એક નાનુંએવું પુસ્તક માણસને ક્યાંથી ક્યાં લઈ જઈ શકે? - મિતુલ ત્રિવેદી

સાહિત્ય ! બીજા અનેક શુભ-પરિણામો ઉપરાંત સાહિત્ય આપણને માણસની પણ ઓળખ કરવામાં મદદ કરે છે. ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે અમુક સારા માણસને ખરાબ માની લેતા હોઈએ છીએ, કે વિપરીત પરિસ્થિતિમાં આપણે ખરાબ માણસને સારા માની લેતા હોઈએ છીએ. સતત સંસર્ગને કારણે માણસોની નાનામાં નાની વાતો અને તેનાં લક્ષણો નોંધવાની આવડત મારામાં વિકસી એ સાહિત્યસેવનને આભારી. સાહિત્યની મદદથી ભલે સાચા મિત્રો મળે કે ન મળે, પણ સાચા મિત્રો કેવા હોય તે ઓળખવાની ક્ષમતા સાહિત્ય જરૂર વિકસાવી આપે છે.
આપણ એ તો હંમેશાં જ જોયું છે કે સાહિત્ય સમાજને સાચી દિશા બતાવી શકે છે અને એટલું જ નહીં તે ક્રાંતિ પણ સર્જી શકે છે. આ વાતના ઘણા પુરાવા ઈતિહાસમાં પણ જોવા મળે છે. આપણે એ પણ જોયું છે કે સાહિત્ય જો કોઈ મોભી અથવા તો સમજદાર વ્યક્તિના હાથમાં જાય તો ત્યારે મુશ્કેલ લાગતા ઘણા પ્રશ્નો અત્યંત સરળ રીતે આપણે જનમાનસ સુધી પહોંચાડી શકીએ છીએ. વિશ્વના કોઈપણ મહાન વ્યક્તિઓને એક સવાલ પૂછી જોઈએ કે, ‘તમને સાહિત્ય ક્યારે મદદરૂપ થાય છે?’ ત્યારે તેમના તરફથી એક જવાબ અચૂક મળશે કે, ‘સાહિત્ય મુશ્કેલીના સમયે આધાર આપે છે અને ખોટા રસ્તે જતા અટકાવે છે.’
અંગત વાત કહું તો વ્યવસાય ઈતિહાસસંબંધિત એટલે મારા માટે સાહિત્યનું મહત્વ પણ એટલું જ, જેટલા ઈતિહાસ અને વિજ્ઞાન મહત્વના ! મારા વ્યવસાયમાં વાંચન પાયો છે. સંશોધનો માટે બહોળું વાંચન અનિવાર્ય છે. એ વાંચનમાં ઘણાં બધા પ્રકારના પુસ્તકો વાંચવામાં પડે, જેમાંથી કેટલીક વાર સાહિત્ય પણ હોય. સાહિત્યમાં પણ ઘણાં પૌરાણિક દસ્તાવેજો મળી આવે છે, જેના કારણે પણ સાહિત્યના સંપર્કમાં રહેવું પડે છે. ઘણો ઈતિહાસ સાહિત્ય સ્વરૂપે પણ સચવાયેલો છે એટલે સાહિત્યના સંસર્ગમાં આવવું એ મારા માટે સહજ છે. આ સાહિત્ય વ્યવસાયેત્તર પ્રવૃત્તિઓ અથવા તો મારા અંગત જીવનમાં પણ ઘણી રીતે ફાયદાકાર થયું છે તે મેં નોંધ્યું છે.
સાહિત્ય મારા જીવન માટે સીડી-સોપાન બન્યું છે. જેના પર પગલાં માંડી માત્ર માનસિક જ નહીં પણ બૌદ્ધિક સ્તર પણ ઘણું ઊંચું આવ્યું છે. મારામાં ઘણા ગુણોનું સિંચન કરવામાં અને આજે સમાજમાં નોખું સ્થાન મેળવવામાં સાહિત્યએ જ મને મદદ કરી છે. સાહિત્યએ મને નમ્રતા આપી છે. માણસ જોડે નમ્ર રહેવું એ ક્યારેય સરળ ન હતું, પણ સાહિત્યના સતત સંસર્ગે આ ગુણને કેળવવામાં અને તે કેળવણીને દરેકે દરેક પળે અમલમાં મૂકવામાં પણ એટલી જ મદદ કરી છે. સાહિત્યએ મારામાં પારદર્શકતા પણ વિકવાસવી છે.
મારો અને વાંચનનો સંબંધ કંઈક વધારે પડતો ઊંડો છે. 1996ના વર્ષની આસપાસ હું ઓફિસના કામથી હૈદરાબાદ વારંવાર આવજા કરતો હતો. ત્યારે એક વાર મારા કાકાના દીકરા માટે વૈદિક ગણિતનું પુસ્તક લઈને આવ્યો હતો, પરંતુ હું પુસ્તક લઈને સુરત પહોંચું તે પહેલાં જ મારા કાકાના દીકરાને અમેરિકા જવાનું થયું. તેથી આ પુસ્તક મારા પાસે જ રહી ગયું. જ્યારે મેં આ પુસ્તકના પાનાં ફેરવ્યા ત્યારે મને ગણિતની કેટલીક અદભુત પદ્ધતિઓ જાણવા મળી અને ધીરેધીરે આ પદ્ધતિઓ મેં બાળકને અને અન્ય લોકોને શીખવવાનું શરૂ કર્યું. આ વાંચવાનો શોખ એટલો વ્યાપ્યો કે મે અન્ય ભાષાઓમાં મળેલી મેન્યુસ્ક્રીપ્ટ્સ-હસ્તપ્રતો પણ વાંચવાની અને સમજાવવાની શરૂ કરી, પછી તો પ્રાચીન ભાષાઓમાં રસ વધ્યો એટલે એ શીખવાની શરૂઆત કરી, અને એ જ શોખે મને ISRO અને NASA જેવી સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દાઓ પર કામ કરવાની તક આપી. તેમ જ માનદપદવીઓ પણ અપાવી.
આમ કોઈ વ્યક્તિ એક નાનું પુસ્તક વાંચવાનું શરૂ કરે, ખૂબ રસ પડે અને એ રસ જ નવી ઓળખ ઊભી કરી અનેરા શિખરો સુધી લઈ જવામાં મદદ કરે એ વાત કોઈ ફિલ્મની પટકથા જેવી વાત લાગે, પણ આ ફિલ્મની નહીં મારા પોતાના જીવનની ખરેખરી વાર્તા છે. સાહિત્ય કે પુસ્તકમાં ખરેખર પરિવર્તન ક્ષમતા છે, તે વાત મને મારા પોતાના જ જીવન પરથી જાણવા મળી છે.

(મિતુલ ત્રિવેદી સુરતસ્થિત ઈતિહાસવિદ્ ને સંશોધક છે. ચર્ચાઃ નીરજ કંસારા)


સમાન સાહિત્યરસની પ્રેમતંતૂ બને ત્યારે?

મુલાકાતઃ સંજય પંડ્યા-પ્રતિમા પંડ્યા

* હા ત્યારે, શરૂઆત?
સંજય પંડ્યા: પપ્પા(વિઠ્ઠલ પંડ્યા) ફિલ્મક્ષેત્રે અને સાહિત્યક્ષેત્રે એક સાથે કાર્યરત, એટલે ઘરમાં અખબાર-સામયિકો પણ એટલાંબધાં આવે કે એક સાથે બાર-પંદર ધારાવાહિકો અને નવલકથાઓ વાંચતી રહે. લગભગ ૧૦ વર્ષની ઉંમર સુધીમાં અઢળક વાંચી લીધેલું અને ત્યારે એ બધું ખૂબ જ સહજ લાગતું. સ્કૂલમાં લોકો મને પપ્પાના સાહિત્યકર્મને લીધે વિશેષ માન આપતા તો ક્યારેક રેલ્વે સ્ટેશનમાં ટિકિટચેકર ઊભા રહીને એમના ચાહક હોવાની વાત કરતા ત્યારે ખૂબ ગમતું.
પ્રતિમા પંડ્યાઃ ગોંડલમાં જન્મ, મુંબઈ આવી ત્યારે સાત વર્ષની. ઘરમાં કોઈ જ સાહિત્યિક માહોલ નહિ, પણ રોજબરોજના જીવનમાં જેમ અત્યારે ધારાવાહિકોમાં લગ્નપ્રસંગ, તહેવાર, મહેમાન અને સાર-નરસા પ્રસંગો જીવાય છે, એ જીવાતા રહ્યા. પપ્પાને અખબાર વાંચવાની ટેવ અને પછી એમની વાતો, ખાસ કરીને ઐતિહાસિક સંદર્ભોની વાતો સાંભળવી ગમતી, એમની રજૂઆત મને સ્પર્શી જતી. મમ્મી પાક્કા વૈષ્ણવ એટલે ઘરમાં ભજન-કીર્તન પણ ચાલ્યા કરે, જે કાને અથડાતા રહે.

* તો શબ્દપ્રવેશ? આરંભી પ્રેરણા?
સં: પપ્પાની આંગળી પકડીને માણેલા વાર્તાવર્તૂળમાં, દિનકર જોશી, પ્રવીણચંદ્ર રૂપારેલ, ચંદુલાલ સેલારકા તો ક્યારેક સુરેશ દલાલ અને અમદાવાદથી રઘુવીરભાઈના સંસર્ગનો પણ લ્હાવો નાનપણમાં જ મળતો થયો, ત્યાં સુશીલાબેન ઝવેરી મને બાળગીતો સંભળાવતાં. એ લય-કવિતાનો પ્રથમ પરિચય. નાનપણમાં ગામ(કાબોદરા-સાંબરકાંઠા)માં જવાનું બહુ થતું. વેકેશન પડે અને ગામની વાટે ઉપડીએ. ગામથી પચાસ-સો ડગલાં ચાલતાં જ ખેતરો શરૂ થાય. ગામનો વૃક્ષાચ્છાદિત ઝાંપો, કૂવો-જ્યાં કોસ ચાલતો, ત્યાં પાણી ઉલેચાઈને હવાડામાં આવે, પાદર નજીક હનુમાનાજીના મંદિરમાં રાત્રે આરતી કરતાં, જાતે તોડીને કેરીઓ ખાતા, મકાઈના ડોડા ભેગા કરી તાપણામાં શેકતાં, હાથ-ગાડું ચલાવતાં, છાપરે મોર અને કોયલના ટહુકા હોય, ચકલીઓના માળા હોય અને ૩૦૦-૪૦૦ મીટર દૂર કોઈ પંપ ચાલવે ત્યારે જે ‘ભક ભક’ ધ્વનિ ઉત્પન્ન થાય એવા કેટલાયે અવાજો મનમાં લય બની ઘૂંટાતા રહ્યા. મોટાભાગના પ્રલંબલયનાં ગીતો આ સંસ્કારથી લખાયાં. ક્યારેક શહેરની ટ્રેન અને બસની મુસાફરીના સમયનો ધ્વનિ પણ પ્રેરણા આપતો રહ્યો. ગીત પછી અન્ય પ્રકારોમાં પહોંચાયું, જે માણ્યું એ લખાતું રહ્યું.
પ્ર: સ્વાભાવિક રીતે જ રોજબરોજ જોયેલું-સાંભળેલું બધું મનમાં ધરબાઈ રહે. સ્કૂલની મૌખિક પરીક્ષાઓમાં કવિતાઓના મોઢે પાઠ કરવાના હોય એ ખૂબ ગમતું. કોલેજમાં કવિસંમેલનો માણતી થઈ. એકવખત બોર્ડ પર મૂકવાની હિન્દી અછાંદસ કવિતાનો ગુજરાતી અનુવાદ કર્યો, ત્યારે સૌને ગર્વથી કહેતી ફરતી કે આ મેં કર્યું છે. પણ પછીથી વાંચનમાં અલગ-અલગ કવિતાઓ વાંચતી, એમાં શું અલગ કરી શકાય એ વિચાર આવ્યા કરતો અને એ બધામાંથી ‘તલાશ’ નામે પહેલી કવિતાનો પ્રયાસ થયો. આ ઉપરાંત ‘પ્રગતિ’ની બેઠકોનો લાભ મળ્યો. હા, મારા ગુરુ નૌશીલ શાહની પણ ભૂમિકા. શરૂઆતમાં અમૃતા પ્રીતમ અને પન્ના નાયકનાં કાવ્યોથી બહુ પ્રભાવિત રહી. લગ્ન પછી પ્રવૃતિઓ-લેખન બધું થોડું મંદ થયું. પણ એક સમય બાદ ફરી બધું શરૂ થયું.

* અને લગ્ન?
સં: ‘જનશક્તિ’માં સુધીર માંકડ ‘કેન્ટિન કોલિંગ’ નામની કટાર લખતા, જેમાં બે-ત્રણ નામ શોર્ટલિસ્ટ કર્યાં હતાં. એક બીજો મિત્ર મિતુલ અને પ્રતિમા બંનેને કાગળ લખ્યા હતા. બંનેનાં જવાબ મળ્યા. પછી તો કાર્યક્રમોમાં મળતાં રહ્યાં. કાર્યક્રમની માહિતીઓની પણ આપ-લે ચાલી. પાંચેક વર્ષ આમ રહ્યું. એ દરમિયાન ૧૯૮૬-૮૭ની આસપાસ પ્રગતિ મિત્ર મંડળમાં મહિનાના એક શનિવારે કવિઓની બેઠક શરૂ થઈ એમાં પણ સાથે. એ સમયે ‘સમકાલીન’ અખબાર દ્વારા સાહિત્યિક જનરલ નોલેજની સ્પર્ધા યોજાઈ, જેમાં જોડીમાં જ ભાગ લઈ શકાય. એ સ્પર્ધામાં ૬૦૦ જોડીમાંથી ત્રણ જોડી પસંદ થઈ, જેમાં અમેય હતાં. ઈનામરૂપે ૫૦૦ રૂપિયા અને એક નેકલેસ મળ્યા. (હસીનેઃ નેકલેસ પ્રતિમાને આપી દીધો.) ઈનામી રકમ સાહિત્યિક પ્રવૃત્તિ માટે જ વપરાય એવા આશયથી અમે અને દિલીપ રાવલ એસ.એન.ડી.ટી.માં જયંત પાઠક પાસે ગયાં અને એ રકમ ઇનામ તરીકે જ વહેંચી.
પ્ર: અન્ય બેઠકો પણ યોજાતી રહી. મળાતું રહ્યું. આમ એક તરફ વધુને વધુ સહિયારી પ્રવ્રુતિઓને લીધે ઘનિષ્ટતા વધી, બીજી તરફ બંનેનાં ઘરમાં જીવનસાથીની શોધ ચાલી. પાંચ વર્ષની મિત્રતાના પરિણામે ગ્રુપમાં બીજી પણ જોડીઓ બની રહી હતી ત્યારે અંતે અમે પણ પરણવાનું નક્કી કર્યું. ૧૯૮૯માં પરિવારજનોની નારાજગી વહોરીને પણ પરણ્યાં, ને પડકારો વચ્ચે પણ નવજીવન આરંભ્યું.

