્ષુદ્ર કાર્ય મારે કરવું પડે ને તેથી હું હલકો પડું, એ તારો ઉદ્દેશ ચોક્કસ કળી શકું છું.
પણ આ બધું છતાં તું મને એકલો મૂકીને ચાલ્યો ન જતો. માસ્તર, વકીલ, કારકુન વગેરે બધા ધંધાનાં ક્ષેત્રમાં હવે કોઈને માટે જગા રહી નથી. 'તું નહીં, તો તારા બાપ બીજા!' એમ સહેલાઈથી અસીલો વકીલને, હેડમાસ્તર અથવા શાળાના સંચાલકો માસ્ટરને, શેઠ કારકુનને કહી શકે છે. ઘાટીને કોઈ એમ કહી શકતું નથી; કારણ કે એક ઘાટી જતાં તેની જગ્યાએ બીજો મળવો મુશ્કેલ છે. અને કદાચ બીજો મળે તો યે તે સ્થિર થઈને તો નહિ જ રહે. મારા એક ઓળખીતાને ત્યાં એક મહિનામાં 28 ઘાટી બદલાયા હતા. 30 નહિ ને 28 જ. તેનું કારણ એટલું જ કે તે ફેબ્રઆરી માસ હતો. એક જાણીતા પત્રના તંત્રીઓ સિવાય આટલા થોડા વખતમાં એક જગ્યાએ આટલા બધા માણસો આવ્યા હોય એ હું જાણતો નથી. આ કારણથી હું ઘાટીને કોઈ પણ રીતે નારાજ કરવા માગતો નથી.
ઘાટી અને શેઠની ફરજ એક જ વાક્યમાં સમજાવવી હોય તો કહી શકાય, કે શેઠની ફરજ એ છે કે ઘાટીને કદી નારાજ ન કરવો, ને ઘાટીની ફરજ એ છે કે શેઠને હંમેશ નારાજ રાખવો.
('રંગતરંગ'પુસ્તકમાંથી)