* સાહિત્યની ભૂમિકા-પ્રસ્તુતતા બાબતે?
સં.: સાહિત્ય માણસને સંવેદનશીલ બનાવે છે. જીવનને જોવા માટે આગવી દ્રષ્ટિ કેળવી આપે છે. બે વ્યક્તિ વચ્ચે વિચારભેદો-મતભેદો તો રહેવાના જ, એ ભેદો મનભેદ ન બને એ જરૂરી છે, એ સમજ પણ સાહિત્ય કેળવી આપે છે અને અન્ય વ્યક્તિને સમજવામાં ઘણી મદદ કરે છે.
અગાઉ સાધનો વગરના ગ્રામીણ વાતાવરણમાં સાહિત્ય જીવંત હતું, પ્રભાતિયાં, ભજન, લોકગીતો, ગરબા ને દોહરાઓ રૂપે સાહિત્ય લોકોની જીભે જીવંત હતું. સાહિત્યનો ઘણો મોટો હિસ્સો એ જ રીતે સચવાયો છે, લોકો માટે એ જ મનોરંજન પણ હતું. પછી ટેલિવિઝનથી શરૂ થઈને અત્યાર સુધી વિકસેલી ટેકનોલોજી, નવાં સાધનોથી મનોરંજનની નવી પરંપરા શરૂ થઈ. એને લીધે પેલી પરંપરાઓનો સંબંધ કેટલેક અંશે ખોવાયો. એક આખી પેઢી અંગ્રેજી માધ્યમ તરફ ફંટાઈ ગઈ, જેમાંથી ઘણા આપણા સંસ્કાર, સંસ્કૃતિ અને ભાષાથી વિમુખ થઇ ગયા. આ પ્રશ્ન દરેક પ્રાંતીય ભાષા સામે છે.
પ્ર.: સાહિત્યનું રસપાન વ્યક્તિની અંદર એક સંસ્કૃતિને સીંચે છે, જે વ્યક્તિને અવિવેકી ને અસમજૂ થતા અટકાવે છે.
સાહિત્ય તરફ બાળકોને ફરી આકર્ષવા માટે સમાજે ત્રણ મોરચે કામ થવું જોઈએ. શિક્ષક - માતાપિતા – સાહિત્યકાર, એમાં માતાપિતાને સમય નથી, શિક્ષકને સમજ નથી ને સાહિત્યકારોને પોતાનું નામ અને દામ કમવામાંથી ફુરસદ નથી. અત્યારે ત્રણેય નિષ્ફળ છે, એટલે બાળકોને જ્યાં દિશા દેખાય ત્યાં એ તરફ વળી જાય છે.
(ચર્ચાઃ સમીરા પત્રાવાલા)


વરસાદી જીન - સમીરા પત્રાવાલા

બોરીવલીથી છૂટેલી ટ્રેન જ્યારે ભાવનગર ટર્મિનસ પર અટકી, ત્યાં જ મન વિસામાની વડવાઈઓ પર ઝૂલવા લાગ્યું. દાયકા પછી વતનનો વરસાદ માણવાનો અવસર પ્રક્ટ્યો. આમ તો આખા ભાવેણામાં વરસાદ પ્રમાણમાં ઓછો પડે, એટલે ચોમાસામાં ત્યાંની માટી સોળ વરસની કાચી કન્યાની જેમ મહેંકી ઊઠે. પલળેલી મેંદી, બોગનવેલ અને ગુલમોહર, ભીંજાયેલા રસ્તાના રંગીન મિજાજને ઓર રંગીન બનાવી દે...
હવામાં ઓગળેલો આવો રોમાંચ શહેરના ખૂણે ખૂણે પોતાની ફોરમ ફેલાવે એ પહેલાં જ શૈશવ રમતું-કૂદતું મારા પર ઓળઘોળ થઈ ગયું. અહીં આકાશ મન ભરીને દેખા દે... ક્યારેક તૂટેલાં વાદળો દેખાઈ આવે તો ક્યારેક આસમાનને લસરકા પાડી મેઘધનુષ ઊભરાઈ આવે. ઉકળાટમાં સીજાયેલી હવા જ્યારે પહેલા વરસાદનો સ્પર્શ પામે, ત્યારે આખું ભાવેણું ચિલમના નશામાં જુમતા જોગીની જેમ જુમી ઊઠે. મુંબઈની કૃત્રિમતાથી ટેવાયેલી આંખો અહીંના વૈભવ પર ઘડીભર આફરીન થઈ ગઈ. આસમાની છાવણીમાં ખેંચાતાં-ઘેરાતાં વાદળો વીજળીના ચમકારે ચોમાસાનો ઘંટનાદ પોકારે ત્યારે આખા ભાવનગરનું રૂંવાડેરૂંવાડું આળસ મરડીને ઊભું થઈ જતું લાગે.
નાનપણમાં દાદીમા જીનની વાતો કરતાં. એ કહેતાં, જીન તો એવા તાકતવર હોય કે જો તમારા ઉપર મહેરબાન થાય તો એક રાતમાં આખો મહેલ ઊભો કરી દે...
આજે મારી સામે આવું જ કોઈ બરકતી જીન જાણે દ્રશ્યોના ચિરાગ લઈને હાજર ન થયું હોય!


દ્રશ્યનો પહેલો ચિરાગ રોશન થયો. ઝરમર વરસાદ સાથે ઓગળેલી હવામાં ગવર્નમેન્ટ કવાટર્સનું રસોડું દેખાયું. રસોડામાં મહામુસીબતે પગ ઊંચા કરીને ઊંચી બારી પર ટેકવાયેલું એક ડોકું બહારના ખુલ્લા મેદાનમાં વરસાદી પાણીના જમાવડા સાથે તળાવ બનવાની રાહ જોઈ રહ્યું હતું. રસોડામાં ગરમાગરમ ચણાના તીખાં પૂડલાં બની રહ્યાં હતાં. એ પૂડલાં બનતાં ત્યારે છમ્મ અવાજ આવતો, જાણે તવી પર પડતાં અગાઉ કકળાટ ન કરતાં હોય ! વાતાવરણની જેમ અહીંના લોકોય આહલાદક. અહીંની ભાવભીની વસ્તી ભૂકંપથી એટલી ન ડરે જેટલી વાવાઝોડાથી ફફડે. વરસાદ મોટેભાગે પૂરજોર ફૂંકાતા પવન સાથે જ આવે અને ઘણીવાર હળવું ઝાપટું આપે એ પહેલાં વંટોળ બનીને ઓલવાઈ જાય. રેઈનકોટ અને છત્રીના તો રિવાજ જ નહીં. તળાવ બનવાની રાહ જોતી પેલી છોકરી ઓફિસે ગયેલા પપ્પાને વાવાઝોડું ઉડાવી ન જાય એની મનોમન પ્રાર્થના કર્યા કરતી દેખાઈ...
જીને દ્રશ્યનો બીજો ચિરાગ પેટાવ્યો. હવામાં આકાર બદલાયો અને દેખાયો બેઠકનો એક ઓરડો. મુશળધાર વરસાદના છાંટા ઓસરીથી બેઠકખંડ સુધી આવવાની દોડાદોડી કરતા હતા અને એ ઓરડામાં ત્રણ બાળકો લાડકા કાકા સાથે વેપાર રમી રહ્યાં હતાં. પેલી છોકરી હજી આ રમત શીખી નહોતી એટલે કાકાની બાજુમાં બેઠી હતી. ક્યારેક દોડીને રસોડામાં કામ કરતી મમ્મીને ફરિયાદ કરી આવતી તો ક્યારેક ફરફર કે ભજીયાની લહેજત માણતી, ક્યારેક અંદરના કલશોરથી બચીને ઓસરીમાં સાંગોપાંગ પલળતાં હીંચકાને જોતી રહેતી. ક્યારેક તો વળી નીતરતાં નેવાંમાં ભીંજાઈ લપસણી બનેલી સફેદ છાંટણાવાળી ઓસરીમાં ચૂપકેથી વાટકી મૂકી આવતી ને રાહ જોયા કરતી એમાં પાણી ભરાવાની... તો ક્યારેક છત, ઓસરી ને દરેક માળમાંથી પડતા પાણીનાં દદૂડા તાકતી રહેતી. નીચેના ફળિયાનું ઝાડ ઊંચું થઈને ઓંસરીમાં ડાળ લંબાવતું થઈ ગયેલું, એટલે ઉઘાડ આવતા જ લાકડી લઈ પાણીમાં તરબતર ઝાડની ડાળીઓને એ છોકરી એવી રીતે ફટકારતી જાણે પોતાના વાળમાંથી પાણી ઝટકતી હોય... પછી એ છાંટણક્રિડા લાંબી ચાલ્યા કરતી !
દ્રશ્યના ત્રીજા રોશન ચિરાગમાં દેખાઈ એક શાળાની ઈમારત. વરસાદના લયબદ્ધ સંગીતમાં ભીંજાતી ફાતિમા કોન્વેન્ટ પ્રાઈમરી સ્કૂલ...! પળવારમાં ગુલાબી ચેક્સવાળો બાળમંદિરનો યુનિફોર્મ આંખ પર પડદો કરી ગયો. પ્રાર્થના માટે લાઈનબદ્ધ ઊભેલાં પ્રાઈમરીનાં બાળકોમાં ઊંચાઈને લીધે સૌથી છેલ્લી ઊભેલી છોકરીના મનોભાવો બબડી ઊઠ્યા, “આટલી બધી હાઈટ શું કામની કે છેલ્લે જ ઊભું રહેવું પડે?!”
એ ઈમારતની બરાબર સામે ઊભેલી સેંટ ઝેવિયર્સ હાઈસ્કુલના મેદાનમાં પથરાયેલી મોટી, ગોળ, ઠંડી-ઠંડી રેતી વરસાદમાં પલળતી અનુભવાઈ અને ત્યાં ચૌદ વર્ષની કન્યા વરસ-વરસની રાહ જોઈ પોતાની જાતને પૂછતી સંભળાઈ કે “ હવે હું મોટી ક્યારે થઈશ? મારા વાળ કેડ સુધી લાંબા ક્યારે થશે?” વરસાદમાં પલળતાં-પલળતાં ઘરે જતી બે-ત્રણ સખીઓ દેખાઈ.
ચોથો ચિરાગ ઝળહળ થયો ને ઘડીભરમાં તો શૈશવ ઊગીને વીસ વરસની કન્યા બની બોરતળાવના ખરબચડાં રસ્તે લ્યુના લઈ નીકળી પડ્યું, સાથે હતાં ટી-સ્ક્વૅર અને પ્રોજેક્ટ કન્ટેનર, એન્જિનિયર બનવાનાં સપનાં અને મા-બાપે ગર્વથી થાબડેલી પીઠ પર લદાયેલાં પુસ્તકો. એકાતરે બદલાતા ફેરામાં ક્યારેક પેલી લાંબી છોકરી લ્યુના હંકારતી જાય ને પાછળ માંડ એનાં બાવડે પહોંચતી સખી બેઠી હોય, તો ક્યારેક માંડ-માંડ ધરતીએ પહોંચતા પગ ટેકવી-ટેકવીને એ છોકરી, ક્લાસની સૌથી ઊંચી છોકરીને લ્યુનામાં પાછળ બેસાડી ખેંચતી જાય... સવારમાં કોલેજ સમયસર પહોંચવાની હાયહોય સાંજે બોરતળાવ પાસે ઓગળતા સૂરજના નયનાલિંગનમાં શમી જતી. વરસાદમાં એ બોરતળાવના રસ્તા પર ગારો થઈ જતો, પણ રાતોરાત યુવાન થયેલા તળાવમાં નાના-નાના બતકા એની ટીંગરવેજા લઈને રાજાશાહી લટાર મારતા. કિનારે ઊગેલા સફેદ, લાલ, ભૂરાં, ગુલાબી, પીળાં નાનાં-મોટાં ફૂલો પર ગમ્મત કરતાં પતંગિયા હરખાઈને મોઢે આવી ચડતાં ત્યારે પેલી બીક્ક્ણ છોકરી ખુશ થવાને બદલે ડરીને લ્યુનાને બ્રેક લગાવી દેતી... જોકે ભાવેણું જ્યારે છલકાતું ત્યારે આ રસ્તો બંધ થઈ જતો. દિવસો બાદ પાણી ઓસર્યા પછી રસ્તો ખુલતો ત્યારસુધીમાં તો એ બતકની વણઝાર ક્યાંક બીજે રહેવા ચાલી જતી.
આ પલળતું, વરસતું, મહેકતું ભાવેણું જ્યારે મુંબઈનો વરસાદ બનતું ત્યારે ખબર નહીં કેમ પણ વાંછટો ચાબખાની જેમ વાગતી. મુંબઈનો વરસાદ પણ અહીંની લોકલ જેવો, હંમેશાં ઉતાવળમાં, છતાં મુંબઈની પ્રજા વરસાદ બાબતે વાઘઆળસ ધરાવતી લાગે. ચોમાસું આવે એટલે મુંબઈમાં ફક્ત પાણી જ નથી વરસતું. પણ હોર્નના હોંકારા, હાડમારીમાં ગળતી જિન્દગીના લવકારા, મરેલી ઈચ્છાઓનાં મડદાં અને ક્યાંક પહોંચવાની લ્હાય પણ વરસતી દેખાય. આવે સમયે ખબર નહીં કેમ પણ ઘર-આંગણ, ગલી-કૂચા, સ્ટેશન-વેશન, અંતર-વંતર, બધું ભેદીને મન ફક્ત એક જ જગ્યાએ સ્થિર થવા માગે, નરીમન પોઈન્ટ !
પાંચમા ચિરાગની રોશનીમાં દેખાયું એક નવયુગલ- હાથમાં હાથ પરોવી અફાટ દરિયા પર નજર કરતું. ચહેરા પર છંટાતી વાંછટો વરસાદ બની જાય અને ‘હાઈ ટાઈડ’ ડીકલેર થાય એ પહેલાં ઘૂઘવતા દરિયા પર પોતાનાં સપનાંઓનાં ચિત્રો દોરી છૂ...(ચપટી) થઈ જવા તલપાપડ.
છેલ્લો ચિરાગ ઝળહળા અને બોરીવલીના સિગ્નલ પર સ્કૂટર લઈને રેઈનકોટમાં લપાયેલી એક માતા સમયની પહેલી બસ પકડીને પોતાનાં બાળકને સ્કૂલેથી ઘરે લઈ જઈ રહી છે, આ સિગ્નલની આંખ હરિયાળી થાય એટલી જ વાર ! ભીડ અને વાહનોના હોંકારા-પડકારા વચ્ચે પણ શાંતિદૂત જેવા વરસતા વરસાદમાં એની નજર રસ્તા પર લયબદ્ધ પડતાં પાણીનાં પગલાં ઉપર મંડાઈ છે. રસ્તાની પેલે પાર એક તંબુમાં જિંદગીને ઢાંકવાનો પ્રયાસ કરતાં બે-ચાર પડછાયા ટોળું વળીને બેઠા છે. વારેઘડીયે સળગતાં-બુજાતાં ચૂલા ઉપર એક રોટલો હારીને અંતે શેકાયા વગરનો રહી જાય છે, ત્યારે એની પાસે દોડી જઈને પૂછવાનું મન થાય છે કે આ પાણીનાં પગલાં તને શુકનિયાળ લાગ્યા કે અપશુકનિયાળ?


આજની ઘેલછા આવતી કાલની પીડા બની રહેવાની

અંગ્રેજી માધ્યમની પર્વતકાય માર્કેટિંગ અને માતૃભાષાના માધ્યમની પદ્ધતિસર અવગણનાને લીધે માતૃભાષા જૂનવાણીઓનો આગ્રહ તથા અંગ્રેજી આધુનિકોની ફેશન બની ગઈ છે, જે બેનો સંઘર્ષ કશું પરિણામ લાવી શકે એમ નથી.

અંગ્રેજી ભાષા અને માધ્યમને આધુનિકતા સાથે એ રીતે જોડી દેવામાં આવ્યા છે કે એનો વિરોધ કરનારા કે માતૃભાષા માધ્યમની તરફેણ કરનારાને પળનો વિચાર કર્યા વગર જૂનવાણી ઠેરવી દેવામાં આવે છે. લોકોના માનસ પર પણ એવો જ ચિતાર ઘડી દેવામાં આવ્યો છે કે આ ભાઈ નરસિંહમીરાંની વાતો કરે છે, માતૃભાષામાં ભણાવવાના આગ્રહી છે, એનો અર્થ એવો કે તે જૂનીપૂરાણી વિચારધારા ધરાવનારા છે. વિશ્વસ્તરની ભાષાઓ જેટલી જ મહાન ને સમૃદ્ધ હોવા છતાં આપણી ભાષાઓ બીજા ને ત્રીજા દરજ્જાની ભાષાઓ હોય એવો આપણો વ્યવહાર થઈ ગયો છે, અરે વ્યવહાર માત્ર નહીં, આપણને હવે તો વિશ્વાસ થઈ ગયો છે કે આપણે બીજા દરજ્જાના જ છીએ, પહેલા દરજ્જાના તો વિદેશીઓ જ, આ વલણનું શું થઈ શકે? અનેક મહાનુભાવોએ વારંવાર કહ્યા કર્યું છે કે આપણે ભારતીયોએ આપણી પોતિકી માતૃભાષાઓને મહત્વ આપવું જોઈએ. ગાંધીજીએ તો બે ભારતીયો અંગ્રેજી કે વિદેશી ભાષામાં વાત કે પત્રવ્યવહાર કરે તો એમને સખ્ત-સશ્રમ સજા થાય એવી જોગવાઈ ઉમેરવાનું કહ્યું હતું, પણ અગાઉ કહ્યું એમ, આ બધી વાતો જૂનાજોગીઓની છે, આધુનિકો માટે નહીં, આધુનિક વિશ્વ અને આધુનિક પરિસ્થિતિને આ ગાંડાઘેલા જૂનવાણીઓ ક્યાંથી સમજે? માતૃભાષામાં તે કંઈ વળી બાળકને ભણાવાતો હશે? કેવી મૂર્ખતાભરી વાત? અરે, આ જૂનવાણીઓને તો કંઈ ભાન પડે કે દુનિયા ક્યાંની ક્યાં પહોંચી છે?
આપણે તો બાળકને ટનાટન-ચકાચક શોપિંગ મોલ જેવી ઝગમગતી સ્કૂલોમાં જ મોકલીશું અને લાખોની ફીઝ આપીને અમારા બાળક પ્રત્યે અમને કેટલોબધો પ્રેમ છે એ દર્શાવીશું, બાકી બાળકને ઘરે બેસાડી, એને વહાલ કરવાનો, એની સાથે ગપ્પા મારવાનો, એને જાતે કખગઘ-એકડે એક્કો શીખવવાનો, ઉંદરમામા કે સસલામામાની વાર્તા-કવિતાઓ કહેવાનો, એવોબધો ટાઈમ કોને છે ભાઈ? તો અમે અમારો બાળક પરનો પ્રેમ કેવી રીતે દર્શાવીએ? સિમ્પલ, આવી મોંફાટ મોંઘી સ્કૂલો અને ખિસ્સાફાટ એક્સ્ટ્રા એક્ટિવિટીઝના ક્લાસીસો કરાવી, એની પાછળ ચાર હાથે પૈસા ખર્ચીને જ તો અમે બાળકને કહી શકીશું કે જો અમે તને કેટલોબધો પ્રેમ કરીએ છીએ, ફલાણામાસાએ તો એમના બાળકને પાંચ લાખ રૂપિયાનો જ પ્રેમ કર્યો, પણ અમે તો આ એક જ વર્ષમાં તને સાત લાખ રૂપિયાનો પ્રેમ કરી દીધો જોયુંને તે... અમે કેટલાં સારાં માતાપિતા છીએ.
બસ, આ ને આવું જ આપણું વલણ થઈ ગયું છે, આવી વિચારધારામાં મોટા થઈ ભણીગણી સેટ થયેલાં બાળકો પણ ભવિષ્યમાં એમનાં માતાપિતાને કહેશે કે અરે પપ્પા ચિંતા શું કરો છો, આપણા કઝીને તો એમનાં માતા-પિતાને એક કરોડનો જ પ્રેમ કર્યો, એટલે જ તો એક જ વીમો ઉતરાવ્યો ને સાદા વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો એમને... હું તો તમને દસ કરોડનો પ્રેમ કરું છું જુઓ, મેં તમારા બંનેના બે-બે વીમા અને બે-બે મેડિક્લેમ પણ કરાવ્યા છે અને વૃદ્ધાશ્રમમાં તમને ન ફાવ્યું એટલે અહીં આ ફ્લેટમાં બે નોકર સાથે રાખ્યાં છે, છુંને હું એક આદર્શ પુત્ર !
બસ, આવા ‘આદર્શ પુત્રો’થી જ પછી આપણો સમાજ ભરેલો હશે ત્યારે પણ કદાચ આપણને અક્કલ નહીં આવે કે મૂળને અવગણીને કોઈ છોડ પાંગરતો નથી, કોઈ ખેતર પાકતું નથી, કોઈ ફૂલ ખીલતું નથી, બહારથી મળતા પવન-સૂર્યપ્રકાશ ત્યારે જ અસર કરે છે જ્યારે છોડના મૂળ જમીનમાં પૂરતા ઊંડાણ સુધી ઊતરેલા હોય. જગતમાં કોઈ આવી મૂર્ખતાભરી રીતે ફૂલ ખીલવવાની મથામણ નથી કરતું, પણ આપણે એવી મથામણ કરીએ છીએ ને પાછી એ મથામણની માર્કેટિંગ પણ કરીએ છીએ કે જુઓ, મૂળ ગયું મોસાણમાં, મૂળ વગર પણ આ છોડ આભને આંબશે જુઓ, તમારે ફક્ત આટલી ફીઝ ભરવાની છે ને આટલા અસાઈમેન્ટ પૂરાં કરવાનાં છે.
-અને બીજી મહત્વની વાત એ કે આપણે જો આ જ કર્યા કરવું હોય તો પછી ફરિયાદો બંધ કરી દેવી જોઈએ. જ્ઞાનમંદિરોને બદલે ફેશનક્લબો જેવી સ્કૂલોને પસંદ તો આપણે જ કરીએ છીએ, આપણને એ જ જોઈએ છે, તો પછી એમાં વ્યાપેલા દૂષણોની ફરિયાદ શું કામ કરવાની? અરે, જે જ્ઞાનમંદિરોમાં પાંચપચ્ચીસ વિદ્યાર્થીઓને ભણવાની ને એવા વાલીઓને ભણાવવાની ઈચ્છા હોય છે એવા જ્ઞાનમંદિરોની ઈમારતોને આપણે ક્કડભૂંસ કરાવી નાખી છે, તાળા મરાવી દીધા છે અને બાકી રાખી છે બસ આવી મહાકાય ફેશનક્લબો, અને પછી કહીએ છીએ આ તો નરક છે નરક... આ ફેશનક્લબમાં જ્ઞાનના દેવતા કેમ નથી આવતા, આવા બેધ્યાન શિક્ષકો, આવા ભ્રષ્ટ અધિકારીઓ, આવા આળસુ કર્મચારીઓ... આવું દૂષણ...
અરે પણ ભાઈ, જ્ઞાનની પૂજા કરવાને તો મહત્વ જ નથી આપવું. ખૂણેખાંચરે કેટલીક શાળાઓ મિશ્ર ધર્મના વિદ્યાર્થીઓ હોવાથી દાયકાઓથી ચાલતી આવતી સરસ્વતીની વંદના કરવાનું કે શ્લોકો ગવડાવવાની મનાઈ કરી રહી છે, કેટલાકને તો વળી વંદે માતરમ ગવડાવવા સામે પણ વાંધો છો ને એ બધાની સામે કોર્ટમાં પડ્યા છે તો બીજી તરફ અંગ્રેજીની બહુમતી કોન્વેન્ટ સ્કૂલો સદીઓથી બેરોકટોક મધર મેરીની બ્લેસિંગ્સ ગવડાવતી આવી છે એ આપણને ખૂંચતું નથી, ન ખૂંચે છે ધર્મઆધારિત શિક્ષણસંસ્થાનો. ચોવીસે કલાક ને ચારેબાજુ ધર્મપ્રચારની ફેક્ટરી ચલાવતી એ બધી સ્કૂલો આપણને આદર્શ લાગે છે, ને માનવપ્રેમ-પ્રકૃતિપ્રેમ-સર્વધર્મ સમભાવનાં ગુણગાન ગાતી આપણી જ શાળાઓ પછાત છે, કારણ કે ફીઝ વધારે નથી લેતી, બાળકો પર શિસ્તના નામે આદતો નથી લાદતી, બાળકોને મુક્તમને વિકસવા દેવો એ તો જાણે ગુનો થઈ ગયો હોય એમ એને ખાંસી ને છીંક ખાવાની એટિકેટ પણ સ્કૂલો શીખવીને આપે એવું આપણે ઈચ્છીએ છીએ.
આ બધું જ આપણે ચલવી લીધું છે ને આપણી શાળાઓની પડખે હજી આપણે નથી ઊભા રહેવું, આપણી ભાષાઓનો પક્ષ હજી આપણે નથી લેવો, ભાષા વગર સંસ્કૃતિ પણ નહીં ટકી શકે એ નક્કર સત્યને હજી આપણે નથી સ્વીકારવું. હજી બાળકોને આ ઘેટાકંપનીઓમાં જ ઘેટું બનવા મોકલવા છે તો આપણે હસતે મોઢે બધું સ્વીકારી લેવું જોઈએ કે સાહેબ, રાઈટ જ છે બધું, ઓલરાઈટ. ફી વધારાની ફરિયાદો ન કરવી જોઈએ, બાળકોમાં વધેલા સ્ટ્રેસની ચિંતા ન કરવી જોઈએ, ગધેડાની જેમ કામ કર્યા કરવું જોઈએ ને દર મહિને ગૌણ ભરીભરીને સ્કૂલમેનેજમેન્ટની કેબિનમાં પૈસા ઢાલવી આવવા જોઈએ. આ જ આપણી, આપણે સ્વીકારેલી નિયતિ છે.
દુનિયાનો કોઈ દેશ આવી મૂર્ખતાભરી સ્થિતિ-વ્યવસ્થાને વળગી નથી રહ્યો, એને બદલી શકાય છે, લોકોએ બદલ્યો છે, અરે ઘણે ઠેકાણે તો એક-એક વિદ્યાર્થી માટે એની માતૃભાષાના શિક્ષકની વ્યવસ્થા કરી આપવામાં આવે છે, પણ આપણને હજી ઈન્ટરનેશનલ લેન્ગવેજ, અરે યુનિવર્સલ લેન્ગવેજમાં જ બાળકને ભણાવવાના અભરખાં છે તો પરિણામો, ભોગવટાની યાદી પણ સાથે રાખવી જોઈએ, એ યાદીને દરરોજ વાંચતા રહેવું જોઈએ, ને એમાંનું કંઈક ઘટે તો ફરિયાદ કરવાના વલણને, બીજા સેંકડો આક્રોશો પી જઈએ છીએ એ જ રીતે, પી જવો જોઈએ, ચૂપચાપ !
- મુંબઈ ગુજરાતી સંગઠન


ઘાટીને ખુલ્લો પત્ર – જ્યોતિન્દ્ર દવે

ખુલ્લા પત્ર લખવાની કળા દિવસે દિવસે વિકાસ પામતી જાય છે. દૈનિકપત્રમાં લગભગ હંમેશ કોઈ ને કોઈ પ્રકારનો ખુલ્લો પત્ર પ્રગટ થાય છે. વાઈસરૉયથી માંડીને વનિતાવિશ્રામના વ્યવસ્થાપક સુધી સર્વેને ખુલ્લા પત્રો લખવામાં આવે છે. કેટલાક લેખકોને તો જેને તેને પત્રો લખવાની ટેવ જ પડી ગઈ છે. દર બીજે દિવસે તેઓ કોઈને કોઈના ઉપર ખુલ્લો પત્ર લખે છે. એક પ્રસિદ્ધ પુરુષના ખુલ્લા પત્રો હું હંમેશ વાંચું છું. ને હવે એ કોના પર ખુલ્લો પત્ર લખશે, એમ દરેક વખતે એમનો પત્ર વાંચી વિચારમાં પડું છું. હવે એમને પોતાની પત્નીને ખુલ્લો પત્ર લખવાનો રહ્યો છે ને એ કાર્ય એઓ ક્યારે કરે છે તેની હું વાટ જોયા કરું છું.
ખુલ્લા પત્રોની વિશિષ્ટતા એ છે કે જેને માટે એ લખાયેલા હોય છે તેના સિવાયના બધા એ વાંચી શકે છે અને જેને સંબોધીને લખાયેલા હોય છે તે ઘણુંખરું એ વાંચતા નથી. આથી બે પ્રકારનો લાભ થાય છે; પારકા પત્રો વાંચવાની સ્વાભાવિક ને પ્રગતિપોષક ઈચ્છા સંતોષાય છે, અને પોતાના પત્રો વાંચવાના કંટાળાથી બચી શકાય છે. ને લખનારને મોટો લાભ એ થાય છે કે ખાનગી પત્રમાં જે લખવાની હિંમત એની ચાલતી નથી તે જાહેર પ્રજાની સેવાવૃત્તિને નામે એ છડેચોક લખી શકે છે.
આવા અનેક વિચારોને અંતે હું મારા ઘાટીને ખુલ્લો પત્ર લખવાના નિશ્ચય પર આવ્યો છું. મારે એને ઘણું ઘણું કહેવાનું છે પણ સામે મોઢે હું એને કંઈ પણ કહી શકું એમ નથી. અને એનું કારણ, મને મરાઠી-ઘાટીઓ સહેલાઈથી સમજી શકે એવું મરાઠી તો-બિલકુલ આવડતું નથી. એ એક જ નથી. એ ઉપરાંત સબળ કારણ જુદું જ છે.
ઘાટીને તે ખુલ્લો પત્ર હોય? એ કયે દિવસે વાંચવાનો? એવી શંકા કોઈને થશે. પણ ખરું પૂછો તો એ જ કારણથી હું આ પત્ર લખું છું. ઘાટી નહિ વાંચે એવા નિશ્ચાયાત્મક જ્ઞાનના બળ વડે જ હું આ પત્રલેખનની પ્રવૃત્તિ આદરી શકું છું. એ જો વાંચી શકતો હોય તો મારા કોઈપણ લખાણમાં ઘાટી તો શું પણ 'ઘટ' શબ્દ પણ ભૂલથી ન વરપાઈ જાય તેની હું ચોક્કસ કાળજી રાખત. વસ્તુસ્થિતિનો લાભ-અથવા ગેરલાભ-લઈને કોઈ મારા ઘાટીને (મેં એને પત્ર લખ્યો છે એ વાત) કહી દેશે, તો હું એ વાતનો ઈન્કાર કરીશ. એટલું જ નહિં, પણ હું એને જણાવીશ કેઃ 'મેં એ પત્ર તારે માટે નહિ પણ તને જેણે વાત કરી તેના ઘાટીને માટે લખ્યો છે. બધા ઘાટીઓમાં તું અપવાદરૂપ છે. હે ઘાટીશ્રેષ્ઠ! તારે માટે કશી પણ ફરિયાદ નથી.'
આટલી ચોખવટ કર્યા પછી ઘાટી સિવાયના વાચકો માટે જણાવવું જરૂરનું છે કે મારા ઘાટી સંબંધી મારે ફરિયાદ કરવાની છે-સખત કડવા શબ્દોમાં ફરિયાદ કરવાની છે. પુરુરવાની ખાનગી વાત વિદૂષકનું હૃદય ફાડીને મુખ વાટે બહાર આવવા પ્રયત્ન કરતી હતી, તેમ એ ફરિયાદો પણ મારા હૃદયમાં સમાવી શકાતી નથી; મારે કોઈ પણ ઉપાયે એ પ્રગટ કર્યા વગર ચાલે એમ નથી. બીજો કોઈપણ માર્ગ ન હોવાથી મારે ખુલ્લા પત્ર દ્વારા જ મારી ફરિયાદો પ્રગટ કરવી રહી. આ પત્ર શરૂ કરતાં પહેલાં જે ભૂમિકા લખી છે તેનાં દેખીતાં કારણ ઉપરાંત એમાં બીજા ઉદ્દેશ પણ છે. કદાચ મારો ઘાટી અક્ષરજ્ઞાનની કોઈ વિશાળ યોજનાનો લાભ લઈ વાંચતાં શીખી જાય અને એ આ વાંચે અથવા તો કોઈ મારો હિતચિંતક એને આ વાંચી સંભળાવે, તો આટલી ભૂમિકાના ભારથી જ એનું મગજ બહેર મારી જશે, કે ત્યાર પછીનો પત્ર એ જરા પણ સમજી શકશે નહિ. પણ હવે વિસ્તાર કરીશ તો વાચક પણ કદાચ કંટાળી જશે એવા ભયથી હવે હું પત્ર જ આરભું છું.
તુકારામ, સખારામ, ઇઠુ, પાંડુ, ભીખુ અને ખાસ કરીને રામો એવા વિવિધ નામે ઓળખાતા હે ઘાટીશ્રેષ્ઠ! તું અત્યારે મારી પોતાની પેટીમાંથી ચૂનો લઈ મારી નવી ચોપડીના પૂઠા પર તે ચોપડવામાં રોકાયો છે, તે કાર્યમાંથી નિવૃત્ત થઈને તારે માટે જે ફરિયાદો કરવાની છે તે સાંભળ.
હું તારી ફરિયાદ ને વાત જેટલી સાંભળું છું તેટલી મારી વાત કે ફરિયાદ તું સાંભળતો નથી, એ મારી પહેલી ને મોટામાં મોટી ફરિયાદ છે.
હું મોડો ઊઠું છું એ તો તું આટલા અનુભવ પરથી ચોક્કસ સમજ્યો છે. છતાં સવારના પહોરમાં વહેલો આવીને પથારી ઉઠાવવી છે, કચરો કાઢવો છે, એવાં બહાનાં કાઢી તું મને જગાડી મારે છે. તે તરફ હું સખ્ત અણગમો જાહેર કરું છું.
તું મારે ત્યાંથી પાનતંબાકુ લઈ જાય છે તેમાં મારે કંઈ પણ વાંધો નથી. ખરું કહું તો હું એ તારે માટે જ વસાવું છું, પણ તું જઈને તારા મિત્રમંડળને અને આપ્તજન વચ્ચે એની લહાણી કરીને વહેંચીને ખાવાની સદવૃત્તિ દર્શાવે છે, તે મને કંઈક ભારે પડે છે; અને એથી ય વધારે તો, તું બીજા ઘાટીઓ વચ્ચે 'શેઠને પાન લાવતાં આવડતાં નથી, સોપારી સડેલી લાવે છે. કાથો લોટ જેવો હોય છે,' એવી બાબતની ચર્ચા ઉપાડે છે, તે સામે મારો વાંધો છે.
મારાં વાસણો તું જ માંજે છે, અથવા માંજવાનો ઢોંગ કરે છે; છતાં 'શેઠ, તમારા વાસણો ચીકણાં બહુ રહે છે,' એમ તું મારે મોઢે ફરિયાદ કરે છે, ત્યારે જગતમાં પ્રામાણિકતા, ન્યાય કે સચ્ચાઈ જરા પણ છે કે નહીં એ વિષે મને ઘણો સંદેહ થાય છે. હું જ્યારે જ્યારે તારી સાથે મરાઠીમાં વાત કરું છું ત્યારે મારો ઉદ્દેશ તને હસાવવાનો હોતો નથી. હું તને કંઈક ઉપયોગી કાર્ય કરવા કહું છું એમ સમજી તારે હસવાનું છોડી મારા કહેવા પર લક્ષ આપવું જોઈએ.
હું તારી સાથે મરાઠીમાં બોલું તેથી તારે મારી જોડે ગુજરાતીમાં બોલવાની કંઈ જ જરૂર નથી. મારું મરાઠી તું ભલે નહીં સમજતો હોય, તારી મરાઠી હું સમજી શકું છું. હું જે વસ્તુ જ્યાં મૂકું છું ત્યાંથી તેને ખસેડીને તું બીજે ઠેકાણે મૂકી દે છે. હું પેન્સિલ, ખડિયો, કાગળ વગેરે ટેબલ પર મૂકું છું, તો તું ત્યાંથી તેને ખસેડીને રસોડમાં મૂકે છે, અને તેને બદલે ટેબલ પર કોઈક વાર ધોવાઈને આવેલાં કપડાં ને ઘણી વાર રસ્તામાં ફેંકી દીધેલા જૂના જોડા લાવીને મૂકે છે. ઢાંકણું બરાબર રાખી શકાય તે માટે હું ટ્રંકને ભીંતથી દૂર મૂકું છું તો તું તેને તરત જ ભીંતની અડોઅડ પાછી મૂકી દે છે. મને વહેમ છે - અરે, ખાતરી છે- કે તું આ જાણી જોઈને, મને ચીઢવવાને માટે જ કરે છે. તારે મને ચીઢવવો જ છે; કેમ? તું મને ગુસ્સો જ કરવા માગે છે, ખરું? તો-તો હું તને સાફ સાફ કહી દઉં છું, કે હું એથી જરા પણ ચિઢાતો નથી! હું મોડી રાતે ઘેર આવવાનો હોઉં ત્યારે તું બારણાં આગળ ટેબલ, તેની જોડે ખુરશી, ખુરશી પાસે ત્રણ ટ્રંક ને ટ્રંક પર ગોળી એમ ગોઠવીને દીવો હોલવીને ચાલ્યો જાય છે. હું ઘરે આવું ત્યારે અંધારામાં ટેબલ સાથે પહેલાં મારું માથું કુટાય પછી ખુરસી મારા પગના નાળા ભંગી નાંખે, ત્યાર પછી ટ્રંકના ખૂણા પગમાંથી લોહી કાઢે ને છેવટે ગોળી મારી સાથે ઓરડામાં ગબડવા લાગે, એટલા માટે જ તું એમ કરે છે, એ હું જાણું છું. દુઃખ સાથે હું કબૂલ કરું છું કે તારી એ દુષ્ટ મુરાદ ઘણી વખત બર આવી છે. તારા ઉદ્દેશમાં તે ધારી પણ ન હોય એટલી સફળતા તને મળી છે.
તું બે મહિના આગળ જ તારો પગાર માગે છે. એ તારી રીત ખોટી છે. કોઈ પણ મોટી-મોટી કે નાની-ઓફિસમાં એમ 'આંગ ઉપર' પગાર મળતા નથી. મને કોઈ દિવસ એમ પગાર મળ્યો નથી ને મળવાનો નથી. અમને આગળથી નહીં જ, પાછળથી પગાર આપવામાં આવે છે. ઘણી વાર તો બાપનો પગાર, તેના મૃત્યુ બાદ તેના પુત્ર કોર્ટની મદદથી વસૂલ કરી શકે છે.
તું કોઈ વાર દારૂ પીએ છે તે વિષે મારે કંઈ કહેવાનું નથી. પણ તું દારૂ પીને મને પીધેલો શા માટે ઘારે છે તે હું સમજી શકતો નથી. એમાં કાર્યકારણના નિયમનો ભંગ થાય છે એ તો તું કદાચ નહિ સમજે, પણ એમાં મારી આબરૂને, તારા મિત્રમંડળમાં મારી જેટલી આબરૂ તેં રહેવા દીધી હોય તેટલી આબરૂને-હાનિ પહોંચે છે, એ સ્પષ્ટ કરવાની જરૂર છે?
તને મેં સલાહ આપવા રોક્યો નથી, તને આપું છું તેટલા પૈસામાં જ સારી સલાહ આપનારા વકીલો એટલા બધા છે કે તેમને છોડીને મારે તારી સલાહ લેવાની જરૂર નથી. તને વાત કરવાનો અત્યંત શોખ છે. હું કોઈ રસભર્યું પુસ્તક વાંચતો હોઉ ત્યારે મારી સામે બેસીને પાનની પેટી લઈ હાથમાં ચૂનો ને તંબાકુ મસળતો મસળતો તું પાડોશીઓની વાત કરવા બેસે છે, અથવા મારી નાજુક તબિયતને સુધારવાના પ્રાથમિક પ્રયાસો સૂચવે છે, કે મારા ખોરાકમાં કરવા જોઈતા ફેરફારોની યાદી કહી સંભળાવે છે, ત્યારે તારું ને મારું બંનેનું કામ ને મારા એકલાનો મિજાજ બગડે છે, એનો તને ખ્યાલ રહેતો નથી.
તારા અવાજથી, તારા મૂઠી વાળી હાથ હલાવી ધમકી આપવાના અભિનયથી, અને લાગ મળતાં પ્રતિસ્પર્ધીને નળ કે ભીંત જોડે ઘોંચી દઈને અનવરત મુષ્ટિપ્રહાર કર્યા જવાના તારા ચાતુર્યથી અત્યારે નામશેષ થયેલી આર્યોની વીરશ્રીને તેં ટકાવી રાખી છે તે હું જાણું છું, પરંતુ હથિયારના અભાવે, આપણને નિઃશસ્ત્ર કરવાનો કાયદો બ્રિટિશ સરકારે કર્યો છે તે કારણથી, તું મારાં કડછી, તવેથો અને બીજાં વાસણોનો શસ્ત્રાસ્ત્ર તરીકે ઉપયોગ કરી તેમને હંમેશના ઉપયોગ માટે નિરર્થક કરી મૂકે છે, તે કોઈ પણ રીતે વાજબી નથી. પ્રતિસ્પર્ધી સામે પથરો ફેંકે, ઈંટ ફેંકે કે મોટી શિલા ફેંકે તેમાં મારે કંઈ કહેવાનું નથી. પણ તું જ્યારે તને માંજવા આપેલાં મારાં વાસણો ફેંકવા મંડે છે ત્યારે એ દૃશ્ય જોઈને ઘડીભર મારું હૃદય અટકી જાય છે.
મારા ગુણાવગુણો-ખાસ કરીને અવગુણો-મારી રહેણીકરણી ને મારાં સ્નેહીસંબંધીઓ એ સર્વનું ઝીણવટભર્યું, ને ઊંડું પૃથ્થકરણ કરી તે વિષે જાહેરમાં અહેવાલ રજૂ કરવા મેં તને રોક્યો નથી. 'શેઠ ખાય છે બહું ઓછું, ને ઊંઘે છે બહુ વધારે!' એમ મારા સંબંધી બધા પાડોશીઓને કહી આવવાની તારે કાંઈ પણ જરૂર નહોતી.
અમને અઠવાડિયામાં એક જ દિવસ રજાનો મળે છે; ઈશ્વરે પણ એક જ દિવસ આરામ લીધો હતો; પણ તું દર અઠવાડિયે ઓછામાં ઓછા બે દિવસ તારી મેળે જ તને રજા આપે છે. અને એ પણ કદાચિત્ ચલાવી લઉ, પણ કયા દિવસે તું નક્કી કરે છે એ સામે મારે સખ્ત વાંધો છે. જ્યારે મારે ખાસ કામ હોય કે મેં ઘરે મિત્રને જમવા બોલાવ્યો હોય ત્યારે જ તું નથી આવતો એ કંઈ આકસ્મિક હોય એમ માનવા હું તૈયાર નથી. મારા મિત્રો આગળ ચાના પ્યાલા ને બીજાં વાસણો માંજવાનું ક્ષુદ્ર કાર્ય મારે કરવું પડે ને તેથી હું હલકો પડું, એ તારો ઉદ્દેશ ચોક્કસ કળી શકું છું.
પણ આ બધું છતાં તું મને એકલો મૂકીને ચાલ્યો ન જતો. માસ્તર, વકીલ, કારકુન વગેરે બધા ધંધાનાં ક્ષેત્રમાં હવે કોઈને માટે જગા રહી નથી. 'તું નહીં, તો તારા બાપ બીજા!' એમ સહેલાઈથી અસીલો વકીલને, હેડમાસ્તર અથવા શાળાના સંચાલકો માસ્ટરને, શેઠ કારકુનને કહી શકે છે. ઘાટીને કોઈ એમ કહી શકતું નથી; કારણ કે એક ઘાટી જતાં તેની જગ્યાએ બીજો મળવો મુશ્કેલ છે. અને કદાચ બીજો મળે તો યે તે સ્થિર થઈને તો નહિ જ રહે. મારા એક ઓળખીતાને ત્યાં એક મહિનામાં 28 ઘાટી બદલાયા હતા. 30 નહિ ને 28 જ. તેનું કારણ એટલું જ કે તે ફેબ્રઆરી માસ હતો. એક જાણીતા પત્રના તંત્રીઓ સિવાય આટલા થોડા વખતમાં એક જગ્યાએ આટલા બધા માણસો આવ્યા હોય એ હું જાણતો નથી. આ કારણથી હું ઘાટીને કોઈ પણ રીતે નારાજ કરવા માગતો નથી.
ઘાટી અને શેઠની ફરજ એક જ વાક્યમાં સમજાવવી હોય તો કહી શકાય, કે શેઠની ફરજ એ છે કે ઘાટીને કદી નારાજ ન કરવો, ને ઘાટીની ફરજ એ છે કે શેઠને હંમેશ નારાજ રાખવો.

('રંગતરંગ'પુસ્તકમાંથી)


ગાંધીસંદેશ અને માતૃભાષાની શાળાઓની અવગણના

આપણા મહાનગરમાં ‘મહાત્મા’ કે મોહનદાસ કરમચંદ ગાંધીના નામના કેટલાય માર્ગો હશે; કેટલીય સંસ્થાઓ ને શાળાઓ પણ એ નામે કાર્યરત હોવા છતાં પણ એમના પગલે ચાલનારા, એમના સંદેશાને આત્મસાત કરીને સમાજઘડતરમાં કાર્યરત હોય એવા લોકો-સંસ્થાઓ કેટલા? આખા વિશ્વને અહિંસાનો ને સત્યના માર્ગે ચાલવાનો સંદેશ આપનારા રાષ્ટ્રપિતાને આપણે માત્ર અંજલિઓ ને અર્પણો પૂરતા જ યાદ કરીએ છીએ, ખરુંને? આખું વિશ્વ જેને એક આદરણીય, પૂજનીય વ્યક્તિ ગણે છે એ ગાંધીજીનું આપણા દેશમાં આટલું જ મહત્ત્વ વધ્યું છે?! તેમની એક હાંકલ પર ઘરપરિવાર છોડીને, વતન માટે બલિદાન દેનારા દેશપ્રેમી યુવાનોની આખી ફૌજ ક્યાં ચાલી ગઈ? એવા દેશપ્રેમીઓની આજે અછત વર્તાય છે. તેમના વિચારો, આચરણ, સ્વદેશપ્રેમ, અહિંસા, સર્વધર્મસમભાવ, શાકાહાર, માતૃભાષાપ્રેમ, સ્વદેશીવસ્તુનો સ્વીકાર, સત્યપ્રિયતા, કૃતનિશ્ચયીપણું વગેરેનો અભાવ સ્વતંત્રતાના સાતમા દાયકે સ્પષ્ટ થઈને દેખાવા લાગ્યો છે. પરદેશમાં લોકો જેના વિચારોને અપનાવી રહ્યાં છે તેને આપણે, આપણા જ દેશમાં અવગણી રહ્યા છીએ.
ગાંધીજીના માતૃભાષા પરના વિચાર કેવા હતા? માતૃભાષાના માધ્યમથી જ શિક્ષણના કટ્ટર આગ્રહી ગાંધીજીએ લખ્યું હતું કે માતાના ધાવણ સાથે જે સંસ્કાર અને જે મધુર શબ્દો મળે છે, તેની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ તે પરભાષા મારફતે કેળવણી લેવામાં તૂટે છે. માતૃભાષાનો જે અનાદર આપણે કરી રહ્યા છીએ તેનું ભારે પ્રાયશ્ચિત આપણે કરવું પડશે. ગાંધીજીએ આત્મકથામાં સ્કૂલ દરમિયાન એમના માથે થોપી બેસાડવામાં આવેલા અંગ્રજીથી પડતી મૂશ્કેલીઓની પણ વાત લખી છે. આત્મકથાનું એક આખું પ્રકરણ એમને આ વિશેના વિચારો-અનુભવોથી હોવા છતાં આજે ગાંધીજીની આત્મકથા જેટલા વ્યાપક પ્રમાણમાં ફેલાયેલી છે એનાથી અડધા પ્રમાણમાં પણ ક્યાંય એમના વિચારો ફેલાયેલા નથી લાગતા. અને માત્ર વિચારમાં નહીં, આચારમાં પણ ગાંધીજી માતૃભાષાના વપરાશના કટ્ટર આગ્રહી હતા. આઝાદી પહેલા ગુજરાતમાં કોંગ્રેસની જાહેર સભામાં ઝીણા જેવા ઝીણા પાસે એમણે ગુજરાતીમાં ભાષણ આપવાનો આગ્રહ કર્યો હતો, તો જ્યાં જાય ત્યાંના લોકો સાથે એમની જ ભાષામાં વાત કરવાના એમણે પ્રયાસ કર્યા હતા.
જોકે ગાંધીજીએ આગાહી કરી હતી એવો પ્રાયશ્ચિત કરવાનો સમય પણ આપણે ગુમાવી રહ્યા છે એમ નથી લાગતું? ગાંધીજીએ બ.ક. ઠાકોરને એક પત્રમાં લખ્યું હતું કે આપણી પાર્લામેન્ટ થશે ત્યારે ફોજદારી કાયદામાં એક કલમ દાખલ કરવી પડશે કે બે ભારતીયો એક ભાષા જાણતા હોવા છતાં અંગ્રેજીમાં લખે કે બીજા સાથે અંગ્રેજી ભાષામાં બોલે તો તેને ઓછામાં ઓછી છ માસની સખત મજૂરી સાથે સજા કરવામાં આવે.
આપણી પોતાની પાર્લામેન્ટ તો આવી ગઈ અને ફોજદારી કાયદાઓમાં પણ આપણા જનપ્રતિનિધિઓના હાથમાં હોવા છતાં હજી ભારતની કોઈ ભાષાઓ, અંગ્રેજી સામે એનું પોતાનું સ્વમાન પણ જાળવી શકે છે ખરી એ પ્રશ્ન કરુણ છે.
કવિ ઉમાશંકર જોશીની ‘તેં શું કર્યું’ કવિતાની પંક્તિઓ આજે પણ કેટલી પ્રસ્તુત છે કે,
દેશ તો આઝાદ થાતાં થઈ ગયો,
તેં શું કર્યું?
અંગ્રજોની ગુલામીમાંથી આઝાદ થયા પછી પણ આપણા ભારતવાસીઓ ખરેખર માનસિક ગુલામીમાંથી આઝાદ થયાં છે? સ્પષ્ટ રીતે જવાબ મળશે, ‘ના’. આપણે હજુ પણ ગુલામીની માનસિકતામાં જ જીવીએ છીએ અને દુ:ખની વાત એ છે કે આ ગુલામીની ઝંઝીર હવે કોઠે પડી ગઈ છે. તેને તોડીને બહાર આવવાની કોઈ કોશિશ તો ઠીક, કોઈ એ વિશે વિચારતું પણ નથી. સ્વને મૂકીને દેશનું વિચારનારાઓની નવી પેઢી ફક્ત અને ફક્ત સ્વના વિચારોથી જ જીવે છે. દેશહિત, દેશકલ્યાણ, દેશની પ્રગતિ તો તેઓના શબ્દકોશમાં પણ નથી. જે ગણ્યાંગાંઠ્યાં લોકો ગાંધીના વિચારોને વળગી રહ્યાં છે, તેઓની મજાક ઉડાવવાનું પણ આપણે ચૂકતા નથી! કેવી ગજબની માનસિક ગુલામી જડબેસાલક મગજમાં ઘૂસી ગઈ છે, જેને કાઢવી ખૂબ જ જરૂરી છે. પણ આપણે વિચારીએ છીએ કે પહેલ કોણ કરે? આપણું સાંભળશે કેટલાં? નાહક મશ્કરીને પાત્ર ઠરીશું.
દરેક માનવના જીવનમાં ‘મા’, ;માતૃભાષા’ અને ‘માતૃભૂમિ’નું એક અનોખું સ્થાન હોવું જોઈએ. અહીં ‘હોવું જોઈએ’ સકારણ લખ્યું છે. હાલના સંજોગોમાં આપણે માતૃભૂમિ અને માતૃભાષાને તો કોરાણે મૂકી દીધાં છે. વિશ્વ એટલું નાનું થઈ ગયું છે કે પરદેશમાં ભણવા જઈએ અને ત્યાં જ સ્થાયી થઈએ એટલે એ જ આપણી ભૂમિ! અને જે માતૃભૂમિમાં જન્મ લઈ, બાળપણ, યુવાની વીતાવી પરદેશ જવા લાયક બન્યા તે જ માતૃભૂમિને વગોવતાં – અવગણતાં જરાય અચકાતાં નથી. જ્યારે માતૃભૂમિ માટે સંવેદનહીન છીએ તો માતૃભાષાની તો વાત જ શું કરવી?!
ગાંધીજી માતૃભાષામાં શિક્ષણ પર ભાર દેતા હતા. તેઓએ પોતાનાં બાળકોને પરદેશમાં રહેવા છતાં માતૃભાષામાં શિક્ષણ આપવા ઘણી જહેમત ઊઠાવી. ગાંધીજી જ્યારે પણ સમભાષી લોકો વચ્ચે હોય તો માતૃભાષામાં જ વાત કરતા, જ્યારે આજે માતૃભાષામાં શિક્ષણ તો બહુ દૂરની વાત છે, માતૃભાષામાં વાતચીત કરવી એ પણ હીનતાની દૃષ્ટિએ જોવામાં આવે છે. કેવી માનસિક ગુલામી કહેવાય આ? આજનાં યુવા વાલીઓને ‘ગુજરાતી’ માતૃભાષાની શાળાઓ હજી કાર્યરત છે એ વિશે અજ્ઞાનતા છે, કદાચ તે જાણવાની કોશિશ જ નથી કરી. આપોઆપ સ્વીકારાયેલી આ અજ્ઞાનતા માતૃભાષા માટે ઘાતક નીવડી રહી છે.
આપણા મહાનગર મુંબઈની જ વાત કરીએ તો કોંક્રિટના જંગલોની સાથે સાથે અંગ્રેજી માધ્યમની શાળાઓના રાફડા ફાટયાં છે. એને પોષનારા – વધારનારા આપણાં જ ગુજરાતીઓ આંધળુકિયા કરીને જેલમાં જેમ કેદીઓને રાખવાની સગવડ હોય તેના કરતાં ત્રણ ગણાં, ચાર ગણાં કેદીઓ ભરવામાં આવે તેમ દરેક શાળામાં કુમળાં બાળકેદીઓને ઘેટાંબકરાંની જેમ ભરવાનું અને ફક્ત ‘બેં... બેં...’ કરવાનું નહિ (માતૃભાષા બોલવાનું નહિ) એમ શીખવવામાં આવે છે અને માતૃભાષા બોલવા માટે સજા આપવામાં આવે છે અને આપણાં જ આ ટોળાશાહીમાંથી આર્થિક લાભ લેનારાઓ ભલે ને આ બાળકેદીને પૂરી સગવડ આપે કે ન સારું શિક્ષણ, સમજણ કે સર્જનશીલતા ખીલવે, આપણે સૌ માનસિક ગુલામ ‘ Yes Sir, Okay Sir’ના રટણોથી તેઓને ખુશ કરીએ, રખે ને, બાળકેદીનો જલદી છૂટકારો થઈ જાય તો કોણ રાખશે એ ડરથી!
પણ આ અજ્ઞાનતામાંથી જો બહાર આવીને, આંખો ખોલીને આજુબાજુ નજર ફેરવીએ તો મુંબઈનાં ઘણાં પરાઓમાં આજે પણ માતૃભાષાની (ગુજરાતી) માધ્યમની શાળાઓ બાળપુષ્પોને ખીલવી રહી છે. તેનામાં સંસ્કાર, સંસ્કૃતિ અને સર્જનશક્તિનું સિંચન કરી,માતૃભાષાની ફોરમ ફેલાવી રહી છે. અજ્ઞાનતાના ઓછાયા હેઠળ આ ફોરમ મુંબઈગરા સુધી પહોંચે તે માટેનાં કાર્યો પણ વિવિધ સંસ્થા, સંગઠનો દ્વારા થઈ રહ્યાં છે.
આમાંનાં ઘણાં સંગઠનો વર્ષોનાં પરિશ્રમ પછી ગુજરાતીઓની અજ્ઞાનતા, જડાતા, ટોળાશાહી, દેખદેખીની માનસિકતા સામે સંજોગવસાત પરિવર્તનશીલ વિચારોમાં શિથીલ થઈને ‘જે બચ્યું તે ઘણું’ના નિશ્ચયે આવી પહોંચ્યા છે, તો ઘણાં સંગઠનો, સંસ્થાઓ ફક્ત સંસ્થાની એક કાર્યસૂચિમાં વધારો કરવા પૂરતી ગણતરીથી કાર્ય કરી રહ્યાં છે. કૃતનિશ્ચયી થઈને સજાગતા કેળવવા, જનજાગૃતિ કરવાની સાચી હકીકતોનો પૂરેપૂરો અભ્યાસ કરી, આ સંજોગો માટેનાં નિષ્કર્ષો પર પહોંચવાની, તેના માટેનાં સકારાત્મક પગલાં ભરવાની હામ જૂજ સંગઠનો જ કરી શક્યાં છે.
‘મારી માતૃભાષા, મારી જવાબદારી’ને સાર્થક બનાવવા દરેકેદરેક ગુજરાતી પોતાની માતૃભાષા માટે એક અથવા બીજી રીતે કાર્યમાં સગયોગી બને તે માટેનાં આહ્‌વાન પણ થયાં. દરેકેદરેક ભારતીયની જવાબદારી છે કે પોતાની માતૃભાષાનાં સંવર્ધન માટે કાર્ય કરે અને આપણી વિવિધ સંસ્કૃતિવાળી ભારતીયતા છે તે જાળવી રાખે.
સરકારી તંત્રને પણ આ બાબત વિવિધ સૂચનો આપવાની પહેલ કરવામાં આવી રહી છે,જેથી વધુ મોટા ફલક ઉપર વધારે પ્રભાવી કાર્ય થઈ શકે. વાલીસભામાં પણ અંગ્રેજી માધ્યમ, વિવિધ બૉર્ડનાં શિક્ષણ માટે ‘હાય! તોબા!’નાં પ્રત્યાઘાતો મળી રહ્યા છે. આવા સમયમાં જો બધાં જ સાથે મળીને જનજાગૃતિના કાર્યને વેગ આપે તો માતૃભાષાની શાળાઓમાં પહેલાં જેવી રોનક આવે એવા એંધાણ છે. અમુક શાળાના આચાર્ય અને શિક્ષકોના ખંતથી બાળમંદિરમાં સંખ્યા વધવાના સંકેત મળ્યા છે અને ઘણી શાળાઓમાં જે સંખ્યા ઘટવાનો દર હતો તે બંધ થયો છે અથવા ઓછો થયો છે.
સમાજના દરેક તબક્કાના લોકો માતૃભાષાના માધ્યમ સાથે જોડાય તે માટેની મહેનત જરૂરી છે, નહિતર આ માધ્યમ ફક્ત નબળાં વર્ગનાં લોકોએ જ ટકાવી રાખ્યું છે એ કહેવામાં જરાય અસત્ય નથી. આ માટે વિવિધ જૈન મુનિ, સ્વામીનારાયણ સંપ્રદાયાનાં, વૈષ્ણવ સંપ્રદાયનાં ગુરુઓ દ્વારા ચાલતી પાઠશાળાઓમાં જ જો માતૃભાષાનાં માધ્યમ દ્વારા ભણાવવા પર આગ્રહ કરી સમજણ આપવામાં આવે તો પંદર વર્ષ પહેલાં જે ભદ્ર સમાજ માતૃભાષામાં પોતાનાં બાળકોને ભણાવતો હતો તે પાછો વળશે – આની તાતી જરૂર છે. માતૃભાષાનાં માધ્યમને જાળવવાની, સંસ્કાર- સંસ્કૃતિ બચાવવાની જવાબદારી ફક્ત આર્થિક રીતે નબળાં વર્ગની જ નથી, એ હવે સમાજે સમજવું પડશે.
આ માટે વિવિધ સ્તરે રાજકીય, કાયદાકીય, શિક્ષણક્ષેત્રે સરકારી, સંસ્થા, સંગઠનો, શાળાનાં સંચાલકો, આચાર્યો, શિક્ષકો, સમાચાર પત્રો વગેરેએ એક જ ધ્યેય રાખી ‘મારી માતૃભાષા, મારી જવાબદારી’ માટે કાર્ય કરવું પડશે, જેનાં સકારાત્મક પરિણામ જરૂરથી મળશે જ.

- મુંબઈ ગુજરાતી સંગઠન


જીવન-સંવેદન-વ્યવસાયમાં સમતુલા આણનાર પરિબળ - ડૉ. સૌરભ મહેતા

સાહિત્ય ! આમ તો આ શબ્દનો પરિચય શાળાના પાઠ્યક્રમનાં વાર્તા-કવિતાને લીધે, પણ એ જ ‘સાહિત્ય’ કહેવાય એવી સમજ તો ત્યારે ક્યાંથી હોય? શાળામાં એ ઓળખ ફક્ત વાંચનના શોખ તરીકે હતી, પણ તેની સાથે પરિણય તો થયો કોલેજથી. કોલેજનાં વરસો દરમિયાન સમજ મળી કે બાળપણથી વાંચેલાં પુસ્તકો એટલે સાહિત્યનો જ ભાગ, એમાં બાળવાર્તાથી લઇ અધ્યાત્મનું વાંચન પણ આવી જાય. સમયની સાથે સાહિત્યની સમજ અને વ્યાખ્યા પણ વિસ્તરતી રહી છે, તો હજીયે સાહિત્યના નવાનવા અર્થો મળતા રહે છે. ઉંમર, અનુભવ અને સમજણ સાથે સાહિત્યની રુચી, ગંભીરતા અને રૂપો પણ બદલાતા રહ્યા છે. બાળપણનું સચિત્ર ને નિર્દોષ હાસ્ય-આનંદ આપનારું સાહિત્યનું વર્તુળ ફિલ્મોથી લઇ બીજાં ઘણાં ક્ષેત્ર તેમ જ વિવિધ ભાષાઓ સુધી વિસ્તરતું રહ્યું છે, તેનો આનંદ છે, તો સાથે આપણા સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ ન કરી શક્યાનો રંજ પણ સતાવે છે.
કાર્યક્ષેત્ર ટેકનોલોજી હોવાને લીધે ગણિત-વિજ્ઞાન-ટેકનોલોજીનાં પુસ્તકોનું વાંચન-અભ્યાસ તો દિનચર્યાનો જ એક ભાગ, જેને લીધે લખાણની હકીકતો, તાર્કિકતા અને વિશ્લેષણાત્મક મુલવણીનો મહાવરો વધ્યો છે. આ મહાવરાને લીધે વાસ્તવિક જગતની જુદી જુદી સ્થિતિઓ અને પ્રસંગોને મુલાવવાનો અને સમજવાનો અભિગમ તથા દ્રષ્ટિકોણ પણ વિકસ્યો છે, આ બધાના પરિપાકરૂપે કોઈ પણ નિષ્કર્ષ પર આવતા પહેલાં મનોમંથનોની આદત આવી. એથી વિપરીત સાહિત્યનું વાંચન વિચારોની નવીનવી ક્ષિતિજ ખોલતું ગયું, જ્યાં ફક્ત તર્ક-હકીકતોથી કામ નથી ચાલતું, પણ એનાથી આગળ, માનવજગતની મનોભાવનાઓ, આંટીઘૂંટીઓ, ઉર્મીઓ અને લાગણીઓના વિશ્વમાં સાહિત્ય લઇ જાય છે. આ વાંચન બુદ્ધિ કરતાં વધુ હૃદયને સ્પર્શે છે. જગતમાં સૌથી સંકીર્ણ મનોવિશ્વ છે લાગણીઓનું, જ્યાં સાહિત્ય પ્રવેશ કરાવે છે. સાહિત્ય જે રીતે માનવીના સ્વભાવ-અંતરમનના રંગોનો પરિચય કરાવે છે તે કદાચ વિજ્ઞાનથી કે તર્કથી રજૂ કરવું શક્ય નથી. લોકો સાથે સંવાદ સાધવા તેમજ તેમને સમજવામાં સાહિત્ય મદદરૂપ બને છે. મારું તો સ્પષ્ટપણે માનવું છે કે માનવસ્વભાવ અને સમાજનું ઘડતર ફક્ત સાહિત્ય જ કરી શકે છે. અન્ય વિદ્યાશાખાઓ બાહ્યજીવન માટે કાર્યરત છે, જ્યારે સાહિત્ય આંતરિકવિશ્વ સાથે સંબંધ ધરાવે છે.
હવે થોડી અંગત વાતો.
સાહિત્યવાંચનને લીધે વ્યવસાયિક જગતમાં જરૂરી મારાં લખાણો-અહેવાલોમાં અલગપણું આણી શકાયું છે એ મારી અંગત પ્રાપ્તિ ગણું છું. એ લખાણોના પ્રતિભાવોમાં મને જાણવા મળ્યું કે ગૂંચવાડાભરી ટેક્નિકલ બાબતોના હોવા છતાં મારા અહેવાલો-લખાણોમાં વાચનારાઓને પ્રવાહિતા ને સરળતા જણાઈ છે, જ્યારે સામાન્યપણે આવાં લખાણો શુષ્ક ને નીરસ માહિતીના ખડકલા જેવા જ બની જતા હોય છે, એ વાચવાયોગ્ય બની શક્યા છે એ વાચકોને મારી ઉપલબ્ધિ લાગશે, પણ અપ્રત્યક્ષ રીતે એ સાહિત્યવાચનની દેન છે. વળી, શિક્ષક-પ્રશિક્ષક તરીકે તાલીમ-પ્રશિક્ષણ આપવાની જવાબદારી આવે, એમાં કથાતત્વ ઉમેરવાના પ્રયોગ મેં કર્યા છે, એ પ્રયોગને લીધે તાલીમાર્થીઓનો રસ વધારવામાં સફળતા મળી એ પણ સાહિત્યને આભારી.
સાહિત્યના નિયમિત વાંચન-અભ્યાસને લીધે બીજા વ્યવસાયિકો તેમ જ લોકો સાથેના સંપર્કસેતુ સાધવામાં પણ સરળતા અનુભવાઈ છે, ખાસ તો સાહિત્યને લીધે બહુવિધ ક્ષેત્રોના મિત્રો મળ્યા છે, તો લોકોને તેમની વિવિધતા અને સારા-નરસા પાસા સાથે સ્વીકારવાની સમજણ પણ આવી છે. સાહિત્યનો સૌથી મોટો પાઠ જાત સાથે સંવાદ સાધવાનો મળ્યો છે. સાહિત્યએ વ્યક્તિદર્શન સાથે સમાજદર્શન પણ કરાવ્યું છે. સાહિત્યને લીધે દેશ-પરદેશના લોકોની સંસ્કૃતિ, મૂલ્યો, રહેણીકરણી, ખાન-પાન વગેરે જાણવાની તક મળી છે. આમ સમગ્રપણે સાહિત્યને લીધે અંગત, વ્યવસાયિક અને સામાજિક જીવનમાં એક ઠરેલપણું લાધ્યું છે.
ગુજરાતી સાહિત્યમાં કેટલાય લેખકો તેમ જ પુસ્તકોએ જીવન ઘડતરમાં વધતે ઓછેઅંશે પ્રભાવ પાડ્યો છે. ખાસ ધ્રુવ ભટ્ટની નવલકથાઓ, એમના લખાણમાંની માનવીય સંવેદના, સંબંધો તેમ જ પ્રકૃતિ સાથેનો સંવાદ ઝીલાય છે, તે મનને ઝંકૃત કરી નાખે છે, માંહ્યલાને જીવંત રાખે છે. કાકાસાહેબનાં પ્રવાસવર્ણનો તેમ જ ભાણદેવસાહેબના હિમાલયના પ્રવાસ્સો માનવી તરીકેની મારી અધૂરપને ઉજાગર કરી આપે છે. સ્વામી આનંદ અને ફાધર વાલેસના નાનીનાની પ્રસંગોકથાઓ, પણ માનવીની આંતરિક સુંદરતા પ્રગટાવી પ્રેરણા આપતા રહ્યા છે. ગાંધીજી અને વિવેકાનંદનાં લખાણો સ્વ સાથે સંવાદ કરવાની કળા શીખવે છે. તો હરિભાઈ વ્યાસ અને રમણલાલ સોનીની બકોર પટેલ કિશોર કથાઓ કે અનુવાદો બાળપણની મધુર યાદોમાં ફરી લઇ જાય છે.
મૂળભૂત રીતે પિતાના સાહિત્યવાંચન શોખને લીધે કદાચ મને પણ સાહિત્યનો શોખ વારસામાં મળ્યો છે. ઉચ્ચ અભ્યાસ તેમજ વ્યવસાયિક કારણોસર ઘણા વર્ષો વિદેશમાં એકલા રહેવાનું થયું, જેને લીધે ઘણીવાર એકલવાયાપણું, નિરાશા વગેરે ઘેરી વળતા, ત્યારે પિતા દ્વારા લખાયેલા પત્રો એક નવું જોમ આપી દેતા. પિતા દ્વારા લખાયેલા સરળ અને લાગણીસભર પત્રો એ જીવનનો ભવ્ય વરસો છે. આમ સાહિત્યને લીધે એકદમ અંગત સ્તરે, અમારા પિતા-પુત્રના સંબંધની કડી હંમેશાં મજબૂત રહી છે. વળી આ જ સમયમાં કેટલાંક વર્ષો અનિદ્રાના રોગ રહેતો, ત્યારે ઘણી રાતો ઉજાગરા રહેતા અને દિવસ અકળામણમાં પસાર થતા, તે વખતે પણ સાહિત્યવાંચન અકસીર ઈલાજ બની પડખે રહ્યું, વગર કોઈ દવા કે સારવાર સાહિત્યવાંચનના શોખે ધીમેધીમે એ રોગમાંથી પણ સંપૂર્ણ મૂક્તિ અપાવી.
આ સફરમાં ભારતીય વિચારકો, સાહિત્યકર્મીઓથી લઈ દુનિયાભરના શ્રેષ્ઠ સાહિત્યકારોને વાંચવા, જાણવા અને સમજવાની તક મળી છે. સાહિત્યને લીધે સ્થળ અને સમયના બંધન ન રહેતા, હવે તો પેઢીઓ પહેલાંના અને સમકાલીન સાહિત્યકારોને વાંચવા તેમ જ નવી ટેકનોલોજી દ્વારા સાંભળવા જોવાનો લહાવો પણ મળી રહ્યો છે. સાહિત્ય ભલે દરેક સમસ્યાનો ઉકેલ ન આપી શકતું હોય, પણ ઉકેલ માટે જરૂરી સંવેદના, સમજણ ને દ્રષ્ટિકોણ તો ચોક્કસ આપે જ છે.
ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા ગુજરાતી સાહિત્યમાં માસ્ટર્સની પરીક્ષાઓ તો શોખ ખાતર પાસ કરીને ડિગ્રી મેળવી, પણ સાહિત્યનો પદ્ધતિસર-પરંપરાગત અભ્યાસ ન કરી શકવાની થોડી ખટક રહેતી, જે સાહિત્યવાંચન દ્વારા સંતોષાઈ છે. આજે પણ સફારી જેવા સાયન્સ મેગેઝીનથી લઇ નવનીત સમર્પણ-ચિત્રલેખા જેવા સામયિકોનું નિયમિત વાંચન વ્યવસાયિક અને અંગત જીવનમાં ખૂબ ઉપયોગી થાય છે.
સમાપનમાં એટલું જરૂર કહીશ કે સાહિત્યએ મારા જીવનમાં એક સમતોલપણું આણ્યું છે ! દુનિયાને જોવાની એક નવી દ્રષ્ટિ આપી છે. જીવનના ઘણા ચઢાવ-ઉતાર થતા પ્રસંગોમાં ટકી રહેવાની પ્રેરણા અને બળ પૂરું પાડ્યા છે. ઉપરાંત, આજે, આ સાહિત્યની જ દેણ છે કે આપ સહુ સાથે મારો અનુભવ-મારો આનંદ વહેંચી શકું છું. આગળ પણ પ્રભુને એ જ પ્રાર્થના છે કે સાહિત્યવાંચનનો આ પ્રવાસ અવિરત ચાલતો રહે ને જીવનને વધારે ને વધારે સમૃદ્ધ કરતો રહે !


ગુજરાતી શાળાઓના વિકાસમાં પાયારૂપ બની શકે એવી યોજનાઓ

અગાઉ ગુજરાતી માધ્યમ, માતૃભાષામાં શિક્ષણ અને શિક્ષણના વિવિધ પાસાંઓ વિશે ચર્ચા થઈ છે. આ વખતે જાણીએ કે કેવી કેવી યોજનાઓથી શક્ય છે ગુજરાતી શાળાઓનો સંપૂર્ણ વિકાસ.

અનેક ઉદાહરણો પરથી એ સ્પષ્ટ થયું છે કે માતૃભાષાની શાળાઓ પણ જુદી જુદી પ્રવૃત્તિ, સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને થોડા માર્કેટિંગના સહારે ફરી પાછી ધમધમતી થઈ શકે છે, પણ પ્રશ્ન છે આપણી અનેક શાળાઓને ફરી પાછી પ્રવૃત્તિમય અને જીવંત કરવા માટે જે પગલાઓ લેવાની જરૂર છે તે આર્થિક મદદ વગર કેવી રીતે પૂરાં કરી શકાય? આજે મોટાભાગની ગુજરાતી શાળાઓ ખાનગી ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે કે પછી પાલિકા દ્વારા સહાયપ્રાપ્ત છે. ખાનગી ટ્રસ્ટવાળાઓને તો હવે ગુજરાતી માધ્યમમાં રસ (કે પૈસો) ન દેખાતા તેઓ અંગ્રેજી માધ્યમ તરફ વળી ગયા છે, અને કેટલાક ઈચ્છુક હોવા છતાં સશક્ત નથી, તેથી શાળાઓ માટે નવી સુવિધા ઉપલબ્ધ નથી કરાવી શકાતી.
વાલીઓ પોતે આર્થિક ભીંસમાં હોય તો પણ પોતાના બાળકને બીજાં બાળકો સાથે હરીફાઈમાં ટકી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. વળી તેમાં પણ અંગ્રેજીનો મોહ અને હાઉ ભળે, એટલે વાલીઓની ઈચ્છા એક ગાંડપણનું સ્વરૂપ લઈને અંગ્રેજી માધ્યમ માટેની આંધળી ઘેલછામાં પરિણમે છે.
તો આ ઘેલછા રોકવા માટેના ઉપાય શું છે? જો આ ઘેલછા રોકવી હોય તો સંપૂર્ણ આધુનિક સુવિધાઓ ધરાવતી ગુજરાતી શાળાઓનો પ્રચાર થવો જોઈએ, જ્યાં માતૃભાષામાં શિક્ષણ મળે સર્વોત્તમ અને અંગ્રેજીની તાલીમ હોય ઉત્તમ. તો ગુજરાતી માધ્યમની શાળાઓ આવી સુવિધા મેળવવા આર્થિક સહાય ક્યાંથી લાવી શકે?
આ લેખની ચર્ચા એ જ મુદ્દા પર છે કે ગુજરાતી માધ્યમની શાળાઓ જો ધારે તો ઘણા રસ્તાઓથી આર્થિક મદદ મેળવી શકે છે, તો ચાલો જોઈએ કેટલીક યોજનાઓ અને રસ્તા કે જેના દ્વારા અથવા એવી જ બીજી સંસ્થાઓ પાસેથી ગુજરાતી શાળાઓ આર્થિક મદદ મેળવી શકે.
૧. ગુજરાતી માધ્યમ પાસે સૌથી પહેલો સ્રોત છે રાજકીય / કેન્દ્રીય યોજનાઓનો લાભ લેવો. ઉદાહરણ તરીકે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનની વિવિધ યોજનાઓ છે. ICT (ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી) દ્વારા શિક્ષણની ગુણવત્તા વધારવી, સ્કુલની માળખાકીય સુવિધા સુધારવા માટેની યોજના, શાળાની વિવિધ સુવિધાઓ જેવી કે લેબ, લાઈબ્રેરી, કમ્પ્યુટર રૂમ વગેરે બનાવવા માટેના પ્રોગ્રામ, ફોરેન લેન્ગવેજ કે અંગ્રેજી શીખવાડવા માટે શિક્ષક નિયુક્ત કરવાની યોજનાઓ. એની પૂરી માહિતી મેળવી એ યોજનાઓના લાભ લઈ શકાય છે. આ તો થઇ સરકારી યોજનાની વિગત.
૨. હવે જોઈએ કેટલીક મલ્ટીનેશનલ તેમ જ નેશનલ કંપનીઓ દ્વારા ચાલતી યોજનાઓ. ઉદાહરણ તરીકે માઈક્રોસોફ્ટ દ્વારા ચાલતા શિક્ષણને લગતા વિવિધ પ્રકલ્પો, ઈન્ફોસીસ દ્વારા શાળાઓને અપાતી ગ્રાન્ટ્સ, વિપ્રો દ્વારા અપાતી સહાય, TCS જેવી કેટલીક કંપનીઓ દ્વારા શાળા માટેના શિક્ષણના પ્રકલ્પો તેમની CSR અંતર્ગત ચાલે છે. આ યોજનાઓની વધુ વિગતો જે તે કંપનીની વેબસાઈટ પર મળી શકે છે, ઉપરાંત વ્યવસ્થિત સંશોધન કરવાથી આવી ડઝનો કંપનીઓના સહાય કાર્યક્રમો મળી રહેશે જે શાળાઓને સદ્ધર કરવામાં મદદરૂપ બને.
3. હવે વાત કરીએ કેટલીક NGOની કે સ્વતંત્ર સંસ્થાઓની જે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલી છે ને વિવિધ પ્રકારની યોજના ચલાવે છે. ‘મુંબઈ ગુજરાતી સંગઠન’ તેનું એક ઉત્તમ ઉદાહરણ છે, જે શાળાઓના સ્તરને સુધારવા તેમ જ તેમની માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે ઉપરાંત બાળકોના સંપૂર્ણ વિકાસને વેગ મળે તે માટેના કાર્યક્રમો યોજતું રહે છે. આવી જ બીજી પણ ઘણી સંસ્થાઓ છે જે વિવિધ યોજનાઓ દ્વારા શાળાઓને મદદ કરતી રહે છે. દરેક શાળામાં તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન એમાં ઘણું મદદરૂપ થઇ શકે છે. આજે લોકોમાં દાયકાઓ બાદ સ્કૂલી મિત્રો સાથેના મેળાવડાનો-રિયુનયનનો ટ્રેન્ડ છે, ત્યારે શાળાઓએ આવા રિયુનિયન્સને પોતાની શાળાઓ માટે આર્થિક કે અન્ય સહાય કરવા માટે અપીલ કરવી જોઈએ.
4. કંપનીઓ શાળા/શૈક્ષણિક સંસ્થાઓને મફત કે ખુબ જ રાહત દરે નેટ કનેક્શનની સુવિધા પૂરી પાડે છે કે જેથી ગુજરાતી માધ્યમની ખાનગી / સરકારી શાળાઓ પણ ઈન્ટરનેટનો લાભ લઇ શકે અને આજના જમાના સાથેની હરીફાઈમાં ટકી શકે.
5. જેમ આપણે જાણીએ છીએ જે 'મન હોય તો માળવે જવાય' આ જ ઉક્તિને સાચ્ચી ઠેરવતી કેટલીક કમાલની સાઈટો છે કે જેને 'ક્રાઉડ ફંડિંગ' સાઈટ્સ કહેવાય છે. જેનો મતલબ છે તમારી પાસે કોઈ સારો પ્રોજેક્ટ કે સારા લક્ષ્ય હોય પણ તેને પૂરા કરવાનો આર્થિક સહયોગ ન હોય તો 'ક્રાઉડ ફંડિંગ' વેબસાઈટ તમારો પ્લાન / વિચાર લોકો સમક્ષ મૂકે છે અને લોકો પાસેથી તમારી માટે ફાળો મેળવવા અપીલ કરે છે. અને તેના થકી તમે આર્થિક સહયોગ પ્રાપ્ત કરી શકો છો. ઉદાહરણ તરીકે milan.com, wishberry.in જેવી કેટલીયે વેબસાઈટ છે જે તમને ભંડોળ ભેગું કરવામાં મદદ કરે છે.
જ્યાં આટલા બધા રસ્તાઓ છે ભંડોળ / યોજનાઓ માટે તો અડચણ શું હોય? મોટાભાગની યોજનાઓ / ભંડોળ માટે શાળાઓને ખૂબ વ્યવસ્થિત યોજનાઓના પેપર તૈયાર કરવા પડે છે તેમ જ ધીરજ અને સતત ફોલો-અપ માગી લેતી કાર્યપ્રણાલીને અનુસરવું પડે છે. જે માટે શિક્ષકોએ આગળ આવી સારી યોજનાના પેપર બનાવવા તેમ જ પ્રેઝન્ટેશન કરવું વગેરે આવડતો વિકસાવવી રહી, વળી તેનો પણ એક સરળ ઉપાય છે, જો શાળા પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠનમાંથી આ પ્રશ્નોના નિષ્ણાત વિદ્યાર્થીઓને શોધી કાઢી તેમની સેવાનો લાભ લઇને વ્યવસ્થિત કાગળિયા બનાવે તો નક્કી દરેક શાળાને ભંડોળ માટે ચિંતા કરવાની ન રહે અને ઓછી ફી સાથે સારી ગુણવત્તાવાળું શિક્ષણ પણ આપી શકાય.
ઉપર કહ્યું તેમ આ માટેની તૈયારીઓની શરૂઆત કેવી રીતે કરવી? દરેક નવા કાર્ય માટે દૃઢ સંકલ્પ, પૂર્વતૈયારીઓ અને મહેનત જરૂરી છે. શાળાઓ પોતાની દરેક શૈક્ષણિક અને બીજા કાર્યક્રમોની વિગતે રિપોર્ટ બનાવી રાખી શકે એ બહુ જરૂરી છે. દરેક શાળાઓએ પોતાના વેબ પ્રોગ્રામ વધારવા જોઈએ જેમ કે તેમનો બ્લોગ કે વેબસાઈટ બનાવી દરેક કાર્યક્રમની વિગતો - અહેવાલો એના પર મૂકતા રહેવાથી ઘણો ફાયદો થઈ શકે છે. યુ-ટ્યુબ જેવા માધ્યમનો ઉપયોગ કરી શાળાની માહિતી વહેતી મૂકી શકાય છે, તો શાળાઓ માટે આવી ગ્રાન્ટ કે યોજનાઓનો લાભ મેળવવો સરળ બની જાય.
તો શાળાઓને આ માટે તૈયાર કેવી રીતે કરવી?
જે શિક્ષક કે શાળાઓને આવી યોજનાઓ વિષે જાણવામાં વધુ રસ હોય, આવી યોજના માટેની તૈયારી કેવી રીતે કરવી તે માટેની કટિબદ્ધતા હોય તે મુંબઈ ગુજરાતીનો સંપર્ક કરી એમના કાર્યક્રમ આગળ વધારી શકે છે. મુંબઈ ગુજરાતી આ વિષય માટેની નિઃશુલ્ક કાર્યશાળા યોજી શિક્ષકોને વધુ જાણકારી આપી શકે છે.

- મુંબઈ ગુજરાતી સંગઠન


જાણવા અને પારખવા વચ્ચેથી પસાર થઈ જતી કવિતા - સુનીલ મેવાડા

ક્યારે રે બુઝાવી મારી દીવડી, ક્યારે તજી મેં કુટીર.
કઇ રે ઋતુના આભે વાયરા, કઇ મેં ઝાલી છે દિશ;
........................................નહીં રે અંતર મારું જાણતું;
કેવાં રે વટાવ્યાં મેં આકરાં, ઊંચા ઊંચા પહાડ;
કેમ રે વટાવી ઊભી માર્ગમાં, અંધારાની એ આડ:
.......................................નહીં રે અંતર મારું જાણતું;
વગડે ઊભી છે નાની ઝુંપડી, થર થર થાયે છે દીપ,
તહીં રે જોતી મારી વાટડી, વસતી મારી ત્યાં પ્રીત.
.....................................મારા રે હૈયાને તેનું પારખું.
પડ્યા રે મારા પગ જ્યાં બારણે, સુણિયો કંકણનો સૂર;
મૃદુ એ હાથો દ્વારે જ્યાં અડ્યા, પળમાં બંધન એ દૂર.
મારા રે હૈયાને તેનું પારખું.
ફરીને કુટિરદ્વારો વાસિયાં, રાખી દુનિયા બહાર,
પછી રે હૈયાં બેઉ ખોલિયાં, જેમાં દુનિયા હજાર,
....................................મારા રે હૈયાને તેનું પારખું.
– પ્રહલાદ પારેખ

આપણા સહુના સૌભાગ્ય છે કે પ્રહલાદ પારેખની કવિતાઓ લોકજીવનની જુબાની બનીને આપણી પાસે સચવાયેલી છે. અતિશિષ્ટ અને અતિલૌકિક એમ બંને પ્રકારના શબ્દશરીરમાં એમણે કાવ્યભાવોને શણગાર્યા છે એ એમની અનેરી સિદ્ધિ છે. છંદોમાં એમણે કસબ સિદ્ધ કર્યો છે તો લોકલયમાં કલા. લોકોની જીભે રમતા લયમાં ઉન્માદી કાવ્યભાવ પ્રકટાવવાની ફાવટ એમની કલમની જ નહીં, આપણા કાવ્યસાહિત્યની પણ વિશેષ ઉપલબ્ધિ છે. ‘આજ અંધાર ખુશબોભર્યો લાગતો, આજ સૌરભભરી રાત સારી..’ જેવી પંક્તિઓ વાંચીએ ત્યારે સમજાય કે ઉમાશંકર જોશીએ પ્રહલાદ પારેખની કવિતાઓને સાચી જ રીતે ‘આંખ, કાન અને નાકની કવિતા’ કહી છે.
આ કવિતા પણ આમ સામાન્ય છે. સામાન્યતાને સ્પર્શતું રસસિદ્ધ સાહિત્ય અહીં ઝીલાયું છે. લોકોની જીભે ને હૈયે જીવતી રચનાઓમાં એક લક્ષણ મોટાભાગે જોવા મળે છે એ છે કથન. પ્રાસના માધ્યમથી કંઈક રોજિંદા જીવન સાથેની વાત કહેવાય ત્યારે સહજતાથી તે લોકોમાં ઝીલાઈ જાય છે. અહીં પણ વાત, પરંપરાગત ચાલી આવતી, વિરહી પળોની જ છે છતાં એના મિજાજમાં કંઈક જુદું જ તત્વ ઉમેરાયું છે.
વચ્ચેથી ઉપાડ લઈ પહેલા ફક્ત એક જ પંક્તિની વાત કરીએ.
મારા રે હૈયાને એનું પારખું...
સંસારમાં વસ્તુસામગ્રીના પારખા કરીને ઈન્દ્રિય જ્ઞાન મેળવે, મગજ માહિતી મેળવે, પણ ચેતના કે અનુભૂતિના પારખા સરળ નથી. એવી હિંમત કરે તોય માત્ર હૈયું... ત્યાં મગજનું કામ નહીં. જોકે મોટા ભાગે તો તેવા સંવેદનાત્મક પારખા હૈયુંય કરે નહીં, પણ આપોઆપ જ થઈ જાય. આપણે પોતે કોઈ મનુષ્ય સાથે થોડાંક વર્ષો રહીએ એટલે સાયાસ પારખા વગરેય આપણા હૈયાને ખબર પડી જાય છે કે મુજ બાળને પેલાં કાકી તો ઉપરછલો દેખાવપૂરતો જ લાડ કરતાં અને મમ્મી સાચકલો ! એ હૈયાએ અનુભૂતિઓની લીધેલી પરખ છે.
અહીં દેશાવરે ગયેલા પતિ(આપણા નાયક)ને એ જ્યાં સદેહે છે-હતો એની ખાસ માહિતી નથી પણ જ્યાં એની પ્રીત-ગામડે રાહ જોતી-એને ઝંખતી-ઊભી હશે એ સ્થળનું સંપૂર્ણ પારખું છે, કારણ કે ત્યાં એનું ચેતનાતંત્ર એના અંશેઅંશથી જોડાયેલું છે.
હવે ફરી આ કવિતાના એકડા પર આવીએ.
નાયક ઉવાચઃ ક્યારે દીવો બૂઝાયો, ક્યારે રહેવાસ છોડ્યો, ઠંડીગરમી કે ચોમાસામાંથી કઈ મૌસમની આબોહવા વ્યાપી છે કે મારાં ડગલાં કઈ દિશામાં મંડાઈ રહ્યાં છે વગેરેવગેરે બાબતોથી મારું અંતર અજાણ છે. (નાયક એનું અંતર અ-જાણ હોવાની વાત કરે છે, એ અંતર એટલે અનુભૂતિતંત્ર સાચવતું હૈયું નહીં, પણ માહિતીતંત્ર સાચવતું મન છે. એ અંતર પરિસ્થિતિઓ કેવી રીતે સર્જાઈ એનાથી અજાણ છે, જેમ કે ક્યારે ઘર મૂક્યું ને ક્યારે દીવો ઓલવાયો કે ઓલવ્યો?! પછી, આ કઈ ઋુતુ ચાલી રહી છે એમ પૂછવાને બદલે, આભે કઈ ઋતુના વાયરા વાય છે એવો કાવ્યાત્મક પ્રશ્ન કરી નાયક જાહેર કરે છે કે આ ભૌતિક વિગતો વિશે તેને કશી જાણ નથી.)
એ જ રીતે અહીં સુધી પહોંચવામાં કપરી વનવાટ વટાવી, ઊંચા પહાડો ઠેંક્યા ને અંધારાની દીવાલ પણ ભેદી એ ખરું, પણ એ આપણને માહિતી આપવા પૂરતું જ, અગાઉ ઉલ્લેખ્યું એ નાયકનું અનુભૂતિતંત્ર તો એનાથી નિ-સ્પર્શ્ય છે. કશુંક પાર કરીને કશેક પહોંચ્યાની જાણ એને છે, પણ જે પાર કર્યું એ શું હતું ને જ્યાં પહોંચાયું છે એ શું છે, એની કશી નોંધ નાયક પાસે નથી, નાયકની દ્રષ્ટિ સામે તો છે, વગડે ઊભેલી એક માત્ર ઝૂંપડી.
જ્યાં એકલવાસથી કંટાળેલો દીવો થરથર થાય છે, ત્યાં નાયકના જીવનતંત્રના એક માત્ર ચાલકબળ-પ્રીત-નો વસવાટ છે... અને અત્યાર સુધીની જગત માત્રની તમામ બાબતે અજાણ હોવાનું કહી વાત ટાળવા મથતો નાયક, કવિતામાં પહેલીવાર ચોખ્ખો દાવો કરે છે કે હા, હા મિત્રો હા, મારા હૈયાને આ એક બાબતનું પાક્કું પારખું છે. હું એને બરાબર પિછાણું છું, જાણું છું, માણું છું...
એ ઘરના બારણે પગ પડતાંકને કંકણનો સૂર ટહૂકી ઊઠે છે. દરવાજે જેવો કોઈ મૃદુ સ્પર્શ અડે છે કે તરત (આ ક્ષણે દરવાજારૂપી ને એ પહેલાંનાં વિરહરૂપી) તમામ બંધનો તૂટી જાય છે. બંધનમુક્તિ પછી તરત આરંભાય છે બંધનરહિત મિલનોત્સવ. ઘરપ્રવેશ સાથે બહારની દુનિયાને બહાર હડસેલી બારણાનાં બે પડ ભીડવામાં આવે છે અને ખોલવામાં છે હૃદયનાં પડ, જેમાં બહારની એક દુનિયાની અવેજીમાં બીજી હજાર દુનિયા સજીવન થાય છે.
અને હા, એ દુનિયાઓનું પણ પાક્કું-પૂરેપૂરું પારખું (આ વખત ફક્ત નાયકના જ હૈયાને નહીં, પેલા મૃદુ હાથ ધરાવનારી વ્યક્તિના હૈયાનેય ખરું) હોવાનું ! અહીં કવિતા સાથે સંવેદનાને પણ ઉન્માદી ઊંચાઈ લઈ જતી છેલ્લી પંક્તિ તો જાણે કોઈ ઉત્સવ સમાન બની જતી લાગે છે !
1912માં ભાવનગરમાં જન્મેલા આ કવિને શબ્દ પાસેથી કવિતાકામ લેવામાં રસ છે, એને મરોડવા માટે મથવાનો એમનો મિજાજ નહીં. ભાવનગરની શ્રી દક્ષિણામૂર્તિમાં નાનાભાઈ ભટ્ટ જેવા પ્રખર પંડિતના સાહિત્યસંસર્ગથી શરૂ થઈ એમનું ઘડતર, ગૂજરાત વિદ્યાપીઠ-સ્વાતંત્ર્ય ચળવળથી પસાર થતુંથતું શાંતિનિકેતનમાં રવીન્દ્રનાથની છત્રછાયા સુધી લંબાયું. 50 વર્ષના ન લાંબા-ન ટૂંકા આયુષ્યમાં તેમણે ગુજરાતી કવિતાને નોખી સમૃદ્ધિ આપી છે એ તો કબૂલવું જ પડે. ‘બારી બહાર’ એ એમનો જ નહીં, ગુજરાતી કવિતાના અભ્યાસમાં પણ નોંધનીય કાવ્યસંગ્રહ નીવડ્યો છે. શીર્ષકનું સ્પષ્ટ મહત્વ એમની કેટલીય કવિતાઓમાં તરી આવે છે. એવી જ ટચૂકડો કાવ્યચમત્કાર કરતી એમની ‘અંધ’ શીર્ષક ધરાવતી કવિતા જોઈએ.

નૈન તણાં મૂજ જ્યોત બૂઝાણાં, જોઉં ન તારી કાય
ધીમાધીમા સૂર થતા જે, પડતા તારા પાય
સૂણીને સૂર એ તારા
માંડું છું પાય હું મારા
ઝૂલતો તારે કંઠે તાજા ફૂલડાં કેરો હાર
સૌરભ કેરો આવતો એનો ઉર સુધી મુજ તાર
ઝાલીને તાર એ તારો
માંડું છું પાય હું મારો
વાયુ કેરી લહરીમાં તુજ વસ્ત્ર તણો ફફડાટ
શોધતો એ ફફડાટ સુણી મારા જીવન કેરી વાટ
ધ્રુજંતા પગલાં માંડું
ધીમેધીમે વાટ હું કાપું
સૂર સૂણો, ને આવે ---- ફૂલસુવાસ
વસ્ત્ર તણો ફફડાટ સૂણું હું એટલો રહેજે પાસ
ભાળું ન કાયા તારી
નૈનોની જ્યોત બૂઝાણી...

સ્નેહ છે, સંબંધ છે, સહજીવન પણ છે છતાં બે જન વચ્ચે એક મહાન દૂરતા આવી ગઈ છે. એ દૂરતાના કરુણ દારિદ્રયને અલૌકિક સ્નેહના તંતૂ દ્વારા ભૂલાવવા મથતાં સંવેદનોનું આ કાવ્ય. મારા પ્રિયે, જગતને દ્રશ્યમાન રાખતી મારા નયનોની જ્યોત બૂઝાઈ ગઈ છે, એટલે ભૌતિક-ભૌગોલિક જગતની જેમ જ તારી કાયા પણ હવે હું ભાળી (જોવાની તો વાત જ ન રહી.) શકતો નથી, એનો આકાર દેખવામાં હવે હું સમર્થ છું, આથી જ, તારા પગલાઓની હલચલમાંથી જે ધીમા સૂર પ્રકટે છે, એ પાય-સૂરને સાંભળી-અનુસરીને હું મારા પાય માંડું છું. એટલે કે જીવનના એક માત્ર આધારસમી વ્યક્તિના પગ જ્યાં જ્યાં ફંટાય એ ડગલાના અવાજને પારખી રાખીને એને જ દ્રષ્ટિવિહોણો હું અનુસર્યા કરું છું. એ સૂરના અનુબંધ જેવો જ પ્રિય વ્યક્તિના ગળામાં લટકતા ફૂલના હારની સુવાસનો તાર મારા હૃદય સાથે જોડાયેલો છે. પ્રિય વ્યક્તિનો આભાસ જાણે સૌરભનો તાર થઈ રણઝણાવ્યા કરે છે અને એ તાર ઝાલીને હું પણ સંચાલિત થયા કરું છું. પવન ફૂંકાય છે ત્યારે પ્રિય વ્યક્તિના વસ્ત્રો ફડફડ થાય છે એ વસ્ત્રોના અવાજ પરથી જ હું મારા જીવનનો માર્ગ શોધવાના પ્રયાસ કરતો રહું છું. એટલે કે, એક જીવનદોર સમી પ્રિય વ્યક્તિને ન દેખવા-ન સ્પર્શવા છતાં એના અસ્તિત્વ સાથે મારા અસ્તિત્વની શક્યતાઓ જોડી આમ જીવતા રહી જવાની વિવિશતા હું ઉજવી રહ્યો છું, ત્યારે બસ એક, ફક્ત એક માત્ર નાની વિનંતી એ પ્રિય વ્યક્તિને પણ કરવાની છે. હે પ્રિયે, તારાં પગલાંના સૂર, તારા હોવાની સુવાસ અને તારા વસ્ત્રોના ફફડાટ, આ ત્રણ બાબતોની કાખઘોડી લઈ મારું દ્રષ્ટિહિન પંગુ અસ્તિત્વ ટકી રહ્યું છે ત્યારે પ્રિય તું, એ ત્રણેય બાબતોના આભાસવર્તૂળ સુધી હું પહોંચી શકું(ભલે એને સ્પર્શી ન શકું) એટલી નજીક રહેજે, એટલી પાસે રહેજે. હું તને જેમ જોઈ નથી શકતો, એમ તને સ્પર્શવાની, તારા પર સંપૂર્ણ લદાઈ જવાની પણ મને લાલચ નથી, મારી માત્ર એટલી યાચના છે કે તું ભલે મને તારા હોવામાં ન ભેળવ, તારા જીવનમાં ન શણગાર, પણ મારી અપંગતા(દ્રષ્ટિની-મનની-તનની)નું માન જાળવીને પણ તું મને તારી સંભાવનાઓથી દૂર ન કરતી, એક નિશ્ચિત અંતરથી મળતા તારા ભાસ-સહવાસના આધારે પણ મારી અ-દ્રષ્ટ જિંદગી બસર થઈ જશે... આમેય હવે તો, ભાળું ન કાયા તારી, નૈનોની જ્યોત બૂઝાણી !


સાહિત્ય-જીવન-સમાજ વિશે વિનોબા ભાવે

સાહિત્યનો અર્થ જ છે, સહિત અથવા સાથે જનારું. જે સાહિત્ય અમુકની સાથે જ જતું હોય, સહુની સાથે ન જતું હોય, તે એટલું સંકુચિત બને છે. જેના માટે સહુના દિલમાં પ્રીતિ ન જન્મતી હોય, તે ‘સાહિત્ય’ નથી, ‘રાહિત્ય’ છે – તે સર્વ જનની પ્રીતિથી રહિત છે. સાહિત્ય સર્વ જનોને બદલે વિશિષ્ટ જનો માટેનું જ થઈ ગયું, તો તે કાંઈ સાહિત્યની પ્રગતિ નહીં, સંકુચિતતા જ મનાશે.
*
મનુષ્ય દેખાવમાં તો સાવ નાનકડો છે. બીજાં પ્રાણીઓ સાથે સરખાવીએ, તો મનુષ્ય તદ્દન નિર્બળ ને કમજોર જણાશે. પરંતુ તેના નાનકડા દિમાગમાં ને દિલમાં જે કીમિયો છે તે અદભુત જ છે ! મનુષ્યને હમદર્દ દિલ એવું મળ્યું છે કે પ્રાણીમાત્ર સાથે તે એકરૂપ થઈ જાય છે. સકળ સૃષ્ટિ સાથે એકરૂપ થઈ શકવાની મહાન શક્તિ ભગવાને મનુષ્યના નાનકડા દિલમાં મૂકી છે. અને એ જ મનુષ્યની વિશેષતા છે. અને દિમાગ પણ એવું દીધું છે કે તે દુનિયા આખીની સેર કરી શકે છે, દ્રષ્ટા બની શકે છે. આ દ્રષ્ટા બનવાની શક્તિયે બીજાં પ્રાણીઓમાં નથી. આ બેઉ શક્તિ કેવળ મનુષ્યને મળી શકે છે, અને તેને જાગૃત કરવાનું કામ સાહિત્યકારનું છે.
સાહિત્યકારની વાણી સચોટ ક્યારે બને? શંકરાચાર્ય પૂછે છે, ‘કેષામ્ અમોઘ વચનમ્’ – કોની વાણી અમોઘ નીવડે છે? ‘યે ચ પુન: સત્ય-મૌન-શમશીલા:’ – જેનામાં સત્ય હોય છે, જે મૌન રહે છે, જે શાંતિ રાખે છે, એની વાણી અમોઘ હોય છે.
વાણી તો રામબાણ જેવી હોવી જોઈએ. ‘રામો દ્વિશરન્ નાભિસંદ્વત્તે’ રામ બે વાર બાણ નથી છોડતા. રામ બે વાર નથી બોલતા – ‘રામો દ્વિરનાભિભાષતે.’ આ શક્તિ સાહિત્યકારની છે.
સાહિત્યકારમાં અલિપ્તતા જોઈએ, અનાસક્તિ જોઈએ. તેના વિના તે દુનિયાને પામી નહીં શકે. સાહિત્યકારે આ સંસારના ખેલમાં દ્રષ્ટા થવાનું છે. જો તે ખેલનું પાત્ર બની ગયો, તો યથાર્થ ચિત્ર નહીં આલેખી શકે. સૃષ્ટિને સંસારથી અલિપ્ત રહેવાની શક્તિ જેનામાં હશે, તે જ ઉત્તમ સાહિત્યકાર બની શકશે.
પરંતુ આ અલિપ્તતા એટલે વિમુખતા નહીં. સાહિત્યકાર નિર્વિકાર રહેવાની સાથોસાથ વિશ્વ તરફ અભિમુખ પણ રહેવો જોઈએ. સંસારાભિમુખ હોવા છતાં નિર્લિપ્ત. જે આવો રહેશે, એ જ સાચા અર્થમાં સાહિત્યકાર બની શકશે.
એટલે હું કહીશ કે સાહિત્યકારે થર્મોમીટર પણ થવાનું છે અને વૈદ્ય પણ થવાનું છે. થર્મોમીટર બધાંનો તાવ માપે છે. જો થર્મોમીટરને પોતાને તાવ આવતો હોત, તો તે બીજાનો તાવ યથાર્થ રીતે માપી ન શકત. તેને પોતાને તાવ નથી આવતો એટલે જ તો તે બીજા બધાનો તાવ માપી શકે છે. સાહિત્યકારનુંયે તેવું જ. પરંતુ આની સાથોસાથ બીમાર પ્રત્યે હમદર્દી દાખવનારા વૈદ્યનાંયે લક્ષણ સાહિત્યકારમાં જોઈએ. તાવ છે તે જાણ્યું, તાવ કયો છે તે ઓળખ્યો, પછી તેના નિવારણ માટે તેણે દવા પણ બતાવવાની છે. સાહિત્યકારમાં આવી બેવડી શક્તિ જોઈએ.
*
મારી બા કોબી સમારતી, ત્યારે ઉપરનું પડ કાઢી નાખતી. એક વાર મેં જોયું કે ઉપરનું પડ કાઢ્યું તે સારું જ હતું. કાંઈ બગડ્યું નહોતું. એટલે મેં કહ્યું, આ તો સારું છે, છતાં શું કામ કાઢી નાખ્યું? તો એ બોલી કે તેના પર હવાની અસર થઈ છે એટલે તેને કાઢી નાખવું સારું ! પછી તેણે કહ્યું, મન ઉપર પણ આવાં જ પડ હોય છે ઉપરનું પડ કાઢી નાખવાથી અંદરનું સ્વચ્છ રૂપ દેખાય છે.
મને માનું આ વાક્ય બરાબર યાદ રહી ગયું છે. મનના ઉપરના પડ ઉપર હવાની અસર થતી રહે છે. ચારે કોરના વાતાવરણની તેના પર અસર થાય છે. તેને દૂર કરીને જોવાથી અંદરના મંગળ દર્શન થાય છે. ક્યારેક ક્યારેક આવી રીતે ઉપરનાં બે-ત્રણ પડ કાઢી નાખવાં પડે છે. આવી રીતે ઉપરનાં પડળ દૂર કરી અંતરનાં મંગળ દર્શન કરવાની શક્તિ પણ સાહિત્યકારમાં હોય.
સાહિત્યકાર શબ્દનો ઉપાસક છે, અને તેણે શબ્દને કદી નીચે નથી પડવા દેવાનો. તેણે શબ્દનો ઉપયોગ એવી જ રીતે કરવો જેથી શબ્દ ઉન્નત થાય. ખોટા શબ્દોના ઉપયોગથી અવનતી થાય છે. શબ્દોના અર્થ ઉપર ચઢાવવાથી સમાજ ઉપર ચઢે છે અને શબ્દોના અર્થ નીચે પાડવાથી સમાજ નીચે આવે છે, પતિત થાય છે. એટલે આ બધું શબ્દની ઉપાસના કરનારાઓના હાથમાં છે.
*
રામદાસનું એક કથન છે – ‘નબળી તબિયતવાળાને વિનોદ ગમે છે.’ એકવાર આ કથનને લઈને કેટલાક સાહિત્યકારો રામદાસ ઉપર તૂટી પડ્યા. રામદાસના કથનના ભાવાર્થ ઉપર ધ્યાન આપીને તેમાંથી ઉચિત સાર ગ્રહણ કરી લેવાને બદલે તે લોકોએ એમ પ્રસ્થાપિત કરવા માગ્યું કે રામદાસ વિનોદનું જીવનમાં તેમજ સાહિત્યમાં જે સ્થાન છે, તે જ નહોતા સમજી શક્યા. ઉપહાસ, વ્યંગ, મર્મભેદ વગેરે પ્રત્યે પ્રત્યે જ્ઞાનદેવે અરુચિ દર્શાવી છે, તેનેય આપણા સાહિત્યકારો એમની સાહિત્યની પરિભાષા અનુસાર જ્ઞાનદેવના અજ્ઞાનનું જ દ્યોતક માનશે! મૂળમાં વાત એ છે કે જ્ઞાનદેવ ને રામદાસને રાષ્ટ્ર-કલ્યાણની તડપન હતી, જ્યારે આપણા વિદ્વાનોને ચટપટી ભાષાની ફિકર હોય છે – પછી ભલે ને તેનાથી રાષ્ટ્રઘાત કેમ ન થયો હોય ! બંને વચ્ચે આ મુખ્ય ભેદ છે. આપણી સાહિત્યનિષ્ઠા એવી છે કે સત્ય ભલે મરી જાય, પણ સાહિત્ય જીવતું રહે !
(‘ચાલો ગુજરાતીનું ગૌરવ વધારીએ’ પુસ્તકમાંના લેખોમાંથી.